Sunday, July 7, 2019

પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૨]


'પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો'ની લેખમાળાના પહેલા મણકામાં આપણે મન્ના ડે એ દેવ આનંદ, રાજ કપૂર અને અશોક કુમાર માટે ગાયેલાં ગીતો સાંભળ્યાં છે.

'૪૦ના દાયકાના અંત સુધીમાં મન્ના ડેનું શાસ્ત્રીય ગાયકીના ગાયક તરીકે સ્થાન નિશ્ચિત થઈ ચૂક્યું હતું. ૧૯૫૧
અને ૧૯૫૨માં આવેલી ફિલ્મોમાં તેમને જે ગીતો ગાવા મળ્યાં તે બધાં જ આ પ્રકારનાં ગીતો હતાં. ૧૯૫૧માં 'આવારા' દ્વારા તેમને આરકે ફિલ્મ્સ જેવાં માતબર નિર્માણગૃહ સાથે કામ કરવાની તક મળી. આ એક, બહુ જ મુશ્કેલ કહી શકાય એવાં, ગીતની સફળતાએ તેમની કારકીર્દીને બીજા જે કંઇ ફાયદા કરાવી (કે ન કરાવી) આપ્યા, તેની સાથે સાથે ફિલ્મના સંગીતકાર શંકર જયકિશન, અને તેના થકી રાજ કપૂર સાથે, એક અનોખો, લાંબા ગાળાનો સંબંધ જરૂર બાંધી આપ્યો. આ જ વર્ષોમાં તેમણે સ્વતંત્રપણે સંગીત નિર્દેશન પર પોતાનો હાથ અજમાવ્યો. '૪૦ના દાયકામાં તેમણે એસણે શ્રી ગણેશ જન્મ (૧૯૫૧) અને વિશ્વામિત્ર (૧૯૫૨)માં સંગીત આપ્યું. ૧૯૫૩માં 'દો બીઘા જમીન' આ ડી બર્મન કે એચ પી દાસ જેવા સંગીતકારોના સહાયક તરીકે કામ કર્યું હતું. ખેમચંદ પ્રકાશ સાથે તેમવી, જેનાં ગીતોએ મન્ના ડેને હવે એક સફળ, લોકપ્રિય, ગાયક તરીકે પ્રસ્થાપિત કરી નાખ્યા. એ સારૂં જ થયું કેમકે મન્ના ડેએ હવે ગાયક તરીકેની કારકીર્દી પર જ ધ્યાન કેન્દ્રીત કરવાનૂં નક્કી કરી લીધું.

બલરાજ સાહની માટે

બલરાજ સાહનીની ક્ષમતાની નોંધ તો તેમની પહેલી જ ફિલ્મ, કે એ અબ્બાસ ની 'ધરતી કે લાલ' (૧૯૪૬)થી લેવાઈ ચૂકી હતી. તેમની કળાકાર તરીકેની પ્રતિબધ્ધતા સાથે સાથે તેમની રાજકીય વિચારસરણીએ તેમને બિમલ રોયની ફિલ્મ 'દો બીઘા ઝમીન' (૧૯૬૩)નાં ગરીબ ખેડૂતના પાત્ર માટે લગભગ આદર્શ પસંદગી તરીકે મુકી આપ્યા હતા. ફિલ્મમાં સલીલ ચૌધરીએ મન્ના ડેના સ્વરમાં રચેલ બે યુગલ /કોરસ ગીતો – હરિયાલા સાવન ઢોલ બજાતા આયા અને ધરતી કહે પુકાર કે -એ મન્ના ડેને રાષ્ટ્રવ્યાપી લોકચાહના તો આપી, પણ તે સાથે બલરાજ સાહની સાથે ફિલ્મ જગતના સંબંધનો પાયો પણ નાખી આપ્યો.

બલરાજ સાહની પરંપરાગત હિંદી મસાલા ફિલ્મોના હીરોના ઢાળના કળાકાર નહોતા પણ '૫૦ના દાયકામાં એન્ટી-હીરો જેવા મુખ્ય પાત્ર ધરાવતી ફિલ્મો માટે તે આદર્શ પસંદગી હતા. આ પ્રકારની પહેલી ફિલ્મ હતી 'સીમા' (૧૯૫૫) જેમાં શંકર જયકિશને બલરાજ સાહની પર ફિલ્માવાયેલાં તૂ પ્યાર કા સાગર હૈ ગીતની કોયર-આધારિત ધુનને મન્ના ડેના પાર્શ્વસ્વરમાં અમર કરી દીધી.

આડ વાત :

જો કે ફિલ્મનું બલરાજ સાહની પર ફિલ્માવાયેલૂ બીજું એટલું જ જાણીતું કહી શકાય તેવું ગીત 'કહાં જા રહા હૈ તુ અય જાનેવાલે' મોહમ્મદ રફીના સ્વરમાં છે.
૧૯૫૭માં રશિયન સહકારથી બનેલ ફિલ્મ 'પરદેસી'માં બલરાજ સાહની સહ-મુખ્ય ભૂમિકામાં હતા. 'પરદેસી' ઍફનસી નિકિતિનની રશિયન પ્રવાસગાથા 'અ જર્ની બિયોન્ડ થ્રી સીઝ'પર આધારિત હતી. ફિલ્મમાં બલરાજ સાહની પર ફિલ્માવાયેલાં ગીતો માટે સંગીતકાર અનિલ બિશ્વાસે મન્ના ડેનો સ્વર પસંદ કર્યો હતો.

ફિર મિલેંગે જાનેવાલે અય યાર, દસ્વીદાનિયા - પરદેસી (૧૯૫૭) – સંગીતકાર: અનિલ બિશ્વાસ

ગીતનો ભાવ કરૂણાનો છે, પણ તેનો ઉદ્દેશ્ય વિદાય સંદેશો પાઠવવાનો છે એટલે સ્વરમાં કરૂણા અને બુલંદી બન્નેનું સંમિશ્ર્ણ આવશ્યક બની રહે છે. મન્ના ડેનો સ્વર આવાં ગીત માટે આદર્શ પસંદગી જ કહેવાય.

તુઝમેં રામ મુઝમેં રામ સબ મેં રામ સમાયા - પરદેસી (૧૯૫૭) – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પ્રેમ ધવન

ફિલ્મનાં કથાવસ્તુમાં વણાયેલ સમાજવાદી સમાનાધિકારની ભાવનાને હિંદુ સંસ્કૃતિ સાથે સાંકળી લેવામાં આવી છે.

૧૯૬૧ની બલરાજ સાહની મુખ્ય ભૂમિકાવાળી બન્ને ફિલ્મોના સંગીતકાર સલીલ ચૌધરી હતા.

આ બે ફિલ્મોમાંની રવિન્દ્રનાથ ઠાકુરની વાર્તા પર આધરિત 'કાબુલીવાલા' ફિલ્મ, અભિનય અને સંગીત એમ બધી દૃષ્ટિએ 'ક્લાસિક' ગણાય છે.

અય મેરે પ્યારે વતન અય મેરે બિછડે ચમન તુઝ પે દિલ ક઼ુરબાન - કાબુલીવાલા (૧૯૬૧) – સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: પ્રેમ ધવન

પરદા પર ગીત ગાયું છે ભલે વઝીર મોહમ્મદ ખાને, પણ ગીતના કેન્દ્રમાં તો બલરાજ સાહની જ છે.

આડ વાત :
વઝીર મોહમ્મદ ખાન પહેલી બોલતી હિંદી ફિલ્મ 'આલમઆરા (૧૯૩૧)ના હીરો હતા. ૧૯૫૬ અને ૧૯૭૩માં ફરીથી બનેલી આ જ ફિલ્મની 'રીમેક'માં પણ ભૂમિકા ભજવવાનો અનોખો રેકોર્ડ પણ તેમના નામે છે.
સોંગ્સ ઑફ યોરના શ્રી એકેજી બહુ મહત્ત્વની વધારાની માહિતી ઉમેરે છે. વઝીર મોહમ્મદ ખાનને ફાળે હિંદી ફિલ્મોનાં સૌથી પહેલાં રેકોર્ડ થયેલ ગીત - 'આલમઆરા' (૧૯૩૧)નું દે દે ખુદા કે નામ સે દે દે પ્યારે' માન પણ જાય છે. 
'કાબુલીવાલા' જેટલી ખ્યાતિ પામી હતી એટલી જ ગુમનામીમાં એ વર્ષની બીજી ફિલ્મ 'સપન સુહાને' રહી.

ઓ ગોરી આજા ગડી વિચ બૈઠ જા - સપન સુહાને (૧૯૬૧) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: શૈલેન્દ્ર

પંજાબી શૈલીમાં રચાયેલું આ ગીત ભલે ગ્રામીણ પૃષ્ઠભૂમાં ગવાયું છે, પણ છેડછાડનો રોમાંસ તેમાંથી જરા પણ ઓછો નથી થતો.

દિલ કહેતા હૈ જ઼રા તો દમ લે લો, ડગર કહેતી હૈ ચલતે ચલો - સપન સુહાને (૧૯૬૧)- સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: શૈલેન્દ્ર

ટ્રક ડ્રાઈવરની ઝિંદગીના મિજ઼ાજને વાચા આપતાં ગીતમાં મન્ના ડે પૂરેપુરા ખીલી ઊઠ્યા છે. 
ફિલ્મમાં મન્ના ડે, લતા મંગેશકર અને દ્વિજેન મુખર્જીના ત્રિપુટી સ્વરમાં ગવાયેલું ગીત નામ મેરા નિમ્મો, મુકામ લુધિયાના પણ છે, પરંતુ અહીં મન્ના ડેનો સ્વર પરદા પર માસ્ટર ભગવાન માટે પ્રયોજાયો છે.
બલરાજ સાહનીએ આ પ્રકારની મુખ્ય ભૂમિકાઓમાં અન્ય પણ કેટલાંક ગીતો ગાયાં છે, પણ તેના માટે મોહમ્મદ રફી (સોને કી ચિડીયા) કે સુબીર સેન (ક્ઠપુતલી) જેવા ગાયકોના સ્વર પ્રયોજાયા છે. એટલે હવે બલરાજ સાહની મુખ્ય ચરિત્ર ભૂમિકામાં પરદા પર ભજવેલાં મન્ના ડેના સ્વરમાં ગવાયેલાં બે બહુ જ જાણીતાં ગીતોને યાદ કરીએ.

અય મેરી ઝોહરા જબીં તુઝે માલુમ નહીં - વક઼્ત (૧૯૬૫)- સંગીતકાર: રવિ – ગીતકાર: સાહિત લુધ્યાનવી

મન્ના ડેનાં ગીતોની જ્યારે પણ વાત થાય ત્યારે આ ગીત યાદ ન કરાય એવું જ ભાગ્યે જ બનતું હશે.
તુઝે સુરજ કહું યા ચંદા - એક ફૂલ દો માલી (૧૯૬૯) – સંગીતકાર: રવિ – ગીતકાર: પ્રેમ ધવન

મન્ના ડેની ગાયકીને બધી જ દૃષ્ટિ બંધબેસતાં ગીતને મન્ના ડેએ પણ પૂરેપુરો ન્યાય કર્યો છે.



ડેવિડ અબ્રાહમ માટે
સુજ્ઞ વાચકો તો સમજી જ ગયાં હશે કે આપણે મન્ના ડેએ હિંદી ફિલ્મોના જાણીતા ચરિત્ર અભિનેતા ડેવિડ (અબ્રાહમ) માટે રાજ કપૂરની ફિલ્મ 'બુટ પોલિશ' (૧૯૫૪)નાં ગીતોની અહીં વાત કરવાનાં છીએ. સૈદ્ધાંતિક રીતે તો ડેવિડની ભૂમિકા આ ફિલ્મમાં પણ બે મુખ્ય બાળ કલાકારોના સહાયક ચરિત્ર પાત્ર જ્હોન ચાચાની છે, પણ વાસ્તવમાં તો બે અનાથ બાળકોને પોતાના પગ પર ગર્વથી ઊભાં રહેવાની ખુમારીની ફિલ્મની વાત કહેતાં કથાવસ્તુને મૂર્ત ડેવિડનાં પાત્ર દ્વારા જ કરાયેલ છે, એટલે 'મુખ્ય પાત્ર'ની કક્ષાએ ગણવામાં કોઈ ક્ષતિદોષ નહીં ગણીએ. ડેવિડે જીવનમાં એક વાર મળતી આવી ભૂમિકાને જે રીતે જીવી જાણી છે તેમાં મન્ના ડેના સ્વરમાં ગવાયેલાં ગીતોનો ફાળો પણ અમુલ્ય છે.

લપક ઝપક તુ આ રે બદરિયા, સરકી ખેતી સુખ રહી હૈ - બુટ પોલિશ (૧૯૫૪) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર

શંકર જયકિશન - શૈલેન્દ્રની જોડીએ મન્ના ડેકારકીર્દીની બાજીમાં એક્કાનાં પાનાં જેવું આ ગીત રચ્યું છે. જો કે મન્ના ડેની નિયતિએ આ ગીતની સફળતાને પણ તેમને શાસ્ત્રીય રાગ પર આધારિત કૉમેડી ગીતોના પ્રકારનાં ચોખઠામાં ઢાળી દેવા માટે ઉપયોગ કરી નાખ્યો !

આડવાત :
રાજ કપૂર પોતાની ફિલ્મનાં નિર્માણની ઝીણી ઝીણી બાબતો માટે ઉત્કૃષ્ટતાનો કેટલો આગ્રહી હતો તેનો એક વધુ પુરાવો આ ગીતમાં શ્રી અરૂણકુમાર દેશમુખ નોંધે છે, જે અહીં વધારે વિગતે વાંચી શકાશે.
ઓ રાત ગયી, રાત ગયી ફિર દિન આતા હૈ ઈસી તરહ આતે જાતે સારા જીવન કટ જાતા હૈ - બુટ પોલિશ (૧૯૫૪) - આશા ભોસલે સાથે – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: સરસ્વતી કુમાર 'દીપક'

નિરાશાનાં કાળાં વાદળોમાં સકારાત્મકતાની રૂપેરી કોર જોવાની દિશા બતાવતાં આ ગીતનું એક અન્ય ઐતિહાસિક અગત્ય મન્ના ડે અને આશા ભોસલેનાં સર્વપ્રથમ યુગલ ગીત તરીકેનું છે.

ઠહેર જરા ઓ જાનેવાલે ઓ બાબુ મિસ્ટર ગોરે કાલે, કબ સે બૈઠે આસ લગાયે હમ મતવાલે પાલીસવાલે - બુટ પોલીશ (૧૯૫૪) - આશા ભોસલે અને મધુબાલા ઝવેરી સાથે - સંગીતકાર શંકર: જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર

મુખડાના ઉપાડથી જ મન્નાડે ગીતના ભાવના જોશને જે અનોખી કક્ષામાં મૂકી આપે છે તે જ ભાવ અંતરાના ઉપાડમાં જીવંત રહે છે.
 
આડવાત :
મના ડેના ફાળે આવાં અવિસ્મરણીય ગીતો આવ્યાં છે તે સાથે ફિલ્મમાં મોહમ્મદ રફીના સ્વરમાં ડેવિડ અબ્રાહમ માટે ગવાયેલ 'નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠીમેં ક્યા હૈ' ગીત પણ યાદ આવ્યા વિના ન રહે.

ભારત ભુષણ માટે
ભારત ભુષણદ્વારા મુખ્ય અભિનેતા તરીકે અભિનિત ફિલ્મોમાં ગવાયેલાં ગીતો મોહમ્મદ રફીનાં કંઠે જ ગવાયાં છે તેવું જો આપણને યાદ રહ્યું હોય તો તે મહદ અંશે સાચું છે. પરંતુ ૧૯૫૬ની ફિલ્મ 'બસંત બહાર'નો વિષય એવો હતો કે શંકર જયકિશને મન્ના ડેને ભારત ભુષણના કંઠ માટે પહેલી પસંદ તરીકે યાદ કર્યા. ફિલ્મમાં શાસ્ત્રીય રાગ પર આધારિત 'સુર ના સજે ક્યા ગાઉં મૈં', ‘ભય ભંજના વંદના સુન હમારી" કે પંડિત ભીમસેન જોશી સાથે સ્પર્ધાત્મક યુગલ ગીત 'કેતકી ગુલાબ જુહી ચંપક બન ફૂલે' જેવાં ગીતો મન્ના ડેનાં શ્રેષ્ઠ ગીતોની પંક્તિમાં સ્થાન મેળવી રહ્યાં. આ સફળતાનું એક આડ પરિણામ એ પણ કહી શકાય કે મન્ના ડેનું સ્થાન શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલાં ગીતો માટેનાં ચોકઠાંમાં વધારે જડબેસલાક બન્યું.

જોકે શંકર જયકિશને પોતાના પક્ષે મન્ના ડેને પૂરો ન્યાય કર્યો - લતા મંગેશકર સાથેનાં પ્રણય યુગલ ગીત નૈન મિલે ચૈન કહં દિલ હૈ વહી તૂ હૈ જહાં, યે કયા કિયા સૈંયાં સાંવરે પણ મન્ના ડેને આપીને..પહેલા અંતરાની શરૂઆતના આલાપથી માંડીને મન્ના ડે એ લતા મંગેશકરનાં નૈસર્ગિક માધુર્ય સાથે એકોએક સુર મેળવી આપ્યો છે.

૧૯૫૭ની ઐતિહાસિક ફિલ્મ, રાની રૂપમતી,માં પણ ભારત ભુષણ મુખ્ય પાત્રની ભૂમિકામાં હતા. તેમને ફાળે આવેલાં ફિલ્મનાં મોટા ભાગનાં અન્ય ગાયકોના સ્વરમાં હતાં, જેમકે આ લૌટ કે આ જા મેરે મીત (મુકેશ), શાસ્ત્રીય સ્પર્ધાત્મક યુગલ ગીત બાત ચલત નયી ચુનરી રંગ ડારી ( કૃષ્ણરાવ ચોનકર સાથે ભારત ભૂષણ માટે મોહમ્મદ રફી). એટલે સુધી કે ફિલ્મનાં ત્રણ પ્રણય યુગલ ગીતો - ફૂલ બગીયા મેં બુલબુલ બોલે, ઓ રાત અન્ધેરી ડર લાગે રસીયા અને જ઼નનન જ઼ન જ઼ન બાજે પાયલીયાં -માં પણ મોહમ્મદ રફીના કંઠનો જ પ્રયોગ કરાયો છે. પરંતુ થોડા ઊંચા સુરમાં ગવાયેલ શાસ્ત્રીય ઢાળ અપરનાં ગીત ઊડ જા ભંવર.. માયા કમલકા આજ બંધન તોડ કે માટે સંગીતકાર એસ એન ત્રિપાઠીને મન્ના ડે જ યાદ આવ્યા છે.

૧૯૫૯ની કવિ કાલિદાસમાં ફરીથી ભારત ભુષણ માટે એસ એન ત્રિપાઠીએ મન્ના ડેના સ્વરને પસંદ કર્યો.

જય સરસ્વતી - કવિ કાલિદાસ (૧૯૫૯) – સંગીતકાર: એસ એન ત્રિપાઠી – ગીતકાર: ભરત વ્યાસ

દેવી સરસ્વતી માટેની પ્રાર્થના માટે મન્ના ડેનો સ્વર તો 'આદર્શ' ગણાતો થઈ ગયો છે.

નયે નયે રંગ સે લીખતી ધરતી નયી કહાની - કવિ કાલિદાસ (૧૯૫૯) – સંગીતકાર: એસ એન ત્રિપાઠી – ગીતકાર: ભરત વ્યાસ

પ્રકૃતિનાં સૌંદર્યની મહિમા પણ મન્ના ડેના કંઠમાં વર્ણવવી સ્વાભાવિક જણાય છે. 

ઓ અષાઢ કે પહેલે બાદલ - કવિ કાલિદાસ (૧૯૫૯) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: એસ એન ત્રિપાઠી – ગીતકાર: ભરત વ્યાસ

અષાઢનાં વાદળને પોતાનાં પ્રેમીજનનો સંદેશો પાઠવવામાં પણ મન્ના ડે કવિહૃદયના ભાવને સાક્ષાત કરી રહે છે.

આડવાત:
કદાચ કોઈક વાણિજ્યિક કારણોસર એસ એન ત્રિપાઠીએ ઉન પર કૌન કરે જી વિશ્વાસ જેવાં મસ્તીભરયાં યુગલ ગીત માં ભારત ભુષણ માટે મોહમ્મદ રફીના સ્વરને પ્રયોજ્યો.
૧૯૬૧ની ધાર્મિક ફિલ્મ 'અંગુલીમાલ'માં પણ ભારત ભુષણ મુખ્ય ભૂમિકામાં હતા. એ ફિલ્મનૂં સુવિખ્યાત ગીત અય માનવ તું મુખસે વોલ બુદ્ધમ્‍ શરણમ્‍ ગચ્છામિ તો બહુ જ સ્વાભાવિક છે કે સંગીતકાર અનિલ બિશ્વાસ મન્ના ડેના કંઠમાં જ રેકોર્ડ કરવાનું પસંદ કરે. ગીત બેકગ્રાઉન્ડમાંથી ગવાયું છે, પણ તેનું કેન્દ્ર અંગુલીમાલ (ભારત ભુષણ) છે.

ભારત ભુષણ અને મન્ના ડેનાં જોડાણની વાત કરીએ ત્યારે શાસ્ત્રીય રાગ પર આધારીત કોમેડી ગીતના પ્રકારમાં પ્રથમ હરોળનાં ગીત ફૂલ ગેંદવા ન મારો (સંગીતકાર: રોશન – ગીતકાર: સાહિર લુધ્યાનવી)ને તો જરૂર યાદ કરવું જોઈએ. ગીત જો કે પર્દા પર આગા પર ફિલ્માવાયું હતું. 

ભારત ભુષણ અને મન્ના ડે આમાં ક્યાં સાથે આવ્યા તે ગુંચવણ દૂર કરી દઈએ. આ ફિલ્મ 'દૂજ કા ચાંદ'ના નિર્માતા ભારત ભૂષણ હતા. ફિલ્મમાં તેમના પર ફિલ્માવાયેલાં ગીતો - સુન અય મહાજબીન મુઝે તુમસે પ્યાર નહીં, મહેફિલ સે ઊઠ જાને વાલો અને ચાંદ તકતા હૈ ઈધર (સુમન કલ્યાણપુર સાથે) મોહમ્મદ રફીના સ્વરમાં હતાં તે સહેજ.

શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતો આ સફળ ગીતોની સાથે મન્ના ડેના સ્વરમાં શંકર જયકિશને રાજ કપુરા માટે રેકોર્ડ કરેલાં શ્રી ૪૨૦ (૧૯૫૫) અને ચોરી ચોરી (૧૯૫૬)એ સાવ અલગ જે કૅદી કોતરી. શ્રી ૪૨૦માં ભલે મના ડે 'સાતમી' પસંદ હતા પણ તેમનું સ્થાન મુખ્ય પાર્શ્વ ગાયક મુકેશને સમાંતર જ હતું. ચોરૉ ચોરીમાં તો મન્ના ડે જ મુખ્ય ગાયક હતા. (આ ગીતોની વિગતે વાત આપણે મન્ના ડેએ રાજ કપૂર માટે ગાયેલમ ગીતોના અલગ લેખમાં કરીશું.) આ ગીતોની અદ્‍ભૂત સફળતાને કારણે બીજા કોઈ ગાયકની કારકીર્દી તો સફળતાનાં સાતમા આસમાને હોત. મન્ના ડેની કારકીર્દીને પણ ચાર ચાંદ જરૂર લાગ્યા,પણ તે ચંદ્રકો તેમને 'આગવા' ગાયકમાંથી 'મુખ્ય ધારા'ના ગાયક તરીકે મુકી આપવામાં કામયાબ ન રહ્યા.

હવે પછીના અંકોમાં પણ આપણે જોઈશું કે '૬૦ના દાયકામાં સફળ હીરો ગણાયેલા 'સ્ટાર' ની કારકીર્દીની શરૂઆતમાં મન્ના ડેના સ્વરની મદદ લેવામાં આવી હતી. પણ જ્યારે એ 'સ્ટાર' અભિનેતાઓએ સફળ તારલાઓની પ્રથમ હરોળમાં પહોંચવા માટે તો મોહમ્મદ રફી જેવા ગાયકોને જ માધ્યમ તરીકે અપનાવવાનું મુનાસિબ માન્યું.

No comments: