Sunday, January 20, 2019

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જાન્યુઆરી, ૨૦૧૯


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જાન્યુઆરી, ૨૦૧૯ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ ગુણવત્તા બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯ દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ રૂપાંતરણનો માર્ગ' સાથે સંબંધિત અલગ અલગ વિષયોની માર્ગદર્શક ચર્ચા કરીશું.તદાનુસાર, જાન્યુઆરી, ૨૦૧૯ના આજના અંકમાં આપણે 'ડીજિટાઈઝેશન, ડીજિટલાઈઝેશન અને ડીજિટલ રૂપાંતરણ - મૂળભૂત બાબતો'ની વાત કરીશું.
[નોંધ Digitizationનું શબ્દ્કોષીય ગુજરાતી 'અંકીકરણ' અને Digitalizationનું ગુજરાતી 'અંકીયકરણ' મળે છે.આ શબ્દપ્રયોગ સમજવા અટપટા કહી શકાય તેવા છે. તેથી,આપણે સમગ્ર ચર્ચા દરમ્યાન અનુક્રમે 'ડિજિટાઈઝેશન' અને ડીજિટલાઈઝેશન' શબ્દપ્રયોગોનો જ ઉપયોગ કરેલ છે.]
ડીજિટાઈઝેશન પત્રકો, હાથથી લખેલ કે ટાઈપ કરેલ સંદેશાઓ, ફોટોગ્રાફ્સ, રેખાંકનો જેવી વસ્તુઓને તેનાં પરંપરાગત ભૌતિક સ્વરૂપમાંથી ડીજિટલ સ્વરૂપમાં કરાયેલ પરિવર્તન છે. કમ્પ્યુટર દ્વારા કામ કરવા માટે વસ્તુઓનું આ સ્વરૂપમાં હોવું આવશ્યક છે.
ડીજિટલાઈઝેશનમાં સંસ્થાની પ્રક્રિયાઓને સક્ષમ બનાવવામાં, સુધારવામાં કે રૂપાંતરણ કરવામાં ડીજિટલ ટેક્નોલોજિઓ કે ડીજિટાઈઝ કરેલ માહિતી સામગ્રીનો મહત્તમ ફાયદો ઉઠાવવામાં આવે છે. આનો અર્થ એમ પણ થાય કે ડિજિટલાઈઝેશન પહેલાં ડિજિટાઈઝેશન થયું હશે.
ડીજિટલ રૂપાંતરણમાં સંસ્થાની પ્રવૃતિઓ, ક્ષ્મતા અને કામગીરીનાં મૉડેલનાં તલસ્પર્શી રૂપાંતરણ વડે ડિજિટલ ટેક્નોલોજિ દ્વારા સંભવિત તકોનો મહત્તમ લાભ લેવામાં આવે.[1]
બીજા શબ્દોમાં કહીએ તો: માહિતીનાં ડિજિટાઈઝેશનથી માહિતી સામગ્રી સુધીની પહોંચ સહેલી બને છે, જેને પરિણામે એનેલોગ (સાદૃશ્યમૂલક) સ્વરૂપ કરતાં તે વધારે કાર્યક્ષમ બની શકે છે. સસ્થાના
વ્યવસાયની પ્રક્રિયાઓનાં ડીજિટલાઈઝેશનમાં પ્રક્રિયાને સુધારવા માટે કે રૂપાંતરણ કરવા માટે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ મુખ્ય સ્થાને રહે છે, જેને પરિણામે ક્યાં તો આવક વધે કે પછી ખર્ચા ઘટે. ડિજિટલ રૂપાંતરણમાં કામ કરવાની રીતને ડીજિટલ ટેક્નોલોજીની મદદથી પાયાથી નવી રીતે ઘડવામાં આવે છે જેથી મૂલ્યવૃધ્ધિના નવા સ્રોત પેદા થાય. તેનો સંબંધ અસરકારકતા સાથે વધારે છે. વળી તે અમુક તમુક પ્રક્રિયાઓ કે કાર્યક્ષેત્રને નહીં પણ સમગ્ર સંસ્થાને આવરી લે છે.[2]
ડિજિટાઈઝેશન', 'ડીજિટલાઈઝેશન' અને 'ડીજિટલ રૂપાંતરણ' વચ્ચેના તફાવતને નીચેની આકૃતિમાં સમજાવાયેલ છે.[3]

જોકે, ટેક્નોલોજિ વિષેના અલગ અલગ દૃશઃટિકોણ ધરાવતાં અલગ અલગ લોકો માટે ડીજિટલાઈઝેશનની સમજ અલગ અલગ હોય છે. એક તરફ, નોર્થ કેરોલિના સ્કૂલ ઑફ મિડીયા અને જર્નાલિઝમના જે. સ્કૉટ્ટ બ્રૅન્નન અને ડેનીયલ ક્રાઈસ છે જેઓ ડિજિટલાઈઝેશનને એવી રીત તરીકે જૂએ છે જેમાં જૂદાં જૂદાં સામાજિક જ્ઞાનક્ષેત્રો ડિજિટલ પ્રત્યાયન અને માધ્યમોનાં આધારરૂપ માળખાંની આસપાસ પુનઃગઠન થયેલ હોય. બીજી તરફ, ગાર્ટનર અનુસાર, ડિજિટલાઈઝેશન એ ડીજિટલ ટેક્નોલોજિનો એવો ઉપયોગ છે જેના વડે સંસ્થના વ્યવસાયની કામગીરીનો ઢાંચો બદલી નાખી નવી આવક અને મૂલ્યવૃધ્ધિની તકો સિધ્ધ કરવાનું શક્ય બની શકે છે. 
ડિજિટલ રૂપાંતરણ એ સંસ્થામાં કોઈ પણ સમયે ચાલી રહેલ ડીજિટલાઈઝેશન પરિયોજનાઓનો માત્ર સરવાળો નથી. ખરા અર્થમાં ડીજિટલ રૂપાંતરણ માટે સંસ્થાએ સમગ્રતયા પરિવર્તન સાથે નવી રીતે કામ લેવું જરૂરી છે. એ માટે સંસ્થાએ પોતાનાં મૂળભૂત સામર્થ્યને, સંસ્થાનાં દરેક સ્તરે, ગ્રાહકલક્ષી પરિવર્તનમાટે સક્ષમ કરવું પડે.
આમ સરવાળે તારણ એ નીકળે કે, માહિતી આપણે ડીજિટાઈઝ કરીએ, પછીથી સંસ્થાના વ્યવસાય સાથે સંકળાયેલ પ્રક્રિયાઓ અને ભૂમિકાઓને ડીજિટલાઈઝ કરીએ અને તે પછીથી, સંસ્થા અને તેની દૂરગામી વ્યૂહરચનાનું ડીજિટલ રૂપાંતરણ કરીએ. દરેક પોતાની રીતે આવશ્યક છે પણ પછીના તબક્કા માટે પૂરતાં નથી. ડિજિટાઈઝેશન અને ડીજિટલઈઝેશનનો સંબંધ ટેક્નોલોજિ સાથે છે જ્યારે ડીજિટલ રૂપાંતરણનો નાભિનાળ સંબંધ ગ્રાહક સાથે છે. [4]
સંસ્થાના વ્યવસાયનું ડિજિટલ રૂપાંતરણ નવોન્મેષ અને સ્પર્ધાત્મક સરસાઈ માટેની વિશાળ તકો શકય બનાવે છે. એ માટે સંસ્થાની સંસ્કૃતિ, વ્યૂહરચના, ટેક્નોલોજિ અને કામગીરીને લગતાં પરિવર્તનો અંગેના સંસ્થાના અભિગમ પ્રત્યે ધરમૂળથી ફેરવિચારણા આવશ્ય્ક બની રહે છે....સ્વસંચાલિત વ્યાવસાયિક પ્રક્રિયાઓ દ્વારા ચાલક મેળવતા સંસ્થાના વ્યવસાયના ઢાંચા દ્વારા ગ્રાહકોને નવાં ઉત્પાદનો અને સેવાઓ નવી રીતે પૂરી પાડવાની સંભાવનાઓના પડકારો  માટે પણ સંસ્થાએ સજ્જતા કેળવવી રહેશે. [5]
ડિજિટાઈઝેશન (સ્વરૂપ પરિવર્તન), ડિજિટલાઈઝેશન (પ્રક્રિયા) અને ડીજિટલ રૂપાંતરણ (પરિણામ) સમાજની અંદરની પરિવર્તનની જૂદી જૂદી પ્રક્રિયાઓને આપસી, અને સમગ્રતઃ, સ્તરે વધારે ગતિમાન કરે છે અને પ્રકાશમાં લાવે છે. [6]
                            

તો ચાલો, હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
Management Matters Network પરની કોલમ Competitive Strategy માંનો એવરેસ્ટ ગ્રુપના મુખ્ય સંચાલક, પીતર બેન્ડૉર-સેમ્યુઅલનો લેખ Where Most Companies Go Wrong In Digital Transformation આપણે આજના બ્લૉગોત્સ્વના અંક માટે પસંદ કરેલ છે. …. મોટા ભાગની સંસ્થાઓ ડિજિટલ રૂપાંતરણને અસરકારકરીતે અમલ કરવામાં નિષ્ફળ રહે છે તેનું કારણ સંસ્થાની એ માનસિકતા છે જે આ પ્રક્રિયાને વર્ષોવર્ષ ચાલતી સફરને બદલે એક છૂટીછવાઈ ઘટના માનીને ચાલે છે. સફળતા માટે બે અગત્યની બાબતોમાં ધરંમૂળથી ફેરફાર આવશ્યક છે : પૂરતાં સંસાધનોની ફાળવણી અને નવી દૃષ્ટિથી અમલ.
આપણા આજના અંકમાં ASQ TV પરનાં બે વૃતાંતની નોંધ લઈશું, જેમાં આપણા આ વર્ષના ચર્ચાના વિષયની ઝાંકી જોવા મળે છે.:
  • Quality and Technology - ગુણવત્તા અને ટેક્નોલોજિને કેમ એકબીજા સાથે વણી લઈ શકાય તેની વાત પ્રસ્તુત અંકમાં કરવામાં આવી ઃએ. સુનીલ કૌશીકે આભાસી વાસ્તવિકતા (virtual reality)ની મદદથી વર્તમાન પ્રક્રિયાઓ કેમ વધારે અસરકારક બનાવી શકાય તે ખોળી કાઢ્યું છે. બિલ હૅથવે જણાવે છે કે ચપળ (agile) પ્રક્રિયા વડે પ્રક્રિયા આલેખન (design) શી રીતે ટેક્નોલોજિ સંબંધિત પ્રગતિ સાથે કદમ મેળવી શકે.

"Virtual Reality for Quality", Sunil Kumar V. Kaushik, 2017
Full Interview with Bill Hathaway,
  • Digital Transformation - ઈન્ડસ્ટ્રી ૪.૦ કે ગુણવત્તા ૪.૦ જેવા શબ્દો આપણને અને આપની સંસ્થાને એ દિશામાં કંઈ પણ પગલું ભરવા માટે વધારે પડતા મોટા લાગે છે. શરૂઆત કરવા માટે ડીજિટલ રૂપાંતરણથી વધારે ઉચિત પ્રક્રિયા બીજી કોઈ ન હોઈ શકે.

Quality Experience Telemetry
Jim L. Smithની ડીસેમ્બર, ૨૦૧૮ની Jim’s Gems પૉસ્ટ:
  • Pursuit of Customer Satisfaction એ માત્ર ગ્રાહકલક્ષી સુધારા કરવા સુધી સીમિત નથી. એ તો અત્યારે જે કંઈ છે તેની સાથે અસંતોષ કેળવવાની વાત છે, સંસ્થાએ સતત પરિવર્તન કરતાં રહેવાની વાત છે, અને સુધારાનો પીછો ન છોડે તેવી અધીરાઈ જગવવાની વાત છે.…પીછો પકડવાની આ પ્રક્રિયાને બને એટલી સરળ રાખવી, પ્રસ્તુતિ જાળવી રાખવી અને પ્રયત્નો સાચી દિશામાં જ બની રહે એ વરિષ્ઠ સંચાલન મંડળની જવાબદારી છે. જો આમ ન બન્યું, તો સંસ્થામાં ગુંચવણ પ્રસરી શકે છે, જે સુધારાના પ્રયત્નોને વેરવિખેર કરી નાખીને બીનઅસરકારક બનાવી શકે છે.
  • Expectations, નજીકનાં ભવિષ્યમાં કંઈક થઈ શકે છે એવી સશકત માન્યતાઓ છે.…જોકે, ઘણાં લોકોને એ ખ્યાલ નથી અપેક્ષા એ સ્વ-પરિપૂર્ણ થતી ભવિષ્યવાણી પણ છે. સવ-પરિપૂર્ણ થતી ભવિષ્યવણી એક એવી ઘટના છે જે અપેક્ષિત રખાતી હોવાને કારણે તેના થવાની સંભાવના વધી જાય છે. ઘણી વાર તો તે ઘટના થવામાં પણ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.…સકારાત્મક વિચારસરણીના ચિરખ્યાત પ્રણેતા, નોર્મન વિન્સેન્ટ પીલ, નુ કહેવું રહ્યું છે કે 'આપણે જેવી અપેક્ષા કરીએ તેવું જ આપણને મળવાની શક્યતા હોય છે.'

ગુણવત્તા સંચાલનનાં ડીજિટલ રૂપાંતરણ વિષે તમારી જાણમાં હોય તેવા માહિતીસ્રોત અથવા તમારાં મંતવ્યો, સુચનો કે અનુભવો અમને જરૂરથી જણાવશો.
.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

Tuesday, January 15, 2019

વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : :નવું વર્ષ


નવું વર્ષ બેસે એટલે થોડા દિવસ તેને લગતી પ્રવૃત્તિઓ ધમધમે ! શરૂઆત થાય નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવાથી. આપણા દેશી નવા વર્ષ નિમિત્તે એકબીજાને ઘરે જઈને તેમને શુભેચ્છા પાઠવવાની પ્રથાની સામે પશ્ચિમમાં ભાતભાતનાં કાર્ડ્સ મોકલવામાં આવતાં હોય છે. સીધાસાદા શુભેચ્છાસંદેશથી માંડીને ખૂબ કળાત્મક કાર્ડ્સની શ્રેણીમાં વ્યંગ્યાત્મક ચિત્રો અને કથનો દ્વારા નવા વર્ષની શુભેચ્છા પાઠવવાના પ્રયોગોની પણ એક વિશિષ્ટ પ્રણાલી વિકસી છે.
અહીં એવા કેટલાક વ્યંગ્યાત્મક સંદેશા અને તેને પાઠવવાની રીત રજૂ કરી છે.
****
મેડી અને સ્ટુ રીસ/ Maddy and Stu Rees બન્ને હાર્વર્ડ લૉ સ્કૂલનાં વકીલ છે. કાયદાને લગતી વિવિધ બાબતો પર કાર્ટૂન બનાવવામાં તેઓ નિષ્ણાત છે. અહીં તેમણે એક વકીલ શી રીતે પોતાના ગ્રાહકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે એ દર્શાવ્યું છે.
image
તેમનાં વધુ કાર્ટૂનો Stu’s views http://www.stus.com/holidayecards.html પર માણી શકાશે.
+ + + +
નવા વર્ષના આગમન અને ગયા વર્ષની વિદાયને વ્યંગ્યાત્મક ચિત્રોમાં ખાસ સ્થાન મળતું રહ્યું છે. વીતેલા વર્ષના સ્વરૂપે વૃદ્ધને તેમ જ નવ વર્ષને શિશુ તરીકે દર્શાવવાની રીત પણ સામાન્ય છે. અહીં ગત વર્ષની સળગતી સમસ્યાઓ નવા વર્ષને વારસામાં મળતી બતાવાઈ છે.
image
+ + + +
image
અહીં આજની પેઢીએ કરેલા દેવાની જવાબદારી ભાવિ અનેક પેઢીઓને વારસામાં આપવાની વાત ભલે અમેરિકાના અર્થતંત્રના જાહેર દેવાને લઈને કરાઈ છે, પણ મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ વધતા જતા વૈશ્વિક દેવાનાં સ્તરને હવે પછીની આર્થિક મહામંદીનો ગમે ત્યારે ફૂટી શકે એવો પરપોટો ગણાવે છે.....અને સરકારી તિજોરીને ખર્ચે તેમ જ જોખમે મતદારને રીઝવવાની હોડમાં આપણી અર્થવ્યવસ્થા પણ આ ચિત્રમાં બંધબેસતી થવાની દહેશત રહે છે.
આ કાર્ટૂન અમેરિકન કાર્ટૂનિસ્ટ ડેવ ગ્રેન્‍લન્‍ડ/Dave Granlundનું છે. તેમનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ https://www.davegranlund.com/cartoons/ પર માણી શકાશે.
+ + + +
સતીશ આચાર્યના આ કાર્ટૂનમાં વીતેલા વર્ષને ઘાયલ અવસ્થામાં બતાવ્યું છે, જ્યારે નવા વર્ષને ગાયનું મહોરું પહેરાવવામાં આવ્યું છે. કાર્ટૂનમાં નવા વર્ષને નવી આશા સાથે આવકારવાની વાત કરવામાં આવી છે, પણ ગાયનું મહોરું અને આ વર્ષે યોજાનારી ચૂંટણીઓનો કોઈ સંબંધ હશે?
image
+ + + +
image
સ્લોવેકિયન કાર્ટૂનિસ્ટ મેરીઅન કેમેન્‍સ્કી/Marian Kamenskyનું આ કાર્ટૂન બહુ માર્મિક છે.
શાંતિદૂતને લઈને આવતા વર્ષ ૨૦૧૯ના વર્ષને યુધ્ધખોરીની વધતી જતી માનસીકતાને પાર કરવાની છે. તેણે પોતાની પાસેના શાંતિદૂતને પીંજરામાં મૂકીને જ આગળ વધવાનું છે. અહીં શસ્ત્રયુધ્ધ તેમ જ દેશદેશ વચ્ચેનાં વ્યાપારયુધ્ધ કે વિવિધ પક્ષો વડે 'ધર્મક્ષેત્રે' લડાતાં સત્તાયુદ્ધોનો અર્થ પણ કરી શકાય.
મેરીઅનનાં કાર્ટૂનો તેમની વેબસાઈટ https://www.humor-kamensky.sk/ પર માણી શકાશે.
+ + + +
વૈશ્વિક સાંપ્રત ઘટનાઓને લગતાં વ્યંગ્યચિત્રોની સાથે ભારતની રાજકીય પરિસ્થિતિને રજૂ કરતાં બે કાર્ટૂન પણ જોઈએ.
image
મંજુલના આ કાર્ટૂનમાં ઉલ્લેખ દક્ષિણ ભારતના લોકપ્રિય ફિલ્મ કલાકાર રજનીકાન્તના રાજકારણમાં પ્રવેશનો છે, જે ૨૦૧૮ના અંતે પણ એટલો જ સુસંગત રહે છે…
+ + + +
image
૨૦૧૮નાં અંતમાં યોજાયેલી ત્રણ હિંદીભાષી રાજ્યોની ચૂંટણીઓનાં પરિણામોએ વેરવીખેર, હતોત્સાહ વિપક્ષોમાં ૨૦૧૯ની લોકસભાની ચુંટણી માટે આશાઓ જગવી છે, એટલે બધા પક્ષો મતદારને રીઝવવા નીતનવાં આકર્ષણોની હારમાળા સર્જવાની હોડમાં લાગી ગયા છે. સતીશ આચાર્યે આ કાર્ટૂનમાં દરેકના ચહેરા પર આબાદ હાવભાવ દર્શાવ્યા છે.
+ + + +
વર્ષની વિદાય અને આગમન જેવો જ એક પ્રચલિત વિષય છે નવાં વર્ષના સંકલ્પનો. નવાં વર્ષના સંકલ્પો વિષે જેટલું બોધાત્મક સાહિત્ય રચાય છે એટલું જ કટાક્ષસાહિત્ય પણ સર્જાતું હશે! ઓસ્ટ્રેલિયન કાર્ટૂનિસ્ટ જહોન ડિચબર્ન/John Ditchburn નવા વર્ષમાં પાળવાના સંકલ્પોને ફક્ત મનમાં ‘યાદ કરાવે છે’.
image
ધુમ્રપાન છોડવું કે વજન ઉતારવા જેટલો જ મહત્વનો સંકલ્પ છે પતિપત્નીએ પરસ્પર કાદવ ન ઉછાળવાનો. રાજકારણીઓ પણ એ સંકલ્પ લે અને સંસદગૃહમાં નહીં, તો કમસે કમ ચુંટણી પ્રચાર દરમ્યાન પાળે એવા શેખચલ્લી જેવા ખ્વાબ જોવાનો સંક્લ્પ આપણે પણ કરી શકીએ.
+ + + +
image
આ ભાઈ બિચારા નવો સંકલ્પ લેવાની ના પાડે છે. હજી તેમને છેક 1987થી લીધેલા સંકલ્પોનું પાલન બાકી છે. આ મઝાનું કાર્ટૂન અમેરિકન કાર્ટૂનિસ્ટ બૉબ મેન્‍કોફ/Bob Mankoffનું છે, જેમનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ https://www.bobmankoff.com/ પર જોઈ શકાશે.
+ + + +
image
નવા વર્ષનો સંકલ્પ લેતાં આ મહાશય કહે છે, ‘આ નવો આરંભ હોય તો પછી તે જૂના સમાપન જેવો કેમ લાગે છે?’
દર વર્ષે નવા વર્ષની શુભેચ્છા મળે, નવો સંકલ્પ કરીએ, સમસ્યાઓ આવે, લીધેલો સંકલ્પ રઝળી પડે. જોતજોતાંમાં વર્ષ દોડાદોડીમાં ક્યારે પૂરૂં થઈ જાય એ ખબર જ ન પડે અને પાછું નવું વર્ષ આવી જાય. અને ફરીથી નવા વર્ષની શુભેચ્છાઓ મળે. શંકરાચાર્યે કહેલું એમ ‘પુનરપિ જન્મમ્‍ પુનરપિ મરણમ્‍’નું ચક્ર ચાલતું રહે છે.
આ કાર્ટૂન http://www.greatcartoons.com/newyear.htm પરથી લેવામાં આવ્યું છે.
+ + + +
image
વાત તો ખરી છે, કૅલેન્ડરની જ શોધ ન થઈ હોત તો દર વર્ષે સંકલ્પ કરવાની આ ઝંઝટ આવી ન પડત ! નવા વર્ષે સંકલ્પ લેવાની પ્રથા આદિમાનવ જેટલી જ પુરાણી છે એમ અહીં સૂચવવામાં આવ્યું છે. અમેરિકન કાર્ટૂનિસ્ટડેવ કવરલી/Dave Coverlyનું આ કાર્ટૂન છે. તેમનાં અનેક કાર્ટૂનો તેમની વેબસાઈટ https://www.speedbump.com/ પર માણી શકાશે.
+ + + +
image
આમના એક ભૂતપૂર્વ ઉત્પાદનનું બ્રાન્ડનેમ જ The Resolution (સંકલ્પ) હતું, જેને લોકો દર વરસે બીજી જાન્યુઆરીએ જ વાપરતા.
લીધેલા સંકલ્પ, જો કોઈ યાદ ન કરાવે તો ભુલાઈ જાય તેમ The Resolution જેવાં નામની કોઈ બ્રાન્ડ હતી તે પણ સહયોગીઓને યાદ દેવડાવવું પડે!! આ કાર્ટૂનના કાર્ટૂનિસ્ટનો ખ્યાલ આવતો નથી, પણ તે https://www.shutterstock.com/image-illustration/remember-our-former-product-resolution-that-126487280 પરથી લેવામાં આવ્યું છે.
+ + + +
નવા વર્ષની ઉજવણીને લગતાં કાર્ટૂનની એક ઝલક જોઈએ.
image
“Happy New Year. I’ll double four spades!” | Don Tobin
જગત આખું ઉજવણીમાં મશગૂલ છે ત્યારે આ ચાર જોડીદારો પત્તાં ટીચી રહ્યા છે. જન્માષ્ટમીની જેમ તહેવારોમાં તીન પત્તી રમવાની પ્રથા પર આપણો એકલાનો ઈજારો નથી.
આ કાર્ટૂન ડૉન ટોબિન/Don Tobinનું છે.
+ + + +
image
ફટાકડા ફોડવાના હોય એવા તહેવારના દિવસે જ ફટાકડા નહીં ફોડવાના નિયમો કરવામાં પણ આપણે એકલા નથી. પણ અહીં તેનો મસ્ત ઉપાય ખોળી કાઢ્યો છે.
આ કાર્ટૂનના કાર્ટૂનિસ્ટનો ખ્યાલ આવતો નથી.
+ + + +
image
આ કાર્ટૂનમાં બતાવાયું છે એમ, સમય ઓછો અને કરવાનાં કામ ઘણાં હોય એ કાયમી સ્થિતિ છે.
આ લેખ પણ જલદી જલદી પૂરો કરીએ.
પણ ઉતાવળ ગમે તેટલી હોય 'તમારૂં ૨૦૧૯નું વર્ષ સફળતાઓ સાથે આનંદનું બની રહે' એવી શુભેચ્છા પાઠવવાનું થોડું ભુલાય?
image


Disclaimer: The cartoons in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here..

Sunday, January 13, 2019

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જાન્યુઆરી, ૨૦૧૯


જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૬૪થી ૧૯૭૦ : 
જયદેવની કારકીર્દીની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતોનાં વર્ષો

ખુબ લાંબા સમય સુધી સક્રિય રહ્યા, હિંદી ફિલ્મો માટે ત્રણ ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા તેમ છતાં જયદેવ
(જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૧૯ - અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭)ની ગણના જેમને તેમની પ્રતિભા મુજબ લોકચાહના ન મળી એવા સંગીતકારોમાં જ કરવામાં આવે છે. તેમની અવસાન તિથિના મહિનામાં આપણે તેમની હિંદી ફિલ્મ કારકીર્દીની સહસફર કરી રહ્યાં છીએ.

આ પહેલાં આપણે તેમની ૧૯૫૫ થી ૧૯૬૩ સુધીમાં રજૂ થયેલી રચનાઓ માણી ચૂક્યાં છીએ. તેમની કારકીર્દીના આ પહેલા તબક્કામાં શરૂઆતના થોડા સંઘર્ષ બાદ 'હમ દોનો' અને 'મુઝે જીને દો'નાં સંગીતની ક્લાસ અને માસનાં સ્તરે લોકચાહના જોતાં એવું લાગતું હતું કે જયદેવની કારકીર્દીનો બાગ હવે પૂર્ણ કળાએ મહોરી રહેશે.

પરંતુ વિધિની પોથીમાં એવા લેખ નહોતા. 'મુઝે જીને દો' સમયે જયદેવને સાહિર સાથે અણબનાવ થયો અને નવકેતનની 'હમ દોનો' પછીની ફિલ્મ 'ગાઈડ'માંથી તેમનું પત્તું કપાઈ ગયું. આ ઘટના ક્રમને પરિણામે, કદાચ, તેમણે ઓછાં બજેટની, બીજાં સ્તરનાં ગણાતાં નિર્માણ ગૃહોની ફિલ્મો સ્વીકારવી પડી હશે.'સફળ' ક્લબનાં સભ્યપદથી વંચિત સંગીતકારો સાથે જેમ મોટા ભાગના કિસ્સાઓમાં થતું રહ્યું હતું તેમ, જયદેવનાં સંગીત પર તત્ત્વતઃ ઓછાં બજેટની ફિલ્મોનાં વાતાવરણની સીધી અસર ન પડી, પણ એ ફિલ્મોની ગુમનામીને કારણે તેમનાં સંગીતને પણ કંઈક અંશે ગુમનામી જ નસીબ રહી.

આજે આપણે તેમની ૧૯૬૪થી ૧૯૬૯ સુધીની જે ફિલ્મોનાં ગીત સાંભળીશું. ન તો ફિલ્મો કે ન તો ગીતો જાણીતાં છે. રડ્યાં ખડ્યાં ગીતને બાદ કરતાં બાકીનાં બધાં જ ગીત મારા માટે પહેલી જ વાર સાંભળવા મળતાં હોય તેવાં આ ગીતો છે.

નૈહર છૂટલ જાય (૧૮૬૪)

આ ભોજપુરી ફિલ્મ છે,જેનું એક ગીત અતુલ'સ સોંગ અ ડેના સૌજન્યથી મળી શક્યું છે.

જિયરા કસક મસક મોર રહે લાગલ - મોહમ્મદ રફી - ગીતકાર શૈલેન્દ્ર

જયદેવ પાસેથી ખરા અર્થમાં હલકી ફુલ્કી છતાં કર્ણપ્રિય ધુન સાંભળવાનો લ્હાવો મળે છે. મોહમ્મદ રફીના ઘણા ચાહકોએ આ ગીત સાંભળ્યું પણ હશે.

આ ગીત આશા ભોસલેના સ્વરમાં, જોડીદાર ગીત તરીકે પણ, રેકોર્ડ થયું છે. એક ભાવની પુરુષ ને સ્ત્રીની રજૂઆતમાં જે સાહજિક તફાવત હોય તે આ બને વર્ઝનમાં બહુ સ્વાભાવિકપણે ધ્યાન પર આવી રહે છે.

હમારે ગમ સે મત ખેલો (૧૯૬૭)

આ પણ ઓછી જાણીતી, નાનાં બજેટવાળી ફિલ્મ છે, જેમાં તલત મહમૂદ, ગીતા દત્ત જેવાં ગાયકોનાં બૂઝતી શમાના ઝળહળાટ જેવાં ગીતોની સાથે મહેન્દ્ર કપૂર અને કૃષ્ણા કલ્લેના સ્વરોની અજમાયશના પ્રયોગ સાંભળવા મળે છે.

યે ખામોશી ક્યું યે મદહોશી ક્યું - ગીતા દત્ત - ગીતકાર ન્યાય શર્મા

ગીતા દત્ત સાથેનાં જયદેવે સંગીતબધ્ધ કરેલાં આ એક માત્ર ગીતમાં ગીતા દત્ત તેમની સાહજિક માર્દવતાને બરકરાર રાખે છે. સામાન્યતઃ લોક ધુનો પર રચના કરતા જયદેવ આ પાશ્ચાત્ય રચનાને પણ પૂર્ણપણે ન્યાય કરે છે.

યે બહાર કા સમા, નિખાર કા સમા, ખો ન દેના - મહેન્દ્ર કપૂર, કૃષ્ણા કલ્લે - ગીતકાર ન્યાય શર્મા

ગાયકોની પસંદગી પર કદાચ ફિલ્મનાં ટાંચાં બજેટની અસર હશે, પણ ગીતની મીઠાશ પર તેની કોઈ જ અસર નથી વર્તાતી. જયદેવની શૈલીને અનુરૂપ, ગીતની બાંધણી ગણગણવા માટે અઘરી છે, પણ સાંભળવી જરૂર ગમે તેવી છે.

આંસુ છૂપાયે આંખમેં, ખૂન-એ-જિગર પિયા કરૂં - તલત મહમૂદ - ગીતકાર શિરીશ

વ્યાપક સિને સંગીતના શોખીનોમાં કદાચ લોકપ્રિય ન કહેવાય, પણ તલત મહમૂદના ચાહકો માટે આ ગીત અજાણ્યું નથી.

કહીયે ક્યા હુકમ હૈ, મૈં પ્યાર કરૂં યા ન કરૂં, કહીયે ક્યા હુકમ હૈ - આશા ભોસલે - ગીતકાર ન્યાય શર્મા

મુજરા ગીતનાં બધાં અંગ આ ગીતમાં છે સિવાય કે સરળ ગેયપણું. જોકે હાર્મોનિયમના ટુકડા, સાંભળવાની મજા પડી જાય છે. 

જિયો ઔર જીને દો (૧૯૬૯)

આ ફિલ્મ અને તેનાં ગીત પણ જાણ ફિલ્મનાં અજાણ ગીતોની યાદીમાં આવે. જયદેવ અને હસરત જયપુરીની જુગલબંધી પણ આ પછી ફરી વાર નથી જોવા મળી.

મૈં તો કર કર બિનતી હારી રે - સુમન કલ્યાણપુર - ગીતકાર હસરત જયપુરી

સુમન કલ્યાણપુર અને જયદેવનું સંયોજન જવલ્લે જ સાથે સાંભળવા મળે. સુમન કલ્યાણપુર જયદેવની અઘરી રચનાને મીઠાશસભર ન્યાય આપે છે.

યે ધરતી હમારી ધરતી હૈ, ઈસકો સ્વર્ગ બનાયેંગે - મન્ના ડે, સુલક્ષણા પંડિત, સાથીઓ - ગીતકાર હસરત જયપુરી

તાલ વાદ્યની લય અને મન્ના ડેની ગાયકી અઘરી હોવા છતાં, ગીતના બોલમાંની ધરતી ફોરમને પ્રસરવામાં ગીતની ધુન સાથ આપે છે.

આજકી રાત બસ જલવા દીખાને કે લિયે - મોહમ્મદ રફી - ગીતકાર હસરત જયપુરી 

ગીતની મુશ્કેલ તર્જ ગીતના ભાવને જીવંત કરવામાં આડી નથી આવતી.

રૂપ કી ધૂપ ઢલ કે રહેગી - મોહમ્મદ રફી - ગીતકાર હસરત જયપુરી

ગીતની શરૂઆત અને અંતરામાં જે હરકતો છે તેના પરથી ગીત શશેરી ગીત પ્રકારનું હોય તેમ જણાય છે. જયદેવે ગીતની બાંધણી શક્ય એટલી હળવી કરી છે, એટલે ગીતનો મસ્તીનો ભાવ સુપેરે જળવાઈ રહ્યો છે.

સપના (૧૯૬૯)

ફરી એક વાર : ગુમનામ રહેલી ફિલ્મ. આ વખતે તો ગીતકાર પણ (આપણા માટે) નવા; અને તેમ છતાં જયદેવનો સ્પર્શ ફિલ્મનાં ગીતોને કર્ણપ્રિયતાની, વૈવિધ્યની, માર્મિકતાની આભા આપવામાં પાછૉ નથી પડતો.

અનાડી મોરા બલમા...અચર ધર થનકે – લક્ષ્મી શંકર - ગીતકાર વીએન મંગલ

શાસ્ત્રીય/ અર્ધશાસ્ત્રીય ગીતોને શાસ્ત્રીય ગાયક પાસે ગવડાવવાનૉ જયદેવ સફળતાપૂર્વક પ્રયોગ કરે છે, જેને કારણે આ પ્રકારનાં ગીતોમાં ખાસ પ્રકારની તાજગી અનુભવાય છે.

અય મેરી મજબુર ઝિંદગી.. ચલ રી કહીં ચલ તૂ ઝિંદગી - મન્ના ડે - ગીતકાર વીએન મંગલ

આપણી પાસે ગીત માત્ર ઓડીયોમાં જ છે પણ ગીતનો ઢાળ અને તાલ ગીત ગાડામાં ગવાતું હોય તેવું નિર્દેશ કરી જાય છે. ચાલુ વાહનમાં ગવાતાં ગીતના પ્રકારમાં ગાડામાં ગવાતાં ગીત્નો પ્રકાર હિંદી ગીતોમાં આગવું સ્થાન ધરાવે છે.

મુઝ સે મત રૂઠો, ના ના રૂઠો મેરી જાન ચલી જાયેગી - મોહમ્મદ રફી ગીતકાર વીએન મંગલ

રીસામણાં-મનામણાં પણ હિંદી ફિલ્મોનો એક બૌ પ્રચલિત ગીત પ્રકાર રહ્યો છે. જયદેવ પણ એ પ્રકારનાં ગીત માટે પોતાની સજ્જતા સાબિત કરી આપે છે.!

રીસામણાં-મનામણાં ગીતનું જોડીયું વર્ઝન હોવું એ પણ બહુ પ્રચલિત કાર્યપધ્ધતિ રહી છે. અહીં, જયદેવ કૃષ્ણા કલ્લે , તોફાની અંદાજમાં, 'બીજા પક્ષ"ની રજૂઆતની મજા આપણી સમક્ષ પેશ કરે છે.

આજના અંકમાં મોહમ્મદ રફીનાં ગીતોની સંખ્યા એટલી રહી છે કે દરેક અંકને અંતે અંકના વિષય સાથે સુસંગત મોહમ્મદ રફીનાં ગી ન મુકાઈ શક્યાં હોત તો ખેદ ન રહેત. પરંતુ ૧૯૭૦ની બે અપ્રકાશિત ફિલ્મનાં આ બે ગીતો આપણને આપણી પ્રથા જાળવી આપે છે.

એક બુલબુલા પાનીકા (૧૯૭૦)(અપ્રકાશિત)

તીન તાલ પર નાચ....બુઢાપે, બચપન ઔર જવાનીકે..રંગ હઝારોં - મોહમ્મદ રફી - ગીતકાર કૈફી આઝમી

જયદેવ મોહમ્મદ રફીના સ્વરને ભજન માટે સાવ અલગ સૂરમાં જ રજૂ કરે છે.

શાદી કર લો (૧૯૭૦) (અપ્રકાશિત)

ન તુમ હટો ન હમ હટૅં - મોહમ્મદ રફી અને પરવીન સુલ્તાના - ગીતકાર જાન નિસ્સાર અખ્તર

જયદેવના કવ્વાલીના પ્રયોગની અજમાયીશમાં પરવીન સુલ્તાનાના સ્વરની અનોખી રજૂઆતની મેળવણી નવીન, રસપ્રદ અને કર્ણપ્રિય અનુભવ નીવડે છે. 

સામાન્ય રીતે કોઈ પણ અંકના અંતમાં મોહમ્મદ રફીનાં ગીત સાંભળયા પછી બીજી કોઈ કેફીયત રજૂ ન કરવાની આપણી પ્રથા છે. પરંતુ આજે એક અપવાદ કરવો જરૂરી છે.

મારે એક કબુલાત કરવાની છે. ગયા અંકનાં ગીતો ફરી એક વાર યાદ કરીને આજના લેખ માટે જયદેવની ફિલ્મોની યાદી જોતાં એક વાત બહુ સ્પષ્ટ બની ગઈ કે આ બધી અજાણી ફિલ્મોનાં અજાણ્યાં ગીતોમાંથી અહીં રજૂ કરી શકાય એવું એક એક ગીત લઈ જાય તો પણ સારૂં.

જેમ જેમ હું આ દરેક ગીત સાંભળતો ગયો તેમ તેમ મારૂં આશ્ચર્ય વધતું ગયું. આ ગીતો ભલે ગયા અંકનાં ગીતોની તોલે ન જણાય, પણ સાવ કાઢી નાખવા જેવાં પણ નહોતાં. 'મુઝે જીને દો'સુધીની સફળતાની ઊંચાઈથી '૭૦ના દાયકામાં કળા ફિલ્મોની આગવી રચનાઓના સંગીતકાર તરીકેની ઓળખ ઊભી કરવા માટે એક વાર એ ઊંચાઈ છોડવાનો સમય આવે તો હરીફાઈમાં પગ ટકાવી રાખવા માટે જે કંઈ કરવું પડ્યું તેનાથી જયદેવ નાસીપાસ નથી થયા એટલો રણકો તો આ ગીતોમાં જરૂર સાંભળવા મળે છે. જૂદા જૂદા ગાયકો, જૂદા જૂદા ગીતકારો, જૂદી જૂદી સીચ્યુએશન્સ અને એ માટેની નાણાંની ટુંકી રેખાથી દોરાતી જૂદી જૂદી અપેક્ષાઓની અગ્નિપરીક્ષામાંથી પસાર થયા પછી જયદેવનો આત્મવિશ્વાસ જરૂર બુલંદ બન્યો હશે,

એક બીજી વાત, મેં કશેક એવું નોંધ્યું છે કે 'મુઝે જીને દો' પછીથી જયદેવે રફીનો ખાસ ઉપયોગ નથી કર્યો. પણ આજના આ અંકનાં ગીતોએ એ માન્યતાનો પણ છેદ ઉડાડી નાખ્યો છે .

આજનો આ લેખ પૂરો કરતી વખતે આવતા વર્ષના અંકમાં જયદેવના '૭૦ના દાયકાનાં ગીતોને નવા પરિપ્રેક્ષ્યમાં સાંભળવાનો ઈંતજાર આજથી જ ઉત્કટ બની ગયો છે.

Sunday, January 6, 2019

એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો - શમશાદ બેગમ : ૧૯૪૬-૧૯૫૦



સચિન દેવ બર્મનની સમગ્ર કારકીર્દી દરમ્યાન તેમણે સંગીતબધ્ધ કરેલ હિંદી ફિલ્મી ગીતોમાંનાં લગભગ ૪૫૦થી ૫૦૦ (૭૦%) ગીતોમાં સ્ત્રી પાર્શ્વગાયકોના સૉલો, યુગલ કે અન્ય પ્રકારે સ્વર સાંભળવા મળે છે. તેમણે લતા મંગેશકર, આશા ભોસલે અને ગીતા દત્ત સાથે મોટા ભાગનું કામ કર્યું છે . તે પછીના ક્રમે શમશાદ બેગમ અને સુરૈયા આવે છે. આ ઉપરાંત સચિન દેવ બર્મને અનિયમિતપણે અમીરબાઈ કર્ણાટકી, પારો દેવી, લલીતા દેઉલકર, મીના કપૂર, સંધ્યા મુખર્જી વગેરે સાથે પણ કામ કર્યું છે.

આની સરખામણીમાં પુરુષ ગાયકોમાં, લગભગ ૬૦% ગીતોના હિસ્સા સાથે, કિશોર કુમાર અને મોહમ્મદ રફી તેમના મુખ્ય ગાયકો રહ્યા છે અને તે પછી બીજાં લગભગ ૩૩% ગીતોમાં મન્નાડે, હેમંત કુમાર, તલત મહમૂદ, તેઓ ખુદ પ્ણ આ યાદીમાંનાં અનેક યાદગાર ગીતોના ગાયક તરીકે સ્થાન પામેલ છે. આ ઉપરાંત બાકીનાં લગભગ ૭ % ગીતો માટે, સચિન દેવ બર્મને બીજા ૧૮ જેટલા પુરુષ ગાયકોના સ્વરનો ઓછાવત્તા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે.

સચિન દેવ બર્મનનાં હિંદી ફિલ્મ વિશ્વનું એક મહત્ત્વનું પાસું આપણે તેમણે રચેલાં પુરુષ ગાયકો માટેનાં ગીતોની દીર્ઘ લેખમાળા કરી ચૂક્યાં છીએ. હવે આપણે ક્રમવાર તેમણે રચેલાં સ્ત્રી સ્વરનાં હિંદી ગીતોની વાત કરીશું, જેનિ શરૂઆત સચિન દેવ બર્મને રચેલાં શમ્શાદ બેગમનં ગીતોથી કરીશું.

શમશાદ બેગમે સચિન દેવ બર્મન માટે ૩૦ ગીતો ગાયાં છે, જેમાંથી ૧૯૪૬ -૧૯૫૦ના સમયગાળાનાં, ૪ ફિલ્મો માટેનાં, ૧૧ ગીતો છે.

શમશાદ બેગમ (જન્મ: ૧૪ એપ્રિલ, ૧૯૧૯ – અવસાન: ૨૩ એપ્રિલ, ૨૦૧૩)તે પહેલાં પાંચ વર્ષથી હિંદી ફિલ્મ જગતમાં, પંડિત ગોવિંદરામ, ગુલામ હૈદર અને પંડિત અમરનાથ જેવા ધુરંધર સંગીતકારોનાં ગીતો દ્વારા, જાણીતું નામ બની ચૂક્યાં હતાં. નવાં દાખલ થયેલ લતા મંગેશકરને એક ગીત દીઠ જ્યારે ૩૦૦ રૂપિયા મળતા હતા ત્યારે સમશાદ બેગમને ૨૦૦૦ રૂપિયા મળતા હતા. હિંદી ફિલ્મ જગતમાં 'શિકારી' (૧૯૪૬) દ્વારાપહેલું ડગલું માંડતા તળ બંગાળી સંગીતકારના હાથે તેમનું પહેલ વહેલું સ્ત્રી સ્વરનું હિંદી ગીત ઉત્તર ભારતીય શૈલીના નમૂનેદાર સુરની ઓળખસમાં ગાયિકા શમશાદ બેગમ સાથેનાં એક સૉલો ગીતનાં રૂપમાં રેકોર્ડ થયું.

કુછ રંગ બદલતી રહી હૈ મેરી ઉનકી બાતચીત - શિકારી (૧૯૪૬)

'શિકારી'માં મુખ્ય ગાયિકાની ભૂમિકા પારો દેવીની હશે કેમકે તે એક મુખ્ય પાત્રમાં હતાં તેમના નામે ૫ સૉલો અને યુગલ ગીત છે. આ ઉપરાંત અમીરબાઈ કર્ણાટકીએ પણ એક સૉલો અને એક યુગલ પણ આ ફિલ્મમાં ગાયેલ છે. પ્રસ્તુત ગીતમાં શમશાદ બેગમના સ્વરની ખૂબી જાળવીને પણ તેમને કંઈક અંશે મૃદુ સ્વરૂપે રજૂ થયેલાં ભાળી શકાય છે.


એ પછી સચિન દેવ બર્મને શમશાદ બેગમનો સાથે ૧૯૪૯ની ફિલ્મ 'શબનમ'માં કર્યો. આ ફિલ્મનાં ૧૦ ગીતોમાંથી શમશાદ બેગમના સ્વરમાં ૩ સૉલો, ૩ યુગલને અને ૧ કોરસ સાથેનું એમ ૭ ગીતો હતાં. આ ઉઅપરાંત સચિન દેવ બર્મને ગીતા રોય (૧ સૉલો અને એક યુગલ ગીત) અને લલિતા દેઉલકર (૧ સૉલો)ના સ્વરોનો પણ આ ફિલ્મમાં ઉપયોગ કરેલ છે.

યે દુનિયા રૂપકી ચોર, બચા લે મેરે બાબૂ – શબનમ (૧૯૪૯) - ગીતકાર: ક઼મર જલાલાબાદી

ગીત એક ટોળી પોતાના મનોરંજન માટે ગોઠવેલ એક ગુફામાંના સ્ટેજ શૉ રૂપે રજૂ થયું છે. પાંચ અલગ અલગ પ્રાંતના છોકરાઓ પોતપોતાની ભાષામાં કામિની કૌશલને 'પ્રપોઝ ' કરે છે જેને શમશાદ બેગમે એ દરેક ભાષાની આગવી ઢબથી રજૂ કરેલ છે.

{આડ વાત: ક઼મર જલાલાબાદીનું મૂળ નામ ઓમપ્રકાશ ભંડારી હતું.)

એક બાર તૂ બન જા મેરા ઓ પરદેસી, ફિર દેખ મજ઼ા – શબનમ (૧૯૪૯) - ગીતકાર: કમ઼ર જલાલાબાદી

પરદાપર ગીતને રજૂ કરનાર કલાકાર પારોદેવી છે. આ પહેલાંની ફિલ્મોમાં પોતાનાં ગીતો પોતે ગાયા પછી પારો દેવીએ હવે પાર્શ ગાયન છોડી દેવું પડ્યું લાગે છે.

ક઼દર મેરી ન જાની, છોડકે જાનેવાલે - શબનમ (૧૯૪૯) - ગીતકાર: ક઼મર જલાલાબાદી

લગ્ન પ્રસંગે નાચગાનની ઉજવણીને રજૂ કરતું ગીત છે. આમ ગીત મસ્તીનું છે પણ બોલમાં વિરહ છે. સ્વાભાવિક જ છે કે સીચ્યુએશનનાં મુખ્ય પાત્રને એ જરા પણ પસંદ નથી પડતું એટલે નૃત્યાંગનાઓ હવે ડ્ર્મરના વેશમાં આવી ને 'દેખો આયી પહલી મુહબ્બતકી રાત'ની શરૂઆત કરી દે છે !

દેખો આઈ પહલી મુહબ્બત કી રાત - શબનમ (૧૯૪૯) - સાથીઓ સાથે – ગીતકાર: ક઼મર જલાલાબાદી

આ પણ પારો દેવી પર ફિલ્માવાયેલું એક નૂત્ય ગીત છે. અંતરાનાં સંગીતમાં સચિન દેવ બર્મને લોકગીતની શૈલી અપનાવી છે.

તૂ મહલોંમેં રહનેવલી મૈં કુટિયામેં રહનેવાલા, ફિર તેરા મેરા સાથ કયા - શબનમ (૧૯૪૯) - મુકેશ સાથે - ગીતકાર: ક઼મર જલાલાબાદી

ગીતમાં વિખૂટો પડેલ નાયક પોતાની વાત કહે છે જ્યારે મુખ્ય નૃત્યાંગના જાણે પ્રેમિકાના બોલને વાચા આપે છે.

'શબનમ'નાં શમ્શાદ બેગમ અને મુકેશમાં યુગલ ગીતો સારાં એવાં લોકચાનાપાત્ર થયાં હતાં.

તુમ્હારે લિયે હુએ બદનામ, ન ભૂલે ફિર ભી તુમ્હારા નામ, તુમ માનો યા ના માનો તુમ્હારી મરજી - શબનમ (૧૯૪૯) - મુકેશ સાથે - ગીતકાર: ક઼મર જલાલાબાદી

અહીં પણ પ્રેમી નાયક ફરિયાદીના સ્વાંગમાં છે અને તેની ફરિયાદોના પ્રતિભાવ મુખ્ય નૃત્યાંગના પ્રેમિકા નાયિકા વતી આપે છે.

પ્યારમેં તુમને ધોખા સીખા, યે તો બતાઓ કૈસે - શબનમ (૧૯૪૯) - મુકેશ સાથે - ગીતકાર: ક઼મર જલાલાબાદી

ફરી એક વાર દરબારમાં ભજવાતાં નૃત્ય દ્વારા સમાજના રિવાજોને કારણે એક ન બની શકનારાં પ્રેમી-પ્રેમિકાનો સંવાદ મુખ્ય નૃત્યાંગનાના માધ્યમ વડે થાય છે.

મોહે લગા સોલવહાં સાલ હાય મૈં તો મર ગયી- મશાલ (૧૯૫૦) - અરૂણ કુમાર મુખર્જી સાથે - ગીતકાર: પ્રદીપ

'૫૦-'૬૦ના દાયકામાં શમશાદ બેગમના ભાગે જે પ્રકારનાં ગીતો ગાવાનાં આવ્યાં તે જ પ્રકારનું આ ગીત છે. આ પ્રકારનાં ગીતો જ તેમને મળવા લાગ્યાં એટલે તેમની ઓળખ મુજરા જેવાં હલકાં ફુલકાં નૂત્ય ગીતોનાં ગાયિકા તરફની બનવા લાગી.

આડવાતઃ
ષોડશીના તરવરાટને તાદૃશ કરવાની એક વધારે તક શમશાદ બેગમને એન દત્તા એ સંગીતબધ્ધ કરેલ ૧૯૫૬ની ફિલ્મ 'ચંદ્રકાંતા'નાં ગીત 'મોહે લગા હૈ સોલવા સાલ હાયે નહીં છેડના'માં પણ મળી હતી. (આ ગીતની ડિજિટલ ક્ડી મને મળી નથી શકી.)
જલતી હૈ દુનિયા તેરા મેરા પ્યાર હૈ...મૈં તેરી બગીયા તૂ મેરી બહાર હૈ - પ્યાર (૧૯૫૦) - કિશોર કુમાર સાથે - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

રાજ કપુર માટે પાર્શ્વગાયક તરીકે મુકેશ નિશ્ચિત થઈ ગયા તે પહેલાં અને અમુક કિસાઓમાં તો તે પછી પણ, મોહમ્મદ રફી, તલત મહમૂદ, મન્ના ડે, શંકર દાસગુપ્તા, હેમંતકુમાર, ચિતળકર, નારાયણ દત્ત, બી. વાસુદેવ, કમલેશ અવસ્થી અને ખુ રાજ કપૂરે, પાર્શ્વગાયન કરેલ છે. તેમના માટે કિશોર કુમારે ગીત ગાયાં હોય તેવી આ એક માત્ર ફિલ્મ છે. આ ફિલ્મમાં આ ગીત સિવાય બાકીનાં બધાં સ્ત્રી સ્વરનાં ગીતો ગીતા રોયે ગાયાં હતાં.




સચિન દેવ બર્મને ૧૯૫૧થી ૧૯૬૦ના દાયકાનાં શમ્શાદ બેગમનાં ગીતો આપણે હવે પછીના અંકમાં સંભળીશું.

Thursday, January 3, 2019

'સાર્થક – જલસો’:: પુસ્તક - ૧૧


છેલ્લા દસ દસ અંકોથી 'સાર્થક જલસો'ની છ મહિનાની પ્રકાશન અવધિ એટલી બધી ચોક્કસ સમય ક્રમમાં થતી આવી છે કે તેના નિશ્ચિત વાચકો તેનો નવેમ્બર, ૨૦૧૮નો ૧૧મો અંક ક્યારે હાથમાં આવે, આ વ્ખતે કયા
થીમ પર કયા લેખકોના કેવા કેવા લેખો હશે તે બાબતે જ હવે રાહ જુવે છે.

'સાર્થક જલસો'ના દરેક અંકમાં લેખોના વિષયની વિવિધતા અને તાજાપણું એ દરેક અંકના વાચનને સાર્થક બનાવીને એ વાંચનની મજાનો જલસો કરાવતાં આવ્યાં છે. અત્યાર સુધીના દસ અંકોની વૈવિધ્યની પરંપરાને જલસો-૧૧માં એક વિષયની દેખીતી રીતની પેશકશમાં જાળવે છે. ૧૧મા અંકંમાં આત્મકથાનક લેખોની સંખ્યા વધારે કહી શકાય એવી છે, પરંતુ પ્રસ્તુત અંકના તંત્રીલેખમાં તંત્રીશ્રીઓ બહુ જ સ્પષ્ટ હૈયાધારણ આપે છે કે 'સાર્થક જલસો'ના પહેલા અંકથી આત્મકથાનક લેખોને સ્થાન મળતું જ રહ્યું છે. હા, તેમાં બીબાંઢાળ લકાણોને સ્થાન નથી મળતું. વધુમાં તંત્રીલેખ જલસો-૧૧માટેની તેમની રણનીતિને વધારે સ્પષ્ટ કરતાં જણાવે છે અહીં રજૂ થયેલા આત્મકથાનક લેખોમાં એકબીજાથી અલગ બહુસ્તરીય સૃષ્ટિઓ, કે સમાજજીવનનાં વિવિધ ભાતનાં ચિત્રો નિખરી રહેલાં જોવા મળશે. આપણે પણ પહેલાં જલસો -૧૧ના આત્મકથાનક લેખોનો પરિચય, જલસો-૧૧માંની રજૂઆતના ક્રમમાં જ, કરીએ –
- 'મારો ગાંધીડો'માં ચંદુભાઈ મહેરિયા તેમનાં માતા -પિતા, પોતાનો ખાદીનો ઝભ્ભા-લેંઘાનો પહેરવેશ અને તેમનાં કિશોરવય સુધીનાં પૂર્વ અમદાવાદની શ્રમિકોની રહેણાક, એ સમયનાં મજુર મહાજનની વિવિધ પ્રવૃત્તિઓની ભૂમિકા જેવાં પ્રતિકોનાં કેલાઈડોસ્કૉપ વડે દલિત સમાજની સમયની સાથે બદલતી રહેતી મનોસ્થિતિમાં ગાંધીજીની વિચારધારાનાં સ્થાનનું નિરપેક્ષ ચિત્રણ કર્યું છે.
- 'ગુજરાતના પહેલા અને છેલ્લા ગાંધીવાદી મુખ્ય મંત્રી - બાબુભાઈ પટેલ' પહેલી નજરે લેખક હસમુખભાઈ પટેલના તેમની સાથે ૨૨ વર્ષના સાંનિધ્યમાં બાબુભાઈ પટેલના સાદગી, શુચિતા અને નખશિખ પ્રામાણિકતાનાં પર્યાય સમાં વ્યક્તિત્વનો લેખક હસમુખભાઈ પટેલના તેમની સાથે ૨૨ વર્ષના સાંનિધ્યમાં પ્રસરતું પહેલા પુરુષ એકવચનના દૃષ્ટિકોણનું આલેખન જણાઈ શકે. જોકે લેખકનો હેતુ તો (એક સમયે) ગુજરાતમાં નોખું રાજકારણ અને અનોખા રાજપુરુષો હતા તેની પ્રતીતિ કરવવાનો છે.
- 'દોસ્તોના દેશમાં' એ દોસ્તોએવ્સકીની નવલકથા 'વ્હાઈટ નાઈટ્સ'નાં વાંચનના અધારે, વ્યક્તિગત 'વૉકિંગ ટુર'નું છાયાબહેન ઉપાધ્યાયે ઝીણવટપૂર્વક કરેલું પ્રવાસ વર્ણનની સીમામાં રહ્યું હોત તો પણ રસપ્રદ અને માહિતીપ્રદ બન્યું હોત. પરંતુ છાયાબહેને તેમની સાથે સંપર્કમાં આવેલી તેમની ટુર ગાઈડ ઈરીના, ઍના, જૅન અને ઍલિસ, મોડી રાતે ટેક્સીમાં બેસાડવા આવેલ ત્રણ સખીઓનું વૃંદ, ટ્રામ સ્તેશને બાંકડે બેસ્વા માટે જગ્યા કરી આપતી રશિયન સૌષ્ઠવવાળી સ્ત્રીઓ, ત્યાંની એક પ્રાથમિક શાળાના 'માસ્તર' ઈવાન અને તેમનાં 'ચબરાક' વિદ્યાર્થીઓનાં જીવંત પાત્રાલેખન વડે રશિયનોને એક પ્રવાસીની નજરે જોવાને બદલે પોતાનાં જેવાં જ માનવી તરીકેની દૃષ્ટિથી જોયાં છે, તેથી આ પ્રવાસ વર્ણન આપણે પણ અનુભવી શકીએ છીએ.
- માણસની માણસાઈ પર આજે તરત વિશ્વાસ ન મુકવાના સમયમાં બીરેન કોઠારી 'ઈન હવાઓંકા મોલ ક્યા દોગે'માં તેમના એવા પ્રવાસોને યાદ કરે છે જ્યારે તેમને પણ પૈસાથી બધું ખરીદી શકવાનાં રીઢા પ્રવાસીપણાં છતાં "અજાણ્યાં' લોકોની માનવતાના જે અનુભવો થયા છે તેની રોમાંચક વાત કહે છે.
- જ્યોતિબહેન ચૌહાણને પણ ઉત્તરાખંડના એક પ્રવાસ વખતે માણસની માનવતાના એવાજ અનુભવો થયા હતા. 'જાને કબ કિસ મોડ પે બન જાયે કોઈ અફસાના'માં ખોટી બસ પકડાઈ જતાં સાચો માણસોનો ભેટો થવું, લિંગડીનું શાક ચખાડવા માટે પોતાના ઘરે સાંજનું ભોજન જમાડનારૂં હરસિલનું દંપતિ, લદારીમાં લટાર મારવા નીકલ્યા પછી ગામની સ્ત્રીઓ સાથે સાથે ચા પીવડાવતી એક બહેન સુધીના અનુભવોમાં તો અજાણી વ્યક્તિઓની ઓળખ શક્ય બની હતી. પરંતુ ઋષિકેશના નીર ધોધની મુલાકાત સમયે સાથે થઈ ગયેલા ચાલીસ વર્ષના એક ભાઈ બહુ જ સહજપણે ચા અને નાસ્તાના પૈસા ચૂકવી દે અને પછી 'આભાર'નો શબ્દ પણ કહી શકવાની તક આપવા પૂરતા પણ રોકાય નહીં એવો અનુભવ આજના સમયમાં પણ થાય ત્યારે મનમાં જે છાપ પડી જાય છે તે અમીટ બની જાય છે.
- કૉલેજકાળના મિત્રો પૈકી એક એવા વીનેશ પટેલનાં અણગમતાં પહેલાં વેવિશાળનાં તુટવામાં કાસદ બનવાથી માંડીને વીનેશનાં બીજી કન્યા સાથે લેવાયેલાં લગ્ન સુધીની સમયયાત્રાને રજનીકુમાર પંડ્યા તેમની વહેતી કલમમાં કહે છે. એ સમયે, એક તરફ તેમનાં પોતાનાં પહેલાં લગ્નનો છૂટા છૅડાનો મુકદ્દમો પણ ચાલતો હતો તો બીજી તરફ તેમનાં જીવનને અનેક રંગોથી જે ભરી દેવાનાં હતાં તે કન્યા - તરુલતા કનૈયાલાલ દવે - નો તેમનાં જીવનમાં આકસ્મિક, નાટકીય રીતે, પ્રવેશ પણ થયો હતો. આટલું અધુરૂં હોય તેમ, વેવિશાળ તૂટવા અંગેની પોતાની ભૂમિકા માટે વીનેશ પટેલના પિતાની નજરે પોતે કણાંની જેમ ખુંચતા જણાતા હોવા છતાં પોતાની ઑડીટની નોકરી સબબ વીનેશ પટેલનાં ગામ ધોરાજીમાં એક સામટો બે-ત્રણ મહિનાનો રહેવાસ પણ કરવો પડ્યો. આવી, નાનીમોટી 'અમારી પોતપોતાની પીડાઓએ અમારું એક સગપણ રચી આપ્યું હતું'નો આખો ઘટનાક્રમ રજનીકુમારભાઈની કલમે આત્મકથાનકનું એક રસાળ પ્રકરણ બની રહેવાની સાથે એ સમયનાં સામાજિક જીવનનું તાદૃશ ચિત્રણ પણ બની રહ્યું છે.
- બિમલ રોયની 'દો બીઘા ઝમીન' કે શ્યામ બેનેગલની 'અંકુર' જોતાં મનમાં જે આળાશ પ્રસરી રહે તેવી જ અનુભૂતિ સંપૂર્ણ સત્યઘટના પર આધારિત, નરેશ મકવણાની 'આગ પેટની અને અંતરની' વાંચતાં જ મનને ઘેરી વળે છે.
- મુસ્લિમ સમાજની મનોદશાનું ચિત્રણ શરીફ લાલીવાલા 'બહેતી હવાઓં, યાદ રખના । હમ યહાં પર રહ ચૂકે હૈં' જલસો-૧૧માં જ વાંચી ચૂકેલ વર્ણવ્યસ્થાનો વર્ગભેદ, ગામડાઓમાં આજે પણ અમલમાં હોય તેવી જમીનદારશાહી જેવી આજના ભારતીય સમાજના રંગપટના ગ્રે શેડ્સની રજૂઆતને વધુ ઘેરી બનાવે છે. જેના પર પોતાનો કોઈ જ પ્રભાવ નથી પડી શકે એવી બાહ્ય ઘટનાઓના પ્રવાહને કારણે 'વિસ્થાપિત' થવાનો અનુભવ કેવો હોય એ તે પ્રકારની પરિસ્થિતિઓમાંથી પસાર થયુ ન હોય તે ભલે અનુભવી ન શકે, પણ આ મનોચિંતનાત્મક ફ્લૅશબૅક વાંચીને સમજી તો જરૂર શકશે.
- આપણાં નજીકનાં કોઈ સગાંની બહુ જ કષ્ટદાયક, દીર્ઘ બીમારીમાં નજદીકથી સારવાર કરવાને કારણે કે કોઈ નિકટનાં સ્વજનનાં આકસ્મિક, અકસ્માત મૃત્યુને કારણે આપણા મનના ખૂણા પર જે પ્રકારની ગમગીની એક છાયા પડી રહે છે તેવા જ અનુભવ 'ઈચ્છામૃત્યુના જેસમાં દુભાષિયા તરીકે કામ કરવાનું આવે ત્યારે...' પણ થાય છે. ઈચ્છામૃત્યુની આખી કાયદાકીય, જટિલ એવી, સરકારી તંત્રની વ્યવસ્થામાં પણે જે જે લોકોએ ભૂમિકા ભજવવી પડતી હશે તે તો માનવ સહજ લાગણીઓ અનુભવે એ પણ સહજ ઘટનાક્રમ લાગે. ટોરંટો (કેનેડા)માં વસતા સલિલ દલાલના, ઈચ્છામૃત્યુના કિસ્સાઓમાં, દુભાષિયા તરીકેની વ્યાવસાયિક સ્વાનુભવો આધારિત રજૂઆત લોકો સાથે - સારાનરસા, કડવામીઠા - સીધા જ સંપર્કમાં રહેવું પડે તેવા આપણી આસપાસના વ્યાવસાયિકોની મનોસ્થિતિને સમજવા માટે ઉદ્દીપકની ગરજ સારે છે.
- દીપક સોલિયા 'એક ફિલ્મી 'ચુટકુલો'' તેમની જિંદગીમાં પણ કેવો હસીન ચુટકુલા તરીકે કોતરાઈ ગયો છે તેની રસાળ વાત માંડે છે. વાત પહેલા પુરુષ એકવચનમાં છે પણ કથાનાયક છે 'ચુટકુલા' શબ્દના આદ્યસ્ત્રોત પ્રવીણ નિશ્ચલ. પ્રવીણ નિશ્ચલની સાથે જોડાયેલો છે દીપક સોલિયાનો ફિલ્મની વાર્તાઓના લેખનના શોખને વ્યવસાયમાં ફેરવવાનો એક અનોખો અનુભવ. તેમના આ અનુભવની વાતમાં વહી જતાં જતાં આપણને પણ અપણા જીવનમાં અનુભવેલા આવા પ્રયાસો યાદ આવી જાય કે જેમાં 'ખાયા પીયા કુછ નહીં,પણ ગ્લાસ તોડા બારહ આનાકા'વાળો ખેલ પડયા છતાં આજે તે યાદ આવતાં મનમાં હળવો પ્રકાશ રેલાઈ રહે.
- આંતરરાષ્ટ્રીય ફિલ્મ 'ધ કલર ઑફ ડાર્કનેસ'નાં સર્જન સાથે સાથે મેલબોર્ન (ઓસ્ટ્ર્લીયા)માં વસતા એક ગુજરાતી, ગિરીશ મકવાણાની 'જીવન અને કળાની જુગલબંદી'માં દેખીતી રીતે વાત તો ત્રણ સમય ખંડોમાં વિસ્તરેલી તેમની સર્જનાત્મક સફરની વાત છે. પાંચ વર્ષની ઉમરે પિતાએ અપાવેલ હાર્મોનિયમ અને દસ વર્ષે આણંદની નિવાસી વિકલાંગ શાળામાં અભ્યાસ કરતાં કરતાં હોસ્ટેલની સામે આવેલી ટૉકીઝનાં ફિલ્મોનાં (એ જમાનામાં હાથેથી ચિતરાતાં) પાટીયાંઓ જોઈને આખી ફિલ્મની વાત વિકસાવીને કાલ્પનિક સૃષ્ટિ ખડી કરવાના પ્રથમ ખંડમાં લેખકની સફરનાં મૂળ સાથે આપણો પરિચય થાય છે. માઈક્રોબાયોલોજીમાં બીએસ.સી કર્યા બાદ વડોદરામાં સંગીતમાં માસ્ટર્સ કરતાં કરતાં હિન્દી ફિલ્મોનાં ગીતોના કાર્યક્રમોમાં વાદન સુધી પહોંચ્યા પછી ના બીજાખંડમાં તેમને ખુદની ઓળખમાં કશુંક ખુટતું જણાતું હતું. પહેલાં ૧૯૯૭માં અને ફરીથી ૨૦૦૪માં ઑસ્ટ્ર્લિયાની ભૂમિ પર સફરના ત્રીજા ખંડની એક એક વાત ઝીણવટથી કહેવાતી જાય છે. આંતર રાષ્ટ્રીય સ્તરે આચરાતા વંશીય ભેદભાવ અને આપણે ત્યાં જાતિવાદના શ્યામ રંગોને વણી લેતી તેમની ફિલ્મ 'ધ કલર ઑફ ડાર્કનેસ', ૨૦૧૦માં મડાણ થયા બાદ વિધિવત ૨૦૧૭માં પ્રકાશિત થઈ ચૂકી, પણ સમાજમાં ઘર કરી ગયેલા રંગબેદ અને જાતિભેદના બંધ દરવાજાઓને કારણે તેને પરદા પર વ્યાપક સફળતા હજુ નથી મળી. (યુ ટ્યુબ પર ફિલ્મનાંગીતો અને ટ્ર્લર જોવા મળે છે.)
જલસો-૧૧ના સિંહ હિસ્સાને આવરી લેતાં આ આત્મકથા નક ચિત્રોની સાથે 'ગુજરાતમાં અને ગુજરાતીમાં સમજશાસ્ત્રનાં 'દાદી' "તારાબહેન પટેલ"ની ગૌરાંગ પટેલ દ્વારા રજૂ થયેલ જીવનચરિત્રાત્મક વાત જેટલી માહિતીપ્રદ છે તેનાથી વધારે તો ઘણી રસપ્રદ છે. સમાજશાસ્ત્રનાં વિષયનાં ઉચ્ચશિક્ષણ સાથે સંકળાયેલાં કેટલાંક લોકો સિવાય તારબહેન પટેલ અને તેમનાં જેવાં અનેક ઉદાહરણીય જીવન અજ્ઞાત જ રહેતાં હોય છે. એ અજ્ઞાનના અંધકારમાં પ્રતુત લેખ એક દીવા ની ભૂમિકા અસરકારકપણે ભજવે છે.

જલસો-૧૧માં આત્મકથાનક પણ ન હોય અને જીવનચરિત્રાત્મક પણ ન હોય છતાં એક વ્યક્તિ કેન્દ્રમાં હોય તેવો પણ એક લેખ છે – ‘ફિલ્મોની જાહેરાતમાં ગાંધીજી’. આઝાદી પછીની ફિલ્મોમાં ગાંધીજીનાં જીવન પરથી બનેલી, કે પછી તેમના જીવનને સંદર્ભમાં રાખીને બનેલી ફિલ્મો આવી છે. એટલા પુરતું એ ફિલ્મની જાહેરાતમાં ગાંધીજીનો ઉલ્લેખ હોય તે સમજી શકાય. પરંતુ અહીં ઉર્વીશ કોઠારી દ્વારા દસ્તાવેજી પુરાવા જેવી ૧૯૩૯ /૪૦ની ફિલ્મોની જે જાહેર ખબરો રજૂ કરાઈ છે તેમાં ગાંધીજીનો 'બ્રાંડ એમ્બેડેસર' તરીકે ઉપયોગ થયો છે - પણ તેમાં તેમની સંમતિ તો નહીં જ હોય કે તેમને એ જાહેરાતનું કોઈ મહેનતાણું પણ નહીં જ મળ્યું હોય !

'ડિજિટલ ટૅક્નૉલોજી અને સાહિત્ય સર્જન'માં અપૂર્વ આશર લેખન,મુદ્રણ અને પ્રકાશનનાં ક્ષેત્રે ડિજિટલ ટેક્નૉલોજીને અપનાવવા પર ભાર મૂકે છે. આજે જ્યારે હવે સ્માર્ટફોન તો દરેક ખીસ્સામાં (કે પર્સમાં) હોય છે ત્યારે બોલાયેલા શબ્દો (ઑડીયો) કે દૃશ્ય સામગ્રી (ફોટોગ્રાફ્સ કે વિડીઓ)જેટલી જ સરળતાથી લખાયેલ શબ્દ પણ વાચકના હાથમાં મુકીને તેની આંખ સામે લાવી શકવાનું શક્ય બની ચૂક્યું છે. આ તક જો ચુકી જવાશે તો ગુજરાતી ભાષા અને ગુજરાતી જણ દાયકાઓ પાછળ રહી જશે.

આટલા ટુંક પરિચયથી પણ જલસો-૧૧નાં રસવૈવિધ્યનો અંદાજ આવી શકશે. 'જલસો'ના આદી બની ચૂકેલા વાચકોને તે મેળવીને માણી લેવાનું મુશ્કેલ નહીં પડતું હોય, પરંતુ, દેખીતી રીતે ઉપલ્બધ માહિતી અનુસાર, 'જલસો' હજી ડીજિટલ સ્વરૂપમાં ઉપલ્બધ નથી જણાતો, એટલે નવા વાચકોએ અહીં નીચે જણાવેલ પ્રાપ્તિ સ્ત્રોત દ્વારા આ કામ પાર પાડવું રહેશે.
/\/\/\/\/\/\
સાર્થક જલસો ૧૧પ્રાપ્તિ સ્રોત:

ü બુક શેલ્ફ (ફોન : +૯૧ ૭૯ ૨૬૪૪૧૮૨૬। વૉટ્સ એપ્પ : +૯૧ ૯૦૦૦૯૦૦૦૩૬૨ ।www.gujaratibookshelf.com), અથવા કાર્તિક શાહ: વોટ્સ એપ્પ; +91 98252 90796

       પૃષ્ઠસંખ્યા: 144, કિમત; 70/- (પોસ્ટેજ સહિત)

ü ઓનલાઈન મેળવવા માટેની વધારે વિગતો સાર્થક જલસો [SaarthakJalso]પર જોઈ શકાય છે.