Sunday, January 25, 2026

સુસ્મિતા - મારાં જીવનસંગિની .....- ઓળખાણ અને પ્રેમસંબંધ સંવનન

 "પ્રસ્તાવ અને સ્વીકાર"થી આગળ

ઓળખાણ

એકબીજાને જીવનસાથી તરીકે સ્વીકારવાની સહમતિ થયા બાદ અમારા વર્તમાન અંગેની જેટલૉ બને એટલી આવશ્યક બાબતો વિશે એકબીજાને અપડેટ કરવામાં અમે સમય ન ગુમાવ્યો. પહેલા એકાદ અઠવાડીયામાં જ એકબીજા વિશે જાણવા માટે જરૂરી કહી શકાય એવાં ઘણાં પાસાંઓનું વિગતવાર વર્ણન કરતા બેએક પત્રો એકબીજાને લખી નાખ્યા. તે પછીના બીજા બે એક પત્રોમાં પહેલા પત્રોના જે જે મુદ્દાઓ અંગે સ્પષ્ટતાઓ કરવાની હતી કે વધારે માહિતીનાં ઉમેરણ કરવાનાં હતાં તે પણ જણાવી લીધાં.

સુસ્મિતા - મુંબઈ ખાતેના તેમના વ્યાખ્યાતા તરીકેના કાર્યકાળ દરમિયાન એક કાર્યક્રમમાં ...

એ દરમ્યાન મારાં ઑફિસના કામ અંગે મુંબઈ જવાની એક તક ખુલી. એક જ દિવસમાં પાછા ફરવાને બદલે એક રાત રોકાઈ શકાય એ માટે મેં ઑફિસ પાસે પરવાનગી માંગી. એ મંજુરી મળી અને આવવા જવાની ટિકિટોની વ્યવસ્થા થઈ ગઈ, એટલે મેં સુસ્મિતાને આ અંગે જાણ કરી અને આ મુલાકાતનો વધારેમાં વધારે લાભ કેવી રીતે લઈ શકાય તે જણાવવા કહ્યું. પછીથી તો  ફોન પર જ અમે આખું આયોજ્ન ગોઠવી કાઢ્યું. જાહેરમાં પણ પોતાની અંગત પળો માણી શકાય એ મુંબઈની જીવન શૈલીનું એક મોટું સકારાત્મક પાસું છે. તેનો લાભ લઈને કોલેજ (બોમ્બે યુનિવર્સિટી)થી સુસ્મિતાના હંમેશના પાછા ફરવાના સમયે મારે સુસ્મિતાને સાંજે ફ્લોરા ફાઉન્ટેન પાસે મળવાનું નક્કી કર્યું. ત્યાંથી અમે સાથે બસમાં તેમના ઘરે - પર્લ પેલેસ (સાંતાક્રુઝ,પશ્ચિમ) - સાથે જઈએ તો અમને ૪૫થી ૬૦ મિનિટનો સમય એકબીજા સાથે ગાળવા મળી શકે તેમ હતું. 

મુંબઈની મારી મુલાકાતો દરમ્યાન મને જ્યારે સમય મળે ત્યારે હું રિધમ હાઉસ (કાલા ઘોડા)થી રેકોર્ડ ખરીદવા જતો. નક્કી કરેલા દિવસે હું મોડો ન પડું એટલે પહેલાં તો રિધમ હાઉસ પહોંચી ગયો. પરિણામે, બસ સ્ટોપ પર પહોંચીને માંડ પાંચેક મિનિટ રાહ જોઈ હશે એટલી જ વારમાં મેં સુસ્મિતાને બીજી બાજુથી આવતી જોઈ. જ્યારે અમે બે ત્રણ મિનિટનાં અંતર જેટલાં દૂર હતા, ત્યારે એકબીજા સાથે નજર મળી. સુસ્મિતાના પ્રસ્તાવ-પત્રને વાંચતાંની સાથે એકબીજા વિશે ભાગ્યે જ કંઈ જાણતાં હોવાની જે લાગણી જન્મી હતી તે તો નજર મળતાંવેંત ઓગળી ગઈ. હવે એકબીજાને સ્વીકારવા બદલ આભારવશતા અને પહેલી વાર એકબીજાને રૂબરૂ જોવાનો આનંદ અમારી આંખોમાં તરી રહ્યો. એકબીજાંને 'કેમ છો' એટલું પુછી શકીએ તે પહેલાં, અમારી બસ આવી ગઈ. બે માળની બસના ઉપરના માળે બાજુ બાજુની સીટ પર બેઠાં અને ટિકિટ ખરીદી તે પછી જ અમારી ઓળખાણની શરૂઆતનું 'કેમ છો' અભિવાદન થઈ શક્યું.

જોકે તેનું વળતર પછીની પીસતાળીક  મિનિટમાં મળી ગયું. ઉતરવાનું સ્ટેન્ડ આવ્યું ત્યાં સુધી સુધી અમે અનેક વિષયો પર એવી રીતે વાત કરી જાણે કે અમે ઘણા વર્ષોથી એકબીજાને ઓળખતાં હોઈએ. અમારી ચર્ચાનો સુર એટલો અનૌપચારિક હતો કે એકબીજાની બાજુમાં બેઠાં હોવાની અનુભૂતિ કરતાં માનસિક રીતે અમારી વચ્ચેનું અંતર ખતમ થઈ જવાની ઓળખાણનો ભાવ બહુ સહજપણે અનુભવાયો.

ઘરે પહોંચ્યા પછી, (સુસ્મિતાના મા) કુંજલતાબેનને પણ પહેલી જ વાર મળ્યો. પરંતુ, હવે તેમને સાસુ તરીકે મળવાનો કોઈ ભાર મને ન લાગ્યો. રાત્રે જમતાં પહેલાં, અમારી ચર્ચાઓનો મુખ્ય વિષય સગપણના સમાચાર જાણ્યા પછી બંને પક્ષના સંબંધીઓની પ્રતિક્રિયાઓમાં સાવેસાવ આશ્ચર્યથી લઈને યે તો હોના હી થા' સુધીનાં પ્રતિભાવોને યાદ કરવાનો રહ્યો. 'જમાઈ' તરીકેની મારી પહેલવહેલી મુલાકાતનૂ ઉજવણી રૂપે મિઠાઈ તરીકે સેવી (सेवैयां) બનાવી હતી. જમતાં જમતાં મને બીજું શું શું ભાવે એવી વાતો દ્વારા ઓળખાણની પ્રક્રિયા આગળ ચાલતી રહી. જમી લીધા પછી, ભોજન પછીની અમારી ચર્ચાઓ દિવ્યભાષની વ્યાવસાયિક પ્રવૃત્તિઓ, કિન્શાશા (ઝાયર)માં તેમની જીવનશૈલી જેવી બાબતોને આવરી રહી. એકંદરે, તે એક મુલાકાતે અમને બધાને એકબીજાની જીવનશૈલીનાં મોટાભાગનાં આવશ્યક પાસાઓથી અવગત કરી આપ્યાં. 

કુંજલતાબેન, દિવ્યભાષ, કર્ણિકા, સુસ્મીતા

આજે હવે પાછળ નજર કરતાં જણાય છે કે એ મુલાકાતની ફળશ્રુતિ રૂપે લગ્ન કેવી રીતે ગોઠવવાં જેવી મુશ્કેલ ચર્ચાઓ વખતે હું કુંજલતાબેન સમક્ષ હું મારા વલણને બહુ મોકળાશથી રજૂ કરી શક્યો એટલું જ નહીં પણ (જોરદાર રીતે) મારો બચાવ પણ કરી શક્યો હતો.

કુંજલતાબેન અને મારા સંબંધમાં કેટલી સહજતા આવી ગઈ હતી તેનાં ઉદાહરણ તરીકે મને એક ખૂબ જ રસપ્રદ ઘટના યાદ આવે છે. એકવાર અમે હર્ષવદનભાઈ અને સુરભીને મળવા જવા માટે બસની રાહ જોઈ રહ્યા હતા. સુસ્મિતા અને હું કુજલતાબેનની આગળ ઊભાં હતા. એટલે સ્વાભાવિકપણે કુંજલતાબેનની નજર સુસ્મિતા અને મારી ઊંચાઈમાંના ફરક પર ગઈ હશે. આપણા સમાજમાં આવી નાની નાની બાબતો વિશે લોકો, વણમાગ્યે, પોતાના 'સ્પષ્ટ' અભિપાયો સંભળાવી જતાં હોય છે. અમારા કિસ્સામાં, કમસે ક્મ આ આબતે, સાંભળવું નહીં પડે એવી રાહતના સુરમાં, કુંજલતાબહેને કહ્યું કે અશોક સુસ્મિતા કરતા થોડા ઊંચા છે તે જોઈને સારું લાગ્યું.

એ પછી મુંબઈની કેટલીક મુલાકાતો દરમિયાન, ભુજંગીભાઈ અંતાણી @ ઇર્લા), વિજયાફાઈ પરિવાર (@ બાણગંગા) અને પ્રિયવદનભાઈ અને કોકિલાબેન બક્ષી (@કોલાબા) જેવાં તેમનાં અન્ય નજીકના સંબંધીઓ અને પરિચિતોને મળવા પણ અમે ગયાં  રામકૃષ્ણ આશ્રમ સાથે મહેશભાઈના સંબંધ વિશે જાણ્યા પછી, કુંજલતાબેન મને સાંતાક્રુઝ (પશ્ચિમ) ખાતેના રામકૃષ્ણ આશ્રમની મુલાકાતે લઈ ગયાં હતાં. તે દિવસે અમે મારાં માસી, મીનમાસી (લક્ષ્મીબેન ગુલાબરાય મહેતા)નાં દીકરી બકુલાબેન (જયવંતભાઈ વૈદ્ય)ને ઘરે પણ ગયાં હતાં.

આમ એ સમયનીની મારી મુંબઈની મુલાકાતોને પરિણામે મને અને સુસ્મિતાને  તેમજ મને અને કુંજલતાબેનને એકબીજાને ઓળખવાનું શક્ય બન્યું.

પ્રેમસંબંધ સંવનન

અમારા અંગત સ્તરે, અમારી સૌ પ્રથમ રૂબરૂ મુલાકાતની બસની સફરનો એ કલાક તે પછીના અમારા પત્રવ્યવહારનો પાયો બની ગયો. અમારા પત્રોના વિષયો અમારા વિચારો અને પસંદનાપસંદને પ્રતિબિંબીત કરતા, પરંતુ તેમાંની રજૂઆતમાં આદર્શ કે આડંબરને બદલે અમારી સ્વાભાવિક મૌલિક અભિવ્યક્તિ જ જળવાતી. એમ કહી શકાય કે અમે જેવાં હતાં તેવાં જ દેખાઈએ એવો પત્રનો સુર રહેતો. એકબીજાના પત્રના વિષય પરના અમારા પ્રતિભાવ પણ સહજ રહેતા હતા.

કામ સાથે સંકળાયેલી મારી મુંબઈનો મુલાકાતો દરમ્યાન વાતોના વિષય તરીકે પણ અમને એવા, પોતપોતાના રોજબરોજના જીવન વ્યવહારોના પ્રસંગો બહુ સહજપણે મળી રહેતા. જો પુરતો સમય હોય તો જુહુ બીચ સુધી ચાલતાં જવું અને ત્યાં થોડી વાર બેસવું અમને બહુ અનુકુળ જણાતું.

રૂબરૂ કે પત્ર દ્વારા થતી મુલાકાતમાં નવી નવી સગાઈ થયેલ બે અલ્પ-પરિચિત વ્યક્તિઓની જેટલી ઉત્કટ મુગ્ધતા હતી તેટલી જ જાણે વર્ષોથી એકબીજાને ઓળખતાં હોઈએ એવી વિષયોની પસંદગી અને રજૂઆત રહેતી. આગામી દરેક પત્ર કે મુલાકાતનો અમને પહેલા પત્ર કે મુલાકાત જેટલી જ આતુરતાથી ઈતજાર રહેતો. પત્ર ખોલતાં વેંત તેમાં શું હશે તે જાણવાની ઉત્કટતા પણ એટલી જ હતી અને દરેક મુલાકાતમાં, પહેલી મુલાકાત સમયે આંખોના પહેલવહેલા સંપર્કમાં જે ચમક હતી તેવી જ ચમક ઝળકતી રહી હતી.

આ સમયગાળા દરમિયાન અમારી વચ્ચેના સ્વાભાવિક દૈહિક પ્રેમાકર્ષણને નિષ્કામ સંબંધના સ્તરે લઈ જવામાં ત્રણ સાંસારિક ઘટનાઓનો ફાળો અત્યારે ખાસ યાદ આવે છેઃ 

દિવાળીના દિવસો દરમ્યાન સુસ્મીતા અને કુંજલતાબેન અમદાવાદ આવ્યાં. સુસ્મિતા માટે, તે વૈષ્ણવોની જીવનશૈલીનો પહેલો, ઔપચારિક અને સંપૂર્ણ પરિચય હતો. અમારા બન્ને માટે, તે અમારા ભાવિ લગ્ન જીવનના એક પાસાનું લાઇવ ડ્રેસ-રિહર્સલ હતું.

એ દિવસોમાં મૉટા અમ્માએ (૧૯૯૧થી રિવાજો અને નિયમોમાં છૂટછાટ તરીકે હવે જાણીતાં) 'ઉદારીકરણ'ની બીજી વાર એક મહત્વની જાહેરાત કરી. તેમણે સુસ્મિતાને જાહેરમાં કહ્યું કે તેમની હાજરીમાં, અને સુસ્મિતાના સસરા (તેમના સમયથી પ્રચલિત એવા રિવાજ મુજબ મોટાં અમ્મા તેમના દીકરાઓને નામથી બોલાવતાં નહીં)ને જો વાંધો ન હોય તો તેમની હાજરીમાં પણ, સુસ્મિતા મને નામથી બોલાવી શકે છે. તે જ રીતે હું પણ સુસ્મિતાને નામથી બોલાવી શકું છું અને બધાંની હાજરીમાં અમે વાતચીત પણ કરી શકીએ છીએ. આ પહેલાં (મારા મોટા પિતરાઈ ભાઈ, મારા કાકા કમલભાઈ પ્રાણલાલ વૈષ્ણવના મોટા પુત્ર) દિવ્યકુમારભાઈના લગ્ન પછી તેમની પહેલી આવી ઘોષણા કરી હતી કે હવેથી પરિવારની પત્નીઓએ પરિવારના (પુરુષ) વડીલોના માનમાં લાજ કાધવાની જરૂર નથી. જેમણે ખૂબ જ રૂઢિચુસ્ત સમાજમાં પોતાનું જીવન વિતાવ્યું હતું એવાં, કુટુંબનાં મોભી દ્વારા આવી સ્વપ્રેરિત જાહેરાત મોટા અમ્માની ઉદાર વિચારસરણી અને નવી પેઢી પ્રત્યેના તેમના પ્રેમ અને નવી પેઢીની બદલતી તાસીર પ્રત્યે તેમની પરવાની ચીવટની દ્યોતક હતી !

[નોંધ: ત્યારથી પરિવારમાં લાજ કાઢવાનો શિષ્ટાચાર જાળવવાની પ્રથા તો નીકળી જ ગઈ. હા, સુસ્મિતા હજુ પણ મને નામથી નથી બોલાવતાં ! પતિને નામથી નામથી બોલાવવાની શરૂઆત લગભગ દોઢ દાયકા પછી, દર્શન (મારા નાના પિતરાઈ ભાઈ, મારા નાના કાકા, જનાર્દનભાઈ વૈષ્ણવના દીકરા)નાં લગ્ન પછી તેનાં પત્ની અમી (આશ્લેષા) એ કરી.

સુસ્મિતા યાદ કરે છે કે મોટા અમ્માની પરવાનગી પછી, તેણે અને મહેશભાઈ (મારા પિતા)એ એકબીજા સાથે કામકાજ સબબ સીધી વાત કરવાનું શરૂ કર્યું હતું. જોકે, આવા પ્રસંગો વખતે  મહેશભાઈ આંખનો સીધો સંપર્ક ટાળવાનું ધ્યાન રાખતા !]

બીજો પ્રસંગ મારાં માસી, ભાનુમાસી (ભાનુગૌરી ડોલરરાય અંજારિયા)ના અને સુસ્મિતાના પણ કાકા, (ડોલરરાય મોહનલાલ અંજારિયા) ના દીકરા- અક્ષય- ના લગ્નનો હતો. વરરાજાની જાનમાં લગભગ નાનાં મોટાં મળીને વીસેક સભ્યોનો સમાવેશ થતો હતો. ટ્રેન દ્વારા અમદાવાદથી જેતપુર (સૌરાષ્ટ્ર) સુધીની રાતની મુસાફરી કરવાની હતી. અમે ચાર હરોળની બેઠકોવાળા નાના કંપાર્ટમેન્ટમાં જગ્યા મળી. જાનના કેટલાક સભ્યોને ઉપર સામાનની છાજલી પર સુવાડવાની વ્યવસ્થા કરાઈ, ચારેક લોકોએ સીટોની વચ્ચેની જમીન પર 'પથારી' કરી. તેમ છતાં અમારામાંથી પાંચ, છ લોકોને નીચે બેસવાની 'સીટો' મળી. મને અને સુસ્મિતાને બાજુ-બાજુમાં બેસવાની (ખાસ) વ્યવસ્થા થઈ ગઈ. અમે એકબીજાના ખભા પર માથું ટેકવીને અમારી ઊંઘ 'માણી' !

ત્રીજો પ્રસંગ અમારાં લગ્નનું આયોજન કેવી રીતે કરવું તે અંગેની ચર્ચા સાથે સંબંધિત હતો. મારો મત હતો કે લગ્નનું આયોજન ખૂબ જ સાદાઈથી કરવુંવું જોઈએ જેથી તમામ ખર્ચ ટાળી શકાય. મારો પ્રસ્તાવ કોઈ આદર્શવાદ પર નહીં પણ મારાં ભણવાના ખર્ચ અને  પ્રગતિનગરનાં ઘરની ખરીદી પછીની અમારી આર્થિ સ્થિતિની વાસ્તવિકતા પર આધારિત હતો. આપણા રિવાજ મુજબ, વરરાજાના પક્ષે લગ્નવિધિ માટે કન્યા પક્ષને ત્યાં જવાનું હોય છે.  એ દૃષ્ટિએ, લગ્ન જો મુંબઈમાં થાય, તો અમારે અમારા બધાં સગાં સંબંધીઓનો અમદાવાદથી મુંબઈ સુધીના પ્રવાસનો ખર્ચ ઉઠાવવો પડે.આમ પણ, દરેકને અમદાવાદ આવવા-જવા માટે તો ખર્ચ તો  જ હોય છે. તે જ રીતે, કુંજલતાબેનના પક્ષે પણ તેમનાં લગભગ બધાં સગાંં મુંબઈની બહારથી આવવાનાં હતાં એટલે તેમના ભાગે પણ અમારા તેમ જ તેમના પક્ષને ઉતારા વગેરેની સગવડનો વધારાનો ખર્ચ ઉઠાવવો પદે તેમ થતું હતું.  મારો પ્રસ્તાવ એ હતો કે જો લગ્ન કોર્ટમાં નોંધણી કરાવીને કરવામાં આવે તો પરંપરાગત હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન નથી થઈ રહ્યાં એટલે ફક્ત કુટુંબનાં નજીકના સભ્યોની હાજરીમાં લગ્નવિધિ સંપન્ન કરી શકાય. પરિણામે પરંપરાગત હિન્દુ રિવાજ સંબંધિત વિધિઓ સાથે સંકળાયેલ તમામ ખર્ચ ટાળી શકીએ છીએ. 

મેં મારો મત પહેલાં તો સુસ્મિતાને  જણાવ્યો. તે તો તરત જ સહમત થઈ ગયાં. મારા પ્રસ્તાવને મહેશભાઈ અને બેન કે કુંજલતાબેન દ્વારા ન સ્વીકારાયો. પરિણામે, મેં તેમને મારો દૃષ્ટિકોણ સમજાવવા માટે મારે તેમની સાથે લાંબી ચર્ચાઓ કરવાની આવી. અંતે, એમ નક્કી થયું કે લગ્નનું સ્થળ અમદાવાદ રાખવું અને લગ્ન વિધિમાં રિવાજને નહીં પણ સાદાઈને અગ્રતા આપવી. મારા પ્રસ્તાવનો એકમાત્ર ભાગ જે બદલાયો નહીં તે કોર્ટમાં નોંધણી દ્વારા લગ્ન સંપન્ન કરવાનો હતો. લગ્ન નોંધણી અધિકારી પણ લગ્ન સ્થળે આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી. આખી પ્રક્રિયા દરમિયાન, જીવનની ઘણી બાબતોને મારી 'શુષ્ક' નજરે જોવાના મારા સ્વભાવનાં એક પાસાંનો અનુભવ સુસ્મીતાને થયો ! ભવિષ્યના ઘણા પ્રસંગોમાં વખતે અમે કોઈ બાબત પર સંમત થવા કે ન થવા પાછળ અમારાં કારણો અલગ હોઈ શકે છે અને અમારો અભિગમ પણ જુદો પડી શકે છે એ બાબતનું આ ટ્રેલર હતુ ! એકબીજાના વિચારોને  સ્વીકારવા માટે અસહમત થવા માટે સહમત થવા જેટલું એકબીજાને સમજી શકીશું એ વિશ્વાસનો પાયો ઘડવામાં આ પ્રસંગનું યોગદાન કેટલું હતું તે આજે હવે વિચારતાં બહુ સ્પષ્ટપણે સમજાય છે.

લગ્નની તારીખ ૧૭ માર્ચ, ૧૯૭૭ નક્કી થઈ. 

Sunday, January 18, 2026

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૪મું - જાન્યુઆરી ૨૦૨૬

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના જાન્યુઆરી ૨૦૨૬ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે. 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' ને જ ચાલુ રાખીશું.


આ કેન્દ્રવર્તી વિષયની અંદર હવે આપણે ગુણવત્તા ૪.૦માં પુરવઠા સાંકળને લગતા વિષયો અને પારિભાષિક શબ્દોની ચર્ચા કરીશું.

આજના મણકા માટે આપણે પુરવઠા સાંકળનાં જોખમ સંચાલન ની ટુંકમાં વાત કરીશું.


પુરવઠા સાંકળ જોખમ સંચાલન (SCRM) એ પુરવઠાના નેટવર્કમાં માલ, સેવાઓ, માહિતી અને નાણાકીય પ્રવાહને વિક્ષેપિત કરી શકે તેવા જોખમોને ઓળખવા, તેમનાં મૂલ્યાંકન કરવા, તેમને ઘટાડવા અને તેની દેખરેખ રાખવાની માળખાગત પ્રક્રિયા સાથે સંદર્ભિત છે.[1]

ખરીદીનું અસરકારક કાર્યક્ષેત્ર કંપનીના જોખમ વ્યવસ્થાપન અને વ્યવસાયિક એકમો સાથે ગાઢ સંબંધ ધરાવે છે, ઘણીવાર જોખમ ઘટાડવાના પ્રયાસોમાં અગ્રણી ભૂમિકા ભજવે છે. આવું સારી રીતે કરી શકવા માટે, ખરીદીમાં અદ્યતન ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ.[2]


પુરવઠા સાંકળ સંચાલનના ચાર C – સંકલન (Coordination), સહયોગ(Collaboration), ખર્ચ કાર્યદક્ષતા (Cost Efficiency), અને ગ્રાહકાભિમુખતા (Customer Focus)-માંના દરેક કાર્યક્ષમતા વધારવા, ખર્ચ ઘટાડવા અને ગ્રાહક સંતોષ સુધારવા માંગતા વ્યવસાયો માટે પુરવઠા સાંકળને ઈષ્ટતમ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.[3]

વધારાનું વાંચનઃ



હવે પછીના અંકોમાં આપણે પુરવઠા સાંકળનાં વિવિધ પાસાંઓની ચર્ચા ચાલુ રાખીશું.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ:

આજના આ અંકથી આપણે એક નવો વિભાગ શરૂ કરીશું - All Things Quality: An ASQ Podcast - ગુણવત્તા વિષયો અને વ્યવહારુ માર્ગદર્શિકાઓ પર અર્થપૂર્ણ ચર્ચાઓ. આ પોડકાસ્ટમાં નવીનતમ AI-આધારિત સામગ્રી અને નિષ્ણાત સાથેના લાઈવ ઇન્ટરવ્યુનું મિશ્રણ છે, જે ગુણવત્તાયુક્ત વ્યાવસાયિક તરીકે શ્રેષ્ઠતા મેળવવા માટે જ્ઞાન અને સાધનો ઉપલબ્ધ કરે છે.

From chaos to clarity: Total Digital Transformation with Thoms Jones

Quality Mag માંથી

  • ·       Quality Communication Best Practices: Gaining Buy-In from Bosses, Teams, and Customers - Ed Rocha - "તમે શું જાણવા માંગો છો?" એમ પૂછવાને બદલે - ગ્રાહક સાથેની ચર્ચા દરમ્યાન , ઑડિટ દરમ્યાન કે અન્ય પરિસ્થિતિમાં - માહિતી રજૂ કરવા માટે પહેલ કરો.

    સંસ્થાઓના ગુણવત્તા કાર્યક્ષેત્રમાં, સંચાલકોને વિવિધ કાર્યક્ષેત્રોની સમસ્યાનું નિરાકરણ, નિર્ણય પ્રક્રિયા, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, તંત્ર વ્યવસ્થાને લગતી બાબતો અને એવી ઘણી બધી જુદી જુદી પ્રવૃતિઓ સાથે વ્યવહાર કરવાનું બનતું હોય છે. : પરંતુ તેમાંથી થોડા લોકો માહિતી આદાન પ્રદાન વડે ધારી અસર પાડી શકતાં હોય છે.

ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

Sunday, January 11, 2026

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૧૧મું સંસ્કરણ – જાન્યુઆરી, ૨૦૨૬

 જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૮

 જયદેવ (વર્મા, જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૧૯ - અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭) ની માનપૂર્વકની ઓળખ કવિઓના સંગીતકાર તરીકે રહી છે. તેમનાં ગીતોની રચના ગીતકારની રચનાનાં હાર્દને અગ્રભૂમિમાં જાળવીને જ શાસ્ત્રીય કે લોક ગીતોના આધાર પર રચાતી રહી. શરૂઆતના દાયકા બાદ તેમનાં ગીતો આમ શ્રોતામાં ઓછાં સ્વીકાર્ય થતાં જણાવા લાગ્યાં હતાં. પરંતુ, '૭૦ના દાયકાના મધ્યમાં તો તેઓએ પોતાની કારકિર્દીના બીજાદાવમાં તેમની આગવી શૈલીનો સ્પર્ષ પાછો મેળવી લીધો હોય તેમ જણાવા લાગ્યું હતું. પરિણામે ૧૯૭૭ થી ૧૯૮૦માં તેમની શ્રેષ્ઠ રચનાઓ હિંદી ફિલ્મ સંગીતની તવારીખને ચોપડે નોંધાઈ. જયદેવ હવે તેમની સંગીત રચનાઓમાં ઓછાં જાણીતાં ગાયકોના સ્વરો વડે અવનવા પ્રયોગો પણ બહુ સહજતાથી કરવા લાગ્યા હતા.

ખુબ અનોખા સંગીતકાર જયદેવનાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આપણે આપણાં આ માધ્યમ પર ૨૦૧૮થી શરૂ કરેલ છે.

§  ૨૦૧૮ માં ૧૯૫૪થી ૧૯૬૩નાં વર્ષોનાં તેમની સૌથી વધારે સફળ ફિલ્મો ગણી શકાય એવી ફિલ્મોનાં ગીતો

§  ૨૦૧૯માં તેમની ૧૯૬૪થી ૧૯૭૦નાં વર્ષોની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતો,

§  ૨૦૨૦ માં ૧૯૭૧ નાં  અસફળ રહેલી ફિલ્મોનાં તેમનાં ખુબ વખણાયેલાં ગીતોને,

§  ૨૦૨૧માં ૧૯૭૨-૭૩માં ફિલ્મોની નિષ્ફળતાએ જે ગીતોને પણ ભુલાવી દીધાં તે ગીતોને,

§  ૨૦૨૨માં ૧૯૭૪ - ૧૯૭૫નાં વર્ષોની ભુલાવા લાગેલી ફિલ્મોની કેટલીક સુરાવલીઓને,

§  ૨૦૨૩માં વર્ષ ૧૯૭૬ - ૧૯૭૭ની ફિલ્મો લૈલા મજનુ, આલાપ અને ઘર્રૌંદામાં  જયદેવની બીજી ઈનિંગ્સ નવપલ્લિત થતી રચનાઓ,

§  ૨૦૨૪માં ૧૯૭૮નાં વર્ષની ફિલ્મો ગમન, સોલવાં સાવન અને તુમ્હારે લિયેનાં ગીતો, અને

§  ૨૦૨૫માં ૧૯૭૯ની ફિલ્મદુરિયાંનાં અને ૧૯૮૦ની ફિલ્મઆઈ મેરી યાદનાં ગીતો

આપણે યાદ કરી ચુક્યાં છીએ.

વર્ષ ૧૯૮૨માં જયદેવે 'રામનગરી' અને 'સમીરા' માટે સંગીત આપ્યું.

રામનગરી (૧૯૮૨)

 પહેલી નજરે તો આ ફિલ્મ કોઈ ધાર્મિક ફિલ્મ હશે તેવું લાગે. એટલે જયદેવને ઓછાં બજેટવાળી ધાર્મિક ફિલ્મોનું સંગીત આપવાના દહાડા આવ્યા એવો વસવસો થાય. ફિલ્મ ઓછાં બજેટની જરૂર છે, પરંતુ તેનું કારણ એ સમાંતર સિનેમાની ફિલ્મ છે તે છે.

'રામનગરી'ની કથા રામ નગરકરની કલમે લખાયેલ, કૌટુંબીક વ્યવસાયે એવા રામ નામના એક કલાકારનાં સાચી જીવનકથા પરથી, મરાઠીમાં લખાયેલ, જીવન - વૃતાંત પર આધારિત છે. રામ 'તમાશા અને 'લાવણી' ની લોકકળાનો એક બહુ સારો અભિનેતા અને ગાયક છે. તેના મા તેને પ્રોત્સાહન પુરૂં પાડે છે, પણ તેના બાપને પોતાના કૌટુંબીક વ્યવસાય ને છોડીને આવી 'હલકી' કળા પાછળ ગાંડો થાય એ જરા પણ પસંદ નથી. ફિલ્મમાં કળાકારોએ સાચાં કળાવ્યાવસયિકોનાં જીવનને તાદૃશ કરતો અભિનય કર્યો છે.    

મૈં તો કબ સે તેરી શરનમેં હું  - હરિહરન, નીલમ સાહની  - ગીતકારઃ નક્શ઼ લ્યાલ્લપુરી 

એક દૄષ્ટિએ આ રચના આહિર ભૈરવમાં સ્વરબદ્ધ ભજન લાગે, પરંતુ તેના બોલનો ગહન નિર્દેશ ફિલ્મનાં પાત્રોનો પોતાના વ્યવસાય માટેનાં સમર્પણની લાગણીનો ભાવ પણ આપણને સમજાય છે. 

કભી છાંવ ન દેખી પુણ્યકી 
જલે પાંવ પાપ કી ધુપમેં 
જો ભી રૂપ તેરી દયાકા હૈ 
મુઝે દરસ દે ઉસ રૂપમેં 
મેરા મન અશાંત હૈ અય પ્રભુ 
મેરા મન અશાંત હૈ અય પ્રભુ 
મુઝે શાંતિ કા વરદાન દે 
મેરા મન અશાંત હૈ અય પ્રભુ


મન દરપનમેં ચેહરા ખીલા અપના - હરિહરન, અનુરાધા પૌડવાલ - ગીતકારઃ નક્શ઼ લ્યાલ્લપુરી 

એકબીજા પ્રત્યેના પ્રેમ માટેની ક્ર્તજ્ઞતાના ભાવને સંવાદરૂપે ગીતમાં વ્યકત કરાયો છે. જયદેવે ગીતની રચનાને આ ભાવને સંગીતમાં વણી લીધો છે.


રાતોં કો માંગે હૈ સાજન સે - હરિહરન - ગીતકારઃ નક્શ઼ લ્યાલ્લપુરી 

લોક સંગીતના ઢાળમાં ગીત પ્રેમની અભિવ્યક્તિ છે. બહુ જ સરળ બોલમાં પ્રેમની પ્રિય લાગણીઓ વર્ણવાઈ છે.



સમીરા (૧૯૮૨)

૧૯૭૭માં જ્યારે ફિલ્મનાં નિર્માણથી શરૂઆત થઈ ત્યારે તેનું નામ 'વોહી બાત' રખાયું હતું. વ્યાવસાયિક દૃષ્ટિકોણના મતભેદને કારણે ફિલ્મની રજૂઆત ઠેલાઈ ગઈ. ૧૯૮૩ના ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં રજૂઆત પામ્યા પ્છી ફિલ્મ વ્યાવસાયિક પરદા સુધી પહોંચી જ નહી. 

એચએમવીએ 'વોહી બાત' શીર્ષક હેઠળ LPE.8030  એલપી રેકોર્ડ પાડી હતી.

જાને ના દુંગી.....હા જાને ના દુંગી - આશા ભોસલે - ગીતકારઃ નક્શ઼ લ્યાલ્લપુરી 

અપદ્યાગદ્ય શૈલીમાં લખાયેલ ગીતની સંગીત રચના પણ ફિલ્મોનાં ગીતના પરંપરાગત ઢાળ પણ નથી કરાઈ. ગીતના ત્રણ અંતરામાં અલગ અલગ ભાવને રજુ કરે છે. 


ઝહર દેતા હૈ કોઈ મુઝે દવા દેતા હૈ કોઈ - આશા ભોસલે
 - ગીતકારઃ નક્શ઼ લ્યાલ્લપુરી 

પ્રેમની અપેક્ષાની અપૂર્ણતા એકોક્તિ સ્વરૂપે વ્યક્ત થઈ છે.


ગીતનું બીજું સંસ્કરણ ભુપિન્દરના સ્વરમાં છે.

વક઼્ત હી દરદકો કાંટો પે સુલાયે દિલકો 
વક઼્ત હી દર્દ કા અહસાસ મિટા દેતા હૈ 

ઈપી રેકોર્ડ પર એક વધારે અંતરો છે - 

પ્યાસ ઈતની હૈ મેરી રૂહ કી ગહરાઈમેં,
અશ્ક઼ ગિરતા હૈ તો દામન કો જલા દેતા  હૈ.


ઝિંદગી હમ તેરે હાલ પર મુસ્ક઼ુરાયે કી રોયા કરેં - આશા ભોસલે - ગીતકારઃ નક્શ઼ લ્યાલ્લપુરી 

પ્રેમભગ્નતાના ગમની  ઘુટનને જયદેવ મુશ્કેલ, પણ માધુર્યપુર્ણ, અંદાઝમાં રજૂ કરે છે. 



જયદેવ રચિત સમાંતર સિનેમાની ફિલ્મોનાં સંગીતની ઝલક હજુ પણ જોવાની રહે છે....


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે