Thursday, January 3, 2019

'સાર્થક – જલસો’:: પુસ્તક - ૧૧


છેલ્લા દસ દસ અંકોથી 'સાર્થક જલસો'ની છ મહિનાની પ્રકાશન અવધિ એટલી બધી ચોક્કસ સમય ક્રમમાં થતી આવી છે કે તેના નિશ્ચિત વાચકો તેનો નવેમ્બર, ૨૦૧૮નો ૧૧મો અંક ક્યારે હાથમાં આવે, આ વ્ખતે કયા
થીમ પર કયા લેખકોના કેવા કેવા લેખો હશે તે બાબતે જ હવે રાહ જુવે છે.

'સાર્થક જલસો'ના દરેક અંકમાં લેખોના વિષયની વિવિધતા અને તાજાપણું એ દરેક અંકના વાચનને સાર્થક બનાવીને એ વાંચનની મજાનો જલસો કરાવતાં આવ્યાં છે. અત્યાર સુધીના દસ અંકોની વૈવિધ્યની પરંપરાને જલસો-૧૧માં એક વિષયની દેખીતી રીતની પેશકશમાં જાળવે છે. ૧૧મા અંકંમાં આત્મકથાનક લેખોની સંખ્યા વધારે કહી શકાય એવી છે, પરંતુ પ્રસ્તુત અંકના તંત્રીલેખમાં તંત્રીશ્રીઓ બહુ જ સ્પષ્ટ હૈયાધારણ આપે છે કે 'સાર્થક જલસો'ના પહેલા અંકથી આત્મકથાનક લેખોને સ્થાન મળતું જ રહ્યું છે. હા, તેમાં બીબાંઢાળ લકાણોને સ્થાન નથી મળતું. વધુમાં તંત્રીલેખ જલસો-૧૧માટેની તેમની રણનીતિને વધારે સ્પષ્ટ કરતાં જણાવે છે અહીં રજૂ થયેલા આત્મકથાનક લેખોમાં એકબીજાથી અલગ બહુસ્તરીય સૃષ્ટિઓ, કે સમાજજીવનનાં વિવિધ ભાતનાં ચિત્રો નિખરી રહેલાં જોવા મળશે. આપણે પણ પહેલાં જલસો -૧૧ના આત્મકથાનક લેખોનો પરિચય, જલસો-૧૧માંની રજૂઆતના ક્રમમાં જ, કરીએ –
- 'મારો ગાંધીડો'માં ચંદુભાઈ મહેરિયા તેમનાં માતા -પિતા, પોતાનો ખાદીનો ઝભ્ભા-લેંઘાનો પહેરવેશ અને તેમનાં કિશોરવય સુધીનાં પૂર્વ અમદાવાદની શ્રમિકોની રહેણાક, એ સમયનાં મજુર મહાજનની વિવિધ પ્રવૃત્તિઓની ભૂમિકા જેવાં પ્રતિકોનાં કેલાઈડોસ્કૉપ વડે દલિત સમાજની સમયની સાથે બદલતી રહેતી મનોસ્થિતિમાં ગાંધીજીની વિચારધારાનાં સ્થાનનું નિરપેક્ષ ચિત્રણ કર્યું છે.
- 'ગુજરાતના પહેલા અને છેલ્લા ગાંધીવાદી મુખ્ય મંત્રી - બાબુભાઈ પટેલ' પહેલી નજરે લેખક હસમુખભાઈ પટેલના તેમની સાથે ૨૨ વર્ષના સાંનિધ્યમાં બાબુભાઈ પટેલના સાદગી, શુચિતા અને નખશિખ પ્રામાણિકતાનાં પર્યાય સમાં વ્યક્તિત્વનો લેખક હસમુખભાઈ પટેલના તેમની સાથે ૨૨ વર્ષના સાંનિધ્યમાં પ્રસરતું પહેલા પુરુષ એકવચનના દૃષ્ટિકોણનું આલેખન જણાઈ શકે. જોકે લેખકનો હેતુ તો (એક સમયે) ગુજરાતમાં નોખું રાજકારણ અને અનોખા રાજપુરુષો હતા તેની પ્રતીતિ કરવવાનો છે.
- 'દોસ્તોના દેશમાં' એ દોસ્તોએવ્સકીની નવલકથા 'વ્હાઈટ નાઈટ્સ'નાં વાંચનના અધારે, વ્યક્તિગત 'વૉકિંગ ટુર'નું છાયાબહેન ઉપાધ્યાયે ઝીણવટપૂર્વક કરેલું પ્રવાસ વર્ણનની સીમામાં રહ્યું હોત તો પણ રસપ્રદ અને માહિતીપ્રદ બન્યું હોત. પરંતુ છાયાબહેને તેમની સાથે સંપર્કમાં આવેલી તેમની ટુર ગાઈડ ઈરીના, ઍના, જૅન અને ઍલિસ, મોડી રાતે ટેક્સીમાં બેસાડવા આવેલ ત્રણ સખીઓનું વૃંદ, ટ્રામ સ્તેશને બાંકડે બેસ્વા માટે જગ્યા કરી આપતી રશિયન સૌષ્ઠવવાળી સ્ત્રીઓ, ત્યાંની એક પ્રાથમિક શાળાના 'માસ્તર' ઈવાન અને તેમનાં 'ચબરાક' વિદ્યાર્થીઓનાં જીવંત પાત્રાલેખન વડે રશિયનોને એક પ્રવાસીની નજરે જોવાને બદલે પોતાનાં જેવાં જ માનવી તરીકેની દૃષ્ટિથી જોયાં છે, તેથી આ પ્રવાસ વર્ણન આપણે પણ અનુભવી શકીએ છીએ.
- માણસની માણસાઈ પર આજે તરત વિશ્વાસ ન મુકવાના સમયમાં બીરેન કોઠારી 'ઈન હવાઓંકા મોલ ક્યા દોગે'માં તેમના એવા પ્રવાસોને યાદ કરે છે જ્યારે તેમને પણ પૈસાથી બધું ખરીદી શકવાનાં રીઢા પ્રવાસીપણાં છતાં "અજાણ્યાં' લોકોની માનવતાના જે અનુભવો થયા છે તેની રોમાંચક વાત કહે છે.
- જ્યોતિબહેન ચૌહાણને પણ ઉત્તરાખંડના એક પ્રવાસ વખતે માણસની માનવતાના એવાજ અનુભવો થયા હતા. 'જાને કબ કિસ મોડ પે બન જાયે કોઈ અફસાના'માં ખોટી બસ પકડાઈ જતાં સાચો માણસોનો ભેટો થવું, લિંગડીનું શાક ચખાડવા માટે પોતાના ઘરે સાંજનું ભોજન જમાડનારૂં હરસિલનું દંપતિ, લદારીમાં લટાર મારવા નીકલ્યા પછી ગામની સ્ત્રીઓ સાથે સાથે ચા પીવડાવતી એક બહેન સુધીના અનુભવોમાં તો અજાણી વ્યક્તિઓની ઓળખ શક્ય બની હતી. પરંતુ ઋષિકેશના નીર ધોધની મુલાકાત સમયે સાથે થઈ ગયેલા ચાલીસ વર્ષના એક ભાઈ બહુ જ સહજપણે ચા અને નાસ્તાના પૈસા ચૂકવી દે અને પછી 'આભાર'નો શબ્દ પણ કહી શકવાની તક આપવા પૂરતા પણ રોકાય નહીં એવો અનુભવ આજના સમયમાં પણ થાય ત્યારે મનમાં જે છાપ પડી જાય છે તે અમીટ બની જાય છે.
- કૉલેજકાળના મિત્રો પૈકી એક એવા વીનેશ પટેલનાં અણગમતાં પહેલાં વેવિશાળનાં તુટવામાં કાસદ બનવાથી માંડીને વીનેશનાં બીજી કન્યા સાથે લેવાયેલાં લગ્ન સુધીની સમયયાત્રાને રજનીકુમાર પંડ્યા તેમની વહેતી કલમમાં કહે છે. એ સમયે, એક તરફ તેમનાં પોતાનાં પહેલાં લગ્નનો છૂટા છૅડાનો મુકદ્દમો પણ ચાલતો હતો તો બીજી તરફ તેમનાં જીવનને અનેક રંગોથી જે ભરી દેવાનાં હતાં તે કન્યા - તરુલતા કનૈયાલાલ દવે - નો તેમનાં જીવનમાં આકસ્મિક, નાટકીય રીતે, પ્રવેશ પણ થયો હતો. આટલું અધુરૂં હોય તેમ, વેવિશાળ તૂટવા અંગેની પોતાની ભૂમિકા માટે વીનેશ પટેલના પિતાની નજરે પોતે કણાંની જેમ ખુંચતા જણાતા હોવા છતાં પોતાની ઑડીટની નોકરી સબબ વીનેશ પટેલનાં ગામ ધોરાજીમાં એક સામટો બે-ત્રણ મહિનાનો રહેવાસ પણ કરવો પડ્યો. આવી, નાનીમોટી 'અમારી પોતપોતાની પીડાઓએ અમારું એક સગપણ રચી આપ્યું હતું'નો આખો ઘટનાક્રમ રજનીકુમારભાઈની કલમે આત્મકથાનકનું એક રસાળ પ્રકરણ બની રહેવાની સાથે એ સમયનાં સામાજિક જીવનનું તાદૃશ ચિત્રણ પણ બની રહ્યું છે.
- બિમલ રોયની 'દો બીઘા ઝમીન' કે શ્યામ બેનેગલની 'અંકુર' જોતાં મનમાં જે આળાશ પ્રસરી રહે તેવી જ અનુભૂતિ સંપૂર્ણ સત્યઘટના પર આધારિત, નરેશ મકવણાની 'આગ પેટની અને અંતરની' વાંચતાં જ મનને ઘેરી વળે છે.
- મુસ્લિમ સમાજની મનોદશાનું ચિત્રણ શરીફ લાલીવાલા 'બહેતી હવાઓં, યાદ રખના । હમ યહાં પર રહ ચૂકે હૈં' જલસો-૧૧માં જ વાંચી ચૂકેલ વર્ણવ્યસ્થાનો વર્ગભેદ, ગામડાઓમાં આજે પણ અમલમાં હોય તેવી જમીનદારશાહી જેવી આજના ભારતીય સમાજના રંગપટના ગ્રે શેડ્સની રજૂઆતને વધુ ઘેરી બનાવે છે. જેના પર પોતાનો કોઈ જ પ્રભાવ નથી પડી શકે એવી બાહ્ય ઘટનાઓના પ્રવાહને કારણે 'વિસ્થાપિત' થવાનો અનુભવ કેવો હોય એ તે પ્રકારની પરિસ્થિતિઓમાંથી પસાર થયુ ન હોય તે ભલે અનુભવી ન શકે, પણ આ મનોચિંતનાત્મક ફ્લૅશબૅક વાંચીને સમજી તો જરૂર શકશે.
- આપણાં નજીકનાં કોઈ સગાંની બહુ જ કષ્ટદાયક, દીર્ઘ બીમારીમાં નજદીકથી સારવાર કરવાને કારણે કે કોઈ નિકટનાં સ્વજનનાં આકસ્મિક, અકસ્માત મૃત્યુને કારણે આપણા મનના ખૂણા પર જે પ્રકારની ગમગીની એક છાયા પડી રહે છે તેવા જ અનુભવ 'ઈચ્છામૃત્યુના જેસમાં દુભાષિયા તરીકે કામ કરવાનું આવે ત્યારે...' પણ થાય છે. ઈચ્છામૃત્યુની આખી કાયદાકીય, જટિલ એવી, સરકારી તંત્રની વ્યવસ્થામાં પણે જે જે લોકોએ ભૂમિકા ભજવવી પડતી હશે તે તો માનવ સહજ લાગણીઓ અનુભવે એ પણ સહજ ઘટનાક્રમ લાગે. ટોરંટો (કેનેડા)માં વસતા સલિલ દલાલના, ઈચ્છામૃત્યુના કિસ્સાઓમાં, દુભાષિયા તરીકેની વ્યાવસાયિક સ્વાનુભવો આધારિત રજૂઆત લોકો સાથે - સારાનરસા, કડવામીઠા - સીધા જ સંપર્કમાં રહેવું પડે તેવા આપણી આસપાસના વ્યાવસાયિકોની મનોસ્થિતિને સમજવા માટે ઉદ્દીપકની ગરજ સારે છે.
- દીપક સોલિયા 'એક ફિલ્મી 'ચુટકુલો'' તેમની જિંદગીમાં પણ કેવો હસીન ચુટકુલા તરીકે કોતરાઈ ગયો છે તેની રસાળ વાત માંડે છે. વાત પહેલા પુરુષ એકવચનમાં છે પણ કથાનાયક છે 'ચુટકુલા' શબ્દના આદ્યસ્ત્રોત પ્રવીણ નિશ્ચલ. પ્રવીણ નિશ્ચલની સાથે જોડાયેલો છે દીપક સોલિયાનો ફિલ્મની વાર્તાઓના લેખનના શોખને વ્યવસાયમાં ફેરવવાનો એક અનોખો અનુભવ. તેમના આ અનુભવની વાતમાં વહી જતાં જતાં આપણને પણ અપણા જીવનમાં અનુભવેલા આવા પ્રયાસો યાદ આવી જાય કે જેમાં 'ખાયા પીયા કુછ નહીં,પણ ગ્લાસ તોડા બારહ આનાકા'વાળો ખેલ પડયા છતાં આજે તે યાદ આવતાં મનમાં હળવો પ્રકાશ રેલાઈ રહે.
- આંતરરાષ્ટ્રીય ફિલ્મ 'ધ કલર ઑફ ડાર્કનેસ'નાં સર્જન સાથે સાથે મેલબોર્ન (ઓસ્ટ્ર્લીયા)માં વસતા એક ગુજરાતી, ગિરીશ મકવાણાની 'જીવન અને કળાની જુગલબંદી'માં દેખીતી રીતે વાત તો ત્રણ સમય ખંડોમાં વિસ્તરેલી તેમની સર્જનાત્મક સફરની વાત છે. પાંચ વર્ષની ઉમરે પિતાએ અપાવેલ હાર્મોનિયમ અને દસ વર્ષે આણંદની નિવાસી વિકલાંગ શાળામાં અભ્યાસ કરતાં કરતાં હોસ્ટેલની સામે આવેલી ટૉકીઝનાં ફિલ્મોનાં (એ જમાનામાં હાથેથી ચિતરાતાં) પાટીયાંઓ જોઈને આખી ફિલ્મની વાત વિકસાવીને કાલ્પનિક સૃષ્ટિ ખડી કરવાના પ્રથમ ખંડમાં લેખકની સફરનાં મૂળ સાથે આપણો પરિચય થાય છે. માઈક્રોબાયોલોજીમાં બીએસ.સી કર્યા બાદ વડોદરામાં સંગીતમાં માસ્ટર્સ કરતાં કરતાં હિન્દી ફિલ્મોનાં ગીતોના કાર્યક્રમોમાં વાદન સુધી પહોંચ્યા પછી ના બીજાખંડમાં તેમને ખુદની ઓળખમાં કશુંક ખુટતું જણાતું હતું. પહેલાં ૧૯૯૭માં અને ફરીથી ૨૦૦૪માં ઑસ્ટ્ર્લિયાની ભૂમિ પર સફરના ત્રીજા ખંડની એક એક વાત ઝીણવટથી કહેવાતી જાય છે. આંતર રાષ્ટ્રીય સ્તરે આચરાતા વંશીય ભેદભાવ અને આપણે ત્યાં જાતિવાદના શ્યામ રંગોને વણી લેતી તેમની ફિલ્મ 'ધ કલર ઑફ ડાર્કનેસ', ૨૦૧૦માં મડાણ થયા બાદ વિધિવત ૨૦૧૭માં પ્રકાશિત થઈ ચૂકી, પણ સમાજમાં ઘર કરી ગયેલા રંગબેદ અને જાતિભેદના બંધ દરવાજાઓને કારણે તેને પરદા પર વ્યાપક સફળતા હજુ નથી મળી. (યુ ટ્યુબ પર ફિલ્મનાંગીતો અને ટ્ર્લર જોવા મળે છે.)
જલસો-૧૧ના સિંહ હિસ્સાને આવરી લેતાં આ આત્મકથા નક ચિત્રોની સાથે 'ગુજરાતમાં અને ગુજરાતીમાં સમજશાસ્ત્રનાં 'દાદી' "તારાબહેન પટેલ"ની ગૌરાંગ પટેલ દ્વારા રજૂ થયેલ જીવનચરિત્રાત્મક વાત જેટલી માહિતીપ્રદ છે તેનાથી વધારે તો ઘણી રસપ્રદ છે. સમાજશાસ્ત્રનાં વિષયનાં ઉચ્ચશિક્ષણ સાથે સંકળાયેલાં કેટલાંક લોકો સિવાય તારબહેન પટેલ અને તેમનાં જેવાં અનેક ઉદાહરણીય જીવન અજ્ઞાત જ રહેતાં હોય છે. એ અજ્ઞાનના અંધકારમાં પ્રતુત લેખ એક દીવા ની ભૂમિકા અસરકારકપણે ભજવે છે.

જલસો-૧૧માં આત્મકથાનક પણ ન હોય અને જીવનચરિત્રાત્મક પણ ન હોય છતાં એક વ્યક્તિ કેન્દ્રમાં હોય તેવો પણ એક લેખ છે – ‘ફિલ્મોની જાહેરાતમાં ગાંધીજી’. આઝાદી પછીની ફિલ્મોમાં ગાંધીજીનાં જીવન પરથી બનેલી, કે પછી તેમના જીવનને સંદર્ભમાં રાખીને બનેલી ફિલ્મો આવી છે. એટલા પુરતું એ ફિલ્મની જાહેરાતમાં ગાંધીજીનો ઉલ્લેખ હોય તે સમજી શકાય. પરંતુ અહીં ઉર્વીશ કોઠારી દ્વારા દસ્તાવેજી પુરાવા જેવી ૧૯૩૯ /૪૦ની ફિલ્મોની જે જાહેર ખબરો રજૂ કરાઈ છે તેમાં ગાંધીજીનો 'બ્રાંડ એમ્બેડેસર' તરીકે ઉપયોગ થયો છે - પણ તેમાં તેમની સંમતિ તો નહીં જ હોય કે તેમને એ જાહેરાતનું કોઈ મહેનતાણું પણ નહીં જ મળ્યું હોય !

'ડિજિટલ ટૅક્નૉલોજી અને સાહિત્ય સર્જન'માં અપૂર્વ આશર લેખન,મુદ્રણ અને પ્રકાશનનાં ક્ષેત્રે ડિજિટલ ટેક્નૉલોજીને અપનાવવા પર ભાર મૂકે છે. આજે જ્યારે હવે સ્માર્ટફોન તો દરેક ખીસ્સામાં (કે પર્સમાં) હોય છે ત્યારે બોલાયેલા શબ્દો (ઑડીયો) કે દૃશ્ય સામગ્રી (ફોટોગ્રાફ્સ કે વિડીઓ)જેટલી જ સરળતાથી લખાયેલ શબ્દ પણ વાચકના હાથમાં મુકીને તેની આંખ સામે લાવી શકવાનું શક્ય બની ચૂક્યું છે. આ તક જો ચુકી જવાશે તો ગુજરાતી ભાષા અને ગુજરાતી જણ દાયકાઓ પાછળ રહી જશે.

આટલા ટુંક પરિચયથી પણ જલસો-૧૧નાં રસવૈવિધ્યનો અંદાજ આવી શકશે. 'જલસો'ના આદી બની ચૂકેલા વાચકોને તે મેળવીને માણી લેવાનું મુશ્કેલ નહીં પડતું હોય, પરંતુ, દેખીતી રીતે ઉપલ્બધ માહિતી અનુસાર, 'જલસો' હજી ડીજિટલ સ્વરૂપમાં ઉપલ્બધ નથી જણાતો, એટલે નવા વાચકોએ અહીં નીચે જણાવેલ પ્રાપ્તિ સ્ત્રોત દ્વારા આ કામ પાર પાડવું રહેશે.
/\/\/\/\/\/\
સાર્થક જલસો ૧૧પ્રાપ્તિ સ્રોત:

ü બુક શેલ્ફ (ફોન : +૯૧ ૭૯ ૨૬૪૪૧૮૨૬। વૉટ્સ એપ્પ : +૯૧ ૯૦૦૦૯૦૦૦૩૬૨ ।www.gujaratibookshelf.com), અથવા કાર્તિક શાહ: વોટ્સ એપ્પ; +91 98252 90796

       પૃષ્ઠસંખ્યા: 144, કિમત; 70/- (પોસ્ટેજ સહિત)

ü ઓનલાઈન મેળવવા માટેની વધારે વિગતો સાર્થક જલસો [SaarthakJalso]પર જોઈ શકાય છે.

No comments: