મારી
પાસે ફોટોગ્રાફ્સનું મારી ઉમરથી પણ વધારે જૂનું એક આલ્બમ છે. એ આલ્બમમાં મારાં
માના લગ્ન પહેલાંના પોટ્રેટ ફોટોગ્રાફ છે. લગ્ન પહેલાં મારાં મોસાળમાં તેઓ તેમનાં 'કિરણા' નામને બદલે 'કરમા' (પિતાઃ મૂળશંકર મકનજી છાયા અને માતાઃ ધીરજબેન)નાં નામથી
ઓળખાતાં હતાં. જ્યારે
અમે મોસાળ જતાં ત્યારે એ સમયકાળના બીજા પણ કેટલાય ફોટોગ્રાફસ જોતાં તે મને યાદ આવે
છે. તે
સમય ૧૯૫૬ પહેલાંનો હતો. ૨૦૦૧માં કચ્છમાં આવેલા મોટા ભૂકંપ પહેલાંના એ ભૂકંપ પછી
અમારી યાદો સાથે ઘણી સંકળાએલી મોસાળની ઘણી જૂની વસ્તુઓ અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી.
૨૦૦૧ના ભૂકંપમાં તો મોસાળનું એ ઘર જ સાવ નામશેષ બની ગયું.
એ
દિવસોમાં સાંજનું જમવાનું પતી જાય એટલે કુટુંબનાં બધાં સભ્યો દિવાનખંડ સમાન મોટા
રૂમમાં એકઠાં થાય. એ સમયે છેડાતા વાતોના વિષયોમાં આ જૂના ફોટોગ્રાફસ્ સાથે
સંકળાયેલી વાતોની ચર્ચા મંડાય. સામાન્યપણે આવાં કથાનકનું નેતૃત્વ મારા મામા. મધુમામા
(મધુકાંત મૂળશંકર છાયા) કરતા. આ ફોટોગ્રાફ્સમાંના બહુ ઘણા ફોટોગ્રાફ્સ એમણે લીધેલા
હતા. પરિવારના અન્ય તમામ વરિષ્ઠ સભ્યો એ વાતો સાથેની અનેક પૂરક માહિતી અને સાથે
જોડાયેલી નાની નાની યાદોને તેમાં ઉમેરતાં જાય.
તે
જૂના ફોટો આલ્બમનું મારું એક સ્મરણ બેન (મારા માને અમે એ નામથી બોલાવતા) અને મહેશભાઈ (મારા
પિતા) ના લગ્ન પછી પડાવાતા પરંપરાગત પોટ્રેટ ફોટોગ્રાફનું છે.
જોકે
રાજકોટનાં શરૂઆતનાં વર્ષો સુધીની જે કંઈ યાદો મેં અહીં ઝીલી છે,
તે બધી ક્યાં તો મારાં અવચેતન
મનનાં ઊડાણમાં સંગ્રહાયેલ છે કે પછી મેં પછીથી ઘણીવાર સાંભળી છેએટલે યાદોમાં સચવાઈ
છે. પણ આ બધી યાદો સાથે સંકળાયેલી મનનાં એ પડોમાં કોઈ છબીઓ હશે તો પણ આંતરચક્ષુ
સામે આવી નથી રહી.
બેન સાથે, (વાળ
ઉતરાવ્યા પહેલાંનો) હું
આ
તસવીર વાળ ઉતરાવવાની વિધિ થાય એ પહેલાં મારા લાંબા વાળ સાથે સંકળાયેલી બેન સાથેની કદાચ
મારી સૌ પહેલી યાદ કહી શકાય. મને યાદ છે કે, મને નવરાવતી વખતે જ્યારે બેન મારા વાળ ધોવાની હોય ત્યારે
હું મોટેથી ભેંકડા તાણતો અને બેનની પકડમાંથી છટકીને અમારાં પડોશી રંજનફઈનાં ઘરમાં
શરણ લેતો. જોકે, તે
છટકબારી શાહમૃગવૃતિ જ પરવડતી, કેમકે બેન એટલી જ ઝડપથી પાછળ પાછળ આવી જતી અને,
સાબુવાળા હાથેથી જ,
મારી ટીંગડી પકડીને પાછી
લઈ જતી અને વધારે ભારથી ઘસીને રેડાતાં પાણી સાથે પોતાનો ગુસ્સો પણ ઠાલવતી.
હું
ચાર કે પાંચ વર્ષનો થયો તે પછી જ્યારે પણ બેન ઉછરંગમાસી અથવા ભાનુમાસી (એમનાં
મોટાં બહેનો) ને મળવા જતી, ત્યારે હું અક્ષય અને જસ્મિન (ભાનુમાસીના પુત્રો) સાથે રમવા
માટે પાછળ રોકાઈ જતો. જોતજોતામાં, હું મોટા ભાગનો સમય ભાનુમાસીના ઘરે જ કાઢવા લાગ્યો -
શરૂઆતમાં બેન મુકી જતી, પણ
પછીથી હું જાતે જ દોડી જતો. બપોરનું જમવાનું પતાવતાં વેંત ભાનુમાસીના ઘરે પહોંચી
જવું અને સાંજે જમવાનો સમય થાય તે પહેલાં પાછા આવવું એ મારો રોજિંદો નિત્યક્રમ બની
ગયો. એક દિવસ, બેન ઉછરંગમાસીના ઘરેથી પાછી આવતી હશે ત્યારે
અક્ષય અને જસ્મિન જે શાળામાં ભણતા એ શાળાના શિક્ષક, શ્રી
મૂળવંતરાયભાઈ વૈદ્ય, બેનને રસ્તામાં મળી ગયા. તેમણે બેનને
જણાવ્યું કે અક્ષય અને જસ્મીન સાથે છેલ્લા કેટલાક મહિનાઓથી હું પણ તેમની શાળામાં
ભણી રહ્યો છું, અને
હવે સમય આવી ગયો છે કે મને એક સ્લેટ, પેન વગેરે અને પહેલા ધોરણનું પાઠ્યપુસ્તક આપવામાં આવે જેથી
હું વિધિપુરઃસર શાળાભ્યાસમાં જોડાઈ શકું. મને યાદ નથી કે બેને આ આશ્ચર્યજનક સમાચાર
કેવી રીતે લીધા હશે. પરંતુ, લગભગ બીજા જ દિવસે હું બાળશાળામાં પહેલા ધોરણનો વિદ્યાર્થી
બની ગયો હતો.
મારાં
પ્રાથમિક શાળાના એ અભ્યાસ ઉપરાંત, મહેશભાઈએ શરૂ કરેલ વિવિધ પ્રકારના અભ્યાસેતર વાંચન[1]ના સતત પ્રવાહે મારૂં પાયાનું
ઘડતર કર્યું.
ત્યારબાદ
મારો વિકાસ સહજ કુદરતી માર્ગ પર થતો ગયો. જો કે, બે બાબતો એવી હતી જેમાં બેનનો કેડો મેં પકડી રાખો હતો. એક
પ્રવૃતિ તો હતી ઉછરંગમાસીના ખુલ્લા આંગણામાં રમતી વખતે મને થતી રહેતી નાની નાની
ઇજાઓ. એ એટલું સામાન્ય બની ગયું હતું કે બેને ઉછરંગમાસીના ઘરમાંજ
પ્રાથમિક સારવારના સાધનો
ઉપલબ્ધ રાખી મુકવાનું ગોઠવ્યું અને અક્ષય/જસ્મીન અને મને વાદળી રંગની દવા લાડેલું રૂ એ
ઉઝરડાઓ પર લગાડી દેવાનું શીખવી દીધું. બીજું કારણ હતું મને અવારનવાર આવી જતા
મેલેરિયાના તાવનું હતું. કોઈ પણ સંકેત વિના તાવ વધી જતો હતો અને બેને બધું કામ
પડતાં મુકીને મને ડૉક્ટર દેસાઈના ક્લિનિકમાં લઈ જવો પડતો. પછીથી
મુક્તાફાઈ (મારાં દાદી,
મોટા અમ્માનાં બહેનનાં
દિકરી) માંડવીમાં તેમનાં ઘરની બાજુમાં આવેલાં જૈન મંદિરમાંથી નિયમિતપણે કડુ
કરીયાતુનો ઉકાળીને બનાવેલા કાડાના બાટલા લગભગ દર અઠવાડીયે એકના હિસાબે અમને
પહૉંચાડવા લાગ્યાં અમે ભુજ છોડ્યું ત્યાં સુધીનાં ત્રણેક વર્ષો મેં કડુકરિયાતુના
બાટલાઓને બાટલાઓ પીધા અને
મેલેરિયાથી છુટકારો પામ્યો.
૧૯૫૬માં
બેનને અણધારી કટોકટીનો સામનો કરવો પડ્યો. મહેશભાઈને અચાનક પેટમાં તીવ્ર દુખાવો
ઉપડ્યો. તીવ્ર એપેન્ડિસાઈટિસનું નિદાન થયું અને તેમને સર્જરી માટે જામનગર લઈ
જવામાં આવ્યા. મને લાગે છે કે બેનના પક્ષે ઉછરંગમાસી અને મહેશભાઈના પક્ષે મોટા
અમ્માના મોટા બહેનના જમાઈ ચમનલાલફુઆએ જામનગરની અમારી હવાઈ મુસાફરીની વ્યવસ્થા કરી
હતી. જામનગરમાં, બેનના
પક્ષે ધનામાસી અને પ્રદ્યુમ્નભાઈ (અનુક્રમે બેનનાં મોટાંબેન અને તેમના પતિ) અને
મહેશભાઈના પક્ષે, રાચીના
દિવસોમાં કમલભાઈ (મહેશભાઈના મોટા ભાઈ) ના નજીકના પરિચિતો રમણિકભાઈ મંકોડી અને રિડાણી
પરિવારે આ કટોકટીમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી. મને બરાબર યાદ નથી કે ગોરાકાકા
(મહેશભાઈના નાના ભાઈ) ભૂજથી અમારી સાથે જોડાયા હતા કે જામનગરમાં અમારી સાથે જોડાયા
હતા.
મને
આ વાત યાદ છે એટલો હું નાનો હોઈશ, એટલે કે લગભગ ૧૯૫૫થી '૫૭ - '૫૮ના વર્ષોની આ વાત છે. બેન અને મહેશભાઈના ખાસ મિત્ર
મહેન્દ્રભાઈ રાણાનાં બહેન અને તે કારણે બેનનાં પણ સહિયાર
ઉષાબેન (ધોળકિયા) અમારાં
ભૂજનાં ઘરની પાછળ જ આવેલી મોડર્ન ટોકિઝમાં દર અઠવાડીયે પંદર દિવસે જનાના શૉ[2]માં ફિલ્મો જોવા જતાં. નાગીન,
જનમ જનમ કે ફેરે જેવી બે
એક ફિલ્મોનાં નામ પણ મને યાદ આવે છે.
રાજકોટમાં
ઘરકામના તે શરૂઆતના મુશ્કેલ સમયમાં, મને એક ખૂબ જ રમુજી ઘટના યાદ આવે છે. હું, પડોશના
અન્ય છોકરાંઓ સાથે હું પણ રમતો હતો. વડીલોને અમારી એ રમત વધારે પડતું તોફાન લાગી
હશે. જેમ આવા કિસ્સાઓમાં થાય છે, તેમ સામાન્ય ઠપકાથી કંઈ
વળતું નહોતું. બેનને એમ લાગ્યું કે હું પણ ન માનવાની હદ પાર કરૂં છું. કદાચ તોફાની
ટોળાનું હું નેતૃત્વ કરતો હોવાનું પણ એને લાગ્યું હશે. એટલે મને સરખી વઢ પડી. અન્ય મહિલાઓને એ થોડું વધારે કઠોર લાગ્યું હશે,
એટલે કોઈએ બેનને કહ્યૂં કે મોટી બહેનની સંભાળ હેઠળ રહેતા, મા વગરના, નાના ભાઈ સાથે આટલું કઠોર ન થવું જોઈએ.
મહિલાઓએ મારા બેનના સંબોધનને કારણે બેનને મારી મોટી બહેન માની લીધી હતી!
ઘણા વર્ષો પછી, લાલ મિલ કોલોની (અમદાવાદ) માં
અથવા નવસારીમાં, અમે જ્યારે નવાં નવાં હોઈએ ત્યારે પાડોશીઓ
બેનને મારી મોટી બહેન સમજી બેસવાની ભૂલ કરે એ અસામાન્ય નહોતું - કદાચ અમારી વચ્ચે ફક્ત અઢારેક વર્ષનો ફરક હતો અને બેનની દેખાતી ઉમર કરતાં
હું કદાચ વધારે મોટો લાગતો હોઈશ.
પછીના
વર્ષોમાં મારો ઉછેર તો પોતાની ઘરેડમાં ગોઠવાઈ ગયો. એટલે કદાચ મા તરીકે અને રોજિંદા
ઘરકામના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવતી ગૃહિણી તરીકેની દિનચર્યા બેન માટે સહજ બની
ગઈ હતી. એવામાં પણ મને બે ઘટનાઓ યાદ આવે છે જેણે બેનની મા તરીકે અને એક વ્યક્તિ
તરીકે કસોટી કરી.
મને
યાદ છે ત્યાં સુધી એ સમય ડિસેમ્બર ૧૯૬૧નો હતો. ત્રણેક વર્ષના મારા નાના ભાઈ સંજયને
અચાનક જ મેનિન્જાઇટિસનું
નિદાન થયું અને તેને સિવિલ હોસ્પિટલ; અસારવા, અમદાવાદમાં હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી. થોડા દિવસો માટે તેની ખૂબ જ
ગંભીર રહી. માંદગીની ગંભીરતા જ મહેશભાઈ અને બેનની લાગણીઓ માટે ખૂબ જ મુશ્કેલ
પરિસ્થિતિ પેદા કરી રહી હતી, તેમાં પણ ઘણી આકરી જણાતી
સારવારને કારણે એમના પર જે શારીરિક, માનસિક અને આર્થિક દબાણ હશે
તે મારી એ ઉમરે પણ મને સમજાતું હતું.
તે દિવસોમાં, બેનને લાલ મિલ્સથી સિવિલ
હોસ્પિટલ સુધી AMTS બસ સેવા દ્વારાઅવર જવર કરવી પડતી. મોટે
ભાગે કોઈ સાથે હોય એવું બનતું પણ ઘણી વખત પોતે એકલાં પણ આવવું જવું પડતું. તેમાં
પાછો અત્યાર સુધીનો તેનો ઉછેર તેને આવા અનુભવો માટે તૈયાર કરી શકે તેવો પણ ન કહી
શકાય. લાલ મિલ્સ ખાતે અમારા અન્ય પરિચિતો અને ખાસ તો દેવીબેન અને નરેશભાઈ (મારા
પિતરાઈ બહેન અને મારા કાકા, કમળભાઈનાં મોટાં દીકરી અને તેમના
પતિ) ખૂબ મદદરૂપ થયાં.
બીજો
બનાવ ફરીથી મારા (ખોટાં) સાહસો સાથે સંબંધિત છે. આ ઘટના ૧૯૬૨ ના અંતમાં બની હતી.
એક સાંજે હું ખૂબ જ લોહીલુહાણ ચહેરા સાથે દોડતો દોડતો ઘરે આવ્યો. થયું એવું હતું
કે અમે પાટીયાંને ક્રિકેટ બેટ બનાવીને અમારી દેશી શૈલીથી હોકી રમી રહ્યા હતા. એક
ખેલાડીના હેઠળથી બોલને બહાર કાઢવાનો હું પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેનું બેટ મારા માથા પર વાગ્યું.
મારી ડાબી આંખની નજીક ખોપરીની ધારને ગંભીર ઇજા પહોંચી હતી. આવી કટોકટીમાં બેને,
કોઈક રીતે, પોતાની માનસિક સ્વસ્થતા જાળવી રાખી
હશે, કારણ કે અમારે નજીકના જનરલ ફિઝિશિયનના ક્લિનિક સુધી
પહોંચવા માટે લગભગ એક કિલોમીટર જેટલું દોડવું પડ્યું હતું. તાત્કાલિક સારવાર પછી,
એટલું નક્કી થયું કે બહુ જ થોડાક ફરકથી, અને
નસીબથી, મારી ડાબી આંખ ગંભીર જોખમમાં નથી. હું લગભગ
અઠવાડિયામાં જ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. તે પછી વલ્લભ વિદ્યાનગર (૧૯૬૫) માં મારા
પ્રિ-સાયન્સના વર્ષમાં, NCC માં પ્રવેશ
દરમિયાન તબીબી તપાસ દરમિયાન, ખબર પડી કે એ ઇજાને કારણે ડાબી
આંખે માઈનસ ૪ નંબરના અને જમણી આંખે ઝીરો નંબરના ચશ્માની જરૂર હતી. મેં આટલા
વર્ષોથી તે ડાબી આંખ પાસે થયેલા ઘાના ડાઘનો ઉપયોગ મારા ઓળખ ચિહ્ન તરીકે કર્યો છે
અને આ નંબરવાળા ચશ્મા સાથે ખુશીથી જીવી રહ્યો છું!
મારૂં
એવું માનવું છે કે ભૂજનાં વર્ષોથી બેનનાં મોટી બહેન,
ઉછરંગમાસીના માર્ગદર્શન હેઠળ, બેન તેના
માતૃ પક્ષના મામલાઓમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવતી રહી. રાજકોટમાં અમારા રોકાણ દરમિયાન મને તે વિષેની કોઈ ખાસ યાદો નથી, પરંતુ મને એટલું જરૂર યાદ છે કે લાલ મિલ્સ કોલોનીના સામાજિક વર્તુળમાં બેન
ખૂબ સક્રિય હતી. લાલ મિલ્સ ખાતે નાગરી ન્યાતની અન્ય ગૃહિણીઓસાથે મળીને બેને બે
ત્રણ વાર, આપણાં પરંપરાગત દાળ, ભાત અને
ઓસામણનાં જમણોનું નિયમિતપણે આયોજન કર્યું. તે પછી, પહેલા H
કોલોની અને પછી L કોલોનીના અમારા રહેવાસ
દરમ્યાન પણ બેન નાગર સમાજનાં વર્તુળોમાં સક્રિય ભૂમિકા ભજવતી રહી. અહીં, બેને સુરતમાં મારા કાકા કમળભાઈનાં ઘરની મુલાકાતોમાંથી પ્રવિણાકાકી,
ત્યાંના પડોશી કુસુમબેન અને કમળભાઈના મિત્ર રમણિકભાઈ અંતાણી પાસેથી
શીખેલ ઊંધિયાની વાનગીનો દાળ, ભાત અને ઓસામણનાં જમણમાં ઉમેરો
કર્યો.
અમારા
H કોલોનીના વર્ષો
દરમિયાન, બેને ઉછરંગમાસીનાં દીકરી પૂર્ણિમાબેનના પહેલા પુત્ર,
તિમીર, દેવીબેનની પહેલી દીકરી પુત્ર, ગાયત્રી (કૌમુદી, તેનું પૈતૃક પક્ષનું નામ) અને
બેનનાં મોટાં બહેન ભાનુમાસીનાં સૌથી મોટી પુત્રી, મનુબેન
(સત્તાવાર નામઃ મૃદુલાબહેન) ના પહેલા પુત્ર, કિંજલ્ક (હવે,
સ્વર્ગસ્થ) ના જન્મ દરમિયાન વ્યવસ્થાપનમાં મુખ્ય ભૂમિકા ભજવી.
મહેશભાઈ, પાંચ-છ વર્ષનો સંજય અને બેન - સ્થળ અજ્ઞાત
મહેશભાઈના
મને પ્રિ - સાયન્સના અભ્યાસ માટે વલ્લભ વિદ્યા નગર મોકલવાના નિર્ણયમાં પણ બેનની
ભૂમિકા સકારાત્મક સહાયકની રહી. તેમણે પરિવારમાં ગૃહિણી તરીકેની, અને વ્યક્તિગત વિકાસના માર્ગ પર કુદરતી
રીતે ઉછરતા પુત્રની માતાની, ભૂમિકા ખૂબ જ અસરકારક રીતે ભજવી.
એન્જિનિયરિંગના છેલ્લાં વર્ષમાં મારા હોસ્ટેલમાં રહેવાના, મહેશભાઈની
નવસારી બદલી થઈ અને મને BITS પિલાણી મોકલવાના નિર્ણયોમાં
બેનની ભૂમિકા હંમેશાં પ્રોત્સાહક રીતે સહાયકની રહી.
મારાં
લગ્ન બાબતે બિનપરંપરાગત કહી શકાય એવા નિર્ણય[3] લેવાના સમયે પણ બેનની ભૂમિકા
સકારાત્મક રહી.
સુસ્મિતા અને મારા લગ્નના ભોજન સમારંભમાં
મહેશભાઈ
દાંતીવાડા (જિલ્લો બનાસકાંઠા) માં રજિસ્ટ્રાર તરીકે સ્થળાંતર થયા ત્યારે બેન
ગુજરાત કૃષિ યુનિવર્સિટીના રજિસ્ટ્રારની પત્ની તરીકેની પોતાની સત્તાવાર ભૂમિકામાં
પણ બહુ સહજપણે ગોઠવાઈ જવાની સાથે પરિવારના મુખ્ય કાર્યકારી વડા તરીકેની ભૂમિકા પણ ભજવતી રહી.
કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા ખાતે એક ઔપચારિક મેળાવડામાં બેન અન્ય મહિલાઓ સાથે
![]() |
| દાંતીવાડા ખાતેનાં એક પારિવારિક આઉટિંગમાં JPV અને MPV પરિવારો |
તેમના જીવનના તે
તબક્કા સાથે, બેનનાંના
સ્વાસ્થ્ય અંગે આવેલી પહેલી મોટી સમસ્યા પગના સાંધામાં કેલ્શિયમ જમા થવાની હતી. જે
તેની સાથે જીવનભર રહી. થોડા સમય બાદ આમાં હાઈ બ્લડ પ્રેશર અને હાઈપરએસીડીટીનો
ઉમેરો થયો.
જોકે, એકંદરે, જીવન સ્થિર
અને સરળ રીતે ચાલી રહ્યું હતું.
એવામાં, અચાનક, મહેશભાઈનું ૧૮
ડિસેમ્બર ૧૯૮૩ ના રોજ અવસાન થયું.
[2]
ભૂજમાં એ સમયમાં બપોરના બાર થી ત્રણનો શૉ ખાસ સ્ત્રી
પ્રેક્ષક વર્ગ માટે રહેતો. કદાચ ટિકિટ પણ થોડી ઓછી હોતી હશે. આખું થિયેટર બનેનો
વાતો અને છોકરાંઓના કલબલાટથી ગુંજતું હોય. એમ કહેવાતું કે પછીના શૉમાં પ્રેક્ષકોને
જે ભાગમાં બહેનો બેઠી હોય એ ભાગ કરૂણ ફિલ્મો જોતાં જોતાં વહેલાં બહેનોનાં આંસુઓથી
ભીનો અનુભવો પડે. એ સમયમાં ભૂજમાં સૌથી ઓછી ટિકિટ 'પટ' તરીકે ઓળખાતા ક્લાસની રહેતી. એ ભાગમાં સીટો ન હોય, એટલે એ 'પટ' કહેવાતો. જનાના શૉ
પછી એ ક્લાસમાં આવનાર પુરુષ પ્રેક્ષક વર્ગને છોકરાંઓએ ઢોળેલાં પાણી અને રોતાં
રોતાં કરી લીધેલાં 'મૂતર'ની ભીનાશ વેઠવી પડતી. એ સમયની સીટો એવી રહેતી કે તમે ઊભાં
થાઓ એટલે સીટ આપોઆપ વસાઈ જાય. છોકરાંઓ એમાં ખાસ ફસાતાં - હું અને નૈષધ પણ એમાંથી
બાકાત નહોતા રહેતા.
[3]
પ્રસ્તાવ અને સ્વીકાર તેમ જ લગ્નનું આયોજન
કેમ કરવુંઃ સુસ્મિતા - મારાં જીવનસંગિની
હવે પછી -


.jpg)






No comments:
Post a Comment