Wednesday, February 25, 2026

તાદાત્મ્ય - નવી પેઢીનું પગરણ.....

 

આજથી પિસ્તાળીસ વર્ષ પહેલાં, ૨૫ ફેબ્રુઆરી (૧૯૮૧) ના રોજ, વિધાતાએ અમારા જીવનમાં, અમારાં સંતાન (પુત્ર)ના જન્મના રૂપમાં, એક નવો અધ્યાય લખવાનું કામ હાથમાં લીધું. તે દિવસોમાં અમદાવાદ તણાવપૂર્ણ હતું, ચારે તરફ "અનામત" ના વિરોધનું વાતાવરણ હતું. જોકે, નામકરણ સમયે અમારા હવે વિસ્તાર પામેલા પરિવાર વચ્ચેના સંબંધના પ્રતીક તરીકે તાદાત્મ્ય (સંસ્કૃત. તત્ + આત્મ્ય; ભિન્ન પ્રતીતિ થવા છતાં વસ્તુત: અભિન્નપણું.)[1] નામ પસંદ કરવામાં અમને લગીરેય વિરોધ નહતો. એ સમયની પ્રથા અનુસાર, માતૃ પક્ષના નામ તરીકે 'તત્પર' સ્વીકારાયું.

તાદાત્મ્યને તેડેલા મહેશભાઈ - બાજુમાં સંદીપ અને ગાયત્રી; (પાછળ) તેમનાં મા અને મારાં પિત્રાઈ બેન દેવીબેન અને પીઠ દેખાય છે તે પુર્ણિમાકાકી 

લગભગ એક મહિના પછી, અમદાવાદનાં તણાવભર્યાં વાતાવરણથી દુર થવા અને પુરતો આરામ મળી રહે તે માટે સુસ્મિતા અને કુંજલતાબેન તાદાત્મ્યને સાથે લઈને ભુજ રહેવા ગયાં 

કુંજલતાબેન તાદાત્મ્ય સાથે – ભુજ


સુસ્મિતા પાછા આવ્યા પછી
, તાદાત્મ્યની હાજરી સાથેના નવા સંદર્ભમાં અમારૂ જીવન સ્થિર થવા લાગ્યું.

(ચૈતન્ય પટણી, હું, સંજય, તાદાત્મ્યને તેડીને સુસ્મિતા તાદાત્મ્ય, કુંજલતાબેન, બેન)

તાદાત્મ્યને પારણામાં હીંચકાવાનું ખૂબ ગમતું -  ખાસ કરીને રાત્રે સૂતી વખતે. તેને વાર્તાઓ સાંભળતા રહેવાનું અને તેમ નહીં તો વાતો કરતા રહેવાનું બહુ ગમતું. સામાન્ય રીતે, આ કામ સુસ્મિતાને ભાગે આવતું. જો કે, જો બેન (દાદી) અથવા મહેશભાઈ (દાદા) અમદાવાદમાં હોય, તો પછી બીજાં કોઈ ન ચાલે. પરંતુ કદાચ તેને આ કામમાં સૌથી વધારે મોટા અમ્મા (પરદાદી) ગમતાં. સાર એવા હીંચકા ખાધા  પછી, જ્યારે તે સંપૂર્ણપણે શાંત થઈ જાય, અને સૂઈ ગયો હોય તેવું લાગેતું, એટલે મોટા અમ્મા પારણાને હીંચકાવવાનું બંધ કરે. તાદાત્મ્ય, ભરપુર નીંદરમાં આવી જવા છતાં, હજુ હીંચકાવો એવો રાગ રેલાવે. એ તબક્કે, મોટા અમ્માને રાહત આપવાના અમારા પ્રયાસો તાદાત્મ્યને સ્વીકાર્ય ન હોય!

બાળકના પહેલવેલા વાળ ઉતરાવવાના સંસ્કારની વિધિ જાન્યુઆરી ફેબ્રુઆરી ૧૯૮૩ વિધિપૂર્વક કરવામાં આવી.

તાદાત્મ્ય-  બાળસહજ તોફાની સ્મિત અને નવા વાળની ઉગતી કાળી ઝાંય સાથે


તાદાત્મ્યના નવા વાળ ઉગવાની સાથે, મેં દાઢી વધારવાનો પ્રયોગ કર્યો હતો!

બાળપણના આ તબક્કામાં તાદાત્મ્યનો સતત રહેલો વિકાસ અમારા માટે પણ ખૂબ જ ખુશહાલીનો તબક્કો રહ્યો.


તાદાત્મ્યને વાંચનમાં જેમ જેમ રસ પડવા લાગ્યો તેમ તેમ અમને એની ઉમરે રસ પડે એવાં પુસ્તકો શોધતાં રહેવાની મજા માણવા મળવા લાગી. પછીથી તો હું મારા કામ અંગે જ્યારે પણ બહારગામ જતો ત્યારે એક પુસ્તક ખરીદી લાવવું એ તો લગભગ વણલખ્યો નિયમ બની ગયો હતો..


૧૯૮૩ થી ૧૯૮૪-૮૫ દરમિયાન
, અમારા પિતરાઈ ભાઈ સુધાકરભાઈ (ચમનલાલ ધોળકિયા) ને અમદાવાદમાં પોસ્ટિંગ મળ્યું હતું. પરિણામે, તેમના પુત્ર ભવ્ય સાથે તાદાત્મ્યને હમઉમ્ર સાથનો  સારો મોકો મળ્યો.


તેમાં થયું એવું કે તાદાત્મ્યને ઘરમાં ઘરમાં એટલી પ્રવૃતિઓ મળી ગઈ કે પ્રગતિનગરમાં પોતાને ઘરેથી જ બાળમંદિર ચલાવતાં પદ્માબેનની 'કેજી'માં તેને શરૂઆતમાં જરા પણ ગોઠ્યું. બહુ લાંબા સમય સુધી તાદાત્મ્ય સ્કૂલમાં હોય એટલો બેન (તાદાત્મ્યનાં દાદી)ને બહાર બેસવું પડતું હતું. થોડી થોડી વારે બહાર આવીને તાદાત્મ્ય જોઇ જાય કે બેન બહાર છે ને ! પછી સ્કૂલેથી છૂટે ત્યારે જાણે કાંઇ જ બન્યું નથી એમ આજે સ્કૂલમાં શું શીખવાડ્યું તેનું વિગતે વર્ણન કરે ! ઘરે આવીને પહેલું કામ મમરા અને સેવનો નાસ્તો કરવાનું રહેતું. પ્રાથમિક શાળામાં જવાનું શરૂ કર્યું ત્યારે પણ તાદાત્મ્યની સાથે લઈ જવાના નાસ્તામાં 'સેવમમરા' ખાસ પસંદ રહેતી. પછીથી તો એના શાળાના મિત્રોને પણ એ એટલું ભાવવા  લાગ્યું કે તેઓ પોતાનું પરાઠા વગેરેનું લંચબોક્ષ તાદાત્મ્યના સેવમમરા સાથે અદલાબદલી કરતા.

તાદાત્મ્ય - તેના ખૂબ જ લાક્ષણિક 'શરારતી' મૂડમાં

'કેજી' ફેન્સી ડ્રેસ હરિફાઈનો કાર્યક્રમ ગોઠવાયો હતો. તાદાત્મ્ય તેમાં એ લોકોના રિક્ષાવાળા 'માધુભાઈ' બન્યો. બીજો એક સહાધ્યાયી, તાદાત્મ્ય અમને સમજાવતો એમ, 'કેન્સીકેન્દ્રા' બનવાનો હતો. તાદાત્મ્યને પૂછીએ કે એ પાત્ર શું હશે તો બહુ ઠાઠથી સમજાવે કે એ એક જાતનું પક્ષી છે! કાર્યક્રમના દિવસે અમને ખબર પડી કે વાત 'કિંગ સિકંદર'ની થી રહી હતી.

એકંદરે, તાદાત્મ્યનાં પૂર્વ-પ્રાથમિક શાળાકાળનાં વર્ષો આંખના એક પલકારાની જેમ જ પસાર થઈ ગયેલાં લાગ્યાં.


એરીશ ઇક્વિપમૅન્ટના મારા સાથીદાર, અશ્વીનભાઈ પાલખીવાલાના સાળા - શ્રી અશોકભાઈ સી. ગાંધી - એજી સ્કૂલના ટ્રસ્ટમાં ટ્રસ્ટી હતા. તેથી, સદ્‍નસીબે, તાદાત્મ્યનો પ્રાથમિક શાળામાં પ્રવેશ ખૂબ જ સરળતાથી પાર પડ્યો.

શાળાએ જવા માટે તૈયારી કરતાં થોડી નારાજગી થોડી શરારતના તાદાત્મ્યના મૂડને ઝીલી લેવાના પ્રયાસમાં હલી ગયેલા કૅમેરાએ સુસ્મિતાની તસ્વીર અસ્પષ્ટ કરી દીધી.

અહીં પણ તાદાત્મ્યને તેના નવા મિત્રો સાથે મનમેળ બેસાડતાં થોડો સમય લાગ્યો,

તાદાત્મ્ય - રમતિયાળ મૂડમાં શાળાએ જવા માટે તૈયાર

તાદાત્મ્ય હવે શાળાની અન્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતો થઈ ગયો હતો. છઠ્ઠાં ધોરણમાં તાદાત્મ્યએ એક નાનકડી નાટિકામાં સમ્રાટ અશોકને દીક્ષા આપનારા બૌદ્ધ ભુક્ષુની ભૂમિકા ભજવી.


પછીથી તો તેનાં પ્રાથમિક શાળાકાળનાં વર્ષો તો લગભગ ઓટોપાયલટ પર જ પસાર થઈ ગયાં..

આજે હવે પાછળ જોતાં, એવું કહી શકાય કે તેની કિશોરવય સ્વાભાવિકતાની સાથે સાથે પોતાના આગવાં વ્યક્તિત્વનો વિકાસ પ્રાથમિક શાળાકાળ પુરો કરવાની સાથે જ શરૂ થઈ ગયો હતો!

જ્યારે તાદાત્મ્ય પ્રાથમિક શાળાના તબક્કામાં પહોંચ્યો, ત્યારે તેનો વિકાસ સ્વ-પ્રેરિત બની ચુક્યો હતો. હું મારા વ્યાવસાયિક પ્રવૃતિઓમાં વધારે પડતો વ્યસ્ત થઈ ગયો હતો. અમારી, ખાસ કરીને મારી, ભૂમિકા પણ તાદાત્મ્યના વિકાસ પથ માટે આવશ્યક સુવિધા પાડનાર બની રહી હતી. ક્યારેક જ્યારે સ્કૂલરિક્ષા ન આવતી, ત્યારે મારે તાદાત્મ્યને શાળાએ મુકવા જવાનું થતું. અમે રસ્તામાં તેના સહાધ્યાયી નીરજ (સક્સેના) ને લેવા જતા. અમે અમારી પ્રીમિયર પદ્મિની કાર ખરીદી  ત્યાર પછીથી તાદાત્મ્ય અને નીરજ હંમેશા આવા પ્રસંગોએ શાળાએ જવા માટે કાર સવારી માટે આતુર રહેતા. તનય (તાદાત્મ્યના પુત્ર) ના યજ્ઞોપવિત સમારંભ દરમિયાન (૨૦૨૪ માં) જ્યારે નીરજ મને મળ્યો, ત્યારે તેણે આવી સવારીઓને બહુ પ્રેમથી યાદ કરી. નીરજને બરાબર યાદ હતું કે ભારે ચોમાસાના દિવસોમાં શાળાએ જવાનાં એકાદ બે સ્થળોએ બહુ પાણી ભરાઈ જતું. તાદાત્મ્ય અને નીરજ એવી એકાદ જગ્યાએ કાર ફસાઈ જાય તેની આતુરતાથી રાહ જોતા. એ લોકોને રસ રહેતો કે ગંદા પાણીમાં ઉતરીને ગાડીને ધક્કા મારવાની મજા લુંટવા મળે. શાળામાંથી તેમને હક્કપૂર્વકની એક દિવસની રજા મળેએ પાછું બોનસ. જોકે, નીરજે વસવસો પણ વ્યક્ત કર્યો કે મેં તેમની ઇચ્છા ક્યારેય પુરી થવા દીધી નહીં!

જોકે એ બન્નેની ધક્કા મારવાની મજા માણવાની એક બીજી તક એ લોકો જ્યારે અગીયારમા ધોરણમાં હતા ત્યારે છપ્પર ફાડીને મળી. ગોરાકાકા (મારા કાકા - જનાર્દન્ભાઈ પ્રાણલાલ વૈષ્ણવ)એ પોતાનું મૉપેડ, લ્યુના, ક્લાસીસમાં જવાની સગવડ થાય એ માટે આપ્યું. જોકે લ્યુનાની હાલ એવી હતી કે એ રસ્તા પર્ચાલ્યું તેના કરતાં મીકેનીકને ત્યાં રીપેરીંગમાં વધારે રહ્યું. એ (બીચારાં) મૉપેડ પર તાદાત્મ્ય અને નીરજ ડબલ સવારીની અને રસ્તે ચાલતાં મૉપેડ રીસાય ત્યારે ખેંચીને મીકેનીક પાસે લઈ જવાનો 'લ્હાવો' માણ્યો.

મારાં વ્યાવસાયિક કામકાજ માટે હું દરરોજ વહેલી સવારે વટવા જવા નીકળી જતો અને (મોડી) સાંજે  પાછો આવતો. તેને કારણે મારે અને તાદાત્મ્યને સવાર પછી ફરી મળવામાં મોટો ગાળો પડી જતો. પરિણામે હું અને તાદાત્મ્ય, બંને ઘરે પહોંચતાની સાથે જ રૂબરૂ મુલાકાતની રાહ જોતા. તાદાત્મ્ય દરવાજા પર રાહ જોતો હોય. ઘંટડી વાગતાની સાથે જ, તાદાત્મ્ય દરવાજો ખોલે અને દરવાજા પર જ પોતાની દિવસની પ્રવૃત્તિઓનું બયાન રજૂ કરી દે!

જ્યારે અમે મીરા એપાર્ટમેન્ટમાં (૧૯૯૩માં) શિફ્ટ થયા, ત્યારે તાદાત્મ્યનો પ્રગતિનગરમાંની તેની રોજબરોજની આઉટડોર રમતો માટેનો સંપર્ક ટૂટી ગયો. એ નુકસાન તેણે ઇન્ડોર (મોડિફાઇડ) ક્રિકેટ-કમ-સ્ક્વોશના ઇન્ડોર જુગાડ વડે તે નુકસાન ભરપાઈ કર્યું. ડ્રોઇંગ રૂમથી પહેલા માળના પેન્ટહાઉસ લિવિંગ રૂમમાં સીડી પર ત્રણ પગથિયાં ચડીએ એટલે સામે ખુલ્લી દિવાલ હતી. તાદાત્મ્ય તેના બેટથી બોલને ફટકારીને બોલને બાઉન્સ-બેક કરવા દિવાલનો ઉપયોગ કરીને પોતાની રમત રમી લેતો.

એ વર્ષોમાં એક વર્ષે તાદાત્મ્યના વેકેશન દરમ્યાન અમે બહારગામ ફરવા જવાનું નક્કી કર્યું હતું. પણ વ્યવસાયનાં કામને કારણે એ આયોજન તો પડતું મુકવું પડ્યું. એટલે અમે છેલ્લી ઘડીએ અમારી સુમો લઈને સૌરાષ્ટ્રની ટ્રીપ પર જવાનું નક્કી કર્યું. પહેલે દિવસે રાજકોટ પહોંચ્યાં. ત્યાં પહેલાં અમે નિમેશ (મારાં ધનામાસી પ્ર્દ્યુમ્નભાઈ માંકડના પુત્ર)ને ઘરે ગયાં ત્યાંથી બધાં ભેગાં થઈને મારાં ફઈના અને (તાદાત્મ્યનાં નાનીના પણ) દીકરા સુધાકર (ચમનલાલ ધોળકિયા)ના પરિવારને સાથે લઈને આજી ડેમ ફરવા ગયાં પાછાં ફરતાં રાજકોટના (બરફ્ના ગોળા પર ખુબ મોટો આઈસક્રીમ રેડેલો) ગોલો બધાંએ ખાધો. રાત સુધાકરભાઈને ત્યાં રહીને બીજે દિવસે અમે જૂનાગઢ ગયાં. રાજકોટથી સુધાકરભાઈનાં સંતાનો ઉત્કંઠા અને ભવ્ય અમારી સાથે જોડાઈ ગયા. મહેશ (દિલીપરાય માંકડના પુત્ર - મારા ખાસ મિત્ર) જૂનાગઢમાં કલેક્ટર હતા. મહેશે સાસણમાં અમારી એક રાત રહેવાની વ્યવસ્થા કરાવી આપી. સવારનું જમણ મહેશને ત્યાં જમી અમે સાંજે સાસણ પહૉચ્યાં હવે મહેશનાં સંતાનો - અનંગ અને હીરવા- પણ અમારી સાથે હતા> બીજે દિવસે સાસણ વિહાર કરીને અમે અહમદપુર માડવી થઈને દીવ પહોંચ્યાં. દીવ અમે ત્રણ રાત અને બે દિવસ રહ્યાં. પાછાં ફરતી વખતે મહેશ અને તનાં પત્ની હર્મિલા (સુસ્મિતાનાં ફઈ બબીફઈનાં દીકરી) પોતાની કાર લઈને અહમદપુર માંડવીથી અમારી સાથે સોમનાથની સફરમાં જોડાયાં. વચ્ચે એજ ગામમાં ઘરમ ગરમ ગાંઠીયા તળાતા જોયા એટલે પૅક કરાવી લઈને રસ્તામાં તેની મજા માણતાં માણતાં સોમનાથ પહોંચ્યાં. ત્યાંથી મહેશ પરિવાર જૂનાગઢ ગયોઅને અને અમે રાજકોટ થઈને અમદાવાદ પાછાં ફર્યાં. 

દસમા ધોરણની વાર્ષિક પરીક્ષા માટે ઘરે તૈયારી કરતી વખતે, ૧૯૯૬ના વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ રમાતો હતો. ગણિતની પરીક્ષાના સૌ પહેલું પેપર ગણિત હતું. આગલા દિવસે, સુસ્મિતા ચિંતા કરતી રહી, પરંતુ તાદાત્મ્યએ કોઈ જાતના ભાર વગર ટીવી પર કોમેન્ટરી જોઈ. 

૧૨મા ધોરણનાં લાંબા પરવડેલાં વેકેશન દરમ્યાન મારા માસીના દીકરા અક્ષય (ડોલરરાય અને ભાનુમાસી અંજારીઆ)ના પુત્ર હિતાર્થે તાદાત્મ્યને સ્કુટર ચલાવતાં શીખવી દીધું. તે પછી તાદાત્મ્યએ એ માટેનું ડ્રાઈવિંગ લાયસન્સ પણ મેળવી લીધું.


તાદાત્મ્યના  ૧૨મા ધોરણની પરીક્ષા પુરી થયા પછી, કોર્ટમાં ચાલી રહેલા મુકદ્દમાને કારણે એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશમાં વિલંબ થઈ રહ્યો હતો. BITS, પિલાની અને ગુજરાત રાજ્ય બોર્ડ વચ્ચે સંકલનની કેટલીક તકનીકી ખામીઓને કારણે BITS, પિલાનીમાં પ્રવેશનો વિકલ્પ પણ ઉપલબ્ધ નહોતો. જોકે, રત્નમણિ ખાતેના મારા સાથી પ્રકાશ ભટ્ટ KREC સુરતકલ, કર્ણાટકમાં અભ્યાસ કર્યો હતો  ( KREC ૨૦૦૨માં NITK માં અપગ્રેડ થયેલ હતી). તેમનાંમાર્ગદર્શનને પરિણામે REC માં પ્રવેશ મેળવવાનો વિકલ્પ અમારી સામે ખુલ્યો હતો. KREC, સુરતકલ વિશે પ્રકાશ ભટ્ટે બહુ મહત્વની મહિતિઓ આપી અને ત્યાંના શિક્ષણ માટે પણ બહુ ઊંચો અભિપ્રાય આપ્યો હતો. તે ઉપરાંત તેમણે તાદાત્મ્યની પહેલી પસંદગીની શાખા કમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે પણ મહત્વની માહિતી મેળવી આપી -  એ શાખા માટે REC ત્રિચીને ટોચની પસંદગી માનવામાં આવતી હતી, ત્યારબાદ KREC, સુરતકલનું સ્થાન ગણાતું હતું.

એક દિવસ, હું મુંબઈથી મારી સત્તાવાર ટ્રીપ પરથી પાછો ફર્યો ત્યારે અખબારોમાં જાહેરાત હતી કે બધી REC માં ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની અંતિમ તારીખને ધ્યાનમાં રાખીને એટલા પુરતી પ્રવેશ પ્રક્રિયા માટે કાઉન્સેલિંગ આજથી શરૂ થવાનું છે.

અમે સમય ગુમાવ્યા વિના કાઉન્સેલિંગ સેન્ટર પર યોગ્ય સમયે પહોંચી ગયા. બસ પ્રક્રિયા શરૂ થવાની હતી, ત્યાં અમને જાણવા મળ્યું કે તાદાત્મ્ય મેરિટ લિસ્ટમાં બીજા ક્રમે છે. પ્રક્રિયા શરૂ થતાં જ, મેરિટ લિસ્ટમાં પહેલા નંબરે રહેલા વિદ્યાર્થીએ REC, ત્રિચીનો વિકલ્પ પસંદ કર્યો. તાદાત્મ્યએ તેનું નામ બોલાય તે સાથે જ પોતાની પસંદગી KREC, સુરતકલ હોવાનું જાહેર કરી દીધું. અમે તરત જ ફી ચૂકવી અને જરૂરી ઔપચારિકતાઓ પુરી કરી. જ્યારે અમે સ્થળ છોડવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે અમે પારસ ગાંધીના માતા-પિતાને મળ્યા. પારસ ગાંધીએ પણ KREC માં પ્રવેશ મેળવ્યો હતો. તેમણે અમને જણાવ્યું કે સુરતકલ માટે પહેલી ઉપલબ્ધ ટ્રેન બે દિવસ પછી છે. આ પણ અમારા માટે બહુ મહત્વની માહિતી હતી.

અમે ઘરે દોડી ગયા. સુસ્મિતા માટે આ સમાચાર સુખદ આઘાતજનક હતા. તેણે અને તાદાત્મ્યએ તાદાત્મ્યના હોસ્ટેલ રહેવાસની તૈયારીઓની વિગતોનું આયોજન કરવાનું શરૂ કર્યું અને હું ટિકિટ બુક કરવા માટે નીકળી પડ્યો.

પ્રવાસના દિવસે રેલ્વે સ્ટેશન તરફ જતી વખતે, દિલ્હી દરવાજા પાસે અમને અસાધારણ ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો. અમે પૂરતો સલામત સમય ગાળો રાખ્યો હતો તેમ છતાં અમને ટ્રેન ચૂકી જવાની શક્યતા જણાવા લાગી. અમારી ગાડી તો જરા પણ આગળ ચાલી શકે તેમ નહોતી એટલે અમે ઉતરી જઈને ઓટોરિક્ષા પકડવા માટે એક પછી એક અડીને, બાજુ-બાજુ જામ થયેલા વાહનોના ધસારોમાંથી પસાર થવું પડ્યું. આખરે જ્યારે અમે સ્ટેશન પર પહોંચ્યા, ત્યારે અમને ખબર પડી કે ટ્રેન પણ મોડી પડી છે, પરંતુ હવે તેપ્લેટફોર્મ પર આવી ગઈ છે અને  દસ જ મિનિટમાં રવાના થશે. અમે પહેલું પ્લેટફોર્મ, ફૂટઓવરબ્રિજ અને પછી ટ્રેન જે પ્લેટફોર્મ હતી ત્યાં એક શ્વાસે દોડવાનું શરૂ કર્યું. અમારામાંથી છેલ્લાંએ ડબામાં પગ મૂક્યો ને ટ્રેન પ્લેટફોર્મ પરથી બહાર સરકવા લાગી! જોકે, તે પછીની સુરતકલ સુધીની ટ્રેનની મુસાફરી સુખદ હતી, કોંકણ તટ પરની ટ્રેનની સફર તો અમે એક શ્વાસે જોઈ. કદાચ, ભાગ્યએ અમદાવાદની બહાર તાદાત્મ્યના જીવનના શરૂ થનારા નવા અધ્યાયની ચમત્કારિક શરૂઆતનો સંકેત આપ્યો હતો.

હૉસ્ટેલના શરૂઆતના થોડા દિવસો દરમ્યાન તાદાત્મ્ય અને તેના ગુજરાતથી આવેલા અન્ય સહાધ્યાયીઓ ઓઅર જે વીતી હશે તેના વિશે તાદાત્મ્યએ ક્યારેય વધુ માહિતી નથી આપી. પોતાના વ્યક્તિત્વનાં પાસાંને અચાનક જ પરિપક્વ કરી નાખતા એ અનુભવને તાદાત્મ્યએ જીવનની તેની આગળની સફરમાં તેને ખૂબ સહજતાથી પાછળ છોડી દીધો.

ડાબેથી: તાદાત્મ્ય, સૌરભ ગર્ગ, નોએલ ફર્નાન્ડિસ, રાજેન્દ્ર શર્મા (પાછળ), આનંદ નવલગુંડ, કિરણ પઢિયાર (પાછળ), પારસ ગાંધી અને જિગ્નેશ ગોહિલ.

વેકેશન દરમિયાન તાદાત્મ્યની અમદાવાદ આવવાની ઘણી સફર કોંકણના ભર ચોમાસા દરમિયાન થતી. એવી સફરો દરમ્યાન રેલ્વે ટ્રેક પર ભૂસ્ખલનને કારણે ચાર થી આઠ કલાકના વિલંબના અનુભવો પણ તાદાત્મ્યએ  ભોગવ્યા. જાન્યુઆરી ૨૦૦૧માં તાદાત્મ્યનાં વેકેશન દરમ્યાન અમદાવાદની એક રહેણાક સમયે અમે ૨૪ જાન્યુઆરીએ નવું ટીવી ખરીદ્યું અને પછી ૨૬મી જાન્યુઆરીએ ભૂકંપનો અનુભવ કર્યો. તાદાત્મ્યને એ વેકેશનના બાકીના દિવસો  અમારા મીરા એપાર્ટમેન્ટની સામેના ઘરના કામચલાઉ આશ્રયસ્થાન રહેવું પડ્યું. ૨૦૦૨માં, સુરતકલથી તાદાત્મ્યની છેલ્લી અમદાવાદની મુલાકાત દરમ્યાન અમે જિંદાલ સૉ, નાના કપાયા (મુન્દ્રા, કચ્છ) માં મારા જોડાવાના પ્રસ્તાવને સ્વીકારવો કે નહીં તે નક્કી કર્યું, જેના નિષ્કર્ષ રૂપે અમારે નાના કપાયા સ્થળાંતર કરવાનું પણ નક્કી કરવાનું હતું.

તાદાત્મ્યના સુરતકલના રહેવાસ દરમ્યાન અમે પણ સુરતકલની બીજી બે ટ્રિપ કરી, જેમાંની એકમાં અમે સુરતકલની નજીકના સ્થળોની મુલાકાત લીધી. એ ટ્રિપમાં બેન (તાદાત્મ્યનાં દાદી) પણ અમારી સાથે હતાં.

બેન, સુસ્મિતા, તાદાત્મ્ય - સુરતકલના દરિયા કિનારે, ઢળતી સાંજના સમયે

અમારી બીજી યાત્રા કેરળની મુલાકાત હતી. આ ટ્રિપમાં તાદાત્મ્ય અમારી સાથે સુરતકલથી જોડાયો હતો.

કોટ્ટાયમ બૅક વોટર્સની સફર માટે બોટ પર, અમારાં સહયાત્રીઓ સાથે

આમ રૂવરૂ મળવા ઉપરાંત, પોસ્ટ વ્યવસ્થા દ્વારા પત્રોનું આદાન-પ્રદાન અને લેન્ડલાઇન ફોન દ્વારા વાત કરવી એ અમારાં બીજાં સંપર્ક માધ્યમો હતાં. KREC ના છાત્રાલય સત્તાવાળાઓએ દરેક છાત્રાલય બ્લોક માટે એક ટેલિફોન લાઇનની વ્યવસ્થા કરી હતી. અમે કોલ કરવા માટે એક નિશ્ચિત સમયપત્રક ગોઠવ્યું હતું જેથી તાદાત્મ્ય તેમના બ્લૉકના ફોનની નજીક હાજર રહી શકે. રાતના સમયે એસટીડીના દર થોડા ઓછા હોય એટલે બહુ ઘણાં વિદ્યાર્થીઓ આ સમયે ફોન કરવાની લાઈન હોય એટલે  ફોન પરની આ સમયે થતી વાતચીત માત્ર ખુશખબરની આપલે કે સમાચારોની જાણ કરવા પુરતી મર્યાદિત રહેતી. એ વાતચીતની બાકીની વિગતો પત્રવ્યવહાર દ્વારા આપલે થતી.

૨૦૦૨માં, તાદાત્મ્ય KREC થી સીધા બેંગલુરુના નોવેલમાં જોડાયા. અમે પછી બેંગલુરુની પણ મુલાકાત લીધી હતી, અને ત્યાંથી ઉટી અને મૈસુર ગયાં હતાં.

તાદાત્મ્ય અને સુસ્મિતા - કોરમંગલાનાં તાદાત્મ્યના પીજી રહેઠાણમાં

નોવેલના બે વર્ષના સમયકાળ દરમ્યાન તાદાત્મ્યએ પોતાના વિષયમાં જ અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરવા માટે બહુ સક્રિયપણે મહેનત કરી. બેંગલુરુમાં આઈઆઈએસસીમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ કસોટીઑમાં  તેમને ધારી સફળતા ન મળી. આ પ્રક્રિયામાં, તેમને જાણવા મળ્યું કે આઈઆઈએમમાં ​​સિસ્ટમ્સ મૅનેજમૅન્ટનો અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પણ એક સારો વિકલ્પ છે.  આઈઆઈએમ બેંગલુરૂમાં પર્સનલ ઇન્ટરવ્યુ દરમ્યાન તેમને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિશેના પોતાના મંતવ્યો વિશે પ્રશ્નનો સામનો કરવો પડ્યો. તેણે જણાવ્યું કે એ તો છેલ્લાં છ વર્ષથી ગુજરાતની બહાર છે એટલે અહીણાં અખબારોમાં જે કંઈ જાણવા મળે તેનાથી વધારે તેને કોઈ માહિતી નથી. આ જવાબથી ઇન્ટરવ્યુ લેનારાઓની અપેક્ષાઓ પૂરી નહીં થઈ હોય એટલે IIMB તાદાત્મ્યની પસંદગી થઈ નહીં. પરંતુ તેમણે IIM, લખનૌમાં પ્રવેશના તમામ તબક્કાઓ માટે સારો દેખાવ કર્યો અને ૨૦૦૪ માં IIML માં પ્રવેશ લીધો.

અમે બે વાર IIML ની મુલાકાત લીધી - પહેલી મુલાકાત પહેલા વર્ષના શિયાળા દરમિયાન ગોઠવી. એ મુલાકાત દરમ્યાન અમે કાશી અને અલ્હાબાદની યાત્રા કરી એ પછી અમે દીક્ષાંત સમારોહમાં ગયાં.  તે પછી અમે નૈનિતાલની યાત્રા કરી.


IIML માં જોડાતા પહેલા અને IIML છોડ્યા પછી તાદાત્મ્યની અમદાવાદની યાત્રાઓમાં બે દુ:ખદ અને એક સારી યાદો જોડાયેલ છે. પ્રથમ ઘટનામાં, જ્યારે તાદાત્મ્ય અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો, અમને એરપોર્ટ આવેલાંજોઈને તેને આનંદ થવાની સાથે ગમગીની પણ હતી કેમકે, મહેશ (મારા નજીકના મિત્ર - મહેશ દિલીપરાય માંકડ) ના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે અમે એક દિવસ પહેલા અમદાવાદ આવ્યાં હતાં.  મુન્દ્રાથી IIML માં જોડાવા માટે પાછા ફરતી વખતે, તાદાત્મ્યને - અમારા પ્રગતિનગરના દિવસોના તાદાત્મ્યના મિત્ર અને ડૉ. અશોકભાઈ અને ભાવનાબેન દેસાઈના પુત્ર - હર્ષિતના લગ્ન સમારંભમાં હાજરી આપવાની તક મળી. બીજા દુઃખદ કિસ્સામાં, જ્યારે તે IIML માં પીજી પુરૂં કર્યા પછી તેમનું છેલ્લું વેકેશન મુન્દ્રામાં માણી રહ્યો હતો, ત્યારે મધુમામા (મારા મામા - મધુકાંત મૂળશંકર છાયા)નું અવસાન થયું.

૨૦૦૬નું વર્ષ તાદાત્મ્યના જીવન અને કારકિર્દીમાં એક મહત્વનું સીમાચિહ્ન બની રહ્યું.



[1] તાદાત્મ્ય ત્રણ પ્રકારનું છેઃ

() ભ્રાંતિજ તાદાત્મ્ય- અહંકારનું સાક્ષી સાથે તાદાત્મ્ય

() કર્મજ તાદાત્મ્ય - કર્મની સૂક્ષ્મ અવસ્થાને પામેલ કોઇ સંસ્કાર, અને

() સહજ તાદાત્મ્ય - અહંકારની ચિદાભાસ સાથે એકરૂપતા.

Sunday, February 15, 2026

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૪મું - ફેબ્રુઆરી ૨૦૨૬

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના ફેબ્રુઆરી ૨૦૨૬ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' ને જ ચાલુ રાખીશું.

આ કેન્દ્રવર્તી વિષયની અંદર હવે આપણે ગુણવત્તા ૪.૦માં પુરવઠા સાંકળને લગતા વિષયો અને પારિભાષિક શબ્દોની ચર્ચા કરીશું.

આજના મણકા માટે આપણે પરિવરર્તનસક્ષમ પૂરવઠા સાંકળ  ની ટુંકમાં વાત કરીશું.

પરિવર્તંનસક્ષમ લવચીકતાની વિભાવનાનાં મૂળ, ૧૯૭૩ માં સૌપ્રથમ વખત પરિવર્તંનસક્ષમ પારિસ્થિતકી તંત્ર વ્યવસ્થાની લાક્ષણિકતાઓ અંગેની નોંધ  લેનારા સી.એસ. હોલિંગના કાર્યમાં જોવા મળે છે. ત્યારથી, પરિવર્તનઝક્ષમ લવચીકતાની વિભાવના મનોવિજ્ઞાન, તંત્ર વ્યવસ્થા વિચારસરણી, આપત્તિ વ્યવસ્થાપન અને હવે પૂરવઠા સાંકળ સંચાલન જેવાં વિવિધ ક્ષેત્રોમાં લાગુ કરવામાં આવતી રહી છે.

કેટલાક લોકો માટે, પરિવર્તંનસક્ષમ લવચીકતા પ્રતિક્રિયાશીલ ક્ષમતા છે જે વિક્ષેપ થયા પછી કે આંચકો લાગ્યા પછી વિચારાધીન થાય છે. અન્ય કેટલાંક લોકો પરિવર્તંનસક્ષમ લવચીકતાને સંસ્થાને વિક્ષેપ નીવારવા માટે તૈયાર કરવામાં મદદ કરવા માટેના વધુ સક્રિય પ્રયાસો તરીકે જુએ છે. અલગ-અલગ અવલોકનોના પરિપ્રેક્ષ્યમાં, મુખ્ય ખ્યાલની આસપાસ જે ગુંચવાડો જોવા મળે છે તે આશ્ચર્યજનક નથી.[1]


પુરવઠા સાંકળની પરિવર્તનસક્ષમતા કુદરતી આફતો, રોગચાળો અથવા અન્ય અણધારી ઘટનાઓ જેવા વિક્ષેપો માટે તૈયાર રહેવા, તેન્મની સાથે અનુકૂલન સાધવા અને તેમાંથી ફરીથી મૂળ સ્થિતિમાં પાછાં આવવાનીક્ષમતાનો ઉલ્લેખ કરે છે.

પુરવઠા સાંકળની પરિવર્તનસક્ષમતા સામાન્ય રીતે ચાર મુખ્ય ઘટકો દર્શાવે છે: આકસ્મિકતા, લવચીકતા, દૃષ્ટિગોચર થવાની શક્યતા અને સહયોગ.

ઘણીવાર, પરિવર્તનસક્ષમ વ્યૂહરચનાઓ આગાહી, માલસામાનના જથ્થાનું સંચાલન, પુરવઠાકારોનું સંચાલન અને ચીજવસ્તુઓનું વ્યવસ્થાપન જેવી મહત્વપૂર્ણ પુરવઠા સાંકળ પ્રણાલિકાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
પરિવર્તનસક્ષમ પુરવઠા સાંકળની અસરકારકતા માપવા માટે, કંપનીઓ મુખ્ય કાર્યસિદ્ધિ મેટ્રિક્સ પર નજર રાખી શકે છે. ત્રણ મુખ્ય મેટ્રિક્સ છે:

ટકી રહેવા માટેનો સમય  - પુરવઠા સાંકળના વિક્ષેપ દરમિયાન  કામકાજની અથવા નાણાકીય ગંભીર અડચણોનો અનુભવ કર્યા વિના વ્યવસાય કેટલો સમય ચાલુ રાખી શકે છે તેનો ઉલ્લેખ કરે છે.
બહાર આવવા માટેનો સમય - એવો સમયગાળો છે જે  વિક્ષેપ થયા પછી વ્યવસાયને સામાન્ય કામગીરીમાં પાછા ફરવા માટે જરૂરી રહે છે.
ફરીથી વધુ સારાં થવા માટેનો સમય  - એવો સમયગાળો છે જે પુરવઠા સાંકળને  માત્ર ફરીથી બેઠા થવા માટે નહીં પણ વિક્ષેપ પછી તકોનો લાભ લેવા માટે પણ જરૂરી બની રહે છે.[2]


અનિશ્ચિતતા દરમ્યાન પણ ખરા અર્થમાં મૂલ્યવર્ધક બની રહેવા માટે, પુરવઠા સાંકળ માટે નાજુક કાઠાંમાં (fragile)થી પરિવર્તનસક્ષમ અને તે પછીથી નાજુકતા પ્રતિરોધક સ્થિતિ (antifragile)માં પરિવર્તિત થવું આવશ્યક છે. પરિવર્તન માટે પુરવઠા સાંકળ આયોજન (સપ્લાય ચેઇન પ્લાનિંગ SCP) ના અગ્રણીઓએ સમજવું જરૂરી છે કે અનિશ્ચિતતા પુરવઠા સાંકળ આયોજન અને નિર્ણય લેવા પર કેવી અસર કરે છે, અને નાજુકતા પ્રતિરોધક સ્થિતિ પ્રાપ્ત કરવા માટે શું બદલવાની જરૂર છે. [3]



વધારાનું વાંચનઃ

What Is Supply Chain Resiliency?


How to create a resilient supply chain strategy


Course for Change: Mastering supply chain resilience in an unconventional world

 

હવે પછીના અંકોમાં આપણે પુરવઠા સાંકળનાં વિવિધ પાસાંઓની ચર્ચા ચાલુ રાખીશું.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ:

All Things Quality: An ASQ Podcast - AI-Fundamentals-QA-with-author-Jayet-Moon

Quality Mag માંથી

·             First Things First — Or Second, or Third? - Darryl Seland - 'પહેલાં મહતવની વાત' મૂળભૂત બાબતોને પ્રાથમિકતા આપે છે. ચાલતા પહેલા તમારે ભાખોડીયાં ભરવાં પડશે, દોડતા પહેલા ચાલવું પડશે.

જોકે, સમય વ્યવસ્થાપનના સાધન તરીકે, ખાસ કરીને, "તમારા ડેસ્ક" પરનાં કામોને સાફ કરવાના પ્રયાસની શરૂઆત કરવાંમાં, જટિલ બાબતોને હાથ પર લેતાં પહેલાં સરળ બાબતોનો વારો કાઢવાની ફિલસૂફી છે. આમ કરવાથી વધુ મહત્વપૂર્ણ બાબતોને પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.

ગુણવત્તાયુક્ત ઉત્પાદનમાં, "પહેલાં મહત્વની વાત" રૂઢિપ્રયોગને પાયાનો સિદ્ધાંત કહી શકાય, જે પ્રક્રિયા નિયંત્રણ, જોખમ વ્યવસ્થાપન અને લીન મેન્યુફેક્ચરિંગ જેવી મુખ્ય પદ્ધતિઓમાં સીધો લાગુ પડે છે.  વ્યવસાય અને ઉત્પાદનમાં શ્રેષ્ઠ પ્રથાઓની વાજબી ચર્ચામાં, આ વાક્ય વધુ ઉપરની કક્ષાનાં પગલાંનો પ્રયાસ કરતા પહેલા પાયાના પગલાં અને પૂર્વજરૂરીયાતોને પ્રાથમિકતા આપવાના મહત્વ પર ભાર મૂકે છે. વધુમાં, સશક્ત પ્રક્રિયાઓ બનાવવા, ભૂલો ઘટાડવા અને સુસંગત ઉત્પાદન ગુણવત્તા પ્રાપ્ત કરવા માટે આ સિદ્ધાંતનું પાલન મહત્વપૂર્ણ છે.

તેના સૌથી મૂળભૂત સ્તરે, "પહેલાં મહત્વની વાત' નો અર્થ ઉત્પાદન વધારતા પ્રક્રિયા સ્થિર બની રહે તેમ સુનિશ્ચિત કરવાનો છે. પ્રારંભિક તપાસને અવગણવાથી ઘણીવાર પ્રણાલીગત સમસ્યાઓ રહી જાય છે, જેના પરિણામે ઉત્પાદન ચક્રમાં પાછળથી ખર્ચાળ પુનઃકાર્ય કરવાની કે પાછું લેવું પડવાની જરૂર પડે છે. સ્થાયી આધારરેખા ન હોય તો, પ્રક્રિયામાંથી એકત્રિત કરવામાં આવેલ ડેટા અવિશ્વસનીય બનીરહી શકે છે અને કોઈપણ સુધારાઓ કામચલાઉ અથવા ગેરમાર્ગે દોરનારા હોઈ શકવાની શક્યતાઓ વધે છે.

આ ફિલસૂફી જોખમ-આધારિત વિચારસરણીમાં પણ ઊંડે સુધી જડાયેલી છે. ઉત્પાદકો સૌથી વધુ જોખમી વસ્તુઓને પહેલામ હાથ પર લે છે, જેથી ખાતરી કરી શકાય કે જે સૌથી વધુ અસર ધરાવતું પરિબળ હોય તે થાય તેને પહેલાં ઘટાડી દેવામાં આવે.

વધુમાં, "પહેલાં મહત્વની વાત" લીન મેન્યુફેક્ચરિંગમાં જેમ્બા વોક ફિલસૂફી સાથે સંકળાયેલ છે - મૅનેજમૅન્ટ વાસ્તવિક પરિસ્થિતિનું અવલોકન કરવા માટે અને સમજવા માટે જ્યાં કામ થતું હોય તે વાસ્તવિક સ્થળે છે. કોઈપણ ફેરફારોને સૂચવતાં પહેલા પ્રક્રિયાની વર્તમાન સ્થિતિને સમજવી એ પ્રાથમિકતા છે. આ સ્થળ પર પ્રત્યક્ષ કરેલું અવલોકન ખાતરી કરાવી શકે છે કે  જે ઉપાયો સૂચવવાઈ રહ્યા છે તે  ધારણાઓ કરતાં વાસ્તવિકતા પર આધારિત છે.

ગુણવત્તા ઉદ્યોગમાં, "પહેલાંમહત્વની વાત" એક સશક્ત કાર્યકારી માર્ગદર્શિકા છે. તેમાં શિસ્ત અને દૂરંદેશીની આવશ્યકતા મહત્વની બની રહે છે. તે ખાતરી કરે છે કે દરેક પ્રયાસ મજબૂત પાયા પર આધારિત હોય, અને જેનાથી વ્યય ઓછો થાય, કાર્યક્ષમતા વધે અને અંતે ગ્રાહકો અપેક્ષા રાખે છે તે શ્રેષ્ઠ ગુણવત્તા તેમના સુધી પહોંચે.  ગુણવત્તા સંચાલનના પાયાના તત્વોને પ્રાથમિકતા આપીને, ઉત્પાદકો સમપોષિત સફળતા માટે સક્ષમ પરિવર્તનસક્ષમ તંત્ર વ્યવસ્થા સ્થાપિત કરી શકે છે.

આ અભિગમનો બીજો ફાયદો સુધારેલ કાર્યપ્રવાહ છે. જીમ સ્મિથ નોંધે છે તેમ, "ડિઝાઇન પ્રક્રિયાને વધુ સારી કરવાથી હેઠવાસમાં બધું સુધારવામાં મદદ મળે છે."


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.