Sunday, January 11, 2026

સુસ્મિતા - મારાં જીવનસંગિની .....

૧૯૭૬ના ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસોમાં હું નિમેશ (નરેશ પી. માંકડ - મારાં માસી ધનવિદ્યા પ્રદ્યુમ્નરાય માંકડના પુત્ર) અને તેમનાં પત્ની, પ્રતિભાભાભી, સાથે રહેવા માટે કરીને બેએક દિવસ માટે રાજકોટ ગયો હતો. પાછાં ફરતાં જ્યારે હું અમદાવાદ પહોંચ્યો ત્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો. એવું લાગતું હતું કે છેલ્લા કેટલાક કલાકોથી જ વરસાદ એટલો ભારે હશે કે બસ સ્ટોપ પાસે કોઈ ઓટોરિક્ષા દેખાતી ન હતી. ત્યાં રાહ જોઈ રહેલા મારા જેવા કેટલાક અન્ય મુસાફરોએ મને કહ્યું કે તેઓ પણ ઘણા સમયથી રિક્ષાની નિરર્થકપણે રાહ જોઈ રહ્યા છે. પંદર વીસ મિનિટ તો મેં પણ રાહ જોઈ, પરંતુ પછી વધારે રાહ જોયા વિના લગભગ બધા રસ્તાઓ પર ભરાયેલાં પાણીમાંથી ચાલીને ઘરે મેં જવાનું નક્કી કર્યું. લગભગ દોઢેક કલાકના સંઘર્ષ પછી હું ઘરે પહોંચ્યો. બીજા દિવસના અખબારપત્રોમાં ગાયક મુકેશના નિધનના સમાચાર (પણ) હતા.

ત્યારબાદનું અઠવાડિયું નિયમિત કામકાજનું રહ્યું. આમ, જીવન તેની કુદરતી ઘટમાળની લયમાં ચાલી રહ્યું હતું.

તે પછીના અઠવાડિયા દરમિયાન જ્યારે હું એક દિવસે ઓફિસથી ઘરે પાછો ફર્યો, ત્યારે, મારાં મા, બેને મને પોસ્ટ ખાતાનું - સુસ્મિતાને યાદ છે તેમ ૭ સપ્ટેમ્બર ૧૯૭૬ના રોજ લખાયેલ અને પોસ્ટ કરાયેલ- પરબિડીયું  આપ્યું.[1]

તે પરબિડીયામાં રહેલી સામગ્રી એવી ઘટનાઓનાં ચક્રને ગતિ આપવાનું હતું જે હવે પછીનાં જીવનને નાટકીય રીતે બદલી નાખવાનું હતું..

પરબિડીયા પર મોકલનારનું નામ સુસ્મિતા અંજારિયા હતું અને બોમ્બેથી પોસ્ટ કરાયેલું હતું.  પરબિડીયાં પર 'અંગત' એવી નોંધ (કદાચ) હતી. મારા માસી ભાનુમાસી (મારા માના મોટા બહેન અને સુસ્મિતા અંજારિયાના કાકા - ડોલરરાય મોહનલાલ અંજારિયા-ના પત્ની )નાં ભત્રીજી, સુસ્મિતા અંજારીઆ, મને સંબોધીને પત્ર શા માટે લખે તે તો સમજાયું નહોતું. એટલે, પહેલાં તો અમે રાતનું જમવાનું પુરૂં કર્યુ. ત્યાર બાદ મેં પરબિડીયું ખોલ્યું અને પરબિડીયામાં રહેલો પત્ર વાંચ્યો.

પ્રસ્તાવ

પત્ર અમારા લગ્ન માટેનો તેમનો પ્રસ્તાવ હતો.

તેમણે બહુ જ સરળ રીતે કહ્યું હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે પોતાના લગ્નની વાતચીત ચાલે તે કરતાં મારા વિશે જે કંઈ તે જાણે છે તેના આધારે, લગ્નના આ પ્રસ્તાવ માટે સીધો મારો સંપર્ક કરવાનું તેમને વધારે યોગ્ય લાગ્યું. તેમણે બહુ જ સહજપણે એમ પણ લખ્યું હતું તે બરાબર સમજે છે કે લગ્ન બાબતે મારી પોતાની કે મારા માતાપિતાની  કોઈ અન્ય યોજનાઓ હોઈ શકે છે. એટલે પોતાના પ્રસ્તાવની સાથે મારી (અમારી) અસહમતિ હોય તો પણ અમે વિના સંકોચ તેમને જણાવી શકીએ છીએ.

કિંગ કે ક્રૉસ
હું હજુ સુધી મારા લગ્ન વિશે વિચારી રહ્યો ન હતો. તેથી, મને તાત્કાલિક કોઈ જવાબ તો સૂઝે એમ જ નહોતું. એટલે ત્યાર પુરતી તો મેં પત્રની વિગતની મહેશભાઈ અને બેનને જાણ કરી અને કહ્યું કે હું મારો જવાબ આપવા માટે બેએક દિવસ લઈશ.

તે દિવસે રાતે આ વિષય વિશે શું કરવું તે વિશે મારા મનમાં કોઈ ચોક્કસ પ્રક્રિયા સ્પષ્ટ થતી નહોતી. પરંતુ, બીજે દિવસે સવારે ઑફિસે જતી વખતે મેં આ બાબતે વિચારવાનું શરૂ કરી દીધું.

બસની એ મુસાફરી દરમ્યાન મને જે કંઇ યાદ આવ્યું તેના પરથી તો એટલું જ સમજાયું કે સુસ્મિતાના અમદાવાદ દરમ્યાન દેખીતી રીતે અમારો પરિચય નહોતો એમ તો ન કહેવાય. પરંતુ, એટલા પરિચયથી તેમને હા કે ના કહી શકવા જેટલી કોઈ ઓળખાણ પણ નહોતી બનતી. 

એ દિવસે રાતે હવે આ બાબતે વધારે વિગતે વિચારવાનું શરૂ કર્યું.

૧૯૫૮ સુધીના મારાં બાળપણના વર્ષોમાં, ભુજમાં દિવસનો મોટાભાગનો સમય તો હું ભાનુમાસીના પુત્રો, અક્ષય અને જસ્મીન સાથે, ભાનુમાસીને ઘરે, જ વીતાવતો. અક્ષય અને જસ્મીન સાથે તેમના દાદીના ઘરે ઘણી વાર રમવા પણ જતો. આમ, મને ખબર હતી કે તેમના એક પિતરાઈ ભાઈ દિવ્યભાષ છે. જોકે, સુસ્મિતા સાથેનો જે કંઈ પરિચય થયો તો તે જ્યારે તેમના સ્નાતક કક્ષાના અભ્યાસ માટે (૧૯૬૬) તેમના કાકા, ડોલરરાય મોહનલાલ અંજારીઆને  ત્યાં આવ્યાં ત્યારે જ થયો. તેમનું ભાનુમાસીનાં ભત્રીજી હોવું અને મારૂં ભાનુમાસીના ભાણેજ હોવું તો એક યોગાનુયોગ જ હતો. જોકે, તેને કારણે બહુ ઘણાં લોકોનું તો સજ્જડપણે એમ જ માનવું હતું કે એ સગપણને કારણે જ અમે બન્ને એકબીજાને સારી રીતે ઓળખતાં હતાં અને તેથી અમારી સગાઈ થવી એ એ લોકો માટે જરાય નવીનવાઈ નહોતી.

એ પણ સાચું હતું કે હું અને સુસ્મિતા બન્ને, મહેશભાઈ સાથે, નાગર મંડળ દ્વારા ચલાવવામાં આવતી બુક બેંકમાં પુસ્તકોની શોધમાં ગયાં હતાં. એટલું જ નહી, ડોલરકાકા મહેશભાઈના સાઢુભાઈ થાયે એ નાતે, ડોલરકાકાના ભત્રીજી તરીકે ચશ્માં બાબતે મહેશભાઈ સુસ્મિતાને ડૉ. લાલભાઈ માંકડ પાસે પણ લઈ ગયેલા. બીજા વર્ષે હું અને સુસ્મિતા એકલાં જ બુક બેંકની મુલાકાતે ગયા હતા.  જોકે, પરંપરાગત કૌટુંબિક વાતાવરણમાં ઉછરેલા હોવાથી, એ વર્ષો દરમ્યાન, કોઈ કામને લગતા થોડા શબ્દો સિવાય કોઈ વધારે વાતચીત અમે કરી હોય એવું મને યાદ નથી. .

સુસ્મિતાના સ્નાતક કક્ષાનો અભ્યાસ પુરો થયો એ વર્ષે (૧૯૭૦) હું હોસ્ટેલમાં રહેવા ગયો અને મહેશભાઈની નવસારી બદલી થઈ ગઈ. આમ, અમારો જે પણ નાનો-મોટો સંપર્ક હતો તે પણ પુરો થઈ ગયો. જોકેતેના મા, કુંજલતાબેન સાથે તેના ભાઈ દિવ્યભાષને ત્યાં સુસ્મિતાના બોમ્બે શિફ્ટ થવાના, (૧૯૭૨માં) બોમ્બે યુનિવર્સિટીમાંથી ગણિતમાં પોસ્ટ ગ્રેજ્યુએશન થવાના સમાચાર મને મળતા રહ્યા હતા.

સુસ્મિતા - કોન્વોકેશન પછીનો ઔપચારિક ફોટોગ્રાફ

૧૯૭૩માં ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડમાં જોડાયા પછી. મારા સત્તાવાર કામ માટે બોમ્બેમાં એકથી વધારે રાત રોકાવાની જરૂર મારે પડતી. આવી જ એક મુલાકાત દરમિયાન, મને નલીનભાઈ (અમૃતલાલ ધોળકિયાના પુત્ર, મહેશભાઈના મામા) ને મળવાની તક મળી હતી.  પેડર રોડ પર GSTના ગેસ્ટ હાઉસથી તેઓ બહુ દૂર નહોતા રહેતા. એવી મુલાકાતો દરમ્યાન નલીનભાઈએ મને પેડર રોડ પર જ આવેલાં દિવ્યભાષના ઘરે પણ, બેએક વાર, સાથે લઈ ગયા હતા. જોકે, એ મુલાકાતો સામાજિક ઔપચારિકતાથી વધારે સ્તરની નહોતી.

બીજે દિવસે સાંજ સુધીમાં તો મારા વિચારો આટલી બાબતે સ્પષ્ટ બની ચુક્યા હતા કે,

૧. હા પાડવા માટે મને કોઈ નક્કર કારણ નથી મળ્યું તેમ પ્રસ્તાવ ન સ્વીકારવા માટે પણ મારી પાસે કોઈ નક્કર આધાર નહોતો.

૨. હું અમારા પરિવારને સન્માનીય જીવન પુરૂં પાડીશ એવી આવડત વિશે મને મારા પર જ ભરોસો હોવો જોઈએ.

૩.  આપણા પરંપરાગત સમાજમાં, છોકરીને તેના પતિના ઘરે સ્થાયી થવું પડતું હતું અને તેના સાસરિયા સાથે એડજસ્ટ થવું પડતું હોય છે. સુસ્મિતાએ, આટલા પુરતો, પહેલો નિર્ણય તો લઈ જ લીધો હતો. જીવનની ચોપાટમાં મને તેમનો સહભાગી તરીકે પસંદ કરવાનો પહેલો દાવ તો તે ખેલી ચૂક્યાં હતાં.

૪. એક છોકરી તરીકે સુસ્મિતાએ આટલું સાહસિક પહેલું પગલું ભર્યું હતું, તો એક છોકરા તરીકે મારે તો, પ્રમાણમાં ઓછું ગુમાવવાનું છે.

સ્વીકાર

તેથી, તે દિવસે રાત્રે જમતી વખતે, મહેશભાઈ અને બેનને કોઈ વાંધો ન હોય તો સુસ્મિતાના પ્રસ્તાવને સ્વીકારવા હું તૈયાર છું એવો નિર્ણય મેં એ બન્નેને જણાવ્યો. એવું લાગતું હતું કે મહેશભાઈ અને બેને પણ આ બાબત પર વિચાર કર્યો હતો. તેઓએ જરા પણ સમય ગુમાવ્યા વિના જ  તેમની સહમતિ વ્યક્ત કરી.

એટલે તે પછી તરત હું પ્રસ્તાવની સ્વીકૃતિનો મારો જવાબ લખવા બેઠો. મહેશભાઈ અને બેને સુસ્મિતાના મા, કુંજલતબેનને અલગથી તેમની સહમતિનો ઔપચારિક પત્ર લખ્યો. મેં એ બન્ને પત્રો બીજા દિવસે પોસ્ટ કર્યા.[2]

અમને પણ તેમની સંમતિ ટૂંક સમયમાં મળી ગઈ.

સગપણે કુજલતાબેનના મામાના દીકરા, પણ સંબંધે મોટા દીકરા સમા, અને યોગાનુયોગ મારાં ફોઇ - મહેશભાઈનાં માસીનાં દીકરી, વાલીબેનફઈ (કિશોરબાળા ચમનલાલ ધોળકિયા)ના (પણ) દીકરા, સુધાકરભાઈને લખેલો કુંજલતાબેનનો પત્ર તે દિવસોના વાતાવરણને સરસ રીતે તાદૃશ કરે છે.



[1] સરનામું ક્યાંથી મળ્યું એ વિશે આજે હવે સુસ્મિતાને એવું યાદ છે કે મારી નોકરી  અંગેની નોંધ નાગર મંડળનાં મુખપત્રમાં આવી હતી તેમાથી મારી ઑફિસનું સરનામું તેને યાદ રહી ગયું હતું. એટલે તેણે તો પત્ર ઑફિસના સરનામે જ લખ્યો હતો. તેમની આ યાદ સામે મને એવું લાગે છે કે એ વાતને તો એ સમયે ત્રણેક વર્ષ થઈ ચુક્યાં હતાં. એટલે, કદાચ વધારે શક્ય એ હોઈ શકે કે ૧૯૭૪ થી ૧૯૭૬નાં વર્ષમાં બેએક વખતે હું નલીનભાઈ સાથે દિવ્યભાષના ઘરે મુંબઈ ગયો હતો ત્યારે કદાચ મારૂં વિઝિટીંગ કાર્ડ દિવ્યભાષને આપ્યું હોય અને તેમાંથી સરનામું મળ્યું હોય. જોકે મને પણ એ બે ટુંકી મુલાકાતો સમયે મારા વિશે ઉપરછલ્લી ઔપચારિક વાતથી વધારે કોઈ વાત થઈ હોય એવું યાદ નથી આવતું.

[2] જે દિવસે મેં સુસ્મિતાના પ્રસ્તાવના સ્વીકારનો જવાબ પૉસ્ટ કર્યો તે દિવસે સાંજે, સામાજિક દૃષ્ટિએ અમને ક્ષોભજનક સ્થિતિમાં મુકી શકે એવો અને અંગત રીતે મારા માટે આવી નાજુક બાબતોમાં વધારે ચોક્કસ્તા દાખવવાના બોધપાઠ સમાન, એક પ્રસંગ બન્યો. સમીર (પદ્માકાંત ધોળકિયા), મહેશ (દિલીપરાય માંક્ડ) અને કુસુમાકર (ભુપતરાય ધોળકિયા) એમ અમારે ચાર મિત્રોને એકબીજાને ઘરેથી રેકોર્ડ્સ લેવા મુકવા માટે ગમે ત્યારે એકબીજાને ઘરે અવવા જવાનો વાટકી વ્યવહાર હતો. રૂએ, મહેશ રેકોર્ડ લેવા ઘરે આવ્યા અને તેમની ચકોર નજરે ટેબલ પર પડેલું સુસ્મિતાએ મોકલેલુંં પરબિડીયું ચડી ગયું. આપણામાં કહેવાય છે તેમ ચોરને તો ચાંદરણું મળી ગયું. મહેશ માટે બે અને બે ચાર કરી લેવા માટે તો આટલું પુરતું હતું. મેં તેમને પરિસ્થિતિની ચોખવટ કરીને હજુ કંઈ નિર્ણય થયો નથી એવું સમજાવવાનો પુરો પ્રયત્ન કર્યો. પરંતુ, હું અને સુસ્મિતા એકબીજાને બહુ સારી રીતે ઓળખતાં હતાં ક્લબના મહેશ પણ સભ્ય હતા. તેમણે જેટલું જોયું, તે પછીથી તેમને ઝાલ્યા રખાય તેમ નહોતું. પોતાનાં માતાપિતાને અને કુસુમાકરને તો મહેશે વીજળીક ગતિથી 'સગપણ થઈ ગયાં છે' મતલબના સમાચાર પહોંચાડી દીધા.


Sunday, January 4, 2026

મારા પિતા - મહેશભાઈ પ્રાણલાલ વૈષ્ણવ : તબક્કો ત્રીજોઃ એલ કોલોની અને નવસારી - ૧૯૬૬ થી ૧૯૭૩

 મારા LDCE માં જોડાવાની સાથે જ અમે એલ કોલોની (૪૦/૧) માં રહેવા ગયાં. .

મારા એન્જિનીયરિંગના અભ્યાસના ખર્ચની જોગવાઈ કરવા માટે મહેશભાઈએ લોન શિષ્યવૃત્તિ લેવાનો માર્ગ લેવાનું નક્કી કર્યું. લોન શિષ્યવૃત્તિ ગુજરાત સરકારના કર્મચારીઓ માટે યોજના હતી, એ યોજના હાલ ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીને બેંકો દ્વારા અપાતી શૈક્ષણિક લોન જેવી જ હતી. લોનની રકમ દર વર્ષે રૂ. ૮૫૦ના હિસાબે મળવાની હતી. પહેલા વર્ષમાં, મને ગુલાબભાઈ (ગુલાબરાય એન મહેતા, વેસ્ટર્ન રેલ્વે, બરોડાના તત્કાલીન એક્ઝિક્યુટિવ એન્જિનિયર, અને મારા માનાં મોટાં બહેન મીનમાસી – લક્ષ્મીબેન- ના પતિ) પાસેથી એન્જિનિઅરિંગ કંપાસ, સ્લાઇડ રૂલ અને ડ્રોઇંગ બોર્ડ વગેરે જેવાં એન્જિનિઅરિંગ ડ્રોઇંગના સાધનો પૂરાં પાડ્યાં. નાગર મંડળ- અમારી ન્યાતનું સંગઠન -ની બુક બેંક અને અન્ય અમદાવાદમાં સેકન્ડ હેન્ડ બુક શોપમાંથી કેટલાક પુસ્તકો મેળવી શક્યા. બીજા વર્ષ દરમિયાન પણ એકાંદ બે પાઠ્યપુસ્તકો સિવાય, મોટાભાગના પુસ્તકો બુક બેંક અને સેકન્ડ હેન્ડ પુસ્તક બજારમાંથી મેળવી શકાયાં. આમ, પહેલા અને બીજા વર્ષની ટ્યુશન ફી ચૂકવ્યા પછી પણ લોન સ્કોલરશીપના પહેલા અને બીજા હપ્તામાંથી થોડી રકમ હજુ પણ બચી હતી. મહેશભાઈ અને બેને મારા માટે કૉલેજ જવા માટે સાયકલ ખરીદવા માટે એ બચતનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.

અમે રાજકોટમાં તંતી નિવાસમાં રહેતાં હતાં ત્યારે ઘરેથી ઓફિસ જવા માટે સાયકલ ખરીદી હતી. તે સાયકલની સીટ અને પેડલ વચ્ચેનું અંતર મહેશભાઈની ઊંચાઈ કરતા ઘણું વધારે હતું. મારી સાઈકલ ખરીદતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું ! કદાચ સીટ અને પેડલ વચ્ચેના ઘણાં અંતરને કારણે જ તે સાયકલ ખરીદ્યાના લગભગ છ કે નવ મહિના પછી ભારે વાહન સાથે મહેશભાઈનો અકસ્માત થયો હતો. ત્યાર પછીથી તેમણે ક્યારેય સાયકલ ચલાવી નહીં. જોકે, ગોરાકાકા (જનાર્દનભાઈ વૈષ્ણવ, મહેશભાઈના નાના ભાઈ) એ ઘણા વર્ષો સુધી એ સાઈકલનો ઉપયોગ કર્યો. જ્યારે મેં ઘરે જવા માટે 'મારી' સાયકલ ચલાવવાની તૈયારી બતાવી, ત્યારે મહેશભાઈ એક ક્ષણ માટે પણ અચકાયા નહીં. મારામાં આત્મવિશ્વાસ જગાડવા માટેની તાલીમ માટે જોખમ લેવાની પોતાના અનુભવને બાજુએ મૂકી શકવા તેઑ તૈયાર હતા !

મારા એન્જિનિઅરિંગના ચોથા વર્ષના શૈક્ષણિક વર્ષના અંત સુધીમાં, મહેશભાઈની બદલી નવસારીની કૃષિ વિજ્ઞાન કૉલેજમાં થઈ. તેથી, એન્જિનિઅરિંગનું પાંચમું વર્ષ મેં હોસ્ટેલમાં રહીને પુરૂં કર્યું. ઘર બદલટી વખતે બીજી બધી ઘરવખરી સાથે, અમારી પાસે મહેશભાઈએ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાંથી ખરીદેલ પુસ્તકો અને કુમાર, ધ ઇલસ્ટ્રેટેડ વીકલી, સ્પોર્ટ્સ એન્ડ પેસ્ટાઈમ, ઇન્દ્રજલ કોમિક્સ વગેરે સામયિકોના જૂના અંકો ભરેલાં બે મોટા બોક્સ હતાં. મહેશભાઈની ફરીથી અમદાવાદ બદલી થઈ ત્યારે શરૂઆતમાં મળેલું ભાડાનું ઘર ફક્ત એક ઓરડો અને એક રસોડું હતું. તેમાં ઘરની ઘરવખરી પણ સમાય તેમ નહોતું. તેથી ખૂબ જ ભારે હૃદયે, મહેશભાઈએ અને મેં તેમાંથી પુસ્તકો સિવાય બીજું બધું છોડી જવાનું નક્કી કર્યું.

નવસારીમાં, અમારૂં ભાડાનું ઘર, નવસારીનાં પરાં જેવાં, કાલિયાવાડી ગામમાં હતું. મહેશભાઈની કૉલેજના ચાર પાંચ પ્રોફેસરો પણ અમારા પડોશી હતા. તે બધા કૃષિ વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં પીએચ.ડી. થયા હતા. સરકારી કૃષિ કોલેજોના ફેકલ્ટીના કૌશલ્યના પાયાને વધારે સમર્થ કરવા માટે સરકારની યોજના હેઠળ તેઓએ અમેરિકન યુનિવર્સિટીઓમાં ડોક્ટરેટનો અભ્યાસ કર્યો હતો. મને તેમની સાથે સમય વિતાવવાની સારી તક મળી. મારા વેકેશન દરમિયાન તેમના સંશોધન ફાર્મની મુલાકાતનો સાવ નવો જ અનુભવ પણ મને મળ્યો.

મારા એન્જિનિઅરિંગના પાંચમા વર્ષના મધ્યમાં મહેશભાઈને તેમના મોટા ભાઈ કમળભાઈના નિધનનો આઘાત સહન કરવાનો આવ્યો.

મહેશભાઈના નવસારીના રહેવાસનાં બીજાં વર્ષની શરૂઆતમાં, મારો સ્નાતક કક્ષાનો એન્જિનીયરીંગનો અભ્યાસ પુરો થયો અને મેં BITS, પિલાણી, માં મૅનેજમૅન્ટ વિદ્યાશાખાના અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો. શાળા કક્ષા સુધીના મારા અભ્યાસ માટે જે જે તબક્કે પ્રવેશ માટે નિર્ણયો લેવાના હતા કે પ્રવેશ અંગે જે મહેનત કરવાની આવી તેનો બધો ભાર મહેશભાઇ પર હતો. એન્જિનિઅરિંગ અને મૅનેજમૅન્ટના અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવાના મારા નિર્ણયો મહદ્‍ અંશે મારા પોતાના હતા અને તે માટેની જરૂરી પ્રવેશ પ્રક્રિયા પણ મેં પુરી કરી હતી. શાળા કક્ષાના અભ્યાસ સુધી મારો મહેશભાઈ સાથેનો સંબંધ એક પુત્રનો તેના પિતા સાથેનો હોય એવો જ રહ્યો. પરંતુ એન્જિનિઅરિંગ અને મૅનેજમૅન્ટના અભ્યાસક્રમોના પ્રવેશનાં ઘટના ચક્રને પરિણામે અમારા સંબંધનું સમીકરણ તાત્વિક રીતે બદલી ગયું. એન્જિનિઅરિંગ માં પવેશ સમયે અમારાં મંતવ્યો અલગ હતાં છતાં જે રીતે મહેશભાઈનો મને ટેકો મળ્યો તેનાથી અમે એકબીજાંને વધારે સમજી શકવા લાગ્યા. મૅનેજમૅન્ટના અભ્યાસક્રમમાં પ્રવેશનો નિર્ણય મહેશભાઈના અનુસ્નાતક કક્ષાના અભ્યાસ માટેનાં સ્વપ્નને પુરૂં કરવાના ઉદ્દેશ્યથી જ લેવાયો હતો એમ તો નહોતું. પણ હા, BITS માટેની પ્રવેશ કસોટીને લગતા નિર્ણયો સમયે તેમના અભિગમમાં પોતાનાં સ્વપ્નની પૂર્તિનો સંતોષ મેં બહુ સ્પષ્ટપણે અનુભવ્યો હતો.[1]

એમબીએના પહેલા વર્ષના અંતે ઉનાળામાં ઇન્ટર્નશિપ માટે મારે મુંબઈ રહેવાનું હતું. મહેશભાઈએ તેમના ભાણેજ હર્ષવદન (મહેશભાઈના માસીનાં દીકરી, સારીબેનફાઈ, (કિશોરબાળા પદ્માકાંત વૈષ્ણવના પુત્ર) ને લખેલા એક પોસ્ટકાર્ડે મારાં માટેના એ કપરાં લાગતાં ચડાણને એક બહુ જ સુખદ અને સમૃદ્ધ અનુભવમાં ફેરવી નાખ્યો. મુંબઈમાં મારા રોકાણ માટે હર્ષવદનભાઈએ મને જે બધી મદદ અને માર્ગદર્શન આપ્યું, તેમાં મોટા ભાઈની હૂંફ અને સંભાળ હતી. પોણાબે મહિનાના એ રોકાણના અંત સુધીમાં, તેમની સાથેનો મોટા ભાઈનો સંબંધ ખૂબ જ ગાઢ મૈત્રીપૂર્ણ ભાઈ તરીકેના સંબંધનાં મૂળિયાં નાખી ચૂક્યો હતો અને મારા જીવનની મૂડીનો એક બહુ જ મહત્વનો હિસ્સો બની રહ્યો.

૧૯૭૩માં મહેશભાઈની ફરી અમદાવાદ બદલી થઈ અને BITS, પિલાનીમાં મૅનેજમૅન્ટના અભ્યાસનું મારું અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ પુરૂં થયું, અમદાવાદ પહોંચ્યા પછી હું ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ લિ.માં જોડાયો.

Wednesday, December 31, 2025

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૩ – મણકો : ૧૨_૨૦૨૫

 હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૩ મા સંપુટના મણકા - ૧૨_૨૦૨૫માં આપનું સ્વાગત છે.

Five Great Dances by Kumari Kamala in Hindi Films, plus some added words of tribute. (RIP, Kamala.) - ફિલ્મોનાં વાર્તાવસ્તુઓનાં પસંદગીનાં વલણો બદલવાની સાથે દક્ષિણની ફિલ્મો હિંદી ફિલ્મોની પાછળ રહેવા લાગી એટલે કમલા લક્ષ્મણને પોતાની પ્રતિભાનું મૂલ્ય ઓછું અંકાતું અનુભવવા લાગ્યું. અમેરિકા સ્થાયી થવાના નિર્ણય પાછળ મહત્વનું કારણ હતું. ત્યાં ન્યુ યોર્કનાં પરાંમાં તેમણે નૃત્ય શિક્ષક તરીકેની કારકિર્દી વિકસાવી. 

કિસ્મત (૧૯૪૩)  - વર્ષની બેબી કમલા 


મીરા (૧૯૪૭) - રાધા - કૃષ્ણ નૃત્ય 


ચોરી ચોરી (૧૯૫૬) - તિલ્લાના


કઠપુતલી (૧૯૫૭) - હાય તુ હી ગયા મોહે ભુલ રે 


યહુદી (૧૯૫૮) - દિલ મેં પ્યાર કા તૂફાન


Remembering Sulakshana Pandit - '૭૦ અને '૮૦ના દાયકાઓમાં અભિનેત્રી અને ગાયિકા તરીકે સક્રિય રહેલ સુલક્ષણા પંડિતનું નવેમ્બર ૨૦૨૫ના રોજ અવસાન થયું.


આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું  –


Dharmendra (15 songs – 15 actresses) - પોતાની સક્રિય કારકિર્દી દરમ્યાન ધર્મેન્દ્રએ લગભગ બધી અભિનેત્રીઓ સાથે કામ કર્યું.


The Dagdar Baboo of ‘Maila Anchal’ - ફણીશ્વર નાથ રેણુની 'મૈલા આંચલ' પરથી બનેલી ફિલ્મ બહુ અદ્‍ભુત બની હોત. ધર્મેન્દ્ર અને જયા ભાદુરીની મુખ્ય ભૂમિકાઓ સાથેની ફિલ્મ દાગ્દર બાબુ , ૭૫% જેટલું શુટિંગ પુરૂં થયા પછી અધુરી રહી ગઈ.Ratnottama Sengupta દ્વારા અનુવાદ કરેલ નબેન્દુ ઘોષની આત્મકથા એકા નૌકર જાત્રી (એક એકલવાયી નૌકાની યાત્રા)માં પરદા પર પહોંચેલી ફિલ્મની રોમાંચક કથા, અત્યાર સુધી જોવા મળેલી તસવીરો સાથે વાંચવા મળે છે. 


From Just One Movie’ – New seriesકોઈ પણ ફિલ્મ કલાકારની જન્મ / મૃત્યુ તિથિની અંજલિ રૂપે તેમની કોઈ એક ફિલ્મનાં ગીતો રજૂ કરતી નવી શ્રેણીનો પ્રારંભ કનુ રોય (અવસાનઃ ૨૦ ડિસેમ્બર)નાં સંગીત મઢેલી અનુભવ (૧૯૭૧)નાં ગીતો યાદ કરીને કરાયો છે.


Salil Sangeet: How Salil Chowdhury’s Bengali Songs Reimagined Genre, Social Awareness and Humanism - ક્રાંતિ, લોકસંગીતની યાદો અને પાશ્ચાત્ય સિમ્ફનીઓની અસર હેઠળ ઘડાયેલ સલિલ ચૌધરીનાં સંગીતે બંગાળી સંગીતને નવી ઓળખ આપી. Soumyadeep Chakrabarti ઈપ્ટાનાં સ્તુતિ ગીતોથી લઈને સીમાચિહ્ન જેવા સહયોગો સુધીની સફરમાં આધુનિક પ્રયોગો અને પ્રગતિશીલ સામાજિક નિસબતને વણી લેતાં 'સલીલ સંગીત'ના આગવા પ્રકારને યાદ કરે છે.


Madhumati: Salil Chowdhury’s Magnum Opus in Hindi Cinema - Madhulika Liddle કાવ્યાત્મક શૈલીમાં સલીલ ચૌધરીનાં મધુમતીનાં ગીતોદ્વારા કથાનક, કથાવસ્તુનું વાતાવરણ અને લાગણીઓનું સંયોજન ફિલ્મને ચિરઃસ્મરણીય અનુભવ બનાવવાની રચાતી ભૂમિકાના તારની ઓળખ કરે છે.


Ten of my favourite Salil Chowdhury songsમધુલિકા લીડ્ડલની યાદીમાંથી મારી પસંદ તરીકે હું મેરે મન કે દિયે (પરખ, ૧૯૬૦ - ગીતકારઃ શૈલેન્દ્ર)ને મારો મત આપવાની સાથે

યા ક઼ુરબાન.. સબા કહના મેરે દિલદારકો (કાબુલીવાલા (૧૯૬૧  - મોહમ્મદ રફી - ગીતકારઃ પ્રેમ ધવન 

અને


ઠંડી ઠંડી સાવન કી ફુહાર (જાગતે રહો, ૧૯૫૬ - આશા ભોસલે - ગીતકારઃ શૈલેન્દ્ર)



ને ઉમેરીશ.

RD Burman’s singers besides the Big Four - ચાર મુખ્ય ગાયકો - લતા મંગેશકર, આશા ભોસલે, કિશોર કુમાર, મોહમ્મદ રફી - અને પોતા ઉપરાંત આર ડી બર્મને ૯૧ પુરુષ અને ૬૭ સ્ત્રી ગાયકો સાથે કામ કર્યું છે.


ZAHIDA HUSSAIN - Talented, Beautiful But Unfortunate – Beeta Hue Din - Rare Bollywood Nostalgia



OP Nayyar’s favourite instruments and his orchestration - સામાન્યપણે, હિંદી ફિલ્મોના સુવર્ણ કાળમાં ધુન કેન્દ્રમાં રહેતી અને વાદ્યવૃંદ પૂરક ભૂમિકામાં રહેતું. પી નય્યર પોતાનાં ગીતની બાંધણી શૈલી પર કરતા. 

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૧૦મા સંસ્કરણના ડિસેમ્બર ૨૦૨૫ના  સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત: ત્રીજો પંચવર્ષીય સમયખંડ ૧૯૫૪ - ૧૯૫૮: વર્ષ  ૧૯૫૪ []   ને યાદ કર્યાં. અત્યાર સુધી આપણે 

૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષોના પ્રથમ સમયખંડને ૨૦૨૧માં,

૧૯૪૯થી ૧૯૫૩ના બીજા પંચવર્ષીય સમયખંડને ૨૦૨૨ થી ૨૦૨૫માં

યાદ કરેલ છે.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Annapurna Devi – The Untold Story of a Reclusive Genius: Book Reviewએક પાનાથી લઈને સાત - આઠ પાનાંના એવા ૭૮ લેખો છે.દરેક લેખમાં અન્નપૂર્ણા દેવીનાં માણસની અતિન્દ્રીય ઓળખ, સાંગિતિક દિવ્યતા, હઠીલાપણું, બાળ સહજ ભોળપણ, દૃઢ નિશ્ચયશક્તિ, સમર્પણ અને સશક્ત ચારિત્ર્ય જેવાં વ્યક્તિત્વનાં નવાં પાસાં જોવા મળે છે.

પુસ્તકનું મુખપૃષ્ઠ - તસવીર સૌજન્યઃ અતુલ મર્ચન્ટ જટાયુ 

Big-screen Sholay - પોતાના પુસ્તકમાં અનુપમા ચોપરા નોંધ લે છે કે ઇન્ટરવલમાં પૉપકૉર્ન ખરીદતી વખતે જે રીતે દર્શકો વિભ્રમ દશામાં જોવા મળતાં હતાં તે જોતાં ફિલ્મને શરૂઆતમાં મળી રહેલા મોળા પ્રતિસાદ છતાં સિપ્પીઓને સૌ પહેલાં ખ્યાલ આવી ગયો હતો કે ફિલ્મ અપ્રતિમ સફળતા પ્રાપ્ત કરશે.....આજે પણ ઇન્ટરવલ સુધી ફિલ્મ એટલી ઝકડી રાખે છે. અમજદ ખાનનું પાત્ર ભયજનક સમજ પ્રેરતું, રહસ્યમય - રૂપકાત્મક - પૂર્ણતઃ આત્મશ્લાઘક વિકૃત માનસ આજે પણ કમકમા ઉપજાવે છે - ૧૯૭૫માં તો દર્શકોને ભય અને ડરની ખાઈમાં ધકેલાઈ ગયાનો અનુભવ કરાવ્યો હોય તે સ્વાભાવિક છે.

Hindi Film Songs with Pauses - કેટલાંક ગીતોમાં એકાદ બે સેકંડની તાકે વાદ્યની સંગત વિનાની નિઃશબ્દ શાંતિ જાદુઈ અસર કરે છે.  જો બરાબર ધ્યાન રાખ્યું હોય તો વિરામ ચુકી પણ જવાય. ઉદાહરણઃ યે જો ચિલમન હૈ (મેહબુબ કી મેંહદી (૧૯૭૧) - મોહમ્મદ રફી - ગીતકારઃ આનંદ બક્ષી - સંગીતઃ લક્ષ્મીકાન્ત પ્યારેલાલ)માં ત્રણેય અંતરામાં .૨૬ - .૨૭, .૪૦ - .૪૧ અને .૪૬ - .૪૭માં આવો વિરામ જોવા મળે છે. 

અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ:


ડિસેમ્બર ૨૦૨૫માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

એક કલાકાર: ગાયકો એકથી વધુ []


બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની મૌસમ (૧૯૭૫) નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને તાલવાદ્યો : () તબલાં ને  લગતાં યાદગાર ગીતોને રજૂ કરે છે..

દિપક સોલીયા 'ધિક્કારનાં ગીતો' માં પ્રેમસંબંધમાં વાંકું પડે ત્યારે પ્રેમી ભાયડો ક્યારેક તો એની ચોક્કસ પ્રેમિકા ઉપરાંત આખેઆખી નારીજાતિને ખરીખોટી સુણાવી દેઃ આગ સે નાતા, નારી સે રિશ્તા   દ્વારા રજૂ કરે છે

આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૫માં આપણે ઓ પી નય્યર રચિત  મોહમ્મદ રફીનાં યુગલ ગીતો યાદ કરીશું. હમણાં મોહમ્મદ રફીએ આશા ભોસલે સાથે ગાયેલાં ઓ પી નય્યર નાં યુગલ ગીતો સાંભળી રહ્યાં છીએ. ......

સૈયાં ક્યું આયે મુઝે અંગડાઈ દુનિયા રંગ રંગીલી (૧૯૫૭) - ગીતકાર: જાં નીસ્સાર અખ્તર



તુઝકો ન કોઈ ગમ મુઝકો ન કોઈ ગમ દુનિયા રંગ રંગીલી (૧૯૫૭) - ગીતકાર: જાં નીસ્સાર અખ્તર



વો જો ચાહનેવાળે હૈ તેરે સનમ દુનિયા રંગ રંગીલી (૧૯૫૭) - ગીતકાર: જાં નીસ્સાર અખ્તર



આશા ભોસલેનું  ટ્વિન સોલો સંસ્કરણ



બેઈખ્તિયાર હો કે પ્યારકા શિકાર હોકે – જોહ્ની વૉકર ૧૯૫૭) - ગીતકાર: હસરત જયપુરી