Sunday, September 22, 2019

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - સપ્ટેમ્બર,૨૦૧૯


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઓગસ્ટ ૨૦૧૯ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ ગુણવત્તા બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯ દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ રૂપાંતરણનો માર્ગ' સાથે સંબંધિત અલગ અલગ વિષયોની માર્ગદર્શક ચર્ચા કરીશું. તદનુસાર, આપણે અત્યાર સુધી ડીજિટાઈઝેશન, ડીજિટલાઈઝેશન અને ડીજિટલ રૂપાંતરણ - મૂળભૂત બાબતો, ડીજિટલ ગુણવત્તા સંચાલન અને ગુણવત્તા ૪.૦ વિષે વાત કરી. તે પછીથી આપણે ઇન્ડસ્ટ્રી ૪.૦ની ૯ વિક્ષેપકારક ટેક્નોલોજિઓ વિષે પ્રાથમિક પરિચય કરવાનું શરૂ  કર્યું. અત્યાર સુધી આપણે વિશાળકાય માહિતીસામગ્રી વિશ્લેષકો (Big Data Analytics), ક્લાઉડ કમ્પ્યુટીંગ, રૉબોટિક્સ, સંવર્ધિત વાસ્તવિકતા અને પ્રતિકૃતિકરણ વિષે પરિચયાત્મક ચર્ચા કરી લીધી છે..
આજના અંકમાં આપણે ઉમેરણ નિર્માણ (AM)  વિષે ટુંકમાં ચર્ચા કરીશું..
ઉમેરણ નિર્માણ (AM) પડની ઉપર પડ ઉમેરતાં જઈને ત્રિ-પરિમાણીય વસ્તુઓનાં નિર્માણમાં  વપરાતી ટેક્નોલોજિઓ માટે બહુ ઉપયુક્ત નામ છે. તેમાં પ્લાસ્ટીક, ધાતુ, કોંક્રીટ જેવાં વિવિધ પ્રકારના કાચા માલ વપરાવા લાગ્યા છે.. અને હવે પછી ક્યારેક માનવીય કોષનો પ્રણ પ્રયોગ થતો દેખાશે.
AM ટેક્નોલોજિઓમાં કમ્પ્યુટર, કમ્પ્યુટર એઈડેડ્ ડ્રૉઈંગ (CAD) જેવાં ત્રિ-પરિમાણીય મોડેલીંગ સોફટવેર, AM મશીનીંગ માટેનાં ઉપકરણો અને પડ ચડાવવા માટેનો માલ જેવી વપરાશમાં લેવાય છે. એક વાર CAD ડ્રૉઈંગ તૈયાર થાય એટલે AM ઉપકરણ તેમાંની માહિતીસામગ્રી 'વાંચે' અને પછી તે મુજબ નક્કી કર્યા મુજબના માલનાં પડ ચડાવાતાં જાય, જે ત્રિપરિમાણી વસ્તુમાં પરિણમે.
AMના ઉપયોગોની કોઈ સીમા નથી.  રેપિડ પ્રોટોટાઇપીંગનો શરૂઆતનો ઉપયોગ ઉત્પાદન શરૂ કરતાં પહેલાંના મૉડેલને દૃષ્ટિગત કરવામાં થતો, હવે, AMનો ઉપયોગ વિમાન, દાંત પુનઃસ્થાપન, તબીબી પ્રત્યારોપણ, ઓટોમોબાઇલ્સ અને ફેશનને લગતાં ઉત્પાદનો સુધ્ધામાં થવા લાગ્યો છે.
ઘણાં લોકો મૂળભૂત મશિનીંગ કે કાપકૂપી કરીને માલ ઓછો કરતાં જવાવાળી પધ્ધતિઓ જેવી ઘટાડતાં જઈને કરાતાં ઉત્પાદનને કે થોડે અંશે ફોર્જિંગ જેવી ફોર્મિંગ ઉત્પાદન પધ્ધતિઓનાં પૂરક તરીકે AMને જૂએ છે. મહત્ત્વની વાત એ છે કે AM ગ્રાહકો તેમજ વ્યાવસાયિકોને વસ્તુઓ બનાવવા, જરૂરિયાત મુજબ ફેરફારો કરવા કે મરમ્મત કરવામાં મદદરૂપ થવાની સાથે તે માટેની પ્રક્રિયાઓ ને તેમ જ વર્તમાન ઉત્પાદન ટેક્નોલોજિઓને ફેરવ્યાખ્યાયિત કરવામાં મહત્ત્વનું યોગદાન આપી શકે છે.
          બહુ જ જટિલ ભૌમિતીય આકારની જટિલ વસ્તુઓ બનાવવામાં ઉમેરણ નિર્માણનો ફાળો બહુ  મોટો છે - ફોટો સૌજન્ય એમ આઈ ટી સ્કૂલ ઑફ મેનેજમૅન્ટ
૧૯૮૭માં જ્યારે ઉમેરણ નિર્માણ ટેક્નોલોજિનો ઉપયોગ થવાનું શરૂ થયું ત્યારે પારજાંબલી (UV)પ્રકાશને સંવેદનશીલ પ્રવાહી પોલીમરનાં લેસર વડે પાતળાં પડ ચડાવતા જવાની પ્રક્રિયા - સ્ટિરિયોપ્રોટોટાઈપીંગ (SL)પ્રક્રિયાનું ચલણ થયું. તે પછી ફ્યુઝ્ડ ડીપોઝિશન મોડેલિંગ (FDM), સિલેક્ટીવ લેસર સિન્ટરીંગ (SLS), પોલીજેટ, એલ્ક્ટ્રોન બીમ મેલ્ટીંગ જેવી બીજી પધ્ધતિઓ પણ વિકસી ચૂકી છે.

અપેક્ષિત ગુણવત્તા અને ઉત્પાદન સમયને ધ્યાનમાં રાખીને ઉપયુકત ઉમેરણ નિર્માણ મશીનની પસંદગી કરવાનું પણ મહત્ત્વનું બની રહે છે. જોકે નિર્માણ પામેલ વસ્તુની ખરી અસરકારકતા તો તેની મૂળભૂત ડીઝાઈનમાં જ છે. એક આદર્શ ડીઝાઈન પ્રક્રિયા માપ અને આકાર, પ્રક્રિયાનાં કાર્યક્ષેત્રની  સીમા નક્કી કરવી, અગતિક અનેવ ગતિશીલ ભારની અસરોને વસ્તુના સંબંધિત ભાગ તેમજ ઉપયોગ સાથે ઝીણવટથી સાંકળી લેવી, ઉત્પાદનના નિગ્રહો અને માર્યાદાઓ નક્કી કરવી જેવી સોફ્ટ બાબતોને પણ આવરી લે તે પણ અતિઆવશ્યક છે.
અત્યારના તબક્કે ઉમેરણ નિર્માણ ટેક્નોલોજિઓ માટે મોટો પડકાર ફેબ્રીકેશન અને પૉસ્ટ-પ્રોસેસીંગમાં લાગતો સમય છે, જેને કારણે આ ટેક્નોલોજિ હજુ પણ જથ્થાબંધ ઉત્પાદન માટે અનુકૂળ નથી મનાતી. ફેબ્રિકેશનમાં લાગતા કુલ સમયનો ઉપાય વધારે મશીનોને કામે લગાડીને કરી શકાય, પણ જેમ જેમ ઉત્પાદિત વસ્તુ વધારે ને વધારે જટિલ થતી જાય તેમ તેમ પૉસ્ટ-પ્રોસેસીંગ સમય વધતો જાય છે. [2]
TEDxYoungstownની એક ચર્ચામાં બ્રેટ કોન્નર Additive Manufacturing ને સમજાવવાના સંદર્ભમાં ત્રિ-પરિંમાણીય પ્રિન્ટીંગ અને ઉમેરણ નિર્માણની ચર્ચા કરે છે.

ANSYS Additive Manufacturing Simulation inside ANSYS Workbench 19.0 - Example 1માં ANSYS Workbench 19.0 દ્વારા ઉમેરણ નિર્માણ માટેનાં પ્રતિકૃતિકરણની આખી પ્રક્રિયા સમજાવાઈ છે.

નિષ્ણાતો બહુ સ્પષ્ટ છે કે ત્રિ-પરિમાણીય પ્ર્ન્ટીંગ અને ઉમેરણ નિર્માણ એ બન્ને એક જ નથી. સામાન્ય વપરાશમાં આ બન્ને શબ્દપ્રયોગો એકબીજામાટે છૂટથી વપરાતા હોવા છતાં બન્નેમાં કેટલાક મહત્ત્વના તફાવતો છે. ત્રિ-પરિમાણીય પ્રિન્ટીંગ ઉમેરેણ નિર્માણનું ચાલક બળ જરૂર છે, પણ તે ઉમેરણ નિર્માણનું એક પાસું જ કહી શકાય. જે કંપનીઓ ઉમેરણ નિર્માણનાં ખાસ ક્ષેત્રોમાં કામ કરે છે તેમની ઓળખ ત્રિ-પરિમાણીય પ્રિન્ટીંગથી ઘણી વધારે હોય છે. મોટા ભાગે, ઉમેરણ નિર્માણમાં પેદાશ ડિઝાઈન,ઉત્પાદન કાર્યકુશળતા વધારતાં રહેવા માટે નવી નવી ટેક્નોલોજિઓનો વિકાસ, ગુણવત્તા પ્રતિતી માટેનાં પગલાંઓની ફરજ પાડવી જેવી જૂની અને નવી ટેક્નોલોજિઓનાં સમીકરણો રચાતાં રહે છે. [3]
અમેરિકા મેક્સ અને અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ્સ ઈન્સ્ટિટ્યુટ (ANSI) તેમની શક્તિઓ એકઠી કરીને ઍડિટીવ મેન્યુફેક્ચરીંગ સ્ટાન્ડર્ડાઈઝેશન કોલોબોરેટીવ (AMSC)ની સ્થાપના કરી છે. આમ  ઉમેરણ નિર્માણનાં ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ મૂળ મશીન ઉત્પાદકો, સરકાર, શિક્ષણ સંસ્થાઓ, સ્ટાન્ડર્ડ્સ ના વિકાસ સાથે સંકળાયેલી સંસ્થાઓ જેવા વ્યાપક હિતધારકો  AMSCમાં સક્રિયપણે રસ લઈને ઉમેરણ નિર્માણને લગતાં સ્ટાન્ડર્ડ્સની પરિસ્થિતિ અને ખૂટતી કડીઓ પુરવા માટેનો નકશો તૈયાર કરશે. 6 ૨૦૧૭ની શરૂઆતમાં AMSC એ આ પ્રકારની આકારણીનો એક પ્રારંભિક મુસદ્દો — Standardization road map for additive manufacturing, version 1.0 (જેને ટુંકમાં “the AMSC road mapતરીકે ઓળખવામાં આવેલ છે).7 પ્રકાશિત કરેલ છે. [4]
ઉમેરણ નિર્માણ જેટલી મહત્ત્વની તકો લાવે છે તેટલા જ પડકારો પણ લાવે છે. આ ટેક્નોલોજિ દ્વારા બનતાં ઉત્પાદનોના મિકેનીકલ ગુણધર્મોની વિશ્વસનિયતા હજુ અનિશ્ચિત રહેલ છે અને સ્ટાન્ડર્ડ એન્જિનીયરીંગ પધ્ધતિઓ તેને પુરેપુરી રીતે આવરી નથી શકી.…. માહિતીસામગ્રીનું સર્વગ્રાહી એકત્રીકરણનું વ્યવસ્થાપન અને વિવિધ બૅચ વચ્ચેની ટ્રેસેબિલીટી કડીઓ જાળવી રાખવાની ક્ષમતા જેવા પડકારોના સંતોષકારક જવાબો શોધાઈ રહ્યા છે. ઉત્પાદન પ્રક્રિયાનાં પરિમાણો અને ઉત્પાદિત વસ્તુની કામગીરી વચ્ચે સહસંબંધ પ્રસ્થાપિત થયેલ હોય તો પ્રક્રિયાના કયા ફેરફારો ઉત્પાદિત વસ્તુના ગુણધર્મો અને કામગીરી પર શું અને ક્યા સંજોગોમાં અસર કરશે તે નિશ્ચિત કરી શકાય, પ્રક્રિયાની માહિતીસામગ્રી ઉત્પાદિત વસ્તુની કામગરીની આગાહી કરવા માટે પણ ઉપયોગી બને તેવાં સાંખ્યિકી મૉડેલના વિકાસમાં કામ આવી શકે. તે ઉપરાંત, માહિતીસામગ્રીની ટ્રેસેબિલીટી બે અલગ મશીનની કામગીરીને કેલીબ્રેટ કરવા અને વ્યવસ્થિતરૂપે સરખાવવામાં ગુણવતા નિયમનની દૃષ્ટિએ આવશ્યક ભૂમિકા ભજવે છે. [5]
ઉત્પાદન જેમ જેમ વધારે ને વધારે તરતોતરત પ્રત્યુત્તર આપનારૂં, જોડાયેલું, અને જરૂરિયાતો અનુસાર ય્ત્પાદન કરતું થાય, તેમ તેમ મશીનીંગ કરેલા કે મોલ્ડ કરેલા કે ઢાળેલા કે ય્મેરણ નિર્માણ કરેલાં ઉત્પાદનો માટે  વધારે નવી અને વધારે લવચીક  ચકાસણીની તકનીકોનું મહત્ત્વ પણ વધતું જશે.[6]

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
Management Matters Network પરની કોલમ Innovation & Entrepreneurshipમાંનો, Editorial Staff  નો લેખ, Abandon The Unproductive & Obsolete: A Surefire Way to Increase Productivity, Spark Innovation & Reduce Costs, આપણે આજના બ્લૉગોત્સવ ના અંક માટે પસંદ કરેલ છે. …. કંપનીની ઉત્પાદકતા વધારવા માટે તેના મૂડીગત સંસાધનોનો અસરકારક ઉપયોગ પીટર ડ્ર્કરની પહેલી કસોટી છે, તો બીનઉત્પાદક અને અપ્રચલિત સંસાધનોને ત્યજી દેવાં એ તેમનો અમલીકરણનો પહેલો નિયમ છે.

આપણા આજના અંકમાં ASQ TV પર આ વિષય સાથે સંકળાયેલ વૃતાંત જોઈએ
  • How BBQ Can Help in a Technologically Disruptive World - વર્તણૂક આધારિત ગુણવત્તા [behaviour based quality (BBQ)]નાં વાતાવરણમાં બધાં કર્મચારીઓ એક્સૂત્ર બનીને સફળતાઓની સંખ્યા વધારવામાં અસફળતાઓની સંખ્યા ઘટાડવામાં કામ કરે છે જે આયોજિત, અપેક્ષિત અને માપી શકાય તેવાં પરિણામોમાં ફળીભૂત થાય છે.
વેબિનારનાં સમગ્ર પ્રેઝન્ટેશન વાંચવા માટે અહીં ક્લિક કરો.
  • Become a Better Quality Leader - સંસ્થાની સફળતા માટે આવશ્યક એવી ચાર અલગ અલગ નેતૃત્વ શૈલીની અહીં ચર્ચા કરવામાં આવી છે. તે ઉપરાંત વધારે અસરકારક સંચાલક અને અગ્રણી બનવા માટે આવશ્યક ચાર વિભાવનાઓની પણ વાત અહીં કરવામાં આવી છે.
માઈ ટર્નરનો આખો ઈન્ટરવ્યુ અહીં વાંચી શકાય છે. 
ડેવીડ ડીકૉનનો લેખ અહીં વાંચી શકાશે.
Jim L. Smithની ઓગસ્ટ, ૨૦૧૯ની Jim’s Gems -
  • Beliefs and Expectations - આપણે જે રીતે વિચારીએ છીએ તેવું જ આગળ જતાં બનીએ છીએ. આપણે વાસ્તવિક સચ્ચાઈ મુજબ નહીં પણ આપણે જે સચ્ચાઈ માનીએ છીએ તે મુજબ વર્તીએ છીએ. એટલે તમે જ્યારે તમારા માટે તેમજ બીજાંઓ માટે જ્યારે શ્રેષ્ઠની અપેક્ષા કરો છો ત્યારે તે મુજબ થવાની સંભાવનાને લગભગ નિશ્ચિત કરી લો છો… જોકે સામી બાજૂએ, સમસ્યાઓનું પણ એવું જ છે. જો તમે સમસ્યાની રાહ જોતાં બેઠાં હશો, તો સમસ્યા બારણે ટકોરા દેવા આવી જ પહોંચશે તે સંભાવના પણ નિશ્ચિત કરી બેસો છો.
  • Customer-Focused Environment - સંસ્થાઓએ ગ્રાહક વિષેની તેમની વ્યાખ્યાને વિસ્તારવી રહી - ખર્ચામાં ઘટાડા કે ઉત્પાદકતમાં વધારા જેવા કાર્યક્રમોને બદલે, ગુણવત્તા સ્ટાન્ડર્ડ્સ, તેને લગતી બાબતો તેમજ કામગીરી અને તેનાં લક્ષ્યો જેવા મુદ્દાઓ લોકોને એકઠાં કરી શકે છે...કોઈ પણ કામ કે કોઈ પણ સુધારણા પ્રયાસનો હેતુ ગ્રાહકને વધારે સારી રીતે ઉપયોગી બનવા માટેનો હોય છે. જેમ ગુણવત્તાની વ્યાખ્યા બહુ સંકડાશથી કરવામાં આવે છે તેમ ગ્રાહકની વ્યાખ્યા પણ બહુ સાંકડી કરી નંખાતી હોય છે.એક બહુ જ મહત્ત્વની બાત આ સંદર્ભે યાદ રાખવી જોઈએ કે ગ્રાહક બાહ્ય જ નથી હોતાં, આંતરિક પણ હોય છે...આંતરિક ગ્રાહક પર ધ્યાન આપવાથી તેમની સંતોષાયેલી જરૂરિયાતો અને અપેક્ષાઓ બાહ્ય ગ્રાહકની જરૂરિયાતો અને અપેક્ષાઓ સંતોષવામાં ધ્યાન આપવું સહજ બની રહે છે. પરિણામે સંસ્થાનાં ખાતાંઓની આંતરિક સીમાઓ વિસ્તરીને બાહ્ય ગ્રાહક સુધી પહોંચે છે અને એકબીજાં ખાતાંની કામગીરીમાંની સ્વાભાવિક સ્પર્ધા બાહ્ય ગ્રાહકની જરૂરિયાતો અને અપેક્ષાઓ સંતોષવામાં એકબીજાંને પૂરક બનવા લાગે છે.…વિવિધ ખાતાંઓ અને જૂદાં જૂદાં કાર્યક્ષેત્રનાં લોકો એક ટીમ બની ને કામ કરે તે સંપૂર્ણ ગુણવત્તામાં ત્યારે પરિવર્તિત બને છે જ્યારે બધાં પોતપોતાની પ્રક્રિયાઓને એકબીજાં સાથે સંકળાયેલી તંત્રવ્યવસ્થાનો ભાગ જોવા લાગે છે. આવાં વાતવરણમાં કામ કરતાં લોકો સંસ્થાનાં મિશનને તો બરાબર સમજી જ શકે છે, પણ તે સાથે તેની સિધ્ધિમાં પોતાની ભૂમિકા પણ સારી રીતે સમજી શકે છે.
ગુણવત્તા સંચાલનનાં ડીજિટલ રૂપાંતરણ વિષે તમારી જાણમાં હોય તેવા માહિતીસ્રોત અથવા તમારાં મંતવ્યો, સુચનો કે અનુભવો અમને જરૂરથી જણાવશો.
.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

Thursday, September 19, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - અન્ય ગાયિકાઓ [૪]


ગીતા રોય (દત્ત) અને લતા મંગેશકર 'અન્ય' ગાયિકોની યાદીમાં જોવા મળે એટલે ૧૯૪૬નું વર્ષ વર્ષ વિન્ટેજ એરાનું જ વર્ષ છે તે સાબિત થઈ રહે.
ગીતા રોયનાં સૉલો ગીતો
મોટા ભાગના સંદર્ભો ૧૯૪૬ની ફિલ્મ 'ભક્ત પ્રહલાદ'નાં સમુહ ગીતમાં ગીત અરોયે ગાયેલી બે પંક્તિઓને તેમનાં હિંદી ફિલ્મ સંગીતમાં પદાર્પણ તરીકે સ્વીકારે છે. જોકે, હિંદી ફિલ્મ ગીત કોષમાં આ વિષે કોઈ નોંધ નથી જોવા મળતી.
અબ જાની રે પહચાની રે - ભકત પ્રહલાદ - સમૂહ ગીત – સંગીતકાર: હનુમાન પ્રસાદ
યુ ટ્યુબની ક્લિપમાં કલ્યાણી દાસને સહગાયિકા તરીકે દર્શાવાયાં છે. હિંદી ફિલ્મ ગીત કોષમાં 'સમૂહ ગીત' એટલો જ ઉલ્લેખ છે. 

સુનો સુનો બિનતી હમારી પ્રભુ જી ભૂલ હુઈ મુઝસે ભારી - ભકત પ્રહલાદ - સમૂહ ગીત – સંગીતકાર: હનુમાન પ્રસાદ -   ગીતકાર કે સી વર્મા
અહીં પણ હિંદી ફિલ્મ ગીત કોષમાં 'સમૂહ ગીત' એટલો જ ઉલ્લેખ છે.

તુમ્હે સાજન મનાએ તુમ રૂઠ જાના - મિલન – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પી એલ સંતોષી 
હિંદી ફિલ્મ ગીત કોષમાં કોઈ ગાયકનો ઉલ્લેખ નથી.

છન મેં બજેગી બાંસુરીયાં પ્રીત ભરી - મિલન – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પી એલ સંતોષી
હિંદી ફિલ્મ ગીત કોષમાં કોઈ ગાયકનો ઉલ્લેખ નથી.

લતા મંગેશકરનાં સૉલો ગીતો
૧૯૪૬નાં વર્ષ માટે લતા મંગેશકર્ની હાજરી અભિનેત્રી-ગાયિકાનાં સ્વરૂપે છે.
ચિડિયા બોલે ચુન ચુન મેના બોલે હું હું હું - જીવન ધારા – સંગીતકાર: વસંત દેસાઈ – ગીતકાર: દીવાન શરાર

પ્યારે બાપુ તિરંગાકી લે લો કસમ - સોના ચાંદી – સંગીતકાર: ડી સી દત્ત
ક્લિપમાં કોરસની સાથે એક સ્પષ્ટ પુરુષ સ્વર પણ સાંભળી શકાય છે, જે યુ ટ્યુબ પર અપલોડ કરનાર પ્રમાણે એ આર ઓઝા છે. પરંતુ હિંદી ફિલ્મ ગીત કોષમાં આવો ઉલ્લેખ ન હોવાને કારણે આપણે આ ગીતને સૉલો ગીત તરીકે ગણ્યુ છે.

પિયા આયેગા ગોરી સુધ ના બિસાર - સુભદ્રા – સંગીતકાર: વસંત દેસાઈ – ગીતકાર: પંડિત સુદર્શન

સાવરીયા ઓય બાંસુરીયા ઓય બજાયે રે - સુભદ્રા – સંગીતકાર: વસંત દેસાઈ – પંદિત ઈન્દ્ર

સ્ત્રી ગાયિકાઓનાં ૧૯૪૬નાં વર્ષનાં સૉલો ગીતોની આટલી લાંબી ચર્ચા બાદ પણ હજૂ અહીં આવરી ન શકાયાં હોય એવાં ઠીક ઠીક પ્રમાણનાં સૉલો ગીતો હોઈ શકે છે. આ એવાં ગીતો છે જેના માટે હિંદી ગિત કોષમાં ગાયિકાઓનાં નામનો ઉલ્લેખ નથી થઈ શક્યો. આવાં ગીતો ખોળવાનો મેં પ્રયાસ નથી કર્યો. તે સિવાય એવાં પણ બહુ ઘણાં ગીતો છે જેની ડિજિટલ લિંક મને નથી મળી શકી.
હવે પછીના અંકમાં આપણે મને સૌથી વધારે ગમેલાં, ૧૯૪૬નાં વર્ષનાં, સ્ત્રી સૉલો ગીતોની સમીક્ષા કરીશું

Sunday, September 15, 2019

પ્રકાશ ન. શાહ - ઉર્વીશ કોઠારીની સાથે સંવાદમાં


'સાર્થક સંવાદ શ્રેણી' હેઠળ શ્રી ઉર્વીશ કોઠારીની પ્રકાશ ન. શાહ સાથે જીવનચરિત્રાત્મક સવાદ સ્વરૂપની મુલાકાતોનાં શબ્દાંકનમાંથી 'પ્રકાશ ન. શાહ'નાં વ્યક્તિત્વનાં અનેક બહુરંગી પાસાંઓનું દસ્તાવેજીકરણ થયેલ છે. પ્રકાશભાઈને 'નિરીક્ષક'ના તંત્રી લેખોમાં કે 'દિવ્યભાસ્કર'માં તેમની અઠવાડીક નિયમિત કોલમના વાંચકો વિશિષ્ટ શબ્દપ્રયોગો સાથેની તેમની અટપટી ભાષાના સર્જક તરીકે ઓળખે. તેમના લેખોમાં રજૂ થતી વિવિધ વિષયોની ચર્ચાઓમાં પ્રકાશભાઈની રાજકારણ, સમાજ, અર્થશાસ્ત્ર, સાહિત્ય અને સાહિત્યકારો, જાહેર જીવનમાં પ્રવૃત્ત વ્યક્તિત્વો સાથેના સંબંધ જેવા અનેક વિષયોનીસૂક્ષ્મ સમજ પણ દેખા દેતી રહે. એ હિમશીલાની ટોચ જેવાં ઉપરથી દેખાતાં પત્રકાર જીવન અને જાહેરજીવન સાથે સંકળાયેલાં પ્રકાશ ન. શાહનાં વ્યક્તિત્વની અંદર પ્રસ્તુત પુસ્તક વાચકને લઈ જાય છે.
આપણે ઉર્વીશ કોઠારીસાથેના સંવાદની મદદથી ‘પ્રકાશ ન શાહ’ નો ટૂંક પરિચય કરીએ.

‘પ્રકાશભાઈ કેવા?’ તેના જવાબમાં પ્રકાશભાઈનું કહેવું છે કે 'જીવનનો ઉલ્લાસ સમજાય તે રીતે બધાં ક્ષેત્રોને માણનાર તે વ્યક્તિ છે. તેઓ કોઈ પક્ષની કે સંસ્થાની કે 'વાદ'ની રૂઢિગત વ્યાખ્યામાં બંધ થયા સિવાય ન્યાયી સમાજરચનાવાળી નવી દુનિયાની રચનામાં સહભાગી થવાય તેવી જાહેર જીવનની સાહજિક પ્રવૃત્તિઓ તેમની પ્રાથમિકતાઓમાં રહે છે. વાંચનના સંસ્કાર તેમનામાં નાનપણથી ઘૂંટાયા છે.

બી.એ. થયા ત્યાં સુધી ડૉ. રાધાકૃષ્ણનનાં પુસ્તક 'હિંદુ વે ઑફ લાઈફ', ગાંધીજીનાં 'હિંદ સ્વરાજ' અને રવીન્દ્રનાથ ઠાકુરનાં 'સ્વદેશી સમાજ'નાં વાંચને તેમનાં વૈચારિક ઘડતરનો પાયો ઘડ્યો. પણ તેઓ કહે છે તેમ ગાંધીજી માટેની તેમની સમજ ડૉ. રામ મનોહર લોહિયાને વાંચવાથી અને માર્ક્સની સમજ જયપ્રકાશ નારાયણને વાંચવાથી સ્પષ્ટ થઈ. જોકે તેમના વિચારોની પ્રતીતિ, અભિવ્યક્તિ અને ભાવ તેમનાં પોતાનાં આગવાં વિકસ્યાં.

પ્રકાશ શાહ જ્યારે એમ.એ.નાં પહેલાં વર્ષમાં હતા ત્યારે મહાદેવભાઈ વક્તૃત્વ સ્પર્ધામાં 'સંસદીય લોકશાહીમાં સીધાં પગલાંને સ્થાન છે કે નથી?' એ વિષય પર તેમણે સીધાં પગલાંની હિમયાત કરી હતી. એકાદ દાયકા પછીથી શરૂ થનાર જાહેર જીવનના તેમના વિચાર અને વ્યવહાર, તેમની સાથે પરિચયમાં આવનારાં વ્યક્તિત્વો સાથે તર્જ મેળવતાં રહેવા છતાં, કેમ તેમના પોતાના આગવા રહ્યા તે વાતનો પહેલો અણસાર અહીં જોવા મળે છે.

આચાર્ય કૃપાલાણી સાથે પ્રકાશ ભાઇનો પ્રત્યક્ષ પરિચય ૧૯૬૮-૬૯માં થયો કૃપાલાણીજી એ સમયે અમદાવાદમાં રહ્ય અત્યારે તેમની સાથે વાતચીત કરવા અને પુસ્તકો વાંચી સંભળાવવા પ્રકાશભાઈ ગુજરાત વિદ્યાપીઠમાં જતા, તેમાં તેમના 'તાર મળી ગયા'. વાંચતાં વાંચતાં કે સાંભળતાં સાંભળતાં કૃપાલાણીજી બહુ ઊંડા વિચારમાં પડી જાય, કોઈ વાતચીત ન કરે. તેઓ જ્યારે આનંદમાં હોય તો વચ્ચે વચ્ચે ટહુકો કરી લે. તેમની વાતોમાં સિંધી કહેવતો અને લોકગીતની પંક્તિઓ આવે. અનુભવના આધારે માર્મિક અવલોકનો આવે. તેમનાં પત્ની સુચેતાજી જોડે તેમનો પ્રેમ અલૌકિક સ્તરની ગાઢતાનો ઉમળકાનો હતો. સરદાર પટેલ માટે દિલથી માન હોવા છતાં તેમના વિચારોમાં જ્યારે તફાવત હોય ત્યારે સરદાર પટેલ વિષે તેઓ સ્પષ્ટ ટીકા કરી શકતા.

(ઈંદિરાજીએ ૧૯૭૫માં જાહેર કરેલ આંતરિક) કટોકટીના સમયમાં રાજકારણ સાથે સંકળાયેલી ખુલ્લી સંસ્થાઓમાંથી જે બેચાર જણાને સૌથી વધારે જેલવાસ થયો હશે તેમાંના એક પ્રકાશભાઈ પણ હતા. એ માટે સૌથી વધારે કારણભૂત થવા પાછળનું કારણ હતું જયપ્રકાશ નારાયણ અને તેમની ચળવળના ગુજરાતના છેડાના સીધા સંપર્ક તરીકે પ્રકાશભાઈની ભૂમિકા. જેલવાસ દરમ્યાન વાંચન ખુબ કર્યું પણ પોતાનાં પત્ની અને દીકરીઓને કૌટુંબીક ભાવનાથી લખેલ પત્રો સિવાય, રાજકરાણની બાબતો પર પોતાના સ્વતંત્ર, ગંભીર વિચારોને વ્યકત કરતું, બીજું ખાસ કંઈ તેમણે લખ્યું નહીં. જેલવાસમાં તેમના અન્ય સાથીઓ સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને સર્વોદયની વિચારધાળા પણ કેટલા અન્ય લોકો સાથે હતા, એટલે તેમની માનસીક વિચારધારાને બહુ નજદીકથી જોવા જાણવાની એક તક પ્રકાશભાઈને ત્યાં મળી હતી. જેલવાસ દરમ્યાન ચાર દિવસ માટે પેરોલ પર બહાર આવ્યા હતા ત્યારે તેમને મળવા આવનાર ઘણા લોકોમાં નરેન્દ્ર મોદી પણ હતા. તેમના તે પછીના સંબંધો ભૌતિક રીતે એક હાથનું અંતર રાખીને એકબીજાના વિચાર પર આલોચનાત્મક નજર રાખવાના રહ્યા છે એમ કહી શકાય.

પ્રકાશભાઈની રાજકીય વિચારસરણીની મૂળ તરજ જયપ્રકાશ નારાયણ અને રામ મનોહર લોહિયાની વિચારધારા સાથે મેળમાં બેસે એટલે તેઓ જનસંઘની વિચારધારાના જેટલા ટીકાકાર તેવા જ કોંગ્રેસના પણ ટીકાકાર હતા. જનતા પાર્ટીના તૂટ્યા પછી પ્રકાશભાઈની જે સૈધ્ધાંતિક અને વ્યાવહારિક ભૂમિકા રહી તેમાં તેમની કોગ્રેસના ટીકાકાર હોવાની છાપ ભુંસાઈ ગયાનું તેમને યાદ આવે છે.

એક સમય ગાળામાં પ્રકાશભાઈને શ્રી લાલ કૃષ્ણ અડવાણીને અનૌપચારિક રીતે મળવાના પ્રસંગો બનતા. એવી એક મુલાકાત સમયે વાતવાતમાં અડવાણીજીને પૂછવામાં આવ્યું કે આર્થિક સુધારાને વરેલી કોંગ્રેસ અને ભાજપામાં તાત્વિક અંતર શું રહ્યું છે? તેના જવાબમાં એમણે કહ્યું હતું કે 'અમારા આર્થિક વિચારો તો એક જ છે..લેકિન હમારી પહેચાન હિંદુત્વમેં હૈ.' ભાજપની મૂળ વિચારધારાનું આ અંગ પ્રકાશભાઈ જેવા સ્વતંત્ર મિજાજવાળા વિચારકને વિરોધ પક્ષની ભૂમિકામાં ખડા કરી દેવા પૂરતું બની રહે.

રામ મનોગર લોહિયા જેવા જ ઉદ્દામ વિચારો એક સમયે ધરાવતા જયપ્રકાશ નારાયણ (જેપી) લોહિયાજીની દૃષ્ટિએ સર્વોદય પ્રવૃતિઓમાં સક્રિય થવાને લીધે 'ઘીસાઈ' ગયા હતા, તેમ છતાં જો કોઈ પરિવર્તન લાવી શકે તેમ હોય તો તે માત્ર જેપી જ છે તેમ લોહિયા માનતા હતા. ૧૯૭૨ કે ૧૯૭૩ના વર્ષોની એક જાહેર ચર્ચામાં પ્રકાશભાઈએ નોંધ્યું હતું કે જેપી કોંગ્રેશ, પછી સમાજવાદી પક્ષ અને પછી સર્વોદય, સિવાયના નવા પરિમાણની શોધમાં જણાય છે. પોતાનાં જીવનનાં નવા વળાંક પર ઊભા જોવા મળે છે.


પ્રકાશભાઈની વૈચારિક ભૂમિકાના વિકાસમાં અને લેખનમાં તેમના આ બધા અનુભવોની ઓછી વત્તી અસર રહી છે. તેમનું લેખન શરૂ થયું તો તેમના શાળાજીવનથી જ હતું, તે પછી જૂદી જૂદી વિચારધારાઓ ધરાવતાં સામયિકોમાં તેમણે અલગ અલગ વિષયો પર પોતાની લેખનીને અજમાવી, જે 'નિરીક્ષક'ના વિકાસ સાથે સાથે એક ચોક્કસ દિશામાં ઢળતી ગઈ. એ બે વચ્ચે 'વિશ્વમાનવ' કે 'જ્ઞાનગંગોત્રી' ગ્રંથ શ્રેણી કે ઇન્ડિયન એક્સપેસ જૂથનાં 'જનસતા' કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જૂથનાં ગુજરાતી અખબારો સાથેના તેમના વિધિસરના વ્યાવસાયિક અનુભવોમાં તેમની લેખન કળા અને લેખનના વિષયોની પસંદગી ઘડાતી રહી.

પ્રકાશભાઈનો સક્રિય રાજકારણ સાથેનો નાતો ગુજરાત અને બિહારનાં આંદોલન (જાન્યુઆરી-માર્ચ ૧૯૭૪), ગુજરાતમાં જનતા મોરચો (આશરે જૂન ૧૯૭૬), કટોકટી (જૂન ૧૯૭૫- ૧૯૭૭), જનતા પાર્ટનો ઉદય (૧૯૭૭)ની આખી પ્રક્રિયા દરમ્યાન બની રહ્યો હતો. રાજકારણની સાથે સાથે તે નાગરિક શક્તિના ઉદયનો પણ સમય હતો. ૧૯૮૭ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં પ્રકાશભાઈ અને સમાન વિચાર ધરાવનારા સાથીઓએ નાગરિક સમિતિનો પ્રયોગ પણ કર્યો . તેમના આ અનુભવમાંથી ૧૯૯૩માં તેમણે સેક્યૂલર લોકશાહી આંદોલન (મૂવમેન્ટ ફૉર સૅક્યૂલર ડેમૉક્રસી)ની સ્થાપના કરી. આ સંસ્થાના ઉપક્રમે પ્રકાશભાઈએ ૨૦૦૨ના ગોધરા-અનુગોધરા ઘટનાક્રમમાં બિનસાંપ્રદાયિક ભૂમિકાએ માનવ અધિકાર પંચ, ચૂંટણી પંચ કે ક્રિષ્ણા અય્યર પંચ સમક્ષ રજૂઆતો જેવા સાંપ્રત વિષયો પર રજૂઆતો દ્વારા નાગરિક હસ્તક્ષેપની ભૂમિકા નિભાવતા રહ્યા છે. 

પ્રકાશભાઈનું જાહેર જીવનના મહત્ત્વના મુદ્દાઓ જેટલો જ મહત્ત્વનો, ચર્ચાસ્પદ અને રસપદ પણ, મુદ્દો તેમની લેખનીની ભાષા રહી છે. સામાન્યપણે પત્રકારત્વ કે સાહિત્યનાં લખાણોમાં ન વપરાતા નવા શબ્દો તેમના લેખોમાં બહુધા જોવા મળે. પ્રકાશભાઈના વિચારો સાથે અસહમતિ ધરાવતા લોકો માટે તેમની આ ભાષા પણ અસહમતિ ધરાવવા માટેનો મહત્ત્વનો મુદ્દો બની રહે. તેમની શૈલી બહુ સરળ અને વિષયની રજૂઆત એકદમ સ્પષ્ટ હોય,પણ વચ્ચે વચ્ચે સહજપણે પ્રયોજાયેલા તેમના પોતાના આગવા શબ્દપ્રયોગોને કારણે તેમના ચાહક વાંચકોને પણ તેમના લેખ સહેલાઈથી સમજાય નહી એવી એક ફરિયાદ તેમની સામે રહે.

આજે હવે જીવનના આઠમા દાયકામાં પ્રવેશદ્વારે તેમનાં સ્વપ્નની વાત કરતી વખતે તેમને યાદ આવે છે કે યુવાનીમાં તેમને કાઉન્ટેસનાં દૃષ્ટિબિંદુથી તૉલ્સ્તોય વિષે નવલકથા લખવાની ખેવના હતી. તે પછી, ૧૯૭૫થી ૧૯૯૦ના અરસામાં, જેપી મૂવમેન્ટમાં સક્રિય હતા ત્યારે ગાંધીજી હયાત હોય, પટેલ -નહેરુ સરકારમાં હોય અને ગાંધીજી લોહિયા અને જયપ્રકાશ નારાયણને લઈને નવી શરૂઆત કરે છે એવી વાર્તા લખવાની ઈચ્છા હતી. આજે હવે તેમને તેમના વિચારો વ્યક્તવ્યો દ્વારા વધારે વ્યક્ત કરવાના અવસર સાંપડે છે, ત્યારે તે 'સરખું ગોઠવી'ને મૂકવાની તેઓ આશા સેવે છે, જેથી વર્તમાન દુનિયામાં રહીને જે બધા વિચારપ્રવાહોમાં પસાર થવાનું થયું એમાંથી નિપજતી એક સામાન્ય સમજ નવી દુનિયા માટે મૂકી જવાય અને તેની અસરો થોડો સમય ટકી પણ રહે …..

એકંદરે, ઉર્વીશ કોઠારીનું ‘પ્રકાશ ન શાહ’માં રજૂ થયેલ પ્રકાશભાઈનાં જાહેર જીવનના અગત્યના તબક્કાઓનું આલેખન પ્રકાશભાઈનાં બહુરંગી વ્યક્તિત્વને આપણી સમક્ષ રજૂ કરવામાં સુપેરે સફળ રહે છે.
પ્રકાશ ન. શાહ
લેખક ઉર્વીશ કોઠારી © July 2019
ISBN: 978-93-84076-37-5
પૃષ્ઠ સંખ્યા ૧૬૦ કિંમત રૂ.૧૫૦
પ્રકાશક: સાર્થક પ્રકાશન ,અમદાવાદ
મુખ્ય વિક્રેતા: બુક શૅલ્ફ, અમદાવાદ

પરિચયકર્તા: અશોક વૈઃણવ