Tuesday, September 16, 2014

મૅનેજમૅન્ટ ગુરુઓ : - પીટર ડ્રકર

image



પુરૂં નામ: પીટર ફર્ડીનાન્ડ ડ્રકર

જન્મઃ ૧૯ નવેમ્બર ૧૯૦૯ ॥
અવસાન: ૧૧ નવેમ્બર, ૨૦૦૫
૧૯૦૯માં ઓસ્ટ્રીઆમાં તેમનો જન્મ થયો અને તેમના ૯૬મા જન્મદિવસનાં લગભગ એક સપ્તાહ પહેલાં અમેરિકામાં ૨૦૦૫માં અવસાન. તેમના અવાજમાં જન્મજાત ઓસ્ટ્રીઅન બોલીની છાંટ છેક સુધી રહી હતી, પરંતુ ૧૯૩૭માં અમેરીકા સ્થળાંતર કર્યા પછી અમેરીકાની મુક્ત બજારની વિચારસરણીમાટે ભગીરથની જેમ ગંગા ઉતારવાનું કાર્ય તેમણે સમગ્ર જીવન પર્યંત કર્યું હતું.

તેમની જીવનગાથા આધુનિક બહુરાષ્ટ્રીય કોર્પોરેશન તેમ જ તેનું સંચાલન સંભાળતાં સંચાલકોનાં મૅનેજમૅન્ટ તત્વાર્થશાસ્ત્રની વિકાસગાથા છે. ૨૦મી સદીના અંત તરફ મુડીવાદની નફાપ્રધાન ટુંકી દૃષ્ટિ માટે તેમની ચાહતમાં એટલી હદ સુધી ઘટાડો થઇ ચૂક્યો હતો કે તેમનાં જીવનના છેલ્લા દસકામાં ઘણાં લોકોએ એવું પણ કહેવાનું શરૂ કરેલ કે પીટર ડ્ર્કર હવે સમયોચિત નથી રહ્યા.

પરંતુ પીટર ડ્રકરની જીવનગાથા એ માત્ર ઇતિહાસ નથી. સ્વિકારાય કે નહીં તે અલગ વાત છે, પણ આજનાં મૅનેજમૅન્ટ શાસ્ત્રનું માળખું અને કાર્યપધ્ધ્તિઓ મોટા ભાગે પીટર ડ્રકરની વિચારસરણીથી પ્રભાવીત થતી રહી છે. દરેક વિચારશીલ અગ્રણીનો પાયો પીટર ડ્રકરની વિચારધારાની બ્લ્યુપ્રિન્ટ પર ઘડાયો છે તેમ કહેવાં કોઇ અતિશયોક્તિ નહીં કહેવાય. લોકો અને સંસ્થાઓનું દીર્ઘ દૃષ્ટિથી સંચાલન કરવું એ કેટલું જટિલ કામ છે તે તેઓ ભલીભાંતી સ્વીકારતા રહ્યા હતા. તેથી જ સંચાલકોની કેટલીય પેઢીઓને તેમણે ઉત્તમ લોકોને પસંદ કરવા, સમસ્યાઓ નહીં પણ તકો પર ધ્યાન કેન્દ્રીત કરવું, તમારા ગ્રાહકના પક્ષે જ ઉભા રહેવું, સંસ્થાની લાંબા ગાળાની સ્પર્ધાત્મક સરસાઇને સમજવી અને તેને સતત સજ્જ કર્યે રાખવી જેવા પાઠ ભણાવ્યા છે.તેઓ હંમેશ માનતા રહ્યા કે દરેક સફળ સંસ્થાના પાયામાં તેનાં પ્રતિભાશાળી લોકોનો બહુ જ મહત્વનો ફાળો હોય છે.
- ઔદ્યોગિક ક્રાંતિથી માંડીને એ સમય સુધી પ્રચલિત અને સ્વીકૃત સંચલન વ્યવસ્થાની સામે, ૧૯૪૦ના દાયકામાં ,તેમણે જોરશોરથી વીકેન્દ્રીકરણની હિમાયત કરી.
- ૧૯૫૦ના દાયકામાં કારીગરોને જવાબદારી પૂર્ણ ખર્ચ નહીં પણ સંપત્તિ સ્વીકારવાની હિમાયત કરી.
-- ૧૯૫૦ના જ દાયકામાં તેમણે કોર્પોરેશનને માત્ર નફો કમાવી આપનાર મશીન નહીં પણ એકબીજાં માટે વિશ્વાસ અને સન્માન ધરાવતાં લોકોથી ધબકતાં સમુદાય તરીકે જોવાની હિમાયત કરી.
-- 'ગ્રાહક વિના કોઇ વ્યાપાર શકય નથી'ની ૧૯૫૦ના જ દાયકાની નવી ગ્રાહકોન્મુખ બજાર વિચારદૃષ્ટિના પણ તેઓ જ હિમાયતી હતા.
-- અન્ય મૅનેજમૅન્ટ વિચારકોથી બહુ પહેલાં, ૧૯૬૦ના દાયકામાં, તેમણે દેખાવ શૈલીને બદલે તત્ત્વ તેમ જ કરીશ્માઇ, પોતાનો જ પંથ ખેડનાર નેતૃત્વને બદલે સંસ્થાગત કાર્યપધ્ધ્તિઓની હિમાયત કરી.
-- અને સમયથી બહુ જ પહેલાં, ૧૯૭૦ના દાયકામાં તેમણે કાચા માલને બદલે જ્ઞાનનાં અને ભૌતિક સંસાધનોને બદલે જ્ઞાન-કર્મચારીઓનાં નવ-અર્થતંત્ર યોગદાન માટેનાં મહત્વને ૨૧મી સદીનાં મૅનેજમૅન્ટની વ્યૂહરચનામાં કેન્દ્રસ્થાને રાખવાની હિમાયત કરી.

મૅનેજમૅન્ટ કાર્યક્ષેત્રમાં માત્ર નફાને જ પ્રધાન્ય આપવાને બદલે, માનવીય અભિગમને પણ મહત્વનું સ્થાન આપવાને કારણે પીટર ડ્રકરના વિચારો મૅનેજમૅન્ટ વિષયમાં પૌવાર્ત્ય શૈલી તરીકે ઓળખાતી વિચારસરણી ધરાવતા જાપાનમાં પણ સ્વીકૃતિ મેળવી રહેલ. જેનું એક બહુ જ સરસ ઉદાહરણ છે "What If the Female Manager of a High-School Baseball Team Read Drucker’s Management" નામક નવલકથા.

પોતાનાં બાળપણની મિત્ર યુકી મિયાતા માટે કરીને, તેની માંદગી દરમ્યાન, હોડોકુબો હાઇસ્કુલ ની બેઝબૉલ ટીમનાં પ્રશિક્ષકની કામગીરી (વાર્તાની નાયિકા) મીનામી કાવાશીમા સ્વીકારે છે. કોઇ પણ ટીમનું નેતૃત્વ સંભાળવાનો તેને કોઇ પૂર્વ-અનુભવ તો હતો નહીં. એ દરમ્યાન ડ્રકરનું પુસ્તક - Management: Tasks, Responsibilities, Practices - તેના હાથે ચડે છે. આ પુસ્તક વાંચીને, બેઝબૉલ ટીમને રાષ્ટ્રીય ખેલમાં સર્વોચ્ચ સ્થાને પહોંચાડવાનાં ધ્યેય સાથે મીનામી તેની ટીમને એક વ્યાપાર સંસ્થાનની જેમ મૅનેજ કરે છે. આ નવલકથા પરથી પછીથી ફિલ્મ પણ બની છે.

આસપાસ થઇ રહેલી દરેક ઘટનાઓનાં નીરીક્ષણમાંથી તેઓ જે તારણો કાઢતા તે જતે દહાડે બહુ જ સન્માનિત વિચારધારામાં પરીવર્તીત થઇને રહેતાં. GEનાં મુખ્ય સંચાલક તરીકે કાર્યભાળ સંભાળ્યા પછી જૅક વૅલ્શને તેમણે બે સાવ સીધા અને સરળ જણાતા સવાલ પૂછ્યા હતાઃ 'જો આજે તમે આ વ્યાપારમાં ન હોત, તો નવેસરથી આ વ્યાપારમાં દાખલ થવાનું વિચારત ખરા?’ અને ‘જો જવાબ 'ના' હોય, તો હવે તમે શું કરશો?'. વૅલ્શ માટે આ બે સવાલો GEના વિકાસ અને સંચાલન માટે હંમેશાં નવી દિશાઓ ખોલતા રહ્યા.

ડ્રકરની પ્રતિભા દેખીતી રીતે સાવ છુટા છુટા જણાતાં ચિંતનોમાંથી બહુ જ અર્થસભર વલણો ખોળી કાઢવાનાં તેમનાં કૌશલ્યને અંશતઃ આભારી કહી શકાય. તેમના મિત્ર, અને એક બહુમાન્ય મૅનેજમૅન્ટ વિચારક વૉરન બેનિસે તેમને એક વાર પૂછ્યું કે, 'તમને આવી સાવ નવી જ આંતરસુઝની પ્રેરણા ક્યાંથી મળતી રહે છે?' જવાબમાં ડ્રકરે કહ્યું: " ધ્યાનપૂર્વક સાંભળવામાંથી", અને થોડી વાર રહીને ઉમેર્યું, "મારી જાતને."

Wall Street Journalમાં દસ વર્ષ સુધી તેઓ લખતા રહ્યા હતા. તે ઉપરાંત Harvard Business Review, The Atlantic Monthly, અને The Economistમાં પણ તેમના લેખો પ્રકાશીત રહ્યા હતા.

પીટર ડ્ર્કરનાં મોટા ભાગનાં લખાણોમાં જોવા મળતા તેમના વિચારો:

· ડ્રકર કેન્દ્રીય સત્તા અને નિયંત્રણ વ્યવસ્થાની તરફેણ નહોતા કરતા, તેઓ ભારપૂર્વક કહેતા કે સંસ્થાની લાંબા ગાળાની અસરકારક સફળતા તેની વિકેન્દ્રીત અને સરળ કાર્યપ્રણાલીથી ઘડી શકાય છે.

· કંપનીની પ્રાથમિક જવાબદારી તેના ગ્રાહકોની જરૂરિયાતો અને અપેક્ષાઓની પૂર્તતા કરવાની છે. કંપનીએ તેનો વ્યાજબી નફો આ જવાબદારી અદા કરતાં કરતાં રળવો જોઇએ.

· કર્મચારીઓ કંપનીના, કરકસર કરવા યોગ્ય, 'ખર્ચાઓ' નહીં પણ 'સંપત્તિ' છે. સંચાલકનું કર્તવ્ય છે કે કર્મચારીઓ તેમની કામગીરી (તેમને) સંતોષ થાય તે રીતે, અને (કંપની માટે) કાર્યક્ષમ રીતે , કરી શકે તે માટે સંસ્થામાં કામ કરતાં કર્મચારીઓને જરૂરી સાધનો પૂરાં પાડવાં. આમ કરવામાં તેણે કામ કરતાં લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ તેમ જ જવાબદારીઓને અને તેઓ જે સમાજનો હિસ્સો છે તે સામાજિક પર્યાવરણની સંવેદનાઓને સમજવી જરૂરી છે.

· લગભ બધી જ મોટી બની ચૂકેલી સંસ્થાઓ 'સરળ' માર્ગે કામ કરવાની રીતો ભૂલી જતી હોય તેમ જણાય છે. આ સંદર્ભમાં પીટર ડ્ર્કરના "ત્રણ પ્રશ્નો" બહુ જ આધારભૂત દિશાસૂચક માપદંડ મનાય છેઃ આપણો વ્યવસાય શું છે? આપણું ગ્રાહક કોણ છે ? આપણા વર્તમાન ગ્રાહકની દૃષ્ટિએ કિંમતી / મૂલ્યવાન શું છે?

· દરેક સંસ્થાએ દર ત્રણ થી પાંચ વર્ષના નિયમિત અંતરાલે પોતાનાં ઉત્પાદનો (કે સેવાઓ), કાર્યક્ષેત્રો, પ્રક્રિયાઓ, ટેક્નોલોજી અને બજારોની વિધેયાત્મક સમીક્ષા કરતાં રહેવું જોઇએ, જેથી આયોજિત પરિત્યાગની વ્યૂહરચનાના અમલ રૂપે સમય સમયે એકઠાં થતાં રહેતા, પોતાના ભૂતકાળની સફળતાનાં ચાલક બળ સમા, બીનઉપયોગી સામાનને કાઢી નાખતાં રહી, સંસ્થાનાં ઉત્પાદક સંસાધનોને ભાવિ પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે કામે લગાડતાં રહી શકાય.

· (પહેલેથી) વિચાર કર્યા સિવાય (અમલીકરણનાં) પગલાં લેવાની આદત મોટા ભાગની નિષ્ફળતાઓનાં કારણોના પાયામાં હોય છે. સંસ્થાનાં અગ્રણી નેતૃત્વનું કર્તવ્ય છે વિચારશીલતા, જ્યારે અન્ય વ્યવસ્થા સંચાલકોનું કર્તવ્ય છે (એ વિચારોનો) સાચી રીતે અમલ.

· સાચો સવાલ પૂછવો એ સંચાલકની દૂરગામી તેજસ્વીતાની આગવી લાક્ષણિકતા છે. સાચો સવાલ શોધવો જેટલું મુશ્કેલ છે , તેટલું મુશ્કેલ તે સવાલનો સાચો જવાબ શોધવાનું અઘરૂં નથી. ખોટા સવાલના સાચા જવાબ, કદાચ જોખમી ન નીવડે, પણ વ્યર્થ તો છે જ. તેમણે લખેલાં પુસ્તકો :
1939: The End of Economic Man (New York: The John Day Company)
1942: The Future of Industrial Man (New York: The John Day Company)
1946: Concept of the Corporation (New York: The John Day Company)
1950: The New Society (New York: Harper & Brothers)
1954: The Practice of Management (New York: Harper & Brothers)
1957: America's Next Twenty Years (New York: Harper & Brothers)
1959: Landmarks of Tomorrow (New York: Harper & Brothers)
1964: Managing for Results (New York: Harper & Row)
1967: The Effective Executive (New York: Harper & Row)
1969: The Age of Discontinuity (New York: Harper & Row)
1970: Technology, Management and Society (New York: Harper & Row)
1971: The New Markets and Other Essays (London: William Heinemann Ltd.)
1971: Men, Ideas and Politics (New York: Harper & Row)
1971: Drucker on Management (London: Management Publications Limited)
1973: Management: Tasks, Responsibilities, Practices' (New York: Harper & Row)
1976: The Unseen Revolution: How Pension Fund Socialism Came to America (New York: Harper & Row)
1977: People and Performance: The Best of Peter Drucker on Management (New York: Harper's College Press)
1978: Adventures of a Bystander (New York: Harper & Row)
1980: Managing in Turbulent Times (New York: Harper & Row)
1981: Toward the Next Economics and Other Essays (New York: Harper & Row)
1982: The Changing World of Executive (New York: Harper & Row)
1982: The Last of All Possible Worlds (New York: Harper & Row)
1984: The Temptation to Do Good (London: William Heinemann Ltd.)
1985: Innovation and Entrepreneurship (New York: Harper & Row)
1986: The Frontiers of Management: Where Tomorrow's Decisions are Being Shaped Today (New York: Truman Talley Books/E.D. Dutton)
1989: The New Realities: in Government and Politics, in Economics and Business, in Society and World View (New York: Harper & Row)
1990: Managing the Nonprofit Organization: Practices and Principles (New York: Harper Collins)
1992: Managing for the Future (New York: Harper Collins)
1993: The Ecological Vision (New Brunswick, NJ and London: Transaction Publishers)
1993: Post-Capitalist Society (New York: HarperCollins)
1995: Managing in a Time of Great Change (New York: Truman Talley Books/Dutton)
1997: Drucker on Asia: A Dialogue between Peter Drucker and Isao Nakauchi (Tokyo: Diamond Inc.)
1998: Peter Drucker on the Profession of Management (Boston: Harvard Business School Publishing)
1999: Management Challenges for 21st Century (New York: Harper Business)
2001: The Essential Drucker (New York: Harper Business)
2002: Managing in the Next Society (New York: Truman Talley Books/St. Martin’s Press)
2002: A Functioning Society (New Brunswick, NJ and London: Transaction Publishers)
2004: The Daily Drucker (New York: Harper Business)
2008 (posthumous): The Five Most Important Questions (San Francisco: Jossey-Bass)

પીટર ડ્રકરના વિચારોના વારસાને પ્રવર્તમાન ઘટનાઓ અને વિચારસરણીના સંદર્ભે પ્રસ્તુત રાખવાનું ઉમદા કાર્ય ધ ડ્રકર ઇન્સ્ટીટ્યુટ દ્વારા થઇ રહ્યું છે. મૅનેજમૅન્ટ વ્યવસાય સાથે સંકળાયેલ દરેક વ્યક્તિએ તેની વેબસાઈટ પરના બ્લૉગ, ધ ડ્ર્કર એક્ષચેન્જ, પરની ચર્ચા વિચારણાઓ સાથે સંપર્કમાં રહેવું જોઇએ. પીટર ડ્ર્કર સોસાયટી ઑફ ઑસ્ટ્રીઆ પર પીટર ડ્રકરને લગતાં યુરોપમાં થતા રહેતા કાર્યક્રમો વિષે પણ જાણકારી મેળવી શકાતી રહી શકશે.

પીટર ડ્રકરને લગતું અન્ય સંદર્ભ સાહિત્યઃ

સંવાદમાં શું નથી કહેવાઇ રહ્યું તે સાંભળવું વધારે મહત્વનું છે - પીટર ડ્રકર


clip_image001 આ લેખ વેબ ગુર્જરી પર ૭ માર્ચ, ૨૦૧૪ના રોજ પ્રસિધ્ધ થયેલ.)

No comments: