પ્રવિણા(કાકી) કમળકાન્ત
વૈષ્ણવ
મારા મોટા કાકા કમળભાઈ પ્રાણલાલ વૈષ્ણવનાંપત્ની, પ્રવિણા(કાકી) સાથેની મારી યાદો આમ જુઓ તો તેઓ સુરતમાં ગોપીપુરામાં લલ્લુજી મહારજનાં અંદિરમાં જે ઘરમાં ભાડે રહેતાં એ યાદો સાથે વણાયેલી છે. રહેણાકનું ઘર પહેલે માળે હતું. ઘર આમ બે ઓરડાનું કહેવાય, જે વ્યવહારમાં ચાર ઓરડાનું બની ગયું હતું. દરેક ઓરડો એકથી વધારે જરૂરિયાત પુરી કરતો. ભોંયતળીયેથી ઉપરના ઓરડામાં ખુલતો દાદરો જે ઓરડામાં ખુલતો તે, દિવાળી કે એવા કોઈ અન્ય પ્રસંગે એકઠા થયેલા વૈષ્ણવ પરિવારના સ્ત્રી વર્ગનો રહેણાકનો ઓરડો બની રહેતો.
વૈષ્ણવ પરિવાર એકઠો થયો
હોય એવા પ્રસંગે જ શરૂ શરૂમાં તો મારે સુરત જવાનું થતું. એ સમયે મને પ્રવિણાકાકી
હંમેશાં રસોડામાં જ વ્યસ્ત હોય એવી યાદ સહજપણે દૃઢ થયેલી અનુભવાય છે.
કમળભાઈ ખાવાના શોખીન હતા
અને સ્વાદના પારખુ હતા. એટલે, પ્રવિણાકાકીનો
પણ રસોઈની કળાં સારો હાથ હશે જ એમ માનવું જરા પણ ખોટું ન કહી શકાય. એ સમયમાં દરેક
મધ્યમ વર્ગનાં ઘરની માસિક આવક ઘણી મર્યાદિત રહેતી. ટાંચાં બજેટમાં, ઘરમાં અનેક સ્વાદ અને વૈવિધ્યનાં વ્યંજનો રાંધવામાં એ સમયની ગૃહિણી માહેર
રહેતી. પ્રવિણાકાકી એ વર્ગનાં એક આદર્શ પ્રતિનિધિ હતાં. જમવામાં પુરુષ વર્ગને જે
સગવડો અને પસદગીઓ મળતી તે, એ સમયના સ્ત્રી વર્ગને, ઘણે ભાગે, ન મળતી. એટલે ગૃહિણીઓએ પોતાના સ્વાદને
સંતોષવા માટે અવનવા ઉપાયો અજમવાવા પડતા. પ્રવિણાકાકીને પણ તીખું ભાવતું. એટલે તેઓ
જમાવા બેસે ત્યારે પણ નીચે સુરતનાં ખાસ અતિતીખાં મરચાં તરીકે બહુખ્યાત, ત્રણેક લવીંગીંયા મરચાં લઈને બેસે એ રહસ્ય તો વૈષ્ણવ પરિવારમાં એક દંતકથા
બની ગયું હતું.
પ્રવિણાકાકી અને કમળભાઈ - મોટા ભાગે વૈષ્ણવ પરિવારનાં
૧૯૫૬ની આસપસનાં મિલન સમયે
મારી
કિશોરાવય સુધીની પ્રવિણાકાકીની આવી ઘણી નાની નાની યાદો મનની ચિત્રપટ્ટીમાં તાજી
થાતી રહે છે.
કમળભાઈ અને પવિણાકાકી - તેમની વયના પાંચમા દાયકામાં....
૧૯૭૧માં
હું મારો અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરવા પિલાણી રહ્યો એ બે વર્ષનાં ત્રણેક
વેકેશનમાં નવસારી જતાં પહેલાં સુરત ઉતરીને બે ત્રણ કલાક લલ્લુજી મહારાજનાં ઘરે જઈ
આવતો રહ્યો.
શાંત
દેખાતાં તેમનાં વ્યક્તિત્વની પાછળ મુશ્કેલ સમયની સામે મક્કમતાથી માર્ગ કાઢવાની
તેમની શક્તિ અને પોતાના નિર્ણયો લેવાની તેમની હિંમતનાં દર્શન તેમણે કમળભાઈના ગયા
પછી ગોપીપુરામાં બાવા સીદીના ટેકરા પાસે રાજ એપાર્ટમેન્ટ નં. ૩માં ઘર ખરીદ્યું
તેમાંથી જોઈ શકાય છે. કમળભાઈના ગયા પછી તેમણે જે કંઈ માનસિક અને આર્થિક સંકડામણ
અનુભવી હશે, પણ
તેમની જીવનશૈલીને તેમણે બહુ ગૌરવશીલ સ્તરે ચાલતી રાખી.
એ સમયના સમાજમાં,
પતિના અચાનક થયેલ અવસાન
પછી પણ આવી ખુમારી અને સુઝ હોવી એ બહુ મોટી વાત હતી.
સુસ્મિતા
અને હું, અમારાં
લગ્ન પછીની અમારી પહેલવહેલી ટુર પર સાપુતારાથી પાછાં ફર્યાં ત્યારે તેમનાં રાજ
એપાર્ટમેન્ટનાં ઘરે રાતવાસો કરવા રોકાયેલાં. તે પછી મારાં વ્યાવસાયિક જીવનની બદલતી
જતી પ્રાથમિકતાઓને કારણે સુરતનાં એ ઘરે જવાનું બહુ ઓછું થયું.
આવી
બહુ ઓછી મુલાકાતોમાંથી એક મુલાકાત તો બહુ જ અસામાન્ય સંજોગોમાંથઈ. ૧૯૮૨ની આસપાસ,
અમે શરૂ કરે અમારાં નવાં
સાહસ, એરિશ
ઈક્વિપમેન્ટની લોન મંજુર કરાવાની હતી તે માટે ગુજરાત સ્ટેટ ફાયનાન્સ કોર્પોરેશનની
બૉર્ડ મિટીંગ સુરતમાં મળવાની હતી. હું અને (એચ આર) શાહ સાહેબ એ અંગે સુરત ગયા.
સવારે તો અમે સીધા જ મિટીંગના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ,
મિટીંગ પત્યા પછી,
અમદાવાદ પાછા ફરવાની
સાંજની ટ્રેન માટે અમારી પાસે બહુ સમય હતો. એટલે, અમે બન્ને, રાજ એપાર્ટમેન્ટ ગયા. આમ અચાનક જવા બાબતે શાહ સાહેબ પહેલાં
તો થોડા ખચકાયા, પણ
અમારી પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહી, એટલે અમે બન્ને ઘરે પહોંચ્યા. મોડી બપોર થવામાં હતી.
જતાંવેંત પ્રવિણાકાકીએ અમારા માટે ચા બનાવી. પછી અમને બેસારીને થોડૂ કામ છે કરીને
આવું છું કહીને નીકળી ગયાં. થોડી વારે પાછાં આવ્યાં ત્યારે ભાગળથી અમારા માટે
નાસ્તો લઈ આવ્યાં હતાં. તે ઉપરાંત અમને બન્નેને તેઓએ ઘર માટે સુરતનાં પ્રખ્યાત
જીરા ળુ
(ફરમાસુ, બટર)
બિસ્કિટનાં એક એક પૅકેટ પણ આપ્યાં.
એ
પછી પ્રવિણાકાકીની જે બે યાદગાર, શુભ, પ્રસંગોએ મળવાનું થયું,
તેની યાદો મારી પાસે સારાં
નસીબે તસવીરો રૂપે સચવાયેલી છે –
પહેલો
પ્રસંગ હતો - તેમના પૌત્ર ( દિવ્યકુમારભાઈ અને દિવ્યાંગિની ભાભીના પુત્ર) અરમાનનાં
સગપણ ( આશરે નવેમ્બર ૨૦૦૦માં)
ડાબેથીઃ (પ્રવિણાકાકીની દૌહિત્રી) ગાયત્રી, (મારાં મા) બેન, પૂર્ણિમાકાકી, પ્રવિણાકાકી અને અરમાન
બીજો
પ્રસંગ હતો, તાદાત્મ્ય
- ભૂમિકાનાં સગપણ (ડિસેમ્બર, ૨૦૦૬)
ડાબેથીઃ પ્રવિણાકાકી, (મારાં મા) બેન, પૂર્ણિમાકાકી
બસ,
તે પછી તો તેમના દેહવિલય
બાદ અમે તેમના અંતિમ સંસ્કારની લૌકિક ક્રિયા વખતે ગયાં.





