Sunday, May 3, 2026

મારા કાકા - કમળકાંત પ્રાણલાલ વૈશ્નવ

પ્રાણલાલ વાઘજી અને રેવાકુંવર વૈષ્ણવના ત્રણ પુત્રોમાં સૌથી મોટા, કમળકાંત પ્રાણલાલ વૈષ્ણવ (કમળભાઈ), - જન્મ: ૧૯૧૬ | જન્મ: ૧૬-૯-૧૯૭૦ - મારા મોટા કાકા થાય.

એમના વિશે મારી યાદોને અહીં ઉતારવાનું શરૂ કરતાંની સાથે જ સ્મૃતિના ખૂણામાં દટાયેલી કમળભાઈની અનેક બધી યાદો મનમાં આવવા લગી. તેમાની મોટા ભાગની યાદોને શબ્દદેહમાં ઉતારવાની મારી ક્ષમતા ખૂબ જ વામણી સાબિત થઈ રહી છે....

કમળભાઈની મારી સૌથી પહેલી યાદ કમળભાઈ ઓફિસમાંથી પાછા ફરતી વખતે લલ્લુજી મહારાજના હવેલી (મંદિર) ના રહેણાંક ભાગના પહેલા માળે અમારા ઘરની બારીઓ નીચે શેરીમાં કોઈની સાથે મોટેથી વાત કરતા હોય તે તસવીર છે. તે દિવસોમાં તે અમારા - મારા પિતરાઈ ભાઈ અને તેમના નાના પુત્ર, ઉપેન્દ્રભાઈ અને મારા - માટે હવેલીના મેદાનમાં અમારી રમત બંધ કરવાનો અને શેરીમાં દોડી આવવાનો અને કમળભાઈ પાસેથી પ્રેમથી ભરપૂર ધબ્બો મેળવવા માટે પહોંચી જવાનો સંકેત હતો.

કમળભાઈ - કદાચ તેમના વીસીના દાયકામાં

ઘણા સમય પછી, મને સમજાયું કે કમળભાઈનો શેરીમાં નાટકીય પ્રવેશ ઘરની મહિલાઓ માટે એક સંકેત હતો કે તેઓ આવી પહોંચ્યા છે અને ટૂંક સમયમાં જે રૂમ ઘરની મહિલાઓ માટે હતો તે રૂમમાં ખુલતી સીડી ચઢીને તેઓ આવી રહ્યા છે. બાપુ (મારા દાદા) પણ બહારથી આવે તો ક્યાં તો મોટા અવાજે મને બોલાવે (હું એ સમયે ઘરે હોઉં કે ન પણ હોઉં!) અથવા તો જો કોઈ મળી ગયું હોય તો તેમની સાથે મોટે મોટેથી વાતો કરતા. દિવસોમાં સામાજિક શિષ્ટાચાર અને તેમને અમલમાં મૂકવા માટે આવા સૂક્ષ્મ રસ્તાઓ શોધવા એ બહુ સાધારણ હતું !

લલ્લુજી મહારાજ હવેલી ખાતેના ઘરની નાની અગાસી પર કમળભાઈ. મને લાગે છે કે, આ ફોટોગ્રાફ તે સમયનો છે જ્યારે તેઓ કદાચ ત્રીસીમાં હશે.



એક વડીલ કાકા પાસેથી એક ખૂબ જ નાના ભત્રીજા તરીકે, મેં કમળભાઈની ચાહનાને મેં, લગભગ દરેક પ્રકારનાં, નાના મોટા, ભૌતિક તેમ જ અભૌતિક સ્વરૂપે માણી છે.

એ પૈકી એક બહુ જ લાક્ષણિક યાદ છે એ સમયની છે જ્યારે હું લગભગ પાંચ છ વર્ષનો હઈશ. તે દિવસોમાં કમળભાઈ જ્યારે પણ ભૂજ આવ્યા હોય, ત્યારે તેઓ મને તેમની સાથે તૈયાર કપડાની દુકાન, સેમસન્સ,માં લઈ જતા. 'સેમસન્સ' કમળભાઈના કરાચીના સમયના નજીકના મિત્ર, જમિયતરાયભાઈ વોરાનું એ જમાનામાં નાગરની નાતમાં અકલ્પ્ય એવું, સફળતાપૂર્વક ચલાવાતું. વાણિજ્યિક સાહસ હતું.. મારા માટે ચડ્ડી અને શર્ટ ખરીદવામાં આવે. પાછા ફરતી વખતે મને તેમની ખૂબ જ ભારપૂર્વકની સલાહ અચુક મળે - મારા માતાપિતાને મારે કહેવાનું હું તો આવી 'મોંઘી (😊) ભેટ' લેવાની જ ના પાડતો હતો, પણ કમળભાઈએ લઈ આપી' !
                            કમળભાઈ - કદાચ સુરતમાં તેમના સાથીદારો સાથે (?!)


તેમણે અમને જે અભૌતિક ભેટો આપી તેમાની એક મહત્વની ભેટ અમારામાં નિર્ભયતાની ભાવના ઠસાવવાની કહી શકાય. આખો વૈષ્ણવ પરિવાર દિવાળીમાં ભેગો થયો હોય ત્યારે તેઓ અમને - ઉપેન્દ્રભાઈ અને મને- તેમની સાથે ફટાકડા અપાવવા લઈ જાય. મને એવી ચાર દિવાળીઓ યાદ છે - એક સુરતમાં. બે વાર સિરોહી (રાજસ્થાન)માં અને એક વાર તંતી નિવાસ રાજ્કોટમાં. સુતળી બોમ્બ, લક્ષ્મી છાપ ટેટા, લાલ રંગના નાના ટેટા એવા ફટાકડા તેઓ જ પસંદ કરતા. આ ફટાકડા ફોડવા માટે મીણબત્તીઓ કે ફુલઝરી તો ન જ મળે. બોંબ અને મોટા ટેટાની વાટ દિવાસળીથી સળગાવીને કમળભાઈ અમારા હાથમાં પક્ડાવે, અને ફૂટે તે પહેલાં જ હાથમંથી કેમ ફેંકી દેવા દે તે કરાવડાવે. લાલ ટેટાની તો લુમ પણ એ જ રીતે ફોડવાની. એમની આટલી તાલીમ છતાં કોઈપણ ખતરનાક દેખાતું કામ સંપૂર્ણપણે સંકટમાં ફેરવાય તે પહેલાં કાળજીપૂર્વક તેના પર ધ્યાન રાખવું અને 'ફૂટે' તે પહેલાં છોડી દેવું એવી કુશળતા સ્વભાવમાં પુરેપુરી ન ઉતરી, પરંતુ અમારા હાથમાં નાના ફટાકડા સળગાવવા અને સમયસર છોડવાનો આત્મવિશ્વાસ જરૂર અમે ળવી શક્યા હતા. જોકે, એકવાર ફુલઝરીથી જમીનચક્કર સળગાવવાનો પ્રયાસ કરતી વખતે, ક્યાં તો મારૂ અનુમાન ખોટું પડ્યું કે ક્યાંતો જમીનચક્કર આડું ફાટ્યું, પણ મારી હથેળી દાઝી ગઈ. ત્યારથી, હાથમાં ફટાકડા ફોડવાની 'હિંમત (😊)' નાં દુ:સાહસ કરવાનું બંધ થઈ ગયું.

જ્યારે અમે રાજકોટમાં હતા (કદાચ ૧૯૬૦ ની દિવાળીમાં) ત્યારે કમળભાઈએ મને શાળામાંથી રજા લેવાનું કહ્યું. મૂળભૂત રીતે કારણ તો એક રૂમ-રસોડાના ઘરમાં,કુટુંબના વડીલ પુરુષોની હાજરીમાં મુખ્ય યજમાનની ભૂમિકા ભજવવામાં બેન (મારાં મા)ને મ્દદરૂપ થવાની ગણતરી હશે. હું વિરાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. એટલે મેં કહ્યું કે 'અમારી'' સ્કૂલમાં તો એમ રજા ન મળે. કમળભાઈએ કહ્યું કે તેઓ મને રજા માટે ચીઠ્ઠી લખી આપશે. મેં કહ્યું કે તે પણ કામ નહીં અવે. એટલે, તેઓ મારી સાથે શાળામાં આવ્યા અને સીધા અમારા તે સમયના આચાર્ય - શ્રી જયંત આચાર્ય-ની કેબિનમાં ગયા. જયંતભાઈ આચાર્યનો શિસ્તપાલનનો અગ્રહ તો આખા રાજકોટમાં દંતકથા સમાન ગણાતો. કમળભાઈ બે મિનિટમાં બહાર આવ્યા અને મારો હાથ પકડીને ઘર ભણી ચાલ્યા. મને ખબર નથી કે તે બે મિનિટમાં શું થયું હશે. પણ ઘરે પહોંચી ગયા પછી કમળભાઇએ મને એટલું જ કહ્યું કે જો તમારા આચાર્ય બીજા દિવસે તને 'ધમકાવે' કરે, તો પાછો આવીને મને જાણ કરજે. અલબત્ત, બીજા દિવસે, જ્યારે હું શાળાએ પહોંચ્યો, ત્યારે હું અંદરથી ધ્રૂજી રહ્યો હતો. જોકે, આચાર્ય સાહેબ તરફથી કાંઈ કહેણ આવ્યું નહીં. હું લગભગ એક અઠવાડિયા સુધી ચિંતા કરતો રહ્યો. પરંતુ તે વિષય પર વધુ કંઈ સાંભળવામાં આવ્યું નહીં. શું તે કોઈ ફાયરબ્રાન્ડ શિસ્તપાલકને તેમના પોતાના જેવા જ ‘કડક' માણસનો ભેટો થયો હતો, કે પછી તે કરાચી કનેક્શન હતું, પણ મારા માટે એ બર્મુડા ત્રિકોણ જેવું અકળ રહસ્ય રહ્યું.

કમળભાઈ, સવારની પૂજા પછી - આ ફોટોગ્રાફ '૬૦ ના દાયકાની શરૂઆતનો સમય લાગે છે.


ત્યાર બાદ લગભગ એક દાયકા પછી, જ્યારે અમે દિવ્યકુમારભાઈના લગ્નમાં હાજરી આપવા માટે અમદાવાદથી ભૂજ જઈ રહ્યા હતા, ત્યારે મધ્યરાત્રિએ, જ્યારે કમળભાઈએ ખાતરી કરી લીધી કે અમારી સાથે મુસાફરી કરી રહેલા પરિવારનું દરેક સભ્ય ગાઢ નિદ્રામાં છે, ત્યારે તેમણે તેમના મનમાં ચાલી રહેલ અનેક બાબતો વિશે વાત કરવાનું શરૂ કર્યું. લગભગ સ્વયંભૂ, એવાં તેમનાં એ એકપાત્રીય સંભાષણની શક્તિ એટલી પ્રબળ હતી કે તેઓ તો જાણે સમાધિમાં ઉતરી ગયા હોય એમ લાગતું હતું. મારી એ સમયની ઉંમરે, હું તો સાવે સાવ ડઘાઈ ગયો હતો. મેં ચોખવટ કરવાનો પ્રયાસ પણ કર્યો કે આ બધી વાત માટે હું કદાચ બહુ નાનો અને અપરિપક્વ હતો. મેં એમ પણ કહ્યું કે આ બધું તમે મને જે કહી રહ્યા છૉ તે શું છે અને શા માટે મને કહી રહ્યા છો તેને હું પુરેપુરી રીતે સમજી પણ નહીં શકું. તેમણે હસતાં હસતાં જવાબ આપ્યો કે તેનો વાંધો નથી કારણ કે તે પોતાની જાત સાથે વિચારવાનું પસંદ કરે છે અને હું તેમના માધ્યમ તરીકે તેમની સાથે હતો તે એક સારી તક હતી. તેમણે આગળ ઉમેર્યું કે આમ પણ હવે સમય આવી ગયો છે કે હું આવી બાબતોને સમજવાનું શરૂ કરું, વ્યક્તિના વર્તન અને વાણીની (સ્પષ્ટ અને ગર્ભિત બંને) અભિવ્યક્તિઓ પરથી બીજા વ્યક્તિના મનને વાંચવાનું શીખું. એ બે ત્રણ કલાકમાં જે વિષયો આવરી લેવામાં આવ્યા હતા તેમાંથી મોટા ભાગના તો આજે હવે એટલા દૂરના ભૂતકાળના છે કે તેને આજે હવે અહીં યાદ કરવું પ્ર્સ્તુત નથી.. ૧૯૬૦ ની તે ઘટનાના સંદર્ભમાં મને જે જીવનલક્ષી તાલીમ કમળભાઈ પાસેથી મળી તેનું મહત્વ એમણે કહેલી ઘણી વાતોનો અર્થ અને મહત્વ વર્ષો પછી જોકે મને સમજાતાં ગયાં.

તે રાત્રે તેમણે જે એક વિષય પર ચર્ચા કરી હતી તે હતો પોતાના ગુસ્સા પર નિયંત્રણ. કમળભાઈ કોઈપણ અન્યાય કે કોઈ પણ પોતાને અકારણ અસમર્થ માને તે સહન ન કરવા માટે જાણીતા હતા. તેઓ આ બાબતે તડ અને ફડ કહી દેતાં અચકાતા નહીં. સ્પષ્ટવક્તા તરીકેની તેમની છાપ સુપ્રસિદ્ધ હતી. તે રાત્રે તેમણે મને કહ્યું કે જ્યાં સુધી ચોખેચોખ્ખું બોલવાની વાત છે ત્યાં સુધી હું પણ તેમના રસ્તે જ ચાલી રહેતો હોય એવું લાગે છે. તેમણે મને ચેતવણી આપી કે ભલે હું કદાચ મારા મૂળભૂત સ્વભાવને બદલી ન શકું, પરંતુ તેમના પોતાના અનુભવોના આધારે, આવી રીતે સ્પષ્ટ બોલવાનો ઉપયોગ સમજદારીપૂર્વક કરજે - જે સમયે ચોખ્ખેચોખ્ખું પરખાવવાથી જો સકારાત્મક પરિણામ આવવાનું હોય તો જ મનમાં જે યોગ્ય લાગતું હોય તે કહેવું. આવા સમયે જો મનમાં ગુસ્સો ભડકવાની લાગણી થતી હોય તો તેને તો ટાળવી જ. તેમણે ઉમેર્યું કે સ્પષ્ટ બોલવાનો જો સમજદારીપૂર્વક ઉપયોગ કરવામાં ને આવે તો, યોગ્ય સમય હોય ન હોય તો સાચું કહેવાયેલું પણ થુંક ઉડાડવા બરાબર છે. જો કહેવું જ હોય તો જ્યારે તક મળે ત્યારે જરૂર કહી દેવું. એક તો તેનાથી સામેનું માણસ કાયમ માટે 'સુધરશે' નહીં અને બીજી તરફ લોકો તમારા વર્તનની અને ભાવનાની કદર કરી શકશે નહીં અને લોકોથી અલગ થઈ જશો. [1]

                          દિવ્યકુમારભાઈના લગ્ન સમારોહમાં કમળભાઈનું ઔપચારિક સ્વાગત

હું મારી સ્મૃતિની યાદોના પ્રસંગ સંદર્ભ ક્રમમાં આગળ વધી ગયો છું. એટલે થોડા વર્ષો પાછળ જઈને ફરીથી સમયના ક્રમ મુજબ આગળ વધીએ.

જ્યારે હું ૧૧મા ધોરણમાં હતો, એ દિવાળી વેકેશનમાં મને બીજગણિત અને ભૂમિતિ માટે ઢગલાબંધ પ્રેક્ટિસ વર્ક આપવામાં આવ્યું હતું. કદાચ આ પહેલું વેકેશન હતું જ્યારે હું અભ્યાસ પ્રત્યે એટલો ગંભીર હતો કે કમળભાઈના બધા જ પ્રોત્સાહનો અને સમજાવટ છતાં પણ મેં મારૂં કામ ન જ છોડ્યું. જ્યારે કમળભાઈને મારા પરિણામનો તાર મળ્યો, ત્યારે તેઓ ખરેખર ખૂબ જ ખુશ થયા અને તેમણે પોતાનો હરખ રજૂ કરતાં લખ્યું કે મેટ્રિક (એ સમયનું ૧૧મું ધોરણ) સુધીના તેમણે મેળવેલા કુલ ટકા પણ મારા ટકા જેટલા નથી થતા ! તેમણે અમારી પેઢીની પ્રગતિ માટે ખૂબ જ પ્રેમ સાથે ઉમેર્યું હતું કે, કાં તો અમે બહુ ઠોઠ હતા કે પછી તમે બધાં ખૂબ જ તેજસ્વી છો! કમળભાઈએ એ પણ યાદ કર્યું કે તે સમયની પ્રથા મુજબ જ્યારે મેટ્રિક પરીક્ષાનું પરિણામ અખબારોમાં પ્રકાશિત થયું, ત્યારે તેમણે પરિણામ તપાસવાની તસ્દી લીધી ન હતી, કેમકે તેમને સંપૂર્ણ વિશ્વાસ હતો કે તેઓ પરીક્ષા પાસ કરી શકશે નહીં. જોકે, થોડા દિવસ પછી, જ્યારે તે કેટલાક મિત્રો સાથે કોઈ દુકાન પર ગરમાગરમ ભજીયાંની મજા માણી રહ્યા હતા, ત્યારે તે ભજીયાંનાં તેલવાળાં છાપાંના પાના પર એક નંબર તેમની નજરે ચડી ગયો. નંબર જાણીતો લાગ્યો. દુકાનમાંથી તે છાપાંના બીજા પાના શોધી કાઢ્યા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે એ નંબર તો તેમનો મેટ્રિકનો નંબર હતો. તેમણે કહ્યું કે મારા તો માન્યામાં જ ન આવ્યું કે મેં પરીક્ષા પાસ કરી છે (😊!).

૧૯૬૭ની દિવાળી હતી. આખો વૈષ્ણવ પરિવાર અમદાવાદમાં અમારા એલ કોલોનીના ઘરે ભેગા થયો હતો. અમદાવાદમાં ૭૦ મીમી સ્ક્રીનવાળા બે થિયેટર, નટરાજ અને રૂપાલી, નવાં જ બમ્યાં હતા. તે દિવસોમાં નટરાજ ફક્ત અંગ્રેજી ફિલ્મો જ આવતી. તેથી, એવું આયોજન કરવામાં આવ્યું હતું કે પરિવારના ફક્ત પુરુષો જ નટરાજની મુલાકાત લેશે અને પછી બીજા દિવસે આખો વૈષ્ણવ પરિવાર રૂપાલી પર ચડાઈ કરશે. હું અને ઉપેન્દ્રભાઈએ એક દિવસ પહેલાં ટિકિટ ખરીદી આવ્યા. મને યાદ નથી કે રૂપાલીમાં કઈ ફિલ્મ અમે લોકોએ જોઈ, પણ નટરાજમાં અમે (ચાર્લ્ટન હેસ્ટન અને લોરેન્સ ઓલિવિયર અભિનીત) ખાર્તુમ જોઈ હતી.

જ્યારે હું એન્જિનિયરિંગ ગ્રેજ્યુએશન કોર્સમાં જોડાયો, ત્યારે કમળભાઈ સ્વાભાવિક રીતે ખૂબ જ ખુશ હતા અને પછી હંમેશા એ દિવસની રાહ જોતા હતા જ્યારે હું મારું ગ્રેજ્યુએશન પુરૂં કરૂ. જોકે, નિયતિએ કંઈ અલગ જ વિચાર્યું હતું. મારા એન્જિનિયરિંગ અભ્યાસના છેલ્લા સેમેસ્ટરમાં હું ત્યારે હોસ્ટેલમાં હતો. એક દિવસ, હોસ્ટેલમાં મારો એક મિત્ર પોસ્ટમેન સાથે તાર લઈને મારા રૂમમાં આવ્યો. ટેલિગ્રામમાં લખ્યું હતું:

હું તરત જ એલ કોલોની ગયો અને મહેશ (માંકડ) અને સમીર (ધોળકિયા) ના માતાપિતાને સમાચાર આપ્યા અને ત્યાંથી લાલ મિલ્સ કોલોનીમાં (કમળભાઈનાં મોટી દીકરી) દેવીબેનને સંદેશ પહોંચાડવા ગયો. ત્યાં પહોંચ્યા પછી જણાયું કે તેમને સંદેશ મળી ગયો છે અને તેઓ સુરત જવા માટે રવાના થઈ ગયાં છે.

જ્યારે હું રેલ્વે સ્ટેશન પહોંચ્યો, ત્યારે મને ખબર પડી કે નર્મદા અને તાપી પૂરને કારણે રેલ અને રોડ ટ્રાફિક ઠપ થઈ ગયો છે. હવે મને ચિંતા હતી કે ગોરાકાકા (મારા કાકા, જનાર્દનભાઈ વૈષ્ણવ) પરિવાર, મોટા અમ્મા (મારાં દાદી) સાથે અમદાવાદ પહોંચ્યા પછી સુરતની મુસાફરી કેવી રીતે કરશે. મેં એક દિવસ રાહ જોઈ. પણ એ તો ઘાસની ગંજીમાં તણખલું શોધવા જેવું કામ હતું. બીજા દિવસે, વહેલી સવારથી બસ સ્ટેશન પર લગભગ બે ત્રણ કલાક રાહ જોયા પછી, મેં પણ સુરત જવા માટે એસ ટીની બસ પકડી. બસ રાજપીપળા થઈને લાંબો ચકરાવો લેવાની હતી અને લગભગ દસ અગિયાર કલાકની મુસાફરી પછી સુરત પહોંચી શકી. 

સુરત પહોંચ્યા પછી, મને ખબર પડી કે મહેશભાઈને દિવ્યકુમારભાઈ તરફથી કમળભાઈની તબિયત અચાનક ખરાબ થવાનો ટ્રંક કોલ મેસેજ મળ્યો હતો. મહેશભાઈ અને બેનને પણ નવસારી બસ સ્ટેશન પર લગભગ બે ત્રણ કલાક રાહ જોયા પછી સુરત માટે બસ મળી હતી. સામાન્ય રીતે નવસારી સુરતની બસની મુસાફરી એકાદ કલાક લે તેને બદલે લગભગ ત્રણ કલાક જેટલો સમય લાગ્યો. જોકે, મહેશભાઈને કમળભાઈ સાથે એક રાત મળવાનો મોકો મળ્યો. બીજા દિવસે સવારે, ૧૬ સપ્ટેમ્બર ૧૯૭૯ના રોજ, કમળભાઈનું અવસાન થયું. મહેશભાઈએ મને એ પણ જણાવ્યું કે કમળભાઈ છેલ્લા ચાર મહિનામાં બે વાર એક એક દિવસ માટે નવસારી આવ્યા હતા. અલબત્ત, તે મુલાકાતો માટે કમળભાઈનું મિશન શું હતું તે મને ક્યારેય જાણવા ન મળ્યું.

મહેશભાઈએ પૂજામાં મુકેલો કમળભાઈનો ફોટો

૧૭ ડિસેમ્બર ૧૯૮૩ ની રાત્રે મહેશભાઈ સાથેની મારી છેલ્લી મુલાકાતમાં પણ નિયતિએ મારા માટે આવી જ યોજના લખી હતી, જ્યારે તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

હવે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે નિયતિના ચિત્રપટ પર એક જે તસવીર ઊભરી છે તેમાં દેખાય છે કે:

SSC પરીક્ષા પાસ કર્યા પછી મારા દાદાએ મને કાંડા ઘડિયાળ આપવાનું આયોજન કર્યું હતું, પરંતુ SSCના પરિણામના થોડા મહિના પહેલા જ તેમનું અવસાન થયું.

કમળભાઈ મારા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએશન માટે ખૂબ ઉત્સુક હતા. તેમનું પણ મારાં પરિણામના થોડા મહિના પહેલા અવસાન થયું.

મહેશભાઈ મારા ભવિષ્ય વિશે ખૂબ ચિંતિત હતા. મેં તેમને મૌખિક રીતે ખાતરી આપી હતી કે હવે બધું 'સલામત માર્ગ' પર છે, પરંતુ તેમની ચિંતા દૂર થયેલી જોવા માટે તેઓ નહોતા રહ્યા.

તેમના છેલ્લા દિવસોમાં ગોરાકાકાને મળવા જવામાં કોવિડ આડો ફાટ્યો.

પૂર્ણિમાકાકીએ તાદાત્મ્યના લગ્નના દરેક પ્રસંગની ઉજવણી માટે ઝીણવટભરી યોજના બનાવી હતી. પરંતુ જ્યારે તે પ્રસંગો તેમની ઇચ્છા મુજબ યોજવામાં આવ્યા ત્યારે તે પણ ત્યાં નહોતાં.

નિયતિએ મોટા અમ્મા, પ્રવિણાકાકી અને પછી બેનના અંતિમ સમયને લંબાવીને કહી દીધું કે આપણે બધાં તો સર્વોચ્ચ દિગ્દર્શકના હાથની કઠપૂતળી છીએ અને જીવનના રંગમંચ પર ફક્ત આપણને સોંપાયેલા પાત્ર આપણે ભજવવાનાં છે….......

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો …

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે …



[1] યોગાનુયોગ, એવી સલાહ મને ૧૯૭૩માં બિઆઈટીએસ છોડતી વકહ્તે  મારા મેજેજરિયલ ઈકોનૉમોક્સના પ્રોફેસર આર જી તગતે પણ આપેલીઃ


No comments: