Friday, July 3, 2026

એચ આર શાહ – કૂવાસ્તંભ સમાન વ્યવસાય સહયોગી, આદર્શ મિત્ર

એચ આર (મૂળ નામ – હરિશ રસિકકલાલ ) શાહ, એમના સમવયસ્ક મિત્રો માટે તેઓ એચઆર હતા, મારા માટે તેઓ શાહ સાહેબ હતા અને હું તેમનો વૈશ્નવ સાહેબ.

૨૩ જૂન ૨૦૨૬ ના રોજ સવારે રાજેશ (હરીશ) શાહનો ફોન આવ્યો, સંદેશો બે જ વાક્યમાં કહેવાયો –

પપ્પા ગયા. તેમની અંતિમ વિદાય સવારે ૧૧ વાગ્યે છે.


રાજેશ વધારે કંઈ કહી શકે તેમ ન હતો, હું પણ વધારે કંઈ પૂછી શકું તે હાલતમાં રહ્યો નહોતો.

હું તરત જ એમના ઘર તરફ જવા નીકળ્યો. રસ્તામાં કાર ચલાવતાં ચલાવતાં મારા મનમાં આશરે ૧૯૮૪ ની સાલમાં આવેલો શાહ સાહેબનો ફોન ઘુમરાઈ રહ્યો.

[શાહ સાહેબ સાથેના મારા વ્યવાસાયિક સંબંધનો પાયો ૧૯૭૯ની આસપાસ નંખાયો. એ શરૂઆતનાં વર્ષોની મારી યાદો મેં અશ્વિન શાંતિલાલ પાલખીવાળાના સંગાથનાં સંસ્મરણોમાં યાદ કરેલ છે.]  

એ દિવસે હું મારા નિયમ મુજબ ફેક્ટરી – એરિશ ઈક્વિપમેન્ટ મેન્યુ. પ્રા. લિ., વટવા – જવા માટે તૈયારી કરી રહ્યો હતો, ત્યારે શાહ સાહેબનો ફોન આવ્યો કે આપણે ફેક્ટરી કે એકબીજાના ઘર સિવાયની કોઈ જગ્યાએ મળીએ. અમે વિજય રેસ્ટોરન્ટ પર મળવાનું નક્કી કર્યું.

વિજય રેસ્ટોરન્ટ પહોંચતાં મને તો દસેક મિનિટ જ લાગે. એટલા સમયમાં મારા મનમાં વાતનો વિષય શું હોય શકે તેના વિચારો ચાલ્યા. એરિશ હવે સ્થાયી થવા લાગ્યું હતું અને સારી રીતે આગળ વધી શકે એ તબક્કો હજુ માંડ માંડ આવ્યો હતો. થોડા દિવસો પહેલાં જ અશ્વિનભાઈ પાલખીવાલાએ અલગ થઈ જવાનો પ્રસ્તાવ મુક્યો હતો. અશ્વિનભાઈના પ્રસ્તાવે તો માંડ સ્થાયી થઈ રહેલા પાયાને ધરમૂળથી ધ્રુજાવી નાખ્યો હતો. એટલે અમારી વાતનો વિષય આ બાબતને લગતો જ હોય એમ તો અપેક્ષિત હતું.

અશ્વિનભાઈ, શાહ સાહેબ, અરૂણ જે વોરા અને હું એરિશમાં સરખે ભાગે હિસ્સો ધરાવતા હતા. સામાન્ય સમજણ મુજબ તો અશ્વિનભાઈ અને શાહ સાહેબ અનુપ એન્જિનીયરિંગના સમયના મિત્રો એટલે એ બંને એક પક્ષે રહે અને વોરા અને હું ગુજરાત સ્ટીલ ટ્યુબ્સના સમયના મિત્રો એટલે અમે બે એક પક્ષે રહીએ એમ માની શકાય. પરંતુ, એ પરિસ્થિતિમાં કાયદા મુજબની પ્રક્રિયાથી અમારે અલગ થવાની બાબતનો ઉકેલ સહેલાઈથી આવે તેમ નહોતો. અને એખલાસપૂર્ણ વાટાઘાટો શક્ય બને એવું પણ જણાતું નહોતું. એ કારણે અનેક મુંઝવણભર્યા એવા મુદ્દાઓ ઉપસ્થિત થયા હતા જેના વિષે શું વિચાર કરવો એ પણ મને હજુ સુઝતું નહોતું.

શાહ સાહેબનો ફોન આવ્યો ત્યારે આ મુજબની ચોપાટ તો બીછાવાઈ ગઈ હતી. હવે કોણ દાવ ચાલે અને કેવા પાસા પડે તે જ જોવાનું હતું.

અમે રેસ્ટોરન્ટમાં બેઠા અને અમારે માટે કૉફીનો ઓર્ડર આપ્યો, એટલે જરા પણ સમય વેડફયા વિના શાહ સાહબે મને પૂછ્યું કે હું તેમની સાથે રહીને કામ કરવા તૈયાર થઈ શકું?

મારા માટે આ સાવ ન વિચારેલો વિકલ્પ હતો, એટલે હું તરત જવાબ ન આપી શક્યો. એટલામાં કૉફી આવી ગઈ. વાત આગળ વધારતાં તેમણે સ્પષ્ટતા કરી કે આ બાબતે ઘણો વિચાર કર્યા પછી તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે એકબીજાની કૌટુંબીક આર્થિક પરિસ્થિતિને અને બન્નેની વ્યક્તિગત વિચારસરણીને ધ્યાનમાં લેતાં, એમની દ્રષ્ટિએ, આપણે બે સાથે રહીને એરિશ સારી રીતે ચલાવી શકીશું.

આટલાં વર્ષોમાં હું શાહ સાહેબને જેટલો ઓળખી શક્યો હતો એ હિસાબે તેમના પ્રસ્તાવ વિષે મારે કશું કહેવાપણું રહેતું નહોતું. કૉફી પૂરી થતાં સુધીમાં તો બંને સાથે રહીને કામ કરવા સહમત થઈ ગયા.

અને આમ રચાયો શાહ સાહેબ સાથેનો મારો ૪૦ + વર્ષનો મૈત્રી સંબંધનો પાયો, જેનો ભૌતિક અંત શાહ સાહેબના દેહવિલયને કારણે ભલે થયો, પરંતુ લાગણીની ભાવનાને સ્તરે એ સંબંધ ક્યારે પણ વિલય નહીં પામે.   

(અંગત નોંધ: અહીં મારે એટલું ચોક્કસપણે કહેવું જોઈશે કે એ સમયે શાહ સાહેબ વધારે સ્પષ્ટ વિચારો ધરાવતા, સરળ નિર્ણયકર્તા અને વધારે પરિપક્વ હતા. તેમના અનેક ગુણો પૈકી આ ગુણોએ એરિશના જહાજને લાંબા ગાળાની સ્થિરતા બક્ષી અને અમારા ભાવિ મૈત્રીના સંબંધને વિકસાવ્યો અને જાળવ્યો.) 

૪૦ + વર્ષોનો મૈત્રી સબંધ

દેખીતી રીતે અમારો સંબંધ તો સમયની માંગમાંથી ઉદભવેલો ઔપચારિક, વ્યાવસાયિક સંબંધ હતો. એ સંબંધ અંગત મૈત્રી અને પારિવારિક ઘનિષ્ટતામાં ફેરવાઈ શક્યો તેનું સંપૂર્ણ શ્રેય શાહ સાહેબની ધર્મનિષ્ઠ વિચારધારા, સાદગીમય જીવનશૈલી અને ઉમદા પ્રકૃતિને ફાળે છે.

વ્યાવસાયિક બાબતોમાં શાહ સાહેબ જેટલા વ્યવહારકુશળ હતા એટલા જ માનવીય સંબંધોમાં તેઓ ધર્મનિષ્ઠાવાન હતા. ધર્મના રીતરિવાજના પાલનની બાબતે તેઓ ચુસ્ત હતા, પરંતુ ધર્મના સિદ્ધાંતો અને ઉપદેશોની સરળ સમજ તેમણે ગ્રહણ કરી હતી અને પોતાના જીવનમાં ઉતારી હતી. તેનું સીધું પ્રતિબિંબ જીવન પ્રત્યેના તેમના સાધુમય અનુરાગમાં જોવા મળે છે.

પોતાની પ્રકૃતિ અને મૂલ્યો સાથે મેળ ખાતી વ્યક્તિઓ સાથે તો તેમના સંબંધ ઊંડાણભર્યા તો રહેતા જ, પણ તે સિવાય તેમની સાથે પરિચયમાં આવેલ કોઈ પણ વ્યક્તિ સાથે પણ તેઓ કોઈ જાતના ભાર વિના સંબંધ બાંધી શકતા અને જાળવી પણ રાખી શકતા. આ વાતની સાહેદી માટે એક ઉદાહરણ જ પુરતું થઈ રહેશે. અનુપ એન્જિનીયરિંગના કાર્યકાળ દરમ્યાન તેમને વેચાણની વાટાઘાટો માટે અતુલ લિ.ની મેનેજમેન્ટ સાથે બહુ સારો પરિચય થયો હતો. એરિશ ચાલુ કર્યા પછી શાહ સાહેબને એ જ માન અને સ્વીકૃતિ અતુલમાંથી મળ્યાં. જેના ફળ સ્વરૂપે મહદ અંશે એક જ ગ્રાહક પર નિર્ભર રહીને પણ એરિશને કામની ક્યારેય ખોટ ન પડી. એટલું જ નહીં પણ એ કામના અનુભવે આજે એરિશ મધ્ય-કદની ઓટોકલેવ માટે નિપુણ અને વિશ્વસનીય પુરવઠાકાર તરીકેનું સ્થાન ભોગવે છે.

શાહ સાહેબના સંપર્કોની મદદથી એરિશનાં શરૂઆતનાં વર્ષોમાં આવેલા ટેકનીકલ પડકારોના ઉકેલો શીખવામાં તેમજ અમલ કરવામાં મને પણ બહુ જ મદદ મળી. પ્રેસર વેસલ ઉત્પાદનને લગતા કોડ્સ વગેરેની મને જે સમજ પડી છે તે શાહ સાહેબના સંપર્કો દ્વારા જ્ઞાનના વિના સંકોચ મને થયેલાં હસ્તાંતરણને જ આભારી છે. ૧૯૯૨પછી મેં અલગ માર્ગ પર મારી કારકિર્દી આગળ ચલાવી તે પછી પણ શાહ સાહેબના એ બધા મિત્રોની મને મદદ અને માર્ગદર્શન મળતાં જ રહ્યાં.

૧૯૯૨ માં કારકિર્દીની મારી અંગત પસંદગીને કારણે અમારે વ્યાવસાયિક સ્તરે અલગ પાડવાનું થયું. એ સમયે પણ શાહ સાહેબે બહુ જ મોટું મન રાખીને પરિસ્થતિને સહજ બનાવી. એ તબ્બકે, જ્યાં સુધી તેમનો પુત્ર, રાજેશ, તેમની પડખે આવા સક્ષમ થયો ત્યાં સુધી તેમણે જે રીતે એકલા હાથે એરિશનું સુકાન બહુ જ સફળતાપૂર્વક સંભાળ્યું તે તેમની વ્યાવસાયિક કુનેહનું બહુ મોટું પ્રમાણ છે. વયની માંગ અનુસાર તેમણે એટલી જ વિરક્તિથી એરિશનો સંપૂર્ણ અખત્યાર રાજેશને સોંપી પણ દીધો અને તેમના જીવનને વધારે ધર્મમય બનાવ્યું. જીવનમાં આ બધાં પરિવર્તનો તેમણે જે સહજતાથી અપનાવ્યાં તે તેમની ધર્મપ્રત્યેની આધ્યાત્મિક કક્ષાની અનુભૂતિનું આ જીવન દરમ્યાન જ પ્રાપ્ત થયેલ ફળ બની રહ્યું.

શાહ સાહેબ અને નિર્મળાભાભી

વ્યાવસાયિક સંબંધે અમારા માર્ગ ફંટાયા તે પછી પણ શાહ સાહેબે અમારા મૈત્રીના સંબંધમાં જરા પણ ઓટ ન આવવા દીધી, બલ્કે તેને વધારે પ્રગાઢ કરી. તેમણે એરિશના બૉર્ડ પર મને આગ્રહપૂર્વક ચાલુ રાખ્યો. ૨૦૧૧ માં જ્યારે મેં મારી વ્યાવસાયિક કારકિર્દીમાંથી નિવૃતિ લીધી ત્યારે મેં તેમને એ ઔપચારિક જવાબદારીમાંથી મને મુક્ત કરવાની વિનંતી કરી. ત્યારે, તેમણે જ નહીં, રાજેશે પણ ક્ષણભરનો વિચાર કર્યા વિના ‘એમ નથી કરવાનું’ કહીને હવે તો સાવ નામ ખાતર જ મને બૉર્ડ પર ચાલુ રાખ્યો. શાહ સાહેબ, અને તેમનો પરિવાર, સંબંધોને પણ કેટલું મહત્વ આપે છે તેનું આ તો હું એક બહુ સાધારણ ઉદાહરણ જ ગણું છું.

૨૦૧૧ પછી અમારા વચ્ચે એક એવી વણકહી સમજણ નક્કી થઈ હતી કે સામાન્યપણે, તેમને અનુકૂળ હોય ત્યારે, શાહ સાહેબ જ ફોન કરશે. એ વ્યવસ્થા મૂજબ એકદમ નિયમિતપણે તેમનો ફોન બે ત્રણ અઠવાડીએ અચૂક આવે અને એકબીજાના તેમજ અન્યોન્યના પરિવારના ખબરઅંતર પૂછવા ઉપરાંત બીજા કેટલાય વિષયો વિષે અમારે વાત થાય.

વધતી જતી ઉમરના હિસાબે હવે આટલી આત્મીયતાથી વાત કરી શકાય એવા મિત્રો ઘટતા જાય છે એવો સુર છેલ્લા થોડા સમયથી એમની વાતમાં આવતો રહેતો. તે વખતે એવી તો કોને ખબર હોય કે જીવનના મંચ પર એ સંવાદ કરનાર પાત્ર તરીકે તેઓ મને એકલો મૂકી જશે !

આજે આ લખતાં જ્યારે શાહ સાહેબની લાગણીની એ જ હુંફ અનુભવાય છે ત્યારે એટલો રંજ રહે છે કે અમે જે વર્ષો મુન્દ્રા હતાં એ સમયમાં કચ્છના જૈન ધર્મનાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા માટે હું તેમને ભારપૂર્વક મનાવી ન શક્યો. રંજ તો એ વાતનો પણ રહે છે કે છેલ્લાં એકાદ બે વર્ષમાં જેટલું વધારે મારે એમને રૂબરૂ મળવું જોઈતું હતું એટલું મળી શકાયું નહીં. છેલ્લે, ડિસેમ્બર ૨૦૨૫ માં, પૂણે જતાં પહેલા (મારા પુત્ર) તાદાત્મ્ય સાથે આપણે જરૂર મળીએ એવી એમની ઈચ્છા પુરી કરી શકાઈ એટલો સંતોષ માનીને મન મનાવી લેવું પડે છે.

Tuesday, June 30, 2026

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૪ – મણકો : ૬_૨૦૨૬

 

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૪ મા સંપુટના મણકા - _૨૦૨૬માં આપનું સ્વાગત છે.

હિંદી ફિલ્મ સંગીતના સુવર્ણ યુગનાં અગ્રીમ પંક્તિનાં એક વધારે ગાયિકા, સુમન કલ્યાણપુર (૨૮ જાન્યુઆરી ૧૯૩૭ - ૩૧ મે ૨૦૧૬) પણ દેહવિલય પામ્યાં.


એક ગીતથી તેમને અંજલિ આપવાની હોય તો હું ચાંદ કંવલ મેરે ચાંદ કંવલ ચુપચાપ સો જા યું ના મચલ (સાંજ ઔર સવેરા, ૧૯૬૪ - ગીતકારઃ હસરત જયપુરી - સંગીત શંકર જયકિશન) પસંદ કરૂં.


સુમન કલ્યાણપુરને અપાયેલી કેટલીક અન્ય અંજલિઓ - 

RFPA Mourns the Loss of Legendary Playback Singer Suman Kalyanpur

𝑹𝒂𝒉𝒆𝒊𝒏 𝑵𝒂 𝑹𝒂𝒉𝒆𝒊𝒏 𝑯𝒖𝒎 𝑴𝒆𝒉𝒌𝒂 𝑲𝒂𝒓𝒆𝒏𝒈𝒆સુમન કલ્યાણપુર જાહેરમાં આવવાનું ટાળતાં, ઇન્ટરવ્યુ તો જવલ્લે આપ્યા. એવા થોડા ઇન્ટરવ્યુ પૈકી તેમણે આકાશવાણી પર ૨૦૦૪માં મરાઠીમાં[1], ૨૦૦૫માં અમીન સાયાનીને સંગીત કે સિતારેકી મેહફિલ[2]  માટે આપેલ અને તેમને પદ્મ ભુષણ એનાયત થયો ત્યારે દુરદર્શન પર ૨૦૨૩[3] માં આપેલ ઇન્ટરવ્યુની ખાસ નોંધ લઈએ.

In Memoriam: Suman Kalyanpur, an epitome of talent, grace and dignity, વિવિધ સંગીતકારો માટે સુમન કલ્યાણપુરે ગાયેલાં યાદગાર સૉલો ગીતો.

Non-film Hindi Songs by Suman Kalyanpurકેટલાંક ચુંટેલાં ગીતો….

Ten of my Favourite Suman Kalyanpur Songsસૉલો અને યુગલ ગીતો

Remembering Suman Kalyanpur – 1 - નરગીસ અને મધુબાલા જેવા ખાસ અપવાદોને બાદ કરતાં સુમન કલ્યાણપુરે તેમના સમયની બધી અભિનેત્રીઓ માટે કંઠ આપ્યો 

A journey so sonorous - Ranjan Das Gupta - ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ 'હિંદુ' ખાસ આપેલો ઇન્ટરવ્યુ

આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો તરફ વળીશું  –

આશા ભોસલેને અંજલિઓનો પ્રવાહ હજૂ ચાલુ છે.... ……

Five Favorite Asha-sung Mujras (RIP, Asha Bhosle)

·       તોરા મન બડા પાપી સાંવરિયા - હેલન માટે ગવાયેલ મુજરો

·       હમેં મારો ના  - બેક઼સી હદ સે જબ  કરતાં આ નૃત્ય ગીતમાં વધારે વૈવિધ્યપૂર્ણ આયામો છે 

·       સાક઼ીયા આજ મોહે નીંદ નહીં આયેગી - આશા ભોસલે એ ગીતનો ઉપાડ જ કમાલનો કરેલ છે. ગીતમાં બીજી ધ્યાનાકર્ષક વિગત કોરસ નૃત્ય દરમ્યાન સિનેમેટોગ્રાફર વી કે મુર્તીએ પ્રકાશની છાયાનો કરેલો અદ્‍ભૂત પર્યોગ છે. 

·       નઝર લાગી રાજા તોરે બંગલે પર  -  બહુ જાણીતી વાત છે કે આ ગીતનું મૂળ તો બહું જૂનું છે. કેટલાંક તો એમં પણ દાવો કરે છે કે આ ગીત બહાદુર શાહ ઝફરે લખ્યું છે. સંદર્ભઃ  “Nazar Lagi Raja Tore Bangle Par” and Zarina Begum)

·       દિલ  ક્યા ચીઝ હૈ - આશા ભોસલેનો એક ્જ ્મુજરો યાદ ્કરવો હોય તો કદાચ આ સૌ પહેલાં યાદ આવે

રંગત - ૩ - આ પણ આશા 

v  દૃઢ મનોબળ અને સર્વતોમુખી ગાયકી શૈલીનાં અધિષ્ઠાતા તરીકે આશા ભોસલેનો ઉદય

v  મુખ્ય ગાયિકા તરીકે એસ ડી બર્મન સાથેનાં ગીતો

v  અન્ય સંગીતકારો સાથેનાં વિવિધ પ્રકારનાં ગીતો

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

·       Amitabh Bachchan, Govinda’s inspiration, Bhagwan Dada went from ‘millionaire to pauper’ - ભગવાન દાદાની કારકિર્દી મુંગી ફિલ્મોથી શરૂ થઈ અને પછી તો સ્ટાર બની ગયા - મુંબઈમાં ૨૫ રૂમનો બંગલો હતો અને અઠવાડીયાના દરેક દિવસ માટે જુદી ઇમ્પોર્ટેડ ગાડીઓ હતી. તેમાંથી બધું ગુમાવ્યું અને મુંબઈની એક ચાલમાં ગુમનામ દશામાં મૃત્યુ પામ્યા.

On death anniversary of Showman Raj Kapoorsahab it can be said that his jubilee films are uncomparable

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૧૧મા સંસ્કરણના મે ૨૦૨૬ના અંકમાં મદન મોહન અને મોહમ્મદ રફીનાં સોલો ગીતોઃ વર્ષ ૧૯૬૧ અને ૧૯૬૪ભાગ [૧] ને યાદ કર્યાં છે. આ પહેલાં

વર્ષ ૧૯૫૦ થી ૧૯૫૬નાં ગીતો ૨૦૨૪માં અને,

વર્ષ ૧૯૫૭ થી ૧૯૫૯નાં ગીતો ૨૦૨૫માં

આપણે સાંભળી ચુક્યાં છીએ.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Songs of Yore completes 16 years

The 𝑻𝒆𝒆𝒓, 𝑻𝒂𝒍𝒘𝒂𝒂𝒓, 𝑫𝒂𝒏𝒅𝒂 Songs - વિશ્વના અનેક ભાગોમાં ચાલી રહેલાં યુદ્ધોને કારણે હિંદી ફિલ્મોનાં ગીતોમાં પણ અસ્ત્ર - શસ્ત્રના ઉલ્લેખને ખોળી કાઢવાનું મન થયું. 

અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ:

જૂન ૨૦૨૬માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં બિન બાદલ બરસાત (૧૯૬૩) નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે. ૬૦ ફિલ્મોનાં ટાઈટલ ગીતો આવરી લેતી આ શ્રેણી હાલ પુરતી અહીં પુરી થાય છે.

વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને તાલવાદ્યો () – પખાવજ ને  લગતાં યાદગાર ગીતોને રજૂ કરે છે..

દિપક સોલીયાની શ્રેણી 'ધિક્કારનાં ગીતો' માં કદર ના જાની, કદર ના જાની વિષય હેઠળ હમેં તુમસે પ્યાર કિતના યે હમ નહીં જાનતે, મગર જી નહીં સકતે તુમ્હારે બિના  - કિશોર કુમાર અને પરવીન સુલ્તાના ના સ્વરમાં - નો ઉલ્લેખ કરતાં કહે છે કે ગીત સાંભળીએ તો એવું લાગે કે એક પુરુષ શાંતિથી ઊભો ઊભો તેની પ્રેમિકાને કહી રહ્યો છે; પદ્યમાં નહીં, બલ્કે જાણે ગદ્યમાં વાત કરી રહ્યો છે કે હું તને કેટલી ચાહું છું એ તો ખબર નથી, પણ એટલી ખબર છે કે તારી વિના જીવી નહીં શકું..

દિગ્દર્શન અને સંગીતનું સાયુજ્ય એટલે ‘ભારત એક ખોજનું ત્રીજા મણકામાં વેદ કાળનાં લોકો અને ઋગ્વેદ માં સંગીતને શી રીતે વણી લેવાયું છે તે રજૂ થાય છે.

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવમાં  સુમન કલ્યાણપુરને અંજલિ રૂપે મોહમ્મદ રફી સાથેનાં તેમનાં ૧૪૦ + યુગલ ગીતોમાંથી  જાણીતાં, પણ થોડાં યાદ કરવાં પડે એવાં પાંચ યુગલ ગીતો વર્ષ ૨૦૨૬ના હવે પછીના દરેક અંકમાં યાદ કરવાનું આયોજન કરેલ છે -

દિન હો યા રાત હમ રહેં તેરે સાથ - મિસ બોમ્બે (૧૯૫૭) - ગીતકારઃ પ્રેમ ધવન - સંગીતઃ હંસ રાજ બહલ


જબ સે હમ તુમ બહારોંમેં - મૈં શાદી કરને ચલા (૧૯૬૨) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ ચિત્રગુપ્ત 



તેરે હમ ઓ  સનમ તુ જહાં મૈં યહાં  - બચપન (૧૯૬૩) - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ સરદાર મલિક 


ઈરાદા ન થા આપસે પ્યાર કા - આંધી ઔર તુફાન (૧૯૬૪) - ગીતકારઃ ફારૂક઼ ક઼ૈસર - સંગીતઃ રોબિન બેનર્જી 



કેહદો કેહદો જહાં સે કેહદો ઈશ્ક઼ પર ઝોર નહી - એપ્રિલ ફૂલ (૧૯૬૪) - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન



આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૬માં આપણે ઓ પી નય્યર રચિત  મોહમ્મદ રફીનાં યુગલ ગીતો યાદ કરીશું. હમણાં મોહમ્મદ રફીએ આશા ભોસલે સાથે ગાયેલાં ઓ પી નય્યર નાં યુગલ ગીતો સાંભળી રહ્યાં છીએ. ......

આપ યું હી અગર હમસે મિલતે રહેં - એક મુસાફિર એક હસીના (૧૯૬૨) ગીતકાર: રાજા મહેંદી અલી ખાન 



મૈં પ્યાર કા રાહી હું - એક મુસાફિર એક હસીના (૧૯૬૨) ગીતકાર: રાજા મહેંદી અલી ખાન



બહુત શુક્રિયા બડી મેહરબાની - એક મુસાફિર એક હસીના (૧૯૬૨) ગીતકાર:  એસ એચ બિહારી



તુમ્હેં મુહબ્બત હૈ હમસે માના - એક મુસાફિર એક હસીના (૧૯૬૨) ગીતકાર:  એસ એચ બિહારી 



તેરી તલાશમેં ... ઈરાન હમને દેખા - એક મુસાફિર એક હસીના (૧૯૬૨) ગીતકાર:  શેવાન રિઝ્વી



હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.