Sunday, January 14, 2024

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૯મું સંસ્કરણ - જાન્યુઆરી ૨૦૨૪

 

જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૮


જયદેવ
(વર્મા, જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૧૯ - અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭) ની માનપૂર્વકની ઓળખ કવિઓના સંગીતકાર તરીકે રહી છે. તેમનાં ગીતોની રચના ગીતકારની રચનાનાં હાર્દને અગ્રભૂમિમાં જાળવીને જ શાસ્ત્રીય કે લોક ગીતોના આધાર પર રચાતી રહી. શરૂઆતના દાયકા બાદ તેમનાં ગીતો આમ શ્રોતામાં ઓછાં સ્વીકાર્ય થતાં જણાવા લાગ્યાં હતાં. પરંતુ, '૭૦ના દાયકાના મધ્યમાં તો તેઓએ પોતાની કારકિર્દીના બીજા દાવમાં તેમની આગવી શૈલીનો સ્પર્ષ પાછો મેળવી લીધો હોય તેમ જણાવા લાગ્યું હતું. પરિણામે ૧૯૯૭ થી ૧૯૮૦માં તેમની શ્રેષ્ઠ રચનાઓ હિંદી ફિલ્મ સંગીતની તવારીખને ચોપડે નોંધાઈ. જયદેવ હવે તેમની સંગીત રચનાઓમાં ઓછાં જાણીતાં ગાયકોના સ્વરો વડે અવનવા પ્રયોગો પણ બહુ સહજતાથી કરવા લાગ્યા હતા.    

ખુબ અનોખા સંગીતકાર જયદેવનાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આપણે આપણાં આ માધ્યમ પર ૨૦૧૮થી શરૂ કરેલ છે.

§  ૨૦૧૮ માં ૧૯૫૪થી ૧૯૬૩નાં વર્ષોનાં તેમની સૌથી વધારે સફળ ફિલ્મો ગણી શકાય એવી ફિલ્મોનાં ગીતો

§  ૨૦૧૯માં તેમની ૧૯૬૪થી ૧૯૭૦નાં વર્ષોની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતો,

§  ૨૦૨૦ માં ૧૯૭૧ નાં  અસફળ રહેલી ફિલ્મોનાં તેમનાં ખુબ વખણાયેલાં ગીતોને,

§  ૨૦૨૧માં ૧૯૭૨-૭૩માં ફિલ્મોની નિષ્ફળતાએ જે ગીતોને પણ ભુલાવી દીધાં તે ગીતોને,

§  ૨૦૨૨માં ૧૯૭૪ - ૧૯૭૫નાં વર્ષોની ભુલાવા લાગેલી ફિલ્મોની કેટલીક સુરાવલીઓને, અને

§  ૨૦૨૩માં વર્ષ ૧૯૭૬ - ૧૯૭૭ની ફિલ્મો લૈલા મજનુ, આલાપ અને ઘર્રૌંદામાં  જયદેવની બીજી ઈનિંગ્સ નવપલ્લિત થતી રચનાઓ

આપણે યાદ કરી ચુક્યાં છીએ.

આજના મણકામાં આપણે ૧૯૭૮નાં વર્ષની ફિલ્મો ગમન, સોલવાં સાવન અને તુમ્હારે લિયેનાં ગીતોની યાદ તાજી કરીશું.

ગમન (૧૯૭૮)

આજિવિકાની શોધમાં મુંબઈમાં આવી વસતા પરપ્રાંતીઓનાં કથાવસ્તુ પર રચાયેલી ફિલ્મ 'ગમન'ની ઓળખ તેનાં ફિલ્માંકન કરતાં સંગીતથી વધારે રહી છે.  જયદેવને સંગીતકાર તરીકે મળેલા ત્રણ રાષ્ટ્રીય પુરકારો પૈકીનો બીજો રાષ્ટ્રીય પુરસ્કાર 'ગમન'નાં સંગીત માટે મળ્યો. દિગ્દર્શક તઈકે મુઝફ્ફર અલી, ચરિત્ર અભિંનેતા નાના પાટેકર અને દક્ષિણમાં ગાયક તરીકે જાણીતા થઈ ચુકેલા હરિહરને હિંદી ફિલ્મોમાં પદાર્પણ કર્યું એવી અનોખી વિશેષતા પણ 'ગમન'ને નામે નોંધાઈ છે. 

સીનેમેં જલન આંખોંમેં તૂફાન સા ક્યો ં હૈ .. ઈસ શહરમેં હર શખ્સ પરેશાન સા ક્યું  હૈ - સુરેશ વાડકર - ગીતકારઃ (અખ્લક઼ મોહમ્મદ ખાન) શાહર્યાર

મૂંબઈમાં આજિવિકા રળવાના સંઘ્રષમાં ખુંપી ગયેલ પરપ્રાંતવાસી ટેક્ષી ડ્રાઈવરની મનોવ્યથા આ ગઝલમાં વ્યક્ત થાય છે. જોકે આ ગઝલના અર્થની ગહનતા કરતાં ગંંભીર પ્રકારનાં ગીતો માટે પ્રમાણમાં નવોદિત ગાયક કહી શકાય એવા સુરેશ વાડકરનો સ્વર અને  શાહર્યારની મહદ અંશે શુદ્ધ ઉર્દુ કહી શકાય તેવી ગઝલ રચના આજે પણ જ્યારે આપણા કાન પર પડી જાય છે તો તરત જ આપણાં મન પર સંપૂર્ણપણે કબજો લઈ લેતી અનુભવાય છે. 



આપકી યાદ આતી રહી રાત ભર ..... ચશ્મ -એ - નમ મુસ્કુરાતી રહી રાત ભર - છાયા ગાંગુલી - ગીતકારઃ મુક઼દ્દમ મોહીઉદ્દીન 

આ ગીત માટે છાયા ગાંગુલીને પણ શ્રૅષ્ઠ સ્ત્રી ગાયિકા તરીકેનો રાષ્ટ્રીય પુરકાર એનાયત થયો હતો. એક ગઝલ તરીકે બહુ ઘણાં ગાયકોએ તેને પોતપોતાની રીતે રજુ કરી છે, પણ જયદેવના આગવા સ્પર્શને કારણે આ ગીત એ બધાંથી અલગ જ તરી આવે છે.



આ ગીતની રચનામાં ઓછામાં ઓછાં વાદ્યોના પ્રયોગની સાદગીની ખુબીને સમજવા માટે ડી ડી સહ્યાદ્રી પર છાયા ગાંગુલીનાં આ ગીતનાં લાઈવ ગાયનને સાંભળવું જોઈએ.


અજીબ સનેહા મુઝ પર ગુઝર ગયા યારોં ..... મૈં અપને સાયે સે ..... કલ રાત ડર ગયા યારોં - હરિહરન - ગીતકારઃ (અખ્લક઼ મોહમ્મદ ખાન) શાહર્યાર

મનના વિચારોમાં ખોવાયેલ વ્યક્તિના મનોભાવોને વ્યકત કરતી આ ગઝલની આગવી રજૂઆત દ્વારા હરિહરન હિંદી ફિલ્મ જગતમાં પદાર્પણ કરે છે.



બડે ધૂમ ગજરસે આયો રે નૌશા અમીરો કા - હીરા દેવી મિશ્રા, સાથીઓ -  ગીતકારઃ (અખ્લક઼ મોહમ્મદ ખાન) શાહર્યાર

લગ્ન ગીતોની લોકપરંપરાનું આ ગીતની  સ્વાભાવિક અસર પેદા થાય એ માટે જયદેવે શાસ્ત્રીય ગાયકીનાં  હીરા દેવી મિશ્રાના સ્વરનો સફળ પ્રયોગ કર્યો છે.


અરે પથિક સુન ઈતની કહિયો ટેર ...... દિગ ઝર લાયી રાધિકા અબ બ્રીજ ભુલત ફેર ..... રસ કે ભરે તોરે નૈન સાંવરિયા - હીરા દેવી મિશ્રા  ગીતકારઃ (અખ્લક઼ મોહમ્મદ ખાન) શાહર્યાર

રાધા કૃષ્ણનાં પ્રેમ શૃંગારનાં ગીતોની પણ લોકસંગીતમાં આગવી પરંપરા છે. સામાન્ય રીતે આવી રચનાઓને ભૈરવી ઠુમરીમાં રજુ કરાતી હોય છે.

આવી પારંપારિક રચનાઓને પણ જયદેવના સ્પર્શથી કેવી અલગ થતી રહે છે તે સમજવા માટે ગૌહર જાન, ગીરીજા દેવી, બેગમ અખ્તર અને પંડિત ભીમસેન જોશી જેવાં કલાકારોની આ રચનાની રજુઆત સાંભળવી ગમશે. 

પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહ (૨૦૧૩)મા આ રચનાને શફક઼ત અમાનત અલી અને અર્પિતા ચક્રબોર્તીના સ્વરમાં પ્રયોજેલ છે. 

સોલવાં સાવન (૧૯૭૮)

પી. ભારતીરાજા દ્વારા દિગ્દર્શિત તમિળ  ફિલ્મ '૧૬ વયતીનલે' (૧૬ વર્ષની ઉમરે)ની હિંદી રીમેક છે. તમિળ સંઅકરણ ખુબ સફળ રહ્યું હતું. એ સંસ્કરણ માટે પી સુશીલાને શ્રેષ્ઠ ગાયિકા તરીકે રાષ્ટ્રીય પુરસ્કાર અને કમલ હસનને શ્રેષ્ઠ અભિનેતા તરીકેનો ફિલ્મફેર પુરકાર મળેલ હતો, પણ હિંદી સંસ્કરણ્માં શ્રીદેવીનાં પદાર્પણની જાણે કોઈ જ નોંધ ન લેવાઈ. હિંદી સંસ્કરણમાં સહમુખ્ય ભૂમિકામાં અમોલ પાલેકર હતા.

પી કહાં પી કહાં ..... ધીરે સે હૌએ સે સુન મેરી યે, મેરે કાનોંમેં કહ દે રી પવન - વાણી જયરામ - ગીતકાર નક઼્શ લ્યાલપુરી 

તારૂણ્યના ઊંબરે આવી ચૂકેલ ૧૬ વર્ષની કુમારીકાનાં મનમાં ફૂટતી પ્રેમની સરવાણીઓને જયદેવે આ ગીતમાં વાચા આપી છે.


બુઆ બકરી લેકર આયી હાંડી .... ફિર બીવીને સાગ પકાયાન સોચું તિલક લગાકે , સાગ સામને આયા હાથીકે બેટે , હાથી કે બેટેકી જવાની કાલી કોયલિયા ને સુની કહાની યેસુદાસ, અનુરાધા પૌડવાલ - ગીતકાર નક઼્શ લ્યાલપુરી 

ગામડાંઓમાં અમુક ઉત્સવોની ઉજવણીમાં હાસ્યરસનાં ગીતોનું એક આગવું સ્થાન હોય છે. અહીં પણ એક એવાં પારંપારિક ગીતને જયદેવ પોતાની રીતે રજુ કરે છે.



ગોરીયા ઓ ગોરીયા ક્યું તુને ફુલ સજાએ રેશમી બાલોંમેં - વાણી જયરામ, યેસુદાસ, સાથીઓ - ગીતકાર નક઼્શ લ્યાલપુરી 

સ્થાનિક ઉત્સવની ઉજવણીમાં ગામના યુવાનો અને યુવતીઓ જાહેરમાં પોતાના મનના ભાવ કહી લે એવાં ગીતોની પણ એક સહજ પરંપરા રહી છે. 



હજુ એક ગીત  - સારા રારા રારા ઢોલ કહાં બજા -ની નોંધ જોવા મળે છે, પણ ગીત યુટ્યુબ પર નથી મળી શક્યું.

તુમ્હારે લિયે (૧૯૭૮)

'તુમ્હારે લિયે' બાસુ ચેટર્જી દ્વારા દિગ્દર્શિતપુનર્જન્મનાં કથાવસ્તુ પર આધારિત ફિલ્મ હતી.

હો બોલે રાધા શ્યામ દીવાની, પી કા મુખડા ભોર સુહાની પ્રીત બીના જીવન ઐસા .... જૈસે નદીયા હો બીણ પાની  - લતા મંગેશકર - ગીતકાર નક઼્શ લ્યાલપુરી 

ભતૃહરીના જીવન પર આધારિત પારંપારિક નાટ્યકૃતિના પ્રસંગને ફિલ્મને અનુરૂપ બનાવીને રજુ કરાયો છે.


બાંસુરીયાં મન લે ગયી રે તેરી બાંસુરીયાં - આશા ભોસલે - ગીતકાર નક઼્શ લ્યાલપુરી 

જયદેવની મુશ્કેલ ગીતરચનાને આશા ભોસલે પૂર્ણ રીતે ન્યાય આપે છે. 


મેરે હાથોંમેં લાગે તો રંગ લાલ મહેંદી તેરે નામકી - આશા ભોસલે - ગીતકાર નક઼્શ લ્યાલપુરી 

જયદેવે નાયિકાના મનમાં ફૂટતા પ્રેમના  ભાવોને ન્યાય આપવાની જવાબદારી આશા ભોસલેને સોંપવાનું નક્કી કર્યું છે.

મોરે તરસ ગયે નૈના પિયા તોરે દરસ બીના .... બની દુલ્હન કભી ન રૈના પિયા તોરે દરસ બીના - ઉષા મંગેશકર - ગીતકાર નક઼્શ લ્યાલપુરી 

જયદેવ ફરી એક વાર ઓછાં જાણીતાં ગાય્કો પાસેથી યાદગાર ગીતો ગવડાવી શકવાની પોતાની ખુબીને સાબિત કરે છે.


તુમ્હેં દેખતી હું લગતા હૈ ઐસા કે જૈસે તુમ્હેં જાનતી હું - લતા મંગેશકર - ગીતકાર નક઼્શ લ્યાલપુરી  

જયદેવના આ પ્રયોગશીલ તબક્કામાં પણ માધુર્યભરાં ગીતોને સરઈ શકવાની લાક્ષણીકતા ઝળક્યા વિના નથી રહેતી.



જયદેવના બીજા દાવની આપણી આ સફર, હવે પછીના મણકાઓમાં આગળ વધતી રહેશે.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: