Thursday, October 28, 2021

'સાર્થક – જલસો’:પુસ્તક - ૧૫

'સાર્થક જલસો'નો નવો અંક હાથમાં આવે એટલે મારૂં સૌ પહેલું કામ 'જલસો' માટે પહેલી જ વાર લખતાં હોય એવાં, 'નવાં', લેખકોના લેખો પર એક નજર કરી જવાનું હોય અને તે પછી 'નિયમિત' લેખકોએ આ અંકમાં રજુ કરેલા નવા વિષયો પર નજર કરી લઉં.  'જલસો'ના ઑક્ટોબર ૨૦૨૧માં વૈવિધ્યસભર વાંચનને એક પરિચયાત્મક લેખમાં આચમન જેટલો પણ ન્યાય નહી આપી શકાય તેવી સભાનતા સાથે સમગ્ર અંકનાં પ્રથમદર્શી વાંચન પુરતી જ અહીં વાત કરીશ.

પ્રથમ દર્શનની પ્રક્રિયામાં મારૂ ધ્યાન સહુથી પહેલાં તો સુશ્રી સરૂપ ધ્રૂવના લેખ 'મારા ભાષાશિક્ષણના પ્રયોગો'માંની માઈક બ્રિયર્લી અને માનાબેન' જેવાં શીર્ષક સાથેની તસવીર પર ગયું. મારા માટે માઈક બ્રિયર્લી એટલે એક અને એક માત્ર,' 
૭૦ના દાયકાના ઉત્તરાર્ધમાં ઈંગ્લાંડની ક્રિકેટ ટીમના કપ્તાન જ. પરંતુ એમની
તસ્વીર અને તે પણ એક ગુજરાતી સન્નારી સાથે
,અને તે પણ  'ભાષાશિક્ષણના પ્રયોગો'માં ક્યાંથી હોય? એટલે એ લેખનો એટલો જ હિસ્સો વાંચી કાઢ્યો. માઈક બ્રિયર્લી તો એ જ હતા. 'માઈકભાઇને ગુજરાતી વાતચીત શીખવવાની ચર્ચામાંથી પછી જેમ જેમ આખો લેખ વંચાતો ગયો તેમ તેમ બીજા બિનભારતીયોને ખપજોગું ગુજરાતી શીખવવાના અનુભવોની વાત જેવા બીજા પણ 'ઓસરીમાં ઘોડા દોડવવા' જેવા પ્રયોગોની એક અનોખી દુનિયાનો પરિચય થતો ગયો..

બીજો જે લેખ ધ્યાન ખેંચી ગયો હતો તે શ્રી હસિત મહેતાનો લેખ - પકડો હસ્તપ્રત ને કોઈ પળે.... એ લેખનાં વિષયવસ્તુ અંગેની સંપાદ્કીય નોંધમાં જણાવાયું છે કે અહીં 'નડિયાદના ડાહીલક્ષ્મી પુસ્તકાલયમાં રહેલી દુર્લભ હસ્તપ્રતોને જાળવવાના ત્રણ દાયકાના સંઘર્ષની કથા.'વાંચવા મળે  છે. વિષય તો આ પણ રસપ્રદ લાગ્યો એટલે વાંચવાનું શરૂ કર્યું. બસ પછી તો ૧૯૮૯-૯૦થી લઈને ૨૦૧૮ સુધી લગભગ ૩૦ વર્ષ સુધી ચાલેલા આ યજ્ઞની કથા પણ કંઈ કેટલાય આટાપાટાઓની ગલીઓની સફર કરાવતી ગઈ. અને તેમ છતાં લેખક તો એમ જ કહે છે કે 'ખરું જોતાં આ એક અલ્પવિરામ છે,.....હસ્તપ્રતોને મામલે 'હજુ બાકી છે'ની .. ગુંજ.. મનમાંથી ક્યારે નીકળશે, ખબર નથી.

ત્રીજા લેખ - લૂલીએ દી વાળ્યો- (લેખક જેઠાલાલ સેનવા)નું પણ શીર્ષક જ ધ્યાન ખેંચનારૂં છે. આખા લેખમાં ઠેકઠેકાણે ભેંસના ચિત્રો મુક્યાં છે, એટલે આ 'લૂલી' તે દાટ વાળે તેવી જીભડીની નહીં પણ કોઈ ભેંસની વાત હશે એટલો તો ખ્યાલ આવી જ જાય. લેખ વાંચવાનું શરૂ કરો એટલે એક જ શ્વાસે પુરો કરવો પડે તેવી એક - પાછળના બે પગેથી લંગડાતી- લૂલી ભેંસની સાથેની લેખકનાં બાળપણથી માંડીને યુવાની સુધીની લાગણીસભર અનુભવગાથા છે. જે 'લૂલી' ભેંસે આખાં કુટુંબનો 'દી' વળ્યો' એની 'પાંચમી કે છઠ્ઠી પેઢીનો ઓર' આજે  પણ લેખકના ઘરના 'આંગણે ઝૂલે છે.'

'અણખેડ્યાં સ્થળોની સાથોસાથ અણધારી મદદનો રોમાંચ'માં (કોવિડના કેરને કારણે) કોઈ પ્રવાસ ન ગોઠવાયો એટલે ક્યાંય ફરવા નહીં જવાય એવા 'ટ્રિપોફોબીઆ'ની મનોદશામાં અટવાયેલાં, લેખિકા વર્ષા પાઠક, તેમની કેટલીક ભૂતકાળની સફરોની યાદોને આપણી સાથે વહેંચે છે. આ બધી એવી સફરો છે જેમાં અકલ્પનીય સંજોગોમાં સામાન્ય દેખાતી, સાવ અજાણી વ્યક્તિ પાસેથી અણધારી મદદ મળી હોય તેવા પ્રસંગોની તેમની'પ્રવાસ કથા' છે. સ્વાભાવિક છે કે પ્રવાસો દરમ્યાન જેમને આવા અનોખા અનુભવો થતા હોય એમને તો એવું લાગે જ છે કે 'હજી ઘણું જોવા માટે, ઘણા લોકોને મળવા માટે પૂરતો સમય છે',

ગુજરાતી સાહિત્યના છેલ્લાં  પચાસેક વર્ષોના પ્રવાહોથી થોડી પણ પરિચિત વ્યક્તિ માટે જયંત મેઘાણીનું નામ અજાણ્યું ન હોય. તેમનાં જીવન અને કાર્યો અંગેની બહુ બધી વિગતો પણ થોડી જ શોધ કરતાં મળી પણ આવે, પણ તેમનાં એક વ્યક્તિ તરીકેનાં અંતરંગ પાસાંઓ ભલભલી સર્ચલાઈટ વડે પણ ખોળ્યાં મળે નહી. સ્વ. જયંત મેઘાણીના પુત્ર, નિહાર મેઘાણી, તેમના પિતાની યાદોની પોતાની એવી મંજૂષામાંથી 'પપ્પા એટલે ...’' લેખમાં જયંતભાઈનાં વ્યક્તિત્વનાં અનેક અજાણ્યાં પાસાંઓની અમૂલ્ય જણસ આપણી સમક્ષ રજૂ કરે છે.

વ્યવસાયે મૅનેજમૅન્ટ કન્સલટન્ટ એવા શૈલેશ મોદી લગ્નપ્રસંગે ચાલીસ વર્ષથી પાકિસ્તાનમાં સ્થાયી થયેલ તેમનાં પત્નીનાં બાળપણનાં મિત્રના દીકરાના લગ્નમાં ભાગ લેવા જાન્યુઆરી ૨૦૧૯માં દસ દિવસ માટે પાકિસ્તાન એટલે કે,પાકિસ્તાનનાં વિસાનાં નિયંત્રણોને પ્રતાપે, વધારે તો કરાચી, જઈ આવેલ છે. તેમની તીવ્ર નિરીક્ષણ શક્તિના પરિપાકરૂપ લેખ - કરાચી, પાકિસ્તાનમાં દસ દિવસ- આપણી સમક્ષ પાકિસ્તાનનાં સામાન્ય જનજીવનની અછૂતી કહી શકાય એવી વાતો રજૂ કરે છે. છપ્પન ભોગના એ રસથાળમાંથી 'શાકાહાર' શીર્ષક હેઠળના એક જ વિષયના કેટલાક અંશનો સ્વાદ માણીએ -'કરાચીની શેરીઓમાં શાકની લારીઓ જોઈ, પણ સમજણ ન પડી કે આ ખાય છે કોણ?...મોંઘાં રેસ્ટોરાંના પણ લાંબા મેનુમાં શાકાહારી વાનગીઓમાં ફક્ત એક શાક અને એક દાળ જ હોય. ઓછા ભાવવાળા રેસ્ટોરાંમાં કશું શાકાહારી ન હોય. કરાચીવાસીઓને સજા કરવી હોય તો સતત બે ભોજન સંપૂર્ણ શાકાહારી આપવાં….. શરાબની દુકાન ક્યાંય દેખાઈ નહીં…...પણ ધૂમ્રપાન વ્યાપક પ્રમાણમાં છે.'

કોરોનાએ જેમને જીવનની સફરમાંથી અધવચ્ચે જ આપણી પાસેથી ખુંચવી લીધા એવા આશિષ કક્કડના લેખ 'ફિલ્મોના રિવ્યૂનો રિવ્યૂ'માં તેઓ કહે છે તેમ વ્યક્તિએ વ્યક્તિએ અભિપ્રાય અને મંતવ્ય અલગ અલગ જ રહે છે. એ બધી વાત એમની માન્યતા અનુસાર સાચી પણ હોય જ. એ મુજબ, 'સાર્થક જલસો'ના ૧૫મા અંકમાં પહેલી જ નજરે મને શું ગમી ગયું એ વાત મને ગમે તેટલી સારી લાગતી હોય, પણ એક પુસ્તકના પરિચયાત્મક લેખમાં તેને એક માત્રાથી આગળ ન લંબાવાય એ પણ મને સમજાય છે. એટલે બાકીના લેખોનાં વિષયવસ્તુનો પરિચય,બહુ જ સંક્ષિપ્તમાં.  

પોતીકું લાગતું ઘર મકાન બની જવાની વ્યથા-આશિષ કક્કડના ઘર અને વ્યક્તિત્વને સાંકળતો લેખ-લેખનાં લેખિકા અને લેખનાં મુખ્ય પાત્ર, આરતી નાયર, અને'આશિષ કક્કડનું ઘર'માં જેમનું નામ છે તેવા આશિષ કક્કડ વચ્ચે શારીરિક ઉમરનો તફાવત તો વીસ વર્ષનો પણ મિત્રાચારીના સંબંધમાં એ તફાવતને ઓગાળી દેવામાં એ 'ઘર'નો ફાળો કેટલો મોટો તે આ વાક્ય સમજાવી દે છે - 'ઘર ઘણી રીતે વેરવિખેર હતું, પણ તેના વાતાવરણમાં જાણે મારા માટે આવકાર ઊઠતો હતો. એ આગળ જતાં મારૂ ઘર બની રહેવાનું હતું...' એવાં ઘરમાં જ્યારે મિત્રના પડઘાતાં હાસ્યને બદલે કૉફિનમાં મુકાયેલો 'મૂક' નશ્વર દેહ જોવાનું આવે ત્યારે એ ઘર, એક મકાન નહીં પણ ઘર કેમ હતું એ સમજાય.

મૃત્યુનો સામનોઃ અનુભવ અને અભિવ્યક્તિ- દોસ્તોયેવસ્કીની નવલકથા ધ ઇડિઅટનો રસાસ્વાદ-જેને 'ક્લાસિક્સ' તરીકે ઓળખવામાં આવે છે તે સાહિત્ય મોટા ભાગનાં સરેરાશ વાંચકો વાંચવાનું ટાળતાં હોય છે. કેમ કે, કે તેનાં વિષયવસ્તુને સમજવું એટલું અઘરૂં પડે કે કૃતિનો કોઈ પણ રસ માણી ન શકાય. એવાં એક ક્લાસિક 'ધ ઈડિયટ' (લેખક ફ્યોદોરદોસ્તોયેવસ્કી)ને એટલી અકલ્પ્ય સરળતાથી દીપક સોલિયા  સમજાવી દે છે કે લેખ પુરો થતાં જ 'ધ ઈડિયટ' લઈને વાંચી નાખવાનુ મન થઈ આવે એટલી હિંમત આવી જાય.

મોટા ભાગનાં લોકોને પોતાનાં મા કે પિતા સાથેના સંબંધમાં કઈ, કે કોઈ, ખુબી સમજાવવાનું આવે તો મનમાં ઘણું હોય પણ તે માટે યોગ્ય શબ્દો ન મળે એવો અનુભવ થતો હશે.  મારા સહિત એવાં લોકોને–‘મા, તારે કારણે જ જગતનાં સર્વ સુખ મળ્યાં- માતૃવંદના-(ચંદુમહેરિયા)અને મહેતાજી, તમે એવા શું?’- પિતૃવંદના- (ભરત મહેતા) - માં પોતાનો એવો અભાવ સંતોષાતો અનુભવાશે.

દરેક ચોમાસે અખબારોમાં નર્મદા ડૅમ આટલા ફૂટ ભરાયો એટલું વાંચવા જેટલો જ મોટા ભાગનાં લોકોને નર્મદા ડેમ સાથે સંબંધ રહ્યો હશે. એ યોજનાના અમલ દરમ્યાન તકનીકી, વહિવટી,કાયદાકીય, પર્યાવરણીય, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક  જેવાં કેટકેટલાં પાસાંઓની કેટકેટલી આંટીઘૂટીઓ પડી હશે ! તેનો પ્રાથમિક પરિચય મેળવવા માટે હસમુખ પટેલનો લેખ  'નર્મદા યોજના નિમિત્તે સરકારી કામગીરીનાં સાડા ચાર વર્ષ' વાંચવો પડે. સરકારમાં (જાત અનુભવે કહૂં તો ખરેખર તો કોઈ પણ ક્ષેત્રમાં)રહીને કંઈ પણ અર્થપૂર્ણ કામ કરવામાં નેવાંનાં પાણી શી રીતે મોભે ચડાવવાં પડે તેનો વાસ્તવિક અંદાજ આ લેખમાં મળી રહે છે. લેખનું આ અંતિમ વાક્ય લેખના ધ્વનિ અને હાર્દને સમજવા પૂરતું થઈ પડશે, 'સરકારમાં રહેવાનો આખો ગાળો તો મારા માટે રા'નવઘણને તલવારથી ડુંગળી સમારવા બેસાડો તેવો હતો. પણ મેં એની પૂરી મજા માણી' સલમાન, સની, સંજય, સુનીલ અને રિચર્ડ્સથી પ્રેરિત મારી વ્યાયામસાધના- ડૉ. અશ્વિનકુમારનો પરિચય 'ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન (માસ કમ્યુનિકેશન)ના પ્રાધ્યાપક; તરીકે અપાયો છે. 'જલસો'ના નિયમિત વાંચકો તેમના લેખોની સહજ હળવી શૈલીમાં કહેવાતી ચોટદાર વાતોથી પણ પરિચિત છે. પણ તેમનો 'વ્યાયામસાધના' સાથેનો પ્રેમ, કિશોરાવસ્થાથી પ્રૌઢાવસ્થા સુધી  પણ પરવારી ગયો નથી તે વાત કદાચ સહેલાઈથી ગળે ઉતરે એ માટે જ તેમણે લેખમાં વારંવાર 'આ વર્ણનનું એક પણ નામ કલ્પિત નથી' એવી બાહેંધરી આપવી પડી છે. તેમ છતાં પણ જો વિશ્વાસ ન જ આવે તો પછી તેમના 'નાનકડા કાર્યાલયના એક ખૂણામાં પડેલાંડમ્બ-બેલ્સન્ની જોડી'ને જાતે જોઇને પુરાવો મેળવી લેવો જ રહે !

ભૂપેન ખખ્ખર-વલ્લવદાસ શાહ :અંતરંગના રંગ - એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ચિત્રકાર અને બીજા સાવ સીધાસાદા સંસારી ગૃહસ્થ, એ બે અલગ અલગ અંતિમ જેવાં વ્યક્તિત્વો વચ્ચે અંતરંગ સંબંધ શક્ય બની શકે ખરો? આ સવાલના જવાબના જે જે અલગ અલગ પરિમાણ બીરેન કોઠારીનાં પ્રસ્તુત ચરિત્રલેખનમાં ખુલે છે તે આપણને પણ એ અનામ સંબંધની એક અનોખી દુનિયામાં લઈ જાય છે.

હવે તો નિયમિતપણે 'જલસો'ને પાને વાંચવા મળતું રજનીકુમાર પંડ્યાનું આત્મકથાનકનું પ્રકરણ 'સરનામા પર શાહી ઢોળી દીધી આખરે...' તેમની શૈલીની પ્રવાહિતામાં વંચાઈ જાય છે ખુબ જ રસપૂર્વક, પણ એ પુરૂં થતાંવેંત જ એમણે (અને તરૂબેને) જે ઉદ્વેગ અનુભવ્યો હશે તે આપણું મન પણ અનુભવી રહે છે.

'શુદ્ધ ભાવનગરી - 'નોરી" રમૂજો'માં પિયૂષ પંડ્યા સમજાવે છે કે ભાવનગરના નાગરોમાં પ્રશ્નોરાઓ માટે 'નોરા' શબ્દ પ્રયોગ થતો હોવાથી એમની રમૂજો 'નોરી' કહેવાય. આખાય લેખમાં અનેક સૂક્ષ્મ રમૂજના પ્રસંગોને યાદ કરીને તેના દ્વારા ઉભરતી ભાવનગરી અને તેમાંય પ્રશ્નોરી અસ્મિતાને ઉજાગર કરવામાં આવી છે.

'સાર્થક જલસો'ની આખરી ચોટ સમા' ગુજરાતી પત્રકારત્વની યશકલગી સમાં કેટલાંક સામયિકો'માં ઉર્વીશ કોઠારીએ ગુજરાતી પત્રકારત્વનાં બસોમાં વર્ષ નિમિત્તે દસ વિશેષ ઉલ્લેખનીય સામયિકોની રસપ્રદ માહિતી રજૂ કરી છે. હજુ કેટલાંક અન્ય સામયિકોનોપરિ્ચય હવે પછીના અંકમાં (કે પછી અલગ પુસ્તિકારૂપે) રજૂ કરવાની તેમની નેમ છે.

આ સાથે 'જલસો'નું મારૂં પહેલું વાંચન અહીં પુરૂં થયું. દરેક પાને એટલી એટલી રસપ્રદ વાતો હોય કે પહેલું વાંચન કર્યા પછી આવતા થોડા મહિના સુધી થોડા થોડા સમયના અંતરે અમુક અમુક પાનાંઓ 'વધારે નિરાંત'થી વાંચીશ. વળી ક્યારેક આખો ને આખો લેખ પણ ફરીથી વાંચવાનું બનતું રહે છે..એ જોતાં ક્યારેક એમ લાગે કે આવાં પ્રકાશનો જો દર મહિને પ્રકાશિત થતાં રહે તો તેમાંની ઘણી વિગતોને પુરાં ઊંડાણ સુધી જવાની કદાચ તક ન પણ મળે.

/\/\/\/\/\/\

સાર્થક જલસો૧૫પ્રાપ્તિ સ્રોત:

ü  બુક શેલ્ફ (ફોન : +૯૧ ૭૯ ૨૬૪૪૧૮૨૬વૉટ્સએપ્પ: +૯૧ ૯૦૯૯૦૦૦૩૬૨ | www.gujaratibookshelf.com

ü  અથવા

ü  સાર્થક પ્રકાશન: www.saarthakprakashan.com | ઈ-મેલ: spguj2013@gmail.com | વોટ્સએપ્પ; +91 98252 90796

ü  પૃષ્ઠસંખ્યા: ૧૭૬, કિમત;૧૦૦/-

ü  ઓનલાઈન મેળવવા માટેની વધારે વિગતો સાર્થક જલસો [SaarthakJalso]પર જોઈ શકાય છે.


No comments: