Sunday, October 13, 2024

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૯મું સંસ્કરણ - ઓક્ટોબર ૨૦૨૪

 

શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ - ૧૯૫૭ અને ૧૯૫૮

શંકર (સિંઘ રઘુવંશી) - જન્મ ૨૫-૧૦-૧૯૨૨ - અવસાન ૨૪-૪ -૧૯૮૭જયકિશન જોડીમાંના શંકર અને શૈલેન્દ્ર-હસરતની ભાગીદારીવાળા શૈલેન્દ્ર (મૂળ નામ શંકરદાસ કેસરીલાલ; જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ - અવસાન ૧૪ ડિસેમ્બર ૧૯૬૬) ની શૈલીનો એક સ્વાભાવિક સુમેળ હતો એ વાત તો હવે બહુ સુવિદિત છે. તેની સામે મજાની વાત એ રહી છે કે શંકર અને જયકિશન તેમ શૈલેન્દ્ર અને હસરતની સ્વાભાવિક શૈલીમાં દેખીતો જરાપણ સુમેળ ન હોવા છતાં  બન્ને જોડીઓને કોઈ અકળ બળ જ આટલી બધી ઘનિષ્ઠ રીતે જોડી રાખતું હતું. 



બરસાત (૧૯૪૯) અને આવારા (૧૯૫૧)ની સફળતા બાદ શંકર જયકિશને વર્ષે સાત સાત  આઠ આઠ ગીતોવાળી, અને અલગ અલગ નિર્માણ ગૃહોની, બબ્બે ત્રણ ત્રણ ફિલ્મો પણ કરવા માંડી. પરિણામે તેમનાં સંગીતમાં વૈવિધ્યનું તત્ત્વ પણ વધતું ગયું. દરેક ફિલ્મનાં લગભગ બધાં જ ગીતો સફળ રહે તે માટે તેઓ ખુબ મહેનત પણ કરતા.  લાગલગાટ પંદર વીસ વર્ષો સુધી આટલી બધી મોટી સંખ્યામાં આટલું બધું વૈવિધ્યપૂર્ણ, અને સફળ પણ, કામ કરતા રહેવાની તેમણે એક બહુ જ અનોખી કેડી કોતરી આપી. 

શંકર સિંધ રઘુવંશીના જન્મના મહિનામાં તેમની યાદને વધુ તાજી કરવાના આશયથી શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓની શ્રેણી ઓક્ટોબર ૨૦૧૮થી આ મંચ પર શરૂ કરી હતી. તેમનાં બધાં જ ગીતોમાંથી ઓછાં સાંભળવા મળેલ ગીતોને અલગ  તારવવા માટે બધાં ગીતોને ફરી એક વાર બહુ ધ્યાનથી સાંભળવાની જે તક મળી એ જ મારા માટે બહુ જ આનંદનો વિષય બની ગયો.. અત્યાર સુધી

૨૦૧૮ માં ૧૯૪૯-૧૯૫૩

૨૦૧૯ માં ૧૯૫૩ (ગત વર્ષથી અપૂર્ણ)

૨૦૨૦ માં ૧૯૫૪

૨૦૨૧માં ૧૯૫૫ અને ૧૯૫૬ (આંશિક),

૨૦૨૨માં ૧૯૫૬ (આંશિક - ૨) , અને,

૨૦૨૩માં ૧૯૫૬ (આશિકઃ )

                                           નાં વર્ષોની ફિલ્મોનાં ગીતો આપણે સાંભળ્યાં છે.

આજના મણકામાં વર્ષ ૧૯૫૭ની ફિલ્મો બેગુનાહ અને કઠપુતલી અને વર્ષ ૧૯૫૮ની ફિલ્મો બાગી સિપાહી અને યહુદીની, શૈલેન્દ્રની શંકર (જયકિશન) રચિત રચનાઓ આપણે સાંભળીશું.

બેગુનાહ (૧૯૫૭)

હોલીવુડની ફિલ્મ Knock on the Wood (૧૯૫૪)ની બેઠી નકલ કરવા માટે ફિલ્મના નિર્માતા પર કોર્ટમાં મુકદ્દમો ચાલ્યો હતો, જેના ચુકાદા અનુસાર ફિલ્મની બધી પ્રિન્ટોનો નાસ કરવામાં આવ્યો હતો. સદનસીબે રેકોર્ડ્સ બચી ગઈ, એટલે આજે ગીતો સાંભળી શકીએ છીએ.

ફિલ્મમાં હીરો કિશોર કુમાર હતો છતાં, સમયે મુકેશની લથડી ગયેલી કારકિર્દીને ટેકો કરવા શંકર જયકિશને અય પ્યાસે દિલ બેઝુબાં મુકેશના સ્વરમાં રેકોર્ડ કર્યું, જે આજે પણ હિંદી ફિલ્મનાં ગીતોના ચાહકોને હોઠે રમે છે.

જા રાત બીયી જાયે શમા તડપ કે બુઝ ન જાયે ચંદા ગ઼મસે ડૂબ જાયે - ઉષા મંગેશકર, કિશોર કુમાર, કોરસ 

ફિલ્મની મુખ્ય અભિનેત્રી માટે ભલે નહીં પણ નૃત્યની મુખ્ય અભિનેત્રી માટે પણ શંકર જયકિશને ઉષા મંગેશકરના સ્વરનો સફળ અખતરો કરી બતાવ્યો છે.



નઝર કહે જા જિગરમેં સમા જા મૈં કહું શર્મા કે જા જા જા - લતા મંગેશકર, કોરસ 

ગીત પણ ક્લબ ગીત તરીકે ફિલ્માવાયું હશે, પણ મુખ્ય અભિનેત્રીએ ગાયું હોય એટલે પાર્શ્વ સ્વર લતા મંગેશકરનો હોય. 



કઠપુતલી (૧૯૫૭)

સમયની મોટા ભાગની ફિલ્મોમાં બનતું એમ ફિલ્મની વાર્તાની રજુઆતમાં વધારે પડતાં નાટકીય તત્ત્વો ઉમેરવામાં મૂળ વાત શું છે તે ખોવાઇ જાય. જોકે, ફિલ્મો ચાલતી પણ ગીતો અને અભિનેતાઓનાં દમ પર ! ફિલ્મમાં પણ એક એકથી ચડીયાતાં ગીતો અને બલરાજ સાહની અને વૈજયંતોમાલાના અભિનયને જોરે ફિલ્મ સફળતા આંબી ગઈ હતી.


 

શંકર જયકિશને સુબીર સેનના સ્વરમાં મંઝિલ વહી હૈ પ્યાર કીનો સફળ પ્રયોગ કર્યો તો શીર્ષક ગીતનાં મૂળ  અને તેના કરૂણ ભાવનાં સંસ્કરણોમાં શૈલેન્દ્રના બોલ અને શંકર જયકિશનની ભવ્ય વાદ્યસજ્જાએ ગીતેને કાલાતીત બનાવી મુક્યું.

ઈતને બડે જહાંમેં અય દિલ ... તુઝકો અકેલા છોડું કૈસે - લતા મંગેશકર, કોરસ

ગીતની બાંધણી પર પણ શંકરની આગવી છાપ છે તો વાદ્યસજ્જા શંકર જયકિશનની જોડીની શૈલીની દુહાઈ પુરે છે.



મીની મીની ચી ચી ..... દુનિયામેં ચાંદ સુરજ કિતને હસીન ... ઉતના હી સુન મેરે ભૈયા લુભાયે દિલકો રૂપૈયા - મુકેશ, લતા મંગેશકર 

આમ તો સ્ટેજ ગીત તરીકે મુકાયેલાં ગીતનું વાર્તાની દૃષ્ટિએ ખાસ મહત્ત્વ નથી. જોકે તકનો પુરેપુરો લાભ લઈને શંકરે ગીતને તેમની બહુપસંદ વૉલ્ઝ નૃત્યમાં સજાવ્યું અને શૈલેન્દ્રએ પોતાનાં આમ આદમી તરીકેનાં જીવન મૂલ્યોને - રસ વાચા આપી. :

રૂપયોંકા ચસ્મા ચઢાઓ
યે દુનિયા દીખેગી રંગીલી 
સારે નશે ઈસકે નૌકર 
યે હૈ ચીઝ ઐસી નશીલી
યે ચમ ચમ ઈસીકી
ચમ ચમ ઈસીકી

સપનોંકી રંગીત રાતેં
જૈસે કે આયી દીવાલી
કલ કા ભલા ક્યા ભરોસા
રહેંગે માલિક યા માલી 
હંસકે રુલાયે 
રુલાકે હંસાયે 
યેહી ઝિંદગીકા રવૈયા 



બાગ઼ી સિપાહી (૧૯૫૮)



૨૦૦૦ વર્ષ પહેલાંનાં રોમન સામાજ્ય પર બનેલી ફિલ્મ Quo Vadis (૧૯૫૧), પર ફિલ્મ આધારીત હતી. જોકે હિંદી ફિલ્મોમાં બને છે તેમ મૂળ કથાનકનું મહદ અંશે ભારતીયકરણ કરી દેવામાં આવ્યું હતું. શંકર જયકિશન તો સમયે કોઈ પણ વિષય પરની ફિલ્મ માટે સંગીત રચવા તૈયાર રહેતા. કોઈક વાર તેઓ ફિલ્મના કથાનકના સમયકાળને અનુરૂપ સંગીત આપતા પણ ખરા. 

જોકે પ્રસ્તુત ફિલ્મનાં સંગીતમાં તેઓએ પોતાની મૌલિક સૂઝને આધાર બનાવેલ છે. સમયે તેમના હાથમાં જાદુ હતો એટલે એમને રચેલાં ગીતો લોકચાહના તો મેળવતાં !

અય દિલબર દિલવાલે પ્યાર પે મરનેવાલે - લતા મંગેશકર

શંકર જયકિશનના ધોરણોના પ્રમાણમાં નૃત્ય ગીતની બાંધણી ખાસ્સી મુશકેલ કહી શકાય એવી છે. 



ચિનચન પપ્પુલુ .... છુયી મુયી મૈં છૂ લેના મુઝે છૂ લેના - આશા ભોસલે, મન્ના ડે, કોરસ 

ભવ્ય પૂર્વાલાપ અને શરૂઆતના અનોખા બોલ પછી ગીત હિંદી ફિલ્મોમાં રજુ થતાં શાહી દરબારનાં ગીતોની વાટે ચાલી નીકળે છે.



માન ભી લે તુ અપની યે હાર કિયા નહીં જાતા હૈ પ્યાર - લતા મંગેશકર 

શંકર - દત્તારામની પ્રિય ઢોલકીને બદલે અહીં બોંગો - કોંગો જેવાં તાલવાદ્યોનો બહુ સહજ પ્રયોગ કર્યો છે.



યે રોશની જલતી રહે જાન ભી જાયે તો હોગા હમેં ગ઼મ બેરહમ તેરે સિતમ હોગે કબ તક દેખેંગે હમ યે રોશની જલતી રહે જાન ભી જાયે હોગા હમેં ગ઼મ - લતા મંગેશકર, મન્ના ડે, કોરસ 

નીચા સુરમાં મુખડાની બાંધણીને કૉયર સંગીતની કાઉન્ટર મેલોડીથી મઢી લીધા પછી અંતરાને ઊંચા સુરમાં રજુ કરવાનો મુશ્કેલ પ્રયોગ પણ ગીતને બહુ જટિલ રચનામાં નથી ફેરવી નાખતો.



સમા યે પ્યાર કા બહાર કે યે મેલે ઐસે મેં ઝૂમકે નિકલો અકેલે - મન્ના ડે, આશા ભોસલે 

મન્ના ડે અને આશા ભોસલેનાં ૧૬૫ જેટલાં યુગલ ગીતોની પહેલી હરોળમાં રમતિયાળ, રોમેન્ટીક યુગલ ગીત સ્થાન મેળવી ચુક્યું છે.



યહુદી (૧૯૫૮)



ફિલ્મ પણ ગ્રીક - રોમન સામ્રાજ્યોના ઐતિહાસિક યુગમાં યહુદીઓ પર ગુજારાતા ત્રાસની વાર્તા પર રચાયેલ છે. બિમલ રોય જેવા દિગ્દર્શક હોવા છતાં પણ ઉપરછલ્લા આભાસ સિવાય ફિલ્મ સમયનાં વાતાવરણને જીવંત કરવામાં ઊણી પડે છે. દિલીપ કુમાર, મીના કુમારી, સોહરાબ મોદી જેવા કલાકારો અને શંકર જયકિશનના પારસમણિ સમા સ્પર્શવાળાં ગીતોએ ફિલ્મને ટિકિટબારી પર સારી એવી સફળતા અપાવેલી.

વર્ષના ફિલ્મફેર પારિતોષિકોમાં યે મેરા દીવાનાપન હૈ (મુકેશ) માટે શૈલેન્દ્રને શ્રેષ્ઠ ગીતકાર તરીકે નવાજાયા હતા.

યે દુનિયા હાયે હમારી યે દુનિયા શૈતાનોંકી બસ્તી હૈ હમારી યે દુનિયા - મોહમ્મદ રફી, કોરસ 

સમયની યહુદી કોમની માનસિક સ્થિતિને શૈલેન્દ્ર વાચા આપે છે

દમ લેને કો સાયા હૈ તલવારોંકા 
સો જાને કો બિસ્તર હૈ અંગારોંકા
ક઼દમ ચૂમ તુ સર કે અંધે પીરોં પીરોંકે 
કરના હૈ તો કર સિજદા દીવારોંકા 

……..

બદલ રહી હૈ 
રોઝ બદલતી જાયેગી
બદલ રહી હૈ 
રોઝ બદલતી જાયેગી
દુનિયા કરવટ લેગી ચક્કર ખાયેગી
લેકિન હમ મઝલૂમ ગરીબોંકી ક઼િસ્મત
કબીન હસને દેગી
સદા રુલાયેગી 


દિલમેં હૈ પ્યાર કા તૂફાન ના સમજે કોઈ નાદાન - લતા મંગેશકર 

ગ્રીક - રોમન સામ્રાજ્યના સમયકાળની વાર્તામાં અરબી શૈલીનું ગીત પણ ભારતમાં ચાલે ! નૃત્યગીતમાં મુખ્ય નર્તકી પાછાં શાસ્ત્રીય નૃત્યનાં નિપુણ કલાકાર કમલા લક્ષ્મણ છે!


આતે જાતે પહલુંમેં આયા કોઈ .... મેરે દિલ બતા છુપા આજ સે મૈં તુઝે દિલ કહું યા દિલરૂબા - લતા મંગેશકર, કોરસ

પ્રણયના એકરારને વ્યક્ત કરતં હિંદી ફિલ્મોની બીબાંઢાળ શૈલીનું ગીત છે.


મેરી જાન મેરી જાન પ્યાર કિસસે હો ગયા હૈ - લતા મંગેશકર,કોરસ 

પ્રણય રસમાં તરબોળ પ્રેમિકાના મનોભાવોના થનગનાટને તાદૃશ કરવામાં ગીત જરૂર સફળ રહે છે. 

બેચૈન દિલ ખોયી સી નઝર તન્હાઈયોંમેં શામ સહર તુમ યાદ આતે હો - ગીતા દત્ત, લતા મંગેશકર

ગીતા દત્તના સુવર્ણ કાળમાં પણ શંકર જયકિશને ગીતા દત્તના સ્વરને લગભગ અવગણ્યો છે એવી પણ એક વર્ગની ફરિયાદ રહી છે. દૃષ્ટિએ ગીતનું આગવું સ્થાન ગણી શકાય !

બીજી એક નોંધપાત્ર બાબત છે કે હિંદી ફિલ્મોમાં નૃત્ય ગીતોને આગવું સ્થાન જેમને કારણે મળ્યું કહી શકાય એવાં કક્કુ અને તેમનાં અનુગામી હેલન ગીતમાં સાથે જોવા મળે છે.



શૈલેન્દ્રનાં ગીતોને શંકર (જયકિશન)ની સુરબાંધણીમાં યાદ કરાવતી આપણી સફર હજુ ચાલુ છે. 

 


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.